ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/વિજય શાસ્ત્રી
વાર્તાફલકની સમીક્ષાત્મકનોંધ
અઝીઝ છરેચા
ગુજરાતી સાહિત્યક્ષેત્રે વિજય શાસ્ત્રી એક વાર્તાકાર, નવલકથાકાર, વિવેચક, સંશોધક અને અનુવાદક તરીકે નામાંકિત છે. આ ઉપરાંત હાસ્ય, વ્યંગ, પ્રવાસ અને સ્મરણકથા વિષયક પુસ્તકો પણ એમની પાસેથી આપણને મળે છે. ગુજરાતી ટૂંકીવાર્તા ક્ષેત્રે એમનું પ્રદાન વિપુલ પ્રમાણમાં સાંપડે છે. ટૂંકી વાર્તાનો આ સર્જક ટૂંકી વાર્તાના સર્જનની માફક એના સ્વરૂપ વિશે પણ સભાન અને સજ્જ છે જે એમના ટૂંકી વાર્તા સ્વરૂપ વિષયક પુસ્તિકા વાંચનારને ધ્યાનમાં હશે જ. એ સાથે આજપર્યંત (૨૦૨૫) સાહિત્યસર્જનમાં પ્રવૃત્ત છે. એમના વિવેચનસંગ્રહો પણ રસાનુભૂતિનો આનંદ આપે તેવા આસ્વાદક છે. એમની વાર્તાઓ વાર્તાસંગ્રહમાં પ્રકાશિત થઈ તે પહેલા ગુજરાતી સાહિત્યનાં વિવિધ સામયિકોમાં પ્રકાશિત થઈ છે. એમની વાર્તાઓમાં મોટેભાગે શહેરી જીવનની સમસ્યાઓ અને તેની સંવેદનાઓ જોવા મળે છે. એમની મોટાભાગની વાર્તાઓમાં નોકરી કરતા મધ્યમવર્ગનો શહેરી જીવન જીવતો માણસ કેન્દ્રસ્થાને છે. આખરે તો વાર્તાના કેન્દ્રમાં તો માનવીય સંવેદનાને જ વાચા મળી છે. પરિવર્તિત સમય અને સમયને તાગી જોવાની સર્જકદૃષ્ટિની સમતા કલાની ક્ષમતા સ્થાપિત કરવામાં સહાયભૂત નીવડતી હોય છે. વાર્તાસર્જક વિજય શાસ્ત્રીની વાર્તાકલાને બિરદાવતા નૂતન જાની નોંધે છે : ‘વિજય શાસ્ત્રી વાસ્તવમાં તો સમતા ધારણ કરી કલમ ઉપાડનારા જૂજ સર્જકોમાંના એક વાર્તાસર્જક છે. વિજય શાસ્ત્રી આધુનિકોત્તર કાળખંડમાં વાર્તાક્ષેત્રે સક્રિય થયેલા સર્જક છે. એમની વાર્તાઓમાં કથનરીતિ સંદર્ભે વસ્તુસંકલનાનો દોર એકસૂત્રે મપાય છે. વિજય શાસ્ત્રીની વાર્તાઓમાં કથનરીતિ, વસ્તુસંકલનાનું નિરૂપણ જે રીતે થયું છે તે આધુનિક વાર્તાઓના હરોળમાં એમની વાર્તાઓને મૂકી આપે છે.’[1] સર્જકની વાર્તાશૈલીના ગુણોને અને તેની કથનરીતિ, વર્ણ્યવિષયનું વિવેચન આદિનો પણ સમજવા પ્રયાસ કર્યો છે. એ અભ્યાસના વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો ઉપર કહ્યું તેમ મોટાભાગની વાર્તાઓના કેન્દ્રમાં માનવીય સંવેદનોને જ વાચા મળી છે. બદલાતો સમય અને તેનો વિવિધદર્શી દર્શન કરવાની સમતુલા સાથે કલામય ક્ષમતાની સ્થાપના જોવા મળે છે. તેમજ એ વાર્તાઓનું ઘડતર, રચના જે કથનરીતિથી થયેલી છે, તે તત્ત્વસર્જકને આગવી હરોળમાં સ્થાન આપે છે. એ આધુનિક સ્થાન દર્શાવે છે કે – ગુજરાતી વાર્તાકથન શૈલીમાં આવેલ પલટો, સમયની બદલાયેલી સમસ્યાઓ સાથેની સમતુલા, માનવીય લાગણીઓનું ઊંચી કક્ષાનું દર્શન-આલેખન અને આજના માનવીને શોધવાની પ્રક્રિયામાં એક વધુ પ્રયાસ. એ બાબતનું દર્શન વિવેચકોએ આપણને કરાવ્યું છે, તેનો આધાર લઈને એ સમીક્ષાને સમજવા પ્રયાસ કર્યો છે. એ સાથે જ તેમના વાર્તાસંગ્રહોની વાર્તાઓનો પણ મેં સ્વતંત્ર રીતે અભ્યાસ નોંધ્યો છે.
‘મિસિસ શાહની એક બપોર’ :
વાર્તાકાર વિજય શાસ્ત્રી જે વાર્તાઓનાં સર્જનમાં માનવમનનાં સંકુલ ભાવો તથા એની અવનવી, અટપટી અને માનવહૃદયની અનોખી તાસીર સાથે ખડી કરી દે છે. તેમણે ઘટનાપ્રધાન વાર્તાઓ અને ઘટના વિનાની વાર્તાઓ દ્વારા વાર્તા ધનને સમૃદ્ધ કર્યું છે. દક્ષિણ ગુજરાતના સૂરત જેવા એક સ્થળવિશેષતાના માનવીઓની વાસ્તવિકતા, માનવીઓના અંતરંગથી ગુજરાતી ટૂંકી વાર્તાને સમૃદ્ધ કરવામાં એમનો ફાળો અણમોલ છે. સરેરાશ એમની વાર્તાઓમાં ગુજરાતી સમાજની કહો કે, ગુજરાતના માનવીઓની ભાવના, એમની મનઃસ્થિતિને અભિવ્યક્ત કરે છે. કારણ કે એમની વાર્તાઓમાં ગુજરાત અને તેના પ્રદેશવિશેષની અનેક લાક્ષણિકતાઓ એમના પાત્રોમાં ડોકાતી જોઈ શકાય છે. વાર્તાકાર વિજય શાસ્ત્રી ‘મિસિસ શાહની એક બપોર’ વાર્તાસંગ્રહ દ્વારા ગુજરાતી ટૂંકી વાર્તા ક્ષેત્રે પ્રવેશ કર્યો છે. આ વાર્તાસંગ્રહ પહેલાં અન્ય ત્રણ સાહિત્ય સ્વરૂપનાં પુસ્તકો પ્રગટ થયા હતાં. ‘મહાકવિ દાન્તે’ વિવેચનગ્રંથ, ‘હું અને હું’ અને ‘એક હતો માણસ’ નવલકથાની સમાંતરે ટૂંકી વાર્તા ક્ષેત્રે પણ એમની કલમ એકધારી ચાલતી રહી. આ વાર્તાસંગ્રહની પહેલી ટૂંકી વાર્તા ‘ત્રિભેટો’ એ એમની વાર્તાનું પ્રવેશદ્વાર; ૧૬ વર્ષની વયે એમણે આ ટૂંકી વાર્તા ક્ષેત્રે પ્રવેશ કર્યો. જે આજપર્યંત ચાલી રહ્યો છે. ગુજરાતના આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તાકારોમાં વિજય શાસ્ત્રીને વાર્તાઓ દ્વારા સફળ વાર્તાકાર તરીકેનો યશ પ્રાપ્ત થાય છે. અગ્રગણ્ય વાર્તાકારોમાં પણ તેમનું સ્થાન નિશ્ચિત થાય છે. ‘મિસિસ શાહની એક બપોર’ વાર્તાસંગ્રહમાં પચ્ચીસ જેટલી વાર્તાઓ સંગ્રહિત થઈ છે. જેમ કે, ‘મિસિસ શાહની એક બપોર’, ‘અંતે નીતા બોલી કે’, ‘શ્વેતા ગામડિયણ’, ‘ધોળા ધોળા રાક્ષસ’, ‘તરૂણ અને તેની બા’, ‘ઈશિતા’, બછબિયાં’, ‘મુકુલનું સ્વપ્ન’, ‘કૉફી હાઉસમાં અડધો કલાક’, ‘મીનાની ચોપડી’, ‘પ્રોફેસર જયેનકૃત નળાખ્યાન’, ‘રામુ અને રામુ’, ‘કોણ? શું? કેમ? વગેરે વગેરે’, ‘છેલ્લું કાગળિયું’, ‘અનુપમા’, ‘બિમલ’, ‘કેશ’, ‘ક્ષેમાની’, ‘ત્રણ ‘સારા’ માણસો’, ‘સહદેવે ઝેર કેમ લીધું?’, ‘વિપ્રલમ્ભ’, ‘નહીં દેખાઈ છબી જ્યારે નયનોમાં’, ‘ત્રિભેટો’, ‘ચકડોળનું શું થયું હશે?’ અને ‘નિષ્ફળ શિકાર’ વાર્તાઓ છે. ‘મિસિસ શાહની એક બપોર’ વાર્તાસંગ્રહની પ્રથમ આવૃત્તિ ૧૯૭૧માં પ્રગટ થાય છે. ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ વાર્તાકાર, વિવેચક ભગવતીકુમાર શર્માએ આ વાર્તાસંગ્રહની પ્રસ્તાવનામાં વિજય શાસ્ત્રીને સર્જકસ્પર્શનો ઉઘાડ તરીકે ઓળખાવ્યા છે. ઉપરાંત તેઓ કેફિયત આપતા નોંધે છે : “મિસિસ શાહની એક બપોર’માં હજી ઘડાઈ રહેલા પણ ઉત્સાહથી ધબકતા ભાઈ વિજય શાસ્ત્રીની ઝાંખી થશે.”[2] પ્રસ્તુત વાર્તામાં અણગમતા મહોરા જેવું પોતાનું નામ ભૂંસવા ઇચ્છતા પણ વ્યવહારજગતના નાનકડા તકાજા સમક્ષ લાચારી અનુભવતા ‘મિસિસ શાહની એક બપોર’ની નાયિકા મિસિસ શાહની સંવેદના છે. મિસ પલ્લવી મહેતા મિસિસ શાહ બન્યાં પછી સ્નેહની સ્મૃતિમાં અતીત અને શાહનાં પત્ની બન્યાં પછીના જીવનની એક બપોરનું વર્તમાન આ બે સમયપટ વચ્ચેનો વિમાસણનો અનુભવ અભિવ્યક્ત થયો છે. વાર્તાનાયિકા એક જ છે પરંતુ એના અસ્તિત્વની ઓળખ બે રીતે વિભાજિત થયેલી છે. અતીતમાં પોતાના પ્રિયતમને ન પામી શકતા વર્તમાનમાં બાહ્ય રીતે ભલે એ મિસિસ શાહ હોય પરંતુ આંતરિક રીતે તો એ સતત ભૂતકાળના પ્રેમીનાં સંસ્મરણોને વાગોળ્યાં કરે છે. પોતાના પતિની હયાતીના સાંનિધ્યમાં પણ એકલતા અનુભવે છે. આ વાર્તામાં દામ્પત્યજીવનની વાસ્તવિકતા અને સમાજજીવનની આકરી વાસ્તવિકતાને વાર્તાકારે મિસિસ શાહના પાત્ર દ્વારા માનવમનની આંતરબાહ્ય પરિસ્થિતિરૂપે દર્શાવ્યું છે. સુનીલને એકાંતમાં મળવા પહેલી અને છેલ્લીવાર સંમત થયેલી ‘કૉફીહાઉસમાં અડધો કલાક’ની નાયિકા પ્રતિમાની અશબ્દ મનોવેદના છે. વાર્તાનાયિકા પ્રતિમા હવે પછી ક્યારેય સુનીલને મળી શકવાની નથી. એની મેળે જ એ પ્રતિમાથી દૂર ફેંકાઈ જવાનો છે. એ વાત પ્રતિમા જાણે છે પરંતુ સુનીલ વાસ્તવિકતાથી અજાણ છે. બંને પ્રેમીપંખીડાંઓ સમાજ કે વડીલોને લીધે જિદંગીભરના જીવનસાથી બની શકતા નથી એ પણ સમાજની જ નરી વાસ્તવિકતા છે. ખૂબ ઉત્સાહપૂર્વક પપ્પા પાસે ખરીદાવેલી ‘અરેબિયન નાઈટ્સ’ની રૂપકડી ચોપડી પર બ્રાઉન પેપરનું જાડું પૂંઠું ચઢાવી દેવાનો મમ્મી તરફથી આદેશ મળતાં, પૂંઠું ચડાવી દેતા પૂઠાં પરનું ચિત્ર અદૃશ્ય થઈ જાય છે. એ જોઈને આનંદ અનુભવતી મીના આક્રંદ કરી બેસે છે : ‘મમ્મી, નથી જોઈતી આ ચોપડી, પાછી ફેંકી આવો!’[3] બાળસહજ ચીસ પાડી ઊઠતી મીનાની મુગ્ધતા પર વ્યવહારજગતનું આવરણ ચઢી જાય છે તે મીનાની બાળસહજ સંવેદનાને રુચતું નથી. વાર્તાકાર બાળમાનસને કેટલી ઉમદા રીતે સમજે છે. એ અર્થમાં બાળમાનસને આલેખતી આ ઉત્તમ વાર્તા છે. ‘પ્રોફેસર જયેનકૃત નળાખ્યાન’ વાર્તામાં પીરિયડમાં ‘નળાખ્યાન’ શીખવતા મનોવિશ્વમાં રાચતા એકી સાથે ત્રણ ત્રણ નાયિકાઓમાં વિહરતા પ્રો. જયેનની સંવેદના છે. ભીષણ કાતિલ ઠંડીનો પ્રતિકાર કરી સળગતા છેલ્લાં કાગળિયાને ઓલવાઈ જતું અટકાવવા પોતે પહેરેલું ચીથરા જેવું ખમીસ સળગાવી દેતો ‘છેલ્લું કાગળિયું’નો નાયક ઠંડીમાં ઠુઠવાતી પ્રિય મા માટે જાનની બાજી ખેલતો જીવનવીર ભિક્ષુક બાળક ચંદુડાની મહાનતા છે. ગરીબી, માંદગીને કારણે પ્રિય વાછરડાને રોટલો ન આપી શકાતાં તેને પોતાના પગની પાની ચાટવા દઈ ધન્યતા અનુભવતો ‘કેશુ’ વાર્તાનો ગરીબ વિધુર વાર્તાનાયક કેશુની સંવેદના છે. અણગમતો પતિ પોતાનું દરેક ક્ષણે અપમાન કર્યા કરતા સમગ્ર પરિવેશ પર એક નિઃશ્વાસ માત્રથી બદલો લેતી ‘ક્ષેમાની’ વાર્તાની નાયિકા ક્ષેમાની પોતાની ઇચ્છાથી લગ્ન ન કરી શકતી, પોતાના પ્રિયતમને સતત સ્મરણ કરતી દેખાય છે. ‘અનુપમા’ વાર્તાની નાયિકા અનુપમા તેમજ ‘અંતે નીતા બોલી કે’ વાર્તામાં પોતાના મનોવિશ્વમાં ત્રણ ત્રણ વર્ષથી યુવતી નીતા સાથે બોલવાની ઇચ્છા દર્શાવતો ‘નીતા આખરે મારી સાથે બોલી પણ હતી!’[4]-નો આશ્વાસન મેળવી લેતો યુવાન તરુણ નામક પાત્ર આ નાયિકાઓના મનોરાજ્ય પર છવાઈ રહે છે, ‘નહીં દેખાય છબી જ્યારે નયનોમાં’ વાર્તામાં મમ્મીની આંખોમાં પોતાની છબી જોવાની જિદ કરતો બાળ સિતાંશુ અને સિતાંશુનું આયુષ્ય થોડા મહિનાઓ પછી અદૃશ્ય થઈ જવાનું જાણી આસુંથી ભીની આંખોમાં છબીને ધૂંધળાવી નાખતી મમ્મી નીલુની સંવેદના છે. ‘ચકડોળનું શું થયું હશે?’ વાર્તાનો નાયક એકલતા અનુભવતો અને શહેરમાં જઈ વસેલી દીકરી કમુના હાથે અપમાન પામેલા વૃદ્ધ અંબુડોસાની વેદનામાં રાચતો દેખાય છે, ‘વિપ્રલમ્ભ’ વાર્તામાં વાર્તાનાયક નરેનની સંવેદના વાર્તાનો વિષય બનીને આવે છે. નરેન ત્રણ ત્રણ યુવતીઓને મનોમન ચાહે છે, મનમાં જ જાણે છૂટાછેડા લઈ લે છે. આખી વાર્તા પીઠઝબકાર પદ્ધતિએ કહેવાઈ છે. નરેનની પત્ની સુમી ખોટાં બહાનાં કાઢી પતિ નરેનને મીઠી મજાક કરી પિયર જતી રહે છે. અને સુમિત્રા એને છૂટાછેડા આપવાની છે તે પણ માનસિક ત્રાસના પાયા પર એ વાતથી નરેનને કોઈ દુઃખની લાગણી અનુભવાતી નથી. ‘નહીં દેખાઈ છબી જ્યારે નયનોમાં’, ‘મીનાની ચોપડી’, ‘ક્ષેમાની’ અને ‘ચકડોળનું શું થયું હશે?’, ‘મુકુલનું સ્વપ્ન’, ‘છેલ્લું કાગળિયું’, ‘શ્વેતા ગામડિયણ’ વગરે વાર્તાઓને ઉત્તમ વાર્તાઓ કહી શકાય. વાર્તાકાર વિજય શાસ્ત્રીને સફળ વાર્તાકાર તરીકે આવકારતાં જાણીતા વાર્તાકાર, વિવેચક, ‘વાચસ્પતિ’ ઉપનામથી જાણીતા પ્રા. રમણલાલ પાઠકે વિજય શાસ્ત્રીને ‘સજાગ કલાકાર’ કહી નવાજ્યા છે. વાર્તાકાર વિજય શાસ્ત્રીના ‘મિસિસ શાહની એક બપોર’ વાર્તાસંગ્રહ સંદર્ભે નોંધે છે : ‘શ્રી વિજય શાસ્ત્રી વાર્તાની ટેક્નિકના અચ્છા જાણકાર છે અને સાહિત્યમાં ટેક્નિક ઘણી મહત્ત્વની વસ્તુ છે જ.’[5] વાર્તાની ટેક્નિકના સંદર્ભે ‘ધોળા ધોળા રાક્ષસ’ વાર્તા જોઈએ તો સમાજમાં સારો દેખાતો અને કદાચ અન્યથા સારો માણસ પણ કેટલીક બાબતોમાં ખાસ કરીને સંતાનોનાં લગ્ન જેવી ગંભીર બાબતમાં, કે જે સંતાને આખો સંસારરૂપી સાગર જેની સાથે તરવાનો છે એવી ગંભીર બાબતો માટે કેવો નિષ્ઠુર અને ભયંકર હોય છે એ વાત ‘ધોળા ધોળા રાક્ષસ’ વાર્તામાં ‘ધોળા રાક્ષસ’ના પ્રતીક દ્વારા સૂચવવાનો લેખકે સફળ પ્રયોગ કર્યો છે. ‘કાળા’ને બદલે ‘ધોળા રાક્ષસ’નો શબ્દપ્રયોગ જ વૈચિત્ર્યને કારણે કલાક્ષમ બને છે. સમાજમાં ગોરા દેખાવડા લલિતચંદ તથા એવા પિતાઓના સંદર્ભમાં એ શીર્ષક અર્થસૂચક છે. ‘અનુપમા’ વાર્તામાં પણ વાર્તાનાયિકા અનુપમાના પિતા માટે પણ લેખકે ‘રાક્ષસ’ શબ્દપ્રયોગ કર્યો છે. અને ‘પારધી’ શબ્દપ્રયોગ કર્યો છે. ‘મુકુલનું સ્વપ્ન’ વાર્તામાં બાળમાસનની મનઃસ્થિતિનું માર્મિક રીતે આલેખન કર્યું છે. ‘હું મમ્મીને પૂછી જોઈશ કે તમારાથી અવાય કે નહિ ત્યાં હં?![6] એ વિધાન વાર્તાને રોચક બનાવે છે. વાર્તાકાર વિજય શાસ્ત્રીએ ‘મિસિસ શાહની એક બપોર’ વાર્તાસંગ્રહની વાર્તાઓમાં નારીસંવેદના, બાળ-કિશોરની સંવેદના, પ્રણયની વિરહવેદના ને દામ્પત્યજીવનમાં જોવા મળતી વિસંગતી જેવા વિષયવૈવિધ્યને આકર્ષક બનાવવા માટે વાર્તાકારે પુરાકલ્પન, સન્નિધિકરણ, મનોવૈજ્ઞાનિક અભિગમ, નારીસંવેદના, પીઠઝબકાર પદ્ધતિ જેવી અનેકવિધ ટેક્નિકનો ઉપયોગ કરી વાર્તાઓને સક્ષમ અને સફળ બનાવી છે. વિજય શાસ્ત્રીના પ્રથમ વાર્તાસંગ્રહનાં વાચનના આધારે કહી શકાય કે, એમની વાર્તાઓ-ઘટનાપ્રધાન છે અને ઘટનાવિહોણી પણ છે. એ એમની વાર્તાઓની મોટી સમૃદ્ધિ છે. એમની વાર્તાનાં પાત્રો થકી સમાજની નરી હકીકત, વાસ્તવિકતા, મનોવેદના પ્રગટે છે. બાળસહજ સંવેદના પણ અક્ષરાંકિત થઈ છે. અર્થસૂચક શબ્દો અને વાર્તારચનાની ટેક્નિક ટૂંકીવાર્તાને આસ્વાદ્ય બનાવે છે. નારીસંવેદનાઓને વિરહવેદના દ્વારા એમણે પ્રગટ કરી છે. ઉપરાંત સ્વપ્નશૈલી જેવી વિવિધ કળાનો ઉપયોગ પણ એમની વાર્તાઓમાં થયો છે.
‘અહીં તો’ :
વાર્તાકાર વિજય શાસ્ત્રીનો ‘મિસિસ શાહની એક બપોર’ પ્રથમ વાર્તાસંગ્રહ પ્રગટ થાય છે ત્યારે વાર્તાકાર, વિવેચક ભગવતીકુમાર શર્માએ તેમને ‘ઘડાઈ રહેલા’ વાર્તાકાર તરીકે પોંખ્યા હતા. પ્રથમ સંગ્રહની પ્રથમ આવૃત્તિ પ્રગટ થઈ તેના બે-અઢી વર્ષમાં જ બીજો વાર્તાસંગ્રહ ‘અહીં તો’ પ્રકાશિત થાય છે. અહીં ઘડાઈ ચૂકેલા વાર્તાકારનો પરિચય આપણને થાય છે. વાર્તાક્ષેત્રે એમનામાં રહેલી પરિપક્વતા પણ બંને વાર્તાસંગ્રહને સરખાવતા જોઈ શકાય છે. ‘અહીં તો’ ૧૯૭૩માં પ્રકાશિત થયો. આ વાર્તાસંગ્રહમાં કુલ ચોવીસ વાર્તાઓ સંગ્રહિત થઈ છે. ‘પતિગૃહે’, ‘મોતીરામ વતી’, ‘કરુણિકા’, ‘મારી આગળ હું જ બેઠો હતો’, ‘એક સાધારણ બનાવ’, ‘શૈલજા’, ‘ટપાલ’, ‘નો ધાયસેલ્ફ’, ‘કેરેકટર સર્ટિફિકેટ’, ‘ઉત્તમ પ્રેમીઓ’, ‘એક ધાર્મિક ડોશીમાની વાર્તા’, ‘હેંતિયાઓના દેશમાં’, ‘વાદળ વરસ્યા નહિ’, ‘વિશ્વ-રૂપ’, ‘બીજા ગાંધીની પહેલી વાર્તા’, ‘સહમૃત્યુ’, ‘લાલ માટી’, ‘૧૨, દર્શન સોસાયટી’, ‘એ તો ટેવાઈ જવાય’, ‘શોકસભા’, ‘લાભ કેમ ન લેવો, ભલા?’, ‘એક ઓરડો છે, જેમાં’, ‘હું અને’ અને ‘અહીં તો’ વાર્તાઓ છે. ‘અહીં તો’ વાર્તાસંગ્રહની વાર્તાઓના સંદર્ભમાં વિવેચક પ્રા. જશવંત શેખડીવાળા નોંધે છે : ‘તમારામાં સારા વાર્તાકાર થવાનાં ઘણાં લક્ષણ છે. તમારી પાસે રસળતી, નાટ્યાત્મક, ચિત્રાત્મક, વ્યંજનાભરી શૈલી છે. તમારું શબ્દભંડોળ પણ ઠીક ઠીક વિશાળ અને વૈવિધ્યપૂર્ણ છે. તેમ નવીન, તાજગીયુક્ત સચોટ અલંકાર કલ્પન-પ્રતીક યોજી શકો છો. વાર્તાના સ્વરૂપ અંગે પણ તમે સારી સૂઝબૂઝ ધરાવો છો અને વસ્તુ ભાવ-વિચાર-રીતિ પરત્વે અવનવા પ્રયોગ કરવાની તમારામાં શક્તિ ઉપરાંત સાહસ પણ છે. આ બધા ગુણોનું દર્શન તમારી વાર્તાઓમાં ઠેરઠેર થઈ શકે છે.’[7] ‘અહીં તો’ વાર્તાસંગ્રહની વાર્તાઓમાં વિષયવૈવિધ્ય સાથે વિષયવસ્તુને અનુરૂપ વાર્તાકારે વિવિધ ટેક્નિક અપનાવી છે. ‘પતિગૃહે’ વાર્તામાં વાર્તાનાયિકા મધુ લગ્ન પહેલા બીજા યુવકને ચાહતી હતી એ યુવકનું અકસ્માતમાં મૃત્યુ થતા નચિકેતને પરણે છે. પરંતુ મધુને દામ્પત્યજીવનમાંથી રસ ઊડી ગયો. વાર્તાનો અંતમાં વાર્તાકારે નચિકેત પાસે રસાળ શૈલીમાં ‘શ્યોર...’ શબ્દ બોલાવ્યો છે. જે મધુનો પ્રેમી વિરાજ બોલતો હતો. ‘શ્યોર’ મધુએ ઘણાં વખતે સાંભળ્યું. નચિકેતના આવા શબ્દપ્રયોગથી મધુ નચિકેત તરફ આકર્ષાય છે અને વાર્તાને અંતે નચિકેતને સાચા હૃદયથી પતિ તરીકે સ્વીકારે છે અને મધુ નચિકેતના ગૃહરૂપી હૃદયમાં પ્રવેશે છે. ‘શૈલજા’ વાર્તામાં પણ દામ્પત્યજીવનનું આલેખન થયું છે. નાયિકા શૈલજાના જીવનમાં સર્જાયેલી વિધિની વક્રતા છે. પતિનું અકસ્માત થતાં પગ કાપી નાખવો પડે છે. શૈલજા મલહોત્રા સાથે સ્કૂટર પર બજારમાં જાય છે. આવતા મોડું થતા પતિના મનમાં શંકા-કુશંકા જન્મે છે અને પતિના મનમાં બદલો લેવાનો ભાવ જાગે છે. વાર્તાને અંતે પિશાચકૃત્ય કરવા માગતો પતિ શૈલજાને ખરા અર્થમાં પત્ની તરીકે ચાહવા માંડે છે. ‘વિશ્વરૂપ’ વાર્તામાં વાર્તાકારે સુખી, પ્રસન્ન દામ્પત્યજીવનનું આલેખન કર્યું છે. પરંતુ ક્લાર્ક તરીકે નોકરી કરતાં વિશ્વરૂપની મધ્યમવર્ગીય જીવનની વાસ્તવિકતા રજૂ થઈ છે. ‘કરુણિકા’ વાર્તામાં વેધક રીતે નારી સંવેદનાને લેખકે વાચા આપી છે. ‘મારી આગળ હું જ બેઠો હતો’, ‘એક સાધારણ બનાવ’ અને ‘વાદળ વરસ્યા નહિ’ વાર્તાઓ પ્રણયભંગ અને વિરહને આલેખતી વાર્તાઓ છે. ‘ટપાલ’ વાર્તામાં વૃદ્ધજીવનની કરુણતા છે. ‘બીજા ગાંધીની પહેલી વાર્તા’માં દલિત સંવેદના છે. વાર્તાનાયક અછૂત છે પણ મન-હૃદયથી અછૂત નથી. ગરીબ છે પરંતુ સચ્ચાઈને ટેકે ચાલનાર વાર્તાનાયકને બીડી માટે પૈસા બચાવવા કંડક્ટર પાસેથી ટિકિટ કઢાવતો નથી પરંતુ સ્ટેશન આવતા નીચે ઊતરીને પૈસા આપે છે. ટિકિટની બીડી બનાવી, સળગાવી પીતા સંતોષ અનુભવે છે. આખરે સચ્ચાઈ-સત્યનો જય થાય છે. ‘ઉત્તમ પ્રેમીઓ’, ‘એક ધાર્મિક ડોશીમાની વાર્તા’, ‘હેતિયાઓના દેશમાં’ અને ‘શોકસભા’ જેવી વાર્તાઓમાં પ્રતીક, સ્વપ્નશૈલી અને ભાષા-શબ્દોની પ્રયુક્તિ દ્વારા લેખક વ્યંગ્યને ઉપસાવી આપે છે. ‘લાભ કેમ ન લેવો?’ વાર્તામાં કુટુંબમાં સંબંધમાં જાગતો વેરભાવ માણસને ક્યાં સુધી ખેંચી જાય તેની સુંદર અભિવ્યક્તિ વાર્તાકારે વ્યંજનાસભર કરી છે. આ સંગ્રહની ‘૧૨, દર્શન સોસાયટી’ વાર્તાને વિવેચક રાધેશ્યામ શર્મા ઉત્તમ વાર્તા ગણાવતા નોંધે છે : ‘સંગ્રહની કદાચ ઉત્તમ ગણાય એવી કૃતિ ‘૧૨, દર્શન સોસાયટી’ની અંદર અસૂયાની સૂક્ષ્મ પણ સ્ફોટક છબી ઝીલાઈ શકી છે. નિરૂપણ એટલું ઠોસ છે કે જાણે લેખકની પૂરી ‘એમ્પથી’ અસરગ્રસ્ત ચરિત્રો સાથે ઘણી પળે સંધાઈ છે.’[8] ભૌતિક સમૃદ્ધિ દ્વારા આબરૂની સ્થાપનામાં લોકોની વાહવાહ મેળવવાની ચાહતમાં અંગતજીવન પ્રત્યેની બેદરકારી પ્રસન્નજીવન કલુષિત બનાવી મૂકે છે. દામ્પત્યજીવનની વિફળતાનું કારણ પડોશીના ઘરની સમૃદ્ધિ છે. પરંતુ વાર્તાને અંતે એ સમૃદ્ધિ, વાહવાહ, પૈસો બધું જ છે પરંતુ જીવન નિરાધાર બની જાય છે. ઈર્ષાની આગમાં લપેટાયેલા માણસમાં બદલાની ભાવના તીવ્ર બને છે. અને અંતે એનું પરિણામ વિપરીત આવે છે. આ વાર્તાસંગ્રહની વાર્તાઓમાં અવનવી ટેક્નિક, પત્રશૈલી, ફ્લૅશબેક પદ્ધતિ, સ્વપ્નશૈલી, પ્રતીક વગેરેનો ઉપયોગ વાર્તાકારે કર્યો છે. સાચા અર્થમાં ટૂંકી વાર્તા કહી શકાય એવી ટૂંકી વાર્તા ‘અહીં તો’ વાર્તાસંગ્રહમાં છે. એક બેઠકે વાંચી લેવાય એવી ટૂંકી વાર્તાઓ આ સંગ્રહમાં જોવા મળે છે. ‘ઉત્તમ પ્રેમીઓ’ વાર્તા માત્ર દોઢ પાનાની વાર્તા છે જેમાં લેખકે વ્યંગ્ય શૈલીનો ઉપયોગ કર્યો છે. ‘અહીં તો’ વાર્તા પણ ટૂંકી વાર્તાનો ઉત્તમ નમૂનો છે. સર્જકના ‘અહીં તો’ વાર્તાસંગ્રહનો અભ્યાસ કરતાં કેટલીક બાબતો જોઈ શકાય છે : સારા વાર્તાકારનાં લક્ષણો આ વાર્તાઓના વાચને આપણે તારવી શકીએ, વાર્તાઓ રસળતી શૈલીમાં આલેખાઈ છે. વાર્તાઓમાં દાંપત્યજીવન અને નારી સંવેદનાને વાર્તાકારે વાચા આપી છે તે પણ કળાત્મક રીતે, વાર્તાકારે પોતાની વિશેષતા પ્રયોગાત્મક રીતે તેમ જ ભાષાભંડોળ, રસળતા અને વાર્તાનાં બીજની પસંદગી કરીને રજૂ કરી છે.
‘હોવું એટલે હોવું’ :
‘હોવું એટલે હોવું’ એ વિજય શાસ્ત્રીનો ત્રીજો વાર્તાસંગ્રહ છે. આ વાર્તાસંગ્રહને ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નું પ્રથમ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે. ‘હોવું એટલે હોવું’ વાર્તાસંગ્રહની પ્રથમ આવૃત્તિ ૧૯૭૮માં પ્રસિદ્ધ થઈ જેમાં કુલ છવ્વીસ વાર્તાઓનો સમાવેશ થયો છે. ‘નવો માણસ’, ‘એક વરસાદી સ્ત્રીની એકસ્ટસી’, ‘અપરિચિત’, ‘...ના અજન્મ’, ‘વર્ષો પછી આવેલી એક બસ’, ‘એક ગ્લાસ પ્રેમનો’, ‘ત્યારે’, ‘ઘટના એટલે કે’, ‘પડકાર’, ‘એક એબ્સર્ડ પીપડાની વાર્તા’, ‘એન્ટી ગૌતમ બુદ્ધ’, ‘એક ખરેખર ડાહી છોકરીનું સ્વપ્ન’, ‘મુક્તિથી બંધાયેલો માણસ”, ‘બીજે ક્યાંક’, ‘દ્રોહ-વિદ્રોહ’, ‘ખોડની ગાંઠ’, ‘એક જાતિનો વંશવેલો’, ‘એક કર્મકાંડી વાતચીત’, ‘હોવું એટલે હોવું’, ‘એક ઘરગથ્થુ વાત’, ‘ચિત્ર : કેનવાસમાં ને-’, ‘સોળ સોમવારની વારતા’, ‘ગૃહત્યાગ’, ‘પહેલો દિવસ’, અને ‘કપોળ કલ્પિત’ આટલી વાર્તાઓ છે. અસ્તિત્વવાદી અભિગમ રજૂ કરતી આ વાર્તાઓએ ગુજરાતી ટૂંકી વાર્તા ક્ષેત્રે નવીન ભાત ઉપસાવી છે. સામાજિક માનવીઓની સંવેદનાઓને પૂર્વભૂમિકા બનાવી રચાયેલી વાર્તાઓ સામાજિક સમસ્યાઓને વ્યંજિત કરે છે અને અભિવ્યક્તિની નવીન ટેક્નિકનો ઉપયોગ કરી અસ્તિત્વવાદી અભિગમને વાર્તાકાર રજૂ કરે છે. આ સંગ્રહની વાર્તાઓમાં માનવીય મનને વાર્તાના કેન્દ્રમાં રાખી વાર્તાની પાત્રસૃષ્ટિને ભાવનાશીલ અને સંવેદનશીલ બનાવી છે. વિવેચક રમણલાલ જોશી આ વાર્તાસંગ્રહની વાર્તાઓના અનુસંધાનમાં નોંધે છે : “હોવું એટલે હોવું’ સંગ્રહની વાર્તાઓ સાંપ્રત મનુષ્યની વાસ્તવિકતાને યથાતથ સ્વરૂપે મૂકી આપે છે. પરિસ્થિતિ પર ટોર્ચલાઈટ નાંખીને લેખક ખસી જાય છે. એમનું પોતાનું કથયિતવ્ય પણ અત્યંત સંકુલ થઈ જાય છે. અને સ્થિતિચિત્રણ પોતે જ વક્તવ્ય બની રહે છે એ જાતનું નિરૂપણ વક્રતા અને કટાક્ષનો સફળ વિનિયોગ કરીને સાધ્યું છે. એમાં નવી વાર્તાની સાચી પ્રયોગશીલતાનું દર્શન થાય છે.’[9] આ વાર્તાસંગ્રહમાં લેખકની પોતાની અને અન્યની વેદનાનાં આલેખનમાં પ્રયોગશીલતાનું તત્ત્વ વિશેષ જોવા મળે છે. ‘ઘટના એટલે કે’ અને ‘બીજે ક્યાંક’ બંને વાર્તાઓમાં પાત્રો મનનાં અભાવો વચ્ચે જીવન જીવતા અને તેમની વૃત્તિનું ચિત્રણ કેન્દ્રસ્થાને છે. આ બંને વાર્તાઓમાં પાત્રો સુખની પરવા કર્યા વગર અન્યોન્ય પાસે વધુ પડતી અપેક્ષાઓ રાખે છે અને પરિણામે દુઃખી થાય છે. ‘ઘટના એટલે કે’ વાર્તામાં સાંપ્રત સમયના માણસની વાસ્તવિકતાનો ખ્યાલ આપ્યો છે તેનું યથાતથ રૂપે નિરૂપણ થયું છે. આ વાર્તાનો નાયક રોજિંદા સ્થાયી જીવનથી કંટાળો અનુભવે છે. રોજની નિત્યક્રમ ચાલતી રોજબરોજની સાદી જિંદગી એને સતત ખૂંચે છે. સરેરાશપણામાંથી છૂટવા એ ફાંફાં મારે છે. માદાં પડવું, પત્નીની સેવા ચાકરી કરવી વગેરેનું વર્ણન વાર્તાનાયકની મનઃસ્થિતિને દર્શાવે છે. એ માટે વાર્તાકારે ટૂંકાં ટૂંકાં વાક્યોનો પ્રયોગ પણ કર્યો છે : ‘મને પાછો તાવ આવી જતો. યા તો માથું દુઃખી જતું. યા તો શરદી. યા તો આ. યા તો તે યા તો ધારેલું. યા તો કલ્પેલું યા તો તે ઓળખેલું....’[10] આમ એકધારાપણામાંથી છૂટવા એ હવાતિયાં મારે છે. પરંતુ વાર્તાના અંતે પત્નીના સાચા પ્રેમનો ખ્યાલ આવતા એકધારાપણાને ફંગોળી દેનારું મન સ્નેહની તીક્ષ્ણ અનુભૂતિ કરાવે છે. ‘પહેલો દિવસ’ વાર્તામાં નગરજીવનની અને નોકરી કરતા વ્યક્તિઓની પોકળતા હળવી કટાક્ષ શૈલીમાં અભિવ્યક્ત કરી છે. ‘ત્યારે’ વાર્તામાં વાર્તાકારે નવીન ટેક્નિક અપનાવી છે. ‘ત્યારે’ શબ્દનો પ્રયોગ આખી વાર્તામાં લગભગ તેત્રીસ વખત પ્રયોજાયો છે. વાર્તાનો આરંભ ભિખારી ભરચક રસ્તાની બાજુમાં ઉકરડે બેસી પડ્યો છે ને અંતે એ ભિખારી ભરચક રસ્તાની બાજુમાં ઢળી પડે છે. વાર્તાના મધ્યમાં સ્વાર્થી યંત્રવત્ બની ગયેલા માનવીને ગરીબ દયામય દૃષ્ટિ કરવાનો પણ સમય નથી. બધા જ પોતપોતાની રીતે ભિખારીની નજીકથી ચાલ્યા જાય છે. વાર્તામાં ભિખારીથી માંડીને પૈસાદાર, મધ્યમવર્ગ અને નિમ્નવર્ગ લોકોની સ્થિતિનો ખ્યાલ વાર્તાકારે આપી દીધો છે. આખી વાર્તામાં પૂર્ણવિરામનો ક્યાંય ઉપયોગ વાર્તાકારે કર્યો નથી. બે સ્થાને અલ્પવિરામ પ્રયોજાયેલ જોવા મળે છે. ડોટ્સનો ઉપયોગ કર્યો છે. વાર્તાને અંતે ‘ત્યારે’ની આગળ અને પાછળ ડોટ્સ પ્રયોજી નવીન ટેક્નિક અપનાવી છે. આખી વાર્તા સળંગ શૈલીમાં કહેવાઈ છે. ‘એક કર્મકાંડી વાતચીત’ વાર્તા સંવાદાત્મક શૈલીમાં નાટ્યાત્મક રીતે કહેવાઈ છે. વાર્તામાં વાર્તાકારે પાત્રોનાં નામોને સ્થાને યુવક અને યુવતી તરીકે જ ઉલ્લેખ કર્યો છે. આ યુવક અને યુવતી પ્રેમ માટેની તરકીબ શોધી રહ્યાં છે. જેમાં અનુકૂળ ન લાગતા આખરે કંટાળી બંને છૂટા પડી જાય છે. જાણે આખી વાત એક કર્મકાંડી વાતચીત જ બની રહે છે. ‘એક જાતિનો વંશવેલો’ પ્રશ્નોત્તરીના રૂપમાં રજૂ થઈ છે. આધુનિક દંપતી આધુનિક બાળક કેવું હોય એની કલ્પનાની વાત વાર્તાનો મુખ્ય વિષય છે. કેવી રીતે એનો ઉછેર થવો જોઈએ, ભણતર, વ્યવસાય અને અંતે તેમનાં બાળકો, તેમનાં બાળકો એવી રીતે જ પોતાના બાળકોનો ઉછેર કરશે. વંશવેલો કઈ રીતે આગળ વધારવો તેની ધારણા આ વાર્તામાં વ્યંગ્ય દ્વારા કરવામાં આવી છે. આ વાર્તામાં લેખકે નવીન ટેક્નિક અપનાવી છે. ‘અપરિચિત’ વાર્તામાં નાયક ઘણાં વર્ષો પછી સ્વદેશગમન કરે છે. ત્યારે કરચલિયાવાળા ચહેરાઓનો રાગપરક nostalgia મૂર્ત કરે છે. વાર્તાકાર વસ્તુઓની ઝીણવટથી કાવ્યાત્મક શૈલીથી કથાને સ્થૂળ સંકેતોને વ્યંજનાસભર કરી દે છે. દા.ત. ‘અને બોરડીના ઝાડ પરના ઝુલાઓ, જે અમે આકાશ સુધી ચગાવતા તે શું આકાશમાં જ કોઈ દેવબાળે અટકાવી રાખ્યા હશે? પતંગ ચગાવતાં વાગેલા પતરાના ઘામાંથી નીકળેલાં રક્તનાં ટીપાં શું સમયપંખીઓ ચૂગી ગયાં હશે? સાઈકલ શીખતાં વગાડેલી ઘંટડીના રણકારો, શું ઘડિયાળની ટિક-ટિકમાં ફંગોળાઈ ગયા હશે? વાંસપટ્ટીની તરાડોમાં થઈ આવતા શિયાળુ પવનો શું તાળા-કૂંચીમાં કેદ થઈને પડ્યા હશે? ચૂલે મૂકેલી સ્નાનજળની દેગડી શું ધુમાડા/વરાળ સાથે જ ઊડીને અવકાશમાં ભળી ગઈ હશે?’[11] વર્ષો પૂર્વેનું જે વિશ્વ હતું તે જાણે આભાસ બનીને ઊડી ગયું હશે એવું માત્ર શમણું બની ગયું હોય એ રીતે વાર્તા નિરૂપાઈ છે. ‘હોવું એટલે હોવું’ વાર્તાસંગ્રહની વાર્તાઓની લાક્ષણિકતાઓ વિશે વિવેચક પ્રા. કાન્તિ પટેલ નોંધે છે : ‘આ સંગ્રહની વાર્તાઓમાં આધુનિકતાનો સંભાર પૂરતા પ્રમાણમાં ભરેલો છે. સાંપ્રત જીવનની, વધુ તો નગરજીવનની નાનીમોટી અનેક બાબતો વાર્તાકારને વાર્તા લખવા ઉશ્કેરે છે. આ વાર્તાઓનો નાયક મહદંશે સરેરાશ ગુજરાતી માણસ છે. સામાન્યતાને વરેલો છે જે નિરર્થક જિંદગીનો ભાર વેંઢારતો રહે છે. પ્રેમ અને લાગણી જેવી બાબતમાં તે મૌલિકતા ગુમાવી બેઠો છે; અને જાણે-અજાણ્યે રેડીમેઈડ ફોર્મ્યુલાને વશવર્તીને જીવે છે. રોજિંદા જીવનમાં અનેક અસંગતિઓનો સામનો કરવાનું તેને ભાગે આવે છે.’[12] વાર્તાકાર વિજય શાસ્ત્રીનો જન્મ મુંબઈ જેવા મહાનગરમાં થયો અને ઉછેર, ભણતર, વ્યવસાય પણ સૂરત શહેરમાં જ. તેથી તેમની વાર્તાઓમાં મોટાભાગે શહેરીજીવનનું આલેખન તાદૃશ થયેલું છે એમ કહી શકાય. એમની વાર્તાઓનો નાયક સરેરાશ ગુજરાતી છે, મધ્યમવર્ગી, નોકરી કરતો સામાન્ય માણસ છે. સાંપ્રત સમયમાં નગરમાં વસતા માણસજીવનની નાની મોટી બાબતો ‘દ્રોહ-વિદ્રોહ’, ‘પહેલો દિવસ’, ‘.....ના અજન્મ’, ‘વર્ષો પછી આવેલી એક બસ’ જેવી આ સંગ્રહની વાર્તાઓના વિષય બનીને આવે છે. વિવેચક પ્રા. રમેશ ઓઝા આ વાર્તાસંગ્રહની વાર્તાઓના અનુસંધાનમાં પોતાનું મંતવ્ય આપતા નોંધે છે : ‘જ્યાં ઓછામાં ઓછી વાતમાંથી વાર્તા નીપજી આવતી હોય તેવી સરસ વાર્તાઓ તરીકે ‘પડકાર’, ‘એક ખરેખર ડાહી છોકરીનું સ્વપ્ન’, ‘મુક્તિથી બંધાયેલો માણસ’, ‘એક ગ્લાસ પ્રેમનો’, ‘નવો માણસ’ વગેરે ગમી જાય તેવી વાર્તાઓ છે. આ બધી વાર્તાઓમાં આધુનિક જીવનની વક્રતા મનુષ્યજીવનમાં આવતી વિડંબના, કરુણતાનું એમણે સૂચક અને છતાં સચોટ નિરૂપણ કર્યું છે.’[13] વાર્તાકાર વિજય શાસ્ત્રી રોજબરોજની સામાન્યમાં સામાન્ય બનતા બનાવમાંથી સુંદર વાર્તા આલેખી આપવાની કળાસૂઝ ધરાવે છે. એ કળાસૂઝને તેઓએ ખૂબ જ તટસ્થતાથી કામે લગાડી છે. વિજય શાસ્ત્રીના પ્રસ્તુત વાર્તાસંગ્રહોમાં આપણને અર્વાચીન જીવનરીતિની વક્રતા, તેની વિડંબના તથા કરુણતા જે પ્રતીત થાય છે. તેને સર્જકે કળાસૂત્રથી અંકિત કરી છે એમાં સર્જકની તટસ્થતા વિશેષ રૂપે પ્રતિબિંબિત થયેલી છે. આ બાબતો તેમની સિદ્ધિમાં વિશેષ ઉમેરો કરે છે. બીજા પણ નોંધપાત્ર લક્ષણો પર આપણે નજર નાખીએ તો—આ વાર્તાઓમાં અસ્તિત્વવાદી આલેખન જોવા મળે. અભિવ્યક્તિની આ નવી રીત સર્જકે ઉપયોગમાં લીધી છે. ભાવનાશીલ અને સંવેદનાથી તરબતર એવી પાત્રસૃષ્ટિની તેઓ લીલા રચે છે. વિવિધ પ્રયોગો મારફત વેદનાનું આલેખન થયું છે, નવી ટેક્નિક દ્વારા વિરામચિહ્નો વગરની શૈલી પણ અજમાવે છે. સાંપ્રત વાસ્તવિકતાનો તેમણે બરાબર તીવ્રતાથી ઉપયોગ કર્યો છે. ગ્રામજીવન અને શહેરીજીવનનું વર્ણન વ્યંગ્ય શૈલીમાં કરે છે. આધુનિકતાનો સંચાર પૂરતા પ્રમાણમાં પ્રતીત થાય છે. આટલી બાબતો આ વાર્તાઓમાંથી જરૂર તારવી શકાય.
‘ઇતરેતર’ :
‘ઇતરેતર’ વાર્તાકાર વિજય શાસ્ત્રીનો ચોથો વાર્તાસંગ્રહ છે. પહેલા ત્રણ સંગ્રહોની વાર્તાઓ કરતાં આ સંગ્રહની વાર્તાઓ દ્વારા વાર્તાકાર વિજય શાસ્ત્રીની સર્જનકલા ઉત્તરોતર વધારે ખીલેલી જોઈ શકાય છે. આધુનિક સમયમાં જીવતા માણસનાં મનની અને જીવનની વાસ્તવિકતાને આબેહૂબ તાદૃશ કરે છે. આ સંગ્રહ ૧૯૭૯માં પ્રકાશિત થયો છે. ‘ઇતરેતર’ વાર્તાસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમીનું દ્વિતીય પારિતોષિક પ્રાપ્ત થયું છે. આ વાર્તાસંગ્રહમાં ઓગણત્રીસ વાર્તાઓ સંગ્રહિત થઈ છે. એકાદ વાર્તાને બાદ કરતાં બધી જ વાર્તાઓ જાણીતાં સામયિકોમાં પ્રગટ થયેલી છે. ‘એક UN-TOUCHABELEની વારતા’ (કેસૂડાં), ‘એક નાટ્ય વાર્તા’ (સમર્પણ), ‘ઇતરેતર’, ‘અકર્મક’, (ચાંદની), ‘જો તમે કેતુમન બની શકો તો’ (ગુજરાતમિત્ર દીપોત્સવી પૂર્તિ), ‘હા એટલે’ (કંકાવટી), ‘દૃશ્યાવલી’ (કંકાવટી), ‘ચાર અધૂરા માણસોની વાતચીત’ (કંકાવટી), ‘છેલ્લો હપ્તો’ (સમર્પણ), ‘ફલાણો નક્કામો’ (ગુજરાત), ‘અવળસવળ’ (કંકાવટી), ‘બારીમાંનો માણસ’ (કંકાવટી), ‘જવું’ (ચાંદની), ‘—અને નરહરિ’ (સમર્પણ), ‘એક સ્નેપશોટ’ (કંકાવટી), ‘હું ક્યાંક તો હોઈશને? (ગુજરાતમિત્ર દીપોત્સવી પૂર્તિ), ‘પઢો રે પોપટ’ (ગુજરાત) ‘હીંચકાવતાર’ (સમર્પણ), ‘તત્ર લુપ્તા’ (કંકાવટી), ‘દરિયાને તીર એક રેતીની છોકરી’ (સમર્પણ), ‘અમૃત જાણી મીરાં પી ગયાં’ (ગુજરાતમિત્ર દીપોત્સવી પૂર્તિ), ‘પીપળો વાવ્યાની મને આણ’ (નવનીત), ‘રતનશંકર વિશે’ (કંકાવટી), ‘બે સોપડી ભણેલી છોડીનો કાગર’ (કંકાવટી), ‘કાંકરી’ (ગુજરાત), ‘મા, ગામ ને એવું બધું’ (નવનીત), ‘અમથા ભગાની ઈન્ડિપેન’ (ચાંદની), ‘મિસ્ટર ‘હું’નો દુઃખતો દાંત’ (સમર્પણ), ‘સંસારકથા’ (ગુજરાતમિત્ર દીપોત્સવી પૂર્તિ). વાર્તાકાર વિજય શાસ્ત્રીના વાર્તાસંગ્રહ ‘ઇતરેતર’માં સંગ્રહિત કેટલીક વાર્તાઓના અનુસંધાનમાં વિવેચક ડૉ. સુમન શાહ નોંધે છે : ‘સાહિત્યિકતાની માત્રા – કહો કે પૂરી ભૂમિકા – સરજી-સ્વીકારીને વિજય શાસ્ત્રીએ ‘ઇતરેતર’, ‘તત્ર લુપ્તા’, ‘દરિયાને તીર એક રેતીની છોકરી’, ‘અમૃત જાણી મીરાં પી ગયા’, ‘પીપળો વાવ્યાની મને આણ’ તથા ‘હીંચકાવતાર’ જેવી રચનાઓ કરી છે. નદી, દરિયો, આદિ જીર્ણ પ્રતીકોને અપનાવીને તેમણે ક્યારેક રૂપકગ્રંથિની ચાલે, તો ક્યારેક પ્રાસાનુપ્રાસ અને કંઈક પદ્યાત્મક લક્ષણોની રીતે ભાતે તેમ જ ‘ઉપલી મેડીએ થાળીવાજું નૌતમ ગાણાં ગાય’ જેવી સાહિત્યિક વર્ગની મિથના વિનિયોગ વડે કરીને આ રચનાઓની સાહિત્યિકતાને દૃઢ-સુદૃઢ કરવાનો પ્રયત્ન કર્યો છે. એ દરેકમાં એમના આછાપાતળા સર્જક સંકલ્પો છે ને તેથી તેમાં તેવું-તેટલું પ્રયોગ તત્ત્વ છે.’[14]પ્રતીક, પ્રાસાનુપ્રાસનો ઉપયોગ કરી પ્રયોગતત્ત્વ દ્વારા કાવ્યાત્મક શૈલીનો કુશળતાપૂર્વક ઉપયોગ કર્યો છે. ‘મિસ્ટર ‘હું’નો દુઃખતો દાંત’ અને ‘ચાર અધૂરા માણસોની વાતચીત’ વાર્તાઓ સંવાદાત્મક શૈલીમાં કહેવાઈ છે. શીર્ષક લાંબાં છતાં આકર્ષક અને ઉચિત છે. ‘ચાર અધૂરા માણસોની વાતચીત’માં પાત્રોનાં નામો આપ્યાં નથી પરંતુ એક, બીજો, જુદો અને થોડો સરખો ને પાત્રો બનાવી તેમના મુખે જે સંવાદો મૂક્યા છે તેમાં વાહિયાત વાતો થતી હોય એવું લાગે છે. ‘મિસ્ટર ‘હું’નો દુઃખતો દાંત’ વાર્તામાં ‘હું’ અને ‘કોઈક’ અને પત્ની એમ ત્રણ પાત્રોના સંવાદોમાં વાત રજૂ થઈ છે. ‘મિસ્ટર ‘હું’નો દુઃખતો દાંત’આ સંગ્રહની ઉત્તમ વાર્તા છે. ‘જવું’ વાર્તા પણ આ સંગ્રહની વૃદ્ધજીવનની એકલતાને આલેખતી ઉત્તમ વાર્તા છે. વાર્તાનાયકની પત્ની દરરોજ વહેલી સવારે ઊઠીને કોઈક ને કોઈક બહાને કહ્યાં વગર ચાલી નીકળતી. એ એમનો રોજનો નિત્યક્રમ હતો. વાર્તાનાયક પૂછે તો કહે પગ છૂટા કરવા ગયેલી, બજારમાં શાકભાજી લેવા ગયેલી. પડોશીઓ પણ તેની વિચિત્ર આદતથી વાકેફ હતાં. આવતી કાલે અઢારમી લગ્નની વર્ષગાંઠ હતી તેથી ટેકરી પર બંને ફરવા જવાના હતા, ફ્રૂટસલાડ બનાવવાના હતા. પરંતુ વિધિની વક્રતા તે જ દિવસે પત્નીને મધ્યરાત્રે હૃદયરોગનો હુમલો થતાં ઊંઘમાં જ હૃદય બંધ પડી ગયું હતું. જૂની આદત પ્રમાણે પતિને કહ્યાં વગર જ તે ચાલી નીકળી હતી. નિઃસંતાન વૃદ્ધની કરુણ સ્થિતિનું સૂચક રીતે રજૂઆત થઈ છે. ‘એક UN-TOUCHABLE’ નવીન ટેક્નિકથી લખાયેલી રચના છે. કૌટુંબિક સંબંધમાં મતભેદ થતાં સગા બે ભાઈઓની વચ્ચે પડેલી તિરાડ એકબીજાની સામું જોવા પામતા નથી. બંને ભાઈઓની વચ્ચે માની સ્થિતિ કફોડી બને છે. આધુનિક સમયમાં સહિયારાં કટુંબો સમયાંતરે વિભક્ત થતાં જાય છે. સહિયારા સબંધો આધુનિક માનવીને પરવડે તેમ નથી. દરેકને સ્વતંત્રતા જોઈએ છે. ત્યારે આ વાર્તા કૌટુંબિક સમસ્યાને આલેખતી વાર્તા છે. ‘એક UN-TOUCHABLE’, ‘હા એટલે’, ‘બારીમાંનો માણસ’, ‘સંરસારકથા’ સાંપ્રત જીવનને અભિવ્યક્ત કરતી વાર્તાઓ છે. ‘સંસારકથા’ રચનામાં ભંગુર જીવનની ભ્રમણાનો ભાર વેંઢારી જીવનારો માણસ કણકણમાં વિખંડિત થઈ જાય છે. વાસ્તવ અને મનોવાસ્તવ વચ્ચેનો સંઘર્ષ, અસ્તિત્વ પર ફેલાયેલી નિરર્થકતા એ મનુષ્યજીવનની કરુણતા છે. આ સંગ્રહની ‘પઢો રે પોપટ’, ‘મિસ્ટર ‘હું’નો દુઃખતો દાંત’ વ્યંગ્યપ્રધાન વાર્તાઓ છે. ‘અમથા ભગાની ઈન્ડિપેન’, ‘બે સોપડી ભણેલી છોડીનો કાગર’, ‘તત્ર લુપ્તા’, ‘છેલ્લો હપ્તો’, ‘જવું’, ‘સંસાર કથા’, ઉત્તમ વાર્તાઓ છે જે વાચકને જકડી રાખે છે. ‘દરિયારે તીરે એક રેતીની છોકરી’ અને ‘પીપળો વાવ્યાની મને આણ’ પ્રણયભાવને આલેખતી પ્રતીકાત્મક રીતે કહેવાયેલી સુંદર વાર્તાઓ છે. ‘અમૃત જાણી મીરાં પી ગયા’ વાર્તામાં પુરાકલ્પનનો આધાર લઈ સહિયારા પરિવારમાં ઊભા થતા વેરઝેરને સહજ આકાર આપવા માટે પદ્યશૈલી અને વર્તમાન સાથે ભૂતકાળને સહજ રીતે વણી લીધો છે.
‘ઇત્યાદિ’ :
વાર્તાકાર વિજય શાસ્ત્રીનો ‘ઇત્યાદિ’ પાંચમો વાર્તાસંગ્રહ છે. આ સંગ્રહની વાર્તાઓ પણ જાણીતા જુદા જુદા સામયિકોમાં ‘નવનીત સમર્પણ’, ‘ખેવના’, ‘સાયુજ્ય’, ‘કંકાવટી’, ‘ગુજરાતમિત્ર’, ‘શબ્દસૃષ્ટિ’, ‘ચાંદની’, ‘ગુજરાત’ અને ‘આકાશવાણી’માં પ્રગટ થઈ છે. ‘ઇત્યાદિ’ વાર્તાસંગ્રહની પ્રથમ આવૃત્તિ ૧૯૮૮માં પ્રગટ થઈ છે. આ વાર્તાસંગ્રહમાં કુલ તેત્રીસ વાર્તાઓ સંગ્રહિત થઈ છે. ‘મિસિસ નદીની વારતા’, ‘સાહેબનો પર્યાય’, ‘દુઃખી એટલે સુખી’, ‘ફાલ્ગુની જો પતંગિયા’, ‘હવે’, ‘કૅપ્સ્યુલ’, ‘ચાર સોમવારની વાર્તા’, ‘બાન’, ‘મિસ્ટર નટવરલાલ’, ‘આતુ વશરામની ખડકી’, ‘ક્ષળ ક્ષળ સ્વત’, ‘સીનારિયો’, ‘સંસૃતિ’, ‘મેલો ચહેરો’, ‘હાજી સા’બ’, ‘વારતા રે વારતા’, ‘વેરને કારણો સાથે’, ‘મા-દીકરીની વારતા’, ‘મામેક શરણં વ્રજ’, ‘પ્રકરી’, ‘THE WORLD IS TOO MUCH’, ‘વખતચંદ’, ‘મધુકાન્તા અને નીલમણિ’, ‘છતાં’, ‘પુનરાગમન’, ‘દસ્તાવેજી માનવી’, ‘સૂત્રધાર – ઉવાચ’, ‘વાર્તાનો મુસદ્દો’, ‘ડસ્બહ્મણ’, ‘સુરેખા વાર્તાનો મુસદ્દો’, ‘નાદ્યમે લબ્ધકામના મુસદ્દો’ અને ‘સાતમું નામ’ નામની વાર્તાઓ છે. ‘ઇત્યાદિ’ની વાર્તાઓમાં જિવાતા જીવનની સઘળી વિચિત્રતાઓ, નબળાઈઓ, સંવેદનાઓ સાથે સરેરાશ માનવીની વાત જુદા જુદા દૃષ્ટિકોણથી આલેખાઈ છે. માનવજીવનના વાસ્તવદર્શી ચિત્રણને કારણે વાર્તાઓ રમણીય બની રહી છે. વિવેચક વિજય શાસ્ત્રીએ એક વિવેચન લેખમાં લખ્યું છે : ‘માણસ ખરેખર જે અને જેવા જગતમાં જીવે છે તે અને જેવા જગતમાં ‘જીવવા માંગે’ છે તે બે જગતો વચ્ચે ખાસ્સું અંતર અને વિરોધ રહેલો છે.’[15] માણસની કલ્પના અને વાસ્તવિકતા વચ્ચે રહેલું અંતર માનવજીવનને કરુણતા તરફ દોરી જાય છે. કરુણતા અને સંવેદનાનો ભાર ઉપાડીને ચાલતો માણસ વિધિની વક્રતાનો ભોગ બને છે. આ વાર્તાકારની વાર્તાઓમાં પુરુષ અને સ્ત્રી બંનેને પ્રાધાન્ય મળ્યું છે. પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓને પુરુષ કોઈકને કોઈક રીતે દબાવતો રહ્યો છે અને સ્ત્રીઓ અત્યાચારનો ભોગ બનતી રહી છે, એ સ્વતંત્ર રીતે જીવી શકતી નથી. એનું ઉત્તમ ઉદાહરણ ‘ચાર સોમવારની વારતા’ અને ‘બાન’ વાર્તા છે. ‘મિસ્ટર નટવરલાલ’, ‘હાજી સા’બ’, ‘વખતચંદ’, ‘તદદૂરે તદન્તિકે’ જેવી વાર્તાઓમાં પુરુષપાત્રને પ્રધાનતા આપવામાં આવ્યું છે. ‘વખતચંદ’ વાર્તામાં વખતચંદની કરુણતા છે. વખતચંદના પત્ની અને બાળકો કુદરતી અકસ્માતમાં મૃત્યુ પામે તે વિધિની વક્રતા દ્વારા વાર્તાકારે સંવેદના સજી’છે. ‘તદદૂરે તદન્તિકે’ વાર્તામાં વાર્તાનાયકને પરિવાર હોવા છતાં એ એટલો દૂર થઈ ગયો છે એ ઘરની કોઈ વ્યક્તિને પામી શકતો નથી. શોધ્યા જડતા નથી. એ વાર્તાનાયક ‘હું’ની કરુણતા છે. ‘The World is Too Much’ વાર્તામાં ઘટનાનો ઉપયોગ ઓછા પ્રમાણમાં થયો છે. વાર્તાનાયક નમિતા નામની યુવતીને પ્રેમ કરે છે. પરંતુ એ વાતની ખબર નમિતાને નથી. નમિતા દરરોજ દસને દસની બસમાં જાય છે નાયક પોતે પણ એ જ બસમાં જવાનો આગ્રહ રાખે છે. નમિતા એમને ગમે છે પરંતુ નમિતાને પોતે ન ગમે છતાં પણ એને જવું જ પડે છે. અહીં એકપક્ષીય પ્રેમનું આલેખન જોવા મળે છે. ‘દસ્તાવેજી માનવી’ આખી વાર્તા પત્રશૈલીમાં લખાઈ છે. આ વાર્તાની લાક્ષણિકતા એ છે કે બાળકના જન્મથી માંડી મૃત્યુ સુધીની વાત પત્રશૈલીમાં માનવીનું દસ્તાવેજી ચિત્ર ખડું કરી દીધું છે. ‘DASMAN’ વાર્તામાં દામ્પત્યજીવનની સાથે પ્રણયત્રિકોણની વાત છે. લેખકશ્રીને અનુપમ, છાયલ અને અવિનાશ ત્રણેય પોતપોતાની વાત લખવા માટે વિનંતી કરી રહ્યા છે. લેખકશ્રી મૂંઝાય છે એ કહે છે : ‘તમે તમારે વિશે જે કહેવું હોય તે કહો તો હું લખું’[16] પાત્રો પોતે પોતાની વાત કહી રહ્યાં છે. અને લેખકશ્રી સાંભળી રહ્યાં છે. એ રીતિએ વાર્તાકારે નવીન પ્રયોગ દ્વારા સુંદર રચના રચી આપી છે. ‘ઇત્યાદિ’ વાર્તાસંગ્રહ વિશે વિવેચક ડૉ. ઉષા ઉપાધ્યાય નોંધે છે : ‘વિજય શાસ્ત્રીનો પાંચમો વાર્તાસંગ્રહ ‘ઇત્યાદિ’ માનવજીવનના વાસ્તવદર્શી ચિત્રણને કારણે બહુધા ઉદ્રેકપૂર્ણ છતાં સામાજિક જણાતી નાસાગ્ર અભિવ્યક્તિને કારણે રમણીય બની રહેશે.’[17] વાર્તાકાર વિજય શાસ્ત્રીના આ સંગ્રહની વાર્તાઓનાં સાંપ્રત માનવજીવનની વાસ્તવિકતા ડોકાઈ છે. વિચ્છિન્ન દામ્પત્યજીવન, પ્રણયભંગના કારણે એકબીજાને પામવા ઝૂરતા યુવક-યુવતીઓની વ્યથાને વાર્તાના વિષય બનાવીને સાહજિક વાત રજૂ કરે છે. જગતમાં, સમાજમાં જિવાતા જીવનને, સામાન્ય બાબતમાંથી સુંદર રચના તેઓ રચી આપે છે. ‘મામેકં શરણં વ્રજ’, ‘બાન’, ‘છતાં’, ‘હવે’, ‘કૅપ્સ્યુલ’, ‘મધુકાન્તા અને નીલમણિ’, ‘સાતમું નામ’, ‘આતુ વશરામની ખડકી’, જેવી વાર્તાઓમાં દામ્પત્યજીવનમાં પ્રસન્નતા અને ભગ્નતાની વાત લેખકે સુદૃઢપણે દર્શાવી આપી છે. વાર્તાસંગ્રહમાં પ્રણયભાવને આલેખતી કેટલીક વાર્તાઓ છે. ‘હાજી સા’બ’, ‘વારતા રે વારતા’, ‘વૅરને કારણો સાથે’, ‘ફાલ્ગુની, જો પતંગિયાં’, જેવી વાર્તાઓમાં વાર્તાકારે મનોવૈજ્ઞાનિક અભિગમનો સહારો લઈ પ્રણયભગ્નતાની રજૂઆત કરી છે. વાર્તાકાર વિજય શાસ્ત્રીની ‘ઇત્યાદિ’ વાર્તાસંગ્રહમાં સમકાલીન જીવનની વિવિધ સમસ્યાઓ, પ્રશ્નો, વિચિત્રતાઓ, નબળાઈઓને તેમણે વાર્તાઓમાં અવનવી ટેક્નિક અપનાવીને વાર્તાઓને વાચાળ બનાવી છે. આ વાર્તાસંગ્રહમાં વાર્તાકારે સ્ત્રી અને પુરુષ બંનેને પ્રાધાન્ય આપ્યું છે. આ વાર્તાઓ દ્વારા વાર્તાકારે સમાજના સ્વાર્થી, દંભી-નીતિ સામે બળવો કર્યો છે. દામ્પત્યજીવનની વિસંગતતા–વિચ્છિન્નતા, પ્રણયમાં મળતી નિષ્ફળતા, નારીસંવેદના, નારીચેતના, નોકરી કરતા મધ્યમ વર્ગના માણસની કરુણતા જે સામાન્ય બાબતોમાંથી વાર્તાકારે સરળ રચનાઓ રચી આપી છે. ‘મિસિસ નદીની વારતા’, ‘માણેકં શરણં વ્રજ’, ‘બાન’, ‘છતાં’ જેવી વાર્તાઓમાં સન્નિધિકરણની ટેક્નિકના ઉત્તમ નમૂનાઓ છે. આ રચનાઓને કલાત્મક બનાવવા માટે મનોવૈજ્ઞાનિક અભિગમ, પત્રશૈલી, પ્રથમ પુરુષ એકવચન, ત્રીજો પુરુષ એકવચન, સંવાદશૈલી, પીઠ ઝબકાર પદ્ધતિ, સન્નિધિકરણ, પુરાકલ્પનની પ્રયુક્તિથી વાર્તાઓમાં કોઈ ને કોઈ રીતે નવીનતા આણવાનો વાર્તાકાર વિજય શાસ્ત્રીનો પ્રયત્ન રહ્યો છે.
‘અસારે ખલુ સંસારે’ :
‘અસારે ખલુ સંસારે’ વિજય શાસ્ત્રીનો છઠ્ઠો વાર્તાસંગ્રહ છે. ‘અસારે ખલુ સંસારે’ વાર્તાસંગ્રહની પ્રથમ આવૃત્તિ, ૧૯૯૩માં પ્રકાશિત થઈ છે. આ વાર્તાસંગ્રહમાં માત્ર ૧૭૪ પાનાંમાં પૂરી ત્રીસ વાર્તાઓ ગ્રંથસ્થ થયેલી છે. ‘અસારે ખલુ સંસારે’ (નવનીત સમર્પણ દીપોત્સવી અંક), ‘તદ્ દૂરે તદન્તિકે’ (નવનીત સમર્પણ દીપોત્સવી અંક), ‘ઉ અમથો’ (નવનીત સમર્પણ દીપોત્સવી અંક), ‘બે પાત્રો’ (નવનીત સમર્પણ દીપોત્સવી અંક), ‘એક કન્યકાની વાર્તાનો મુસદ્દો’ (નવનીત સમર્પણ દીપોત્સવી અંક), ‘ઘડી-ઘડી તડકો-છાંયડો ફેરવાય’ (નવનીત સમર્પણ દીપોત્સવી અંક), ‘બટુક શેઠ’, ‘લક્ષ્મી સદાશિવ પરાંજપે’ (ગુજરાતમિત્ર દીપોત્સવી અંક), ‘નિષ્કાસન’, ‘પોતાની સાથે રહેવું (ગુજરાત-દીપોત્સવી અંક), ‘ટેલિફોન’ (કંકાવટી), ‘ડાહ્યા ગાંડાની અથવા ગાંડા ડાહ્યાની વારતા’ (ગુજરાત દીપોત્સવી), ‘થ્રીલ’ (‘યુવદર્શન’ – (દીપોત્સવી અંક), ‘સ એવ હિ વર’ (ગુજરાતમિત્ર દીપોત્સવી પૂર્તિ), ‘કિશોર, સરોજ, હરકોર વગેરે’ (ગુજરાત દીપોત્સવી), ‘તઈણ માણાહ ‘(કંકાવટી), ‘સ્વગત-પ્રગટ’ (નવરોઝ દીપોત્સવી), ‘કૉલાજ ‘(કંકાવટી), ‘એવું પણ બને ‘(કંકાવટી), ‘બે સ્વગત ઉક્તિઓ’ (ખેવના), ‘કુટુંબકલ્યાણ!!’ (કંકાવટી), ‘શ્રીયુત મોહનભાઈ’ (ચાંદની, દીપોત્સવી), ‘અથ શ્રી હરીશલીલામૃત’ (ગુજરાતમિત્ર, દીપોત્સવી પૂર્તિ), ‘ત્રણ લઘુકથાઓ’, ‘પુનશ્ચ’ (ગુજરાત દીપોત્સવી), ‘સત્યસ્યાપિહિતં મુખમ્’ (નવનીત – સમર્પણ દીપોત્સવી), ‘મગન માસ્તરની મુસીબત’, ‘એટલામાં વિલન આવ્યો’ (આકાશવાણી), ‘પેમલા-પેમલીની ડાયરી’અને ‘સિત્તેર વર્ષનો અનુભવ’. આ વાર્તાઓમાં પાંચ વાર્તાઓને બાદ કરતા બીજી બધી વાર્તાઓ જાણીતા સામયિકોમાં પ્રસિદ્ધ થઈ છે. ત્રણ ત્રણ એવૉર્ડ પ્રાપ્ત કરનાર ‘અસારે ખલુ સંસારે’ વાર્તાસંગ્રહથી વાર્તાકાર વિજય શાસ્ત્રી ગુજરાતી ટૂંકી વાર્તા સાહિત્યક્ષેત્રે સર્જનાત્મકતાનો નવો આયામ સિદ્ધ કરતા જણાય છે. વિજય શાસ્ત્રીના સર્જનકલાના અનુસંધાનમાં વિવેચક રમણ પાઠક નોંધે છે : ‘આપણા આધુનિક પ્રયોગશીલ વાર્તાકારોમાં શ્રી વિજય શાસ્ત્રી અગ્રિમ તથા આદરણીય સ્થાન ધરાવે છે. જેઓની લાક્ષણિક વાર્તાકલાનાં પ્રધાન લક્ષણો છે. રચનારીતિના અવનવા પ્રયોગો, સમુચિત શબ્દવિન્યાસ, ભાષાશૈલીની સઘનતા, સચોટ તથા એકધારી વેગીલી ગતિ, વિષયવસ્તુનું વૈવિધ્ય, એની પસંદગીની ચકોર દૃષ્ટિ તથા માનવજીવન તથા મનના નિગૂઢ-અગૂઢ વ્યાપારો પરત્વે એમની મહદંશે વક્ર નજર છે.’[18] આ વિધાનો ‘અસારે ખલુ સંસારે’ વાર્તાસંગ્રહની વાર્તાઓને પણ લાગુ પડે છે. એ લક્ષણો આ વાર્તાસંગ્રહમાં પણ જોવા મળે છે. એમની રચનારીતિમાં પ્રયોગશીલતા તથા સ્થૂળ અને સૂક્ષ્મ એવી સામાજિક, માનસિક સમસ્યાઓનું નિરૂપણ વિશિષ્ટ રીતે થયું છે અને તે સિદ્ધ પણ થયું છે. વાર્તાકાર વિજય શાસ્ત્રીના આ વાર્તાસંગ્રહમાં દામ્પત્યજીવન, પ્રણયભાવ, વૃદ્ધજીવનની કરુણતા, ‘સ્વ’માં રાચતો માણસ અને તેની સંવેદના અભિવ્યક્ત થઈ છે. ‘અસારે ખલુ સંસારે’, ‘તદ્ દૂરે તદન્તિકે’, ‘બે પત્રો’, ‘થ્રીલ’, ‘બે સ્વગત ઉક્તિઓ’, ‘પુનઃશ્ચ’, ‘એટલામાં વિલન આવ્યો’ વગેરે વાર્તાઓમાં દામ્પત્યજીવનની આશા-નિરાશા, સફળતા-વિફળતાનું આલેખન થયું છે. સ્ત્રી-પુરુષ સંબંધનું વૈષમ્ય વાર્તાકાર વિજય શાસ્ત્રીની કલમે બહુવિધ અનેક પાસાઓમાં આલેખાયું છે. ‘તદ્ દૂરે તદન્તિકે’ અને ‘પુનઃશ્ચ’ આ બંને વાર્તાઓમાં સફળ દામ્પત્યજીવનમાં ઉદાસીનતાનું કારણ કુદરતી મૃત્યુ બને છે. આમ તો વિજય શાસ્ત્રીની અનેક વાર્તાઓમાં પાત્રના મૃત્યુનો પ્રસંગ વણાયેલા છે. જ્યાં મૃત્યુ એ નિયતિદત્ત કરુણની પ્રાપ્તિ કરાવે છે. ‘સ એવ હિ વર’ વાર્તામાં લેખકે તળપદી શૈલી દ્વારા દામ્પત્યજીવનને ઉપસાવ્યું છે. નાયિકા માધુરી નવીન પરણીને આવી છે, પરાયાને પોતાના બનાવી નવા કુટુંબ સાથે અનુકૂળ થઈ રહી છે. લગ્નજીવનના શરૂઆતમાં સારા લાગતા સાસરિયાંઓ ધીમે ધીમે ઉપેક્ષા કરવા માંડે છે. બે ભાગમાં વહેંચાયેલીમાં હકારાત્મક-નકારાત્મક વલણો દ્વારા લેખકે વાર્તાને આગવી પ્રયોગશીલતાથી આલેખી છે. ‘એવું પણ બને’ વાર્તામાં માણસની મનોવૃત્તિનું આલેખન થયું છે. આ વાર્તામાં પણ હકારાત્મ-નકારાત્મક કલ્પનાઓ કરી માણસમાં રહેલી માણસાઈ પ્રગટ થાય પણ ખરી અને ન પણ થાય. અભિમાનમાં રાચતો માનવી પોતે કેવો શક્તિશાળી છે એવું માની સામાન્ય માનવીને ધુત્કારે છે. પરંતુ કુદરતી આફતો સામે એની શક્તિ હણાઈ જાય છે અને આખરે એ માનવી મોતને ભેટે છે. એ રહસ્ય આ વાર્તામાં સ્ફૂટ થાય છે. ‘એક કન્યકાની વાર્તાનો મુસદ્દો’ રચનામાં આધુનિક માનવજીવનને સ્પર્શે છે. આ વાર્તામાં ઘટનાનો આછો-પાતળો ઉપયોગ કરી મનોવૈજ્ઞાનિક ટેક્નિકનો ઉપયોગ કરી નવીન પદ્ધતિ દ્વારા મુગ્ધાવસ્થામાં અનુભવાતી યુવતીઓની મૂંઝવણ અને જેને કારણે દીવાસ્વપ્નમાં રાચતી યુવતીઓ કોઈ પણ યુવકથી પ્રભાવિત થવાની મનોવૃત્તિ ધરાવે છે. એવી કન્યકાની વાત આ વાર્તામાં અભિવ્યક્તિ પામી છે. ‘પોતાની સાથે રહેવું’, ‘સિત્તેર વર્ષનો અનુભવ’ વાર્તામાં વૃદ્ધજીવનની કરુણતાનું આલેખન થયું છે. ‘તઈણ માણહ’ તળપદી ભાષામાં પ્રણયભાવને આલેખતી સુંદર વાર્તા છે. આ વાર્તાસંગ્રહમાં મોટેભાગે સામાજિક સમસ્યાઓને આલેખતી દામ્પત્યજીવનની વાર્તાઓને લેખકે પ્રાધાન્ય આપ્યું છે. વાર્તાકારે સંસારના સારનો નિચોડ આ વાર્તાસંગ્રહમાં દર્શાવ્યો છે.
‘શ્રવણની કાવડ’ :
વિજય શાસ્ત્રીનો ‘શ્રવણની કાવડ’ સાતમો વાર્તાસંગ્રહ છે. ‘શ્રવણની કાવડ’ વાર્તાસંગ્રહ પ્રકાશિત થયા પૂર્વે સંગ્રહની બધી જ વાર્તાઓ વિવિધ સામાયિકોમાં પ્રગટ થઈ ચૂકેલી તેમજ કેટલીક વાર્તાઓ આકાશવાણી પરથી પણ પ્રસારિત થઈ ચૂકી હતી. ‘શ્રવણની કાવડ’ વાર્તાસંગ્રહ ૨૦૦૧માં બહાર પડે છે. વાર્તાકાર વિજય શાસ્ત્રીની સર્જનયાત્રા સતત ચાલતી રહી છે. તેમની શરૂઆતની વાર્તાઓમાં ઘટનાનો ભાર વધુ જોવા મળે છે. સમય બદલાતા ઘટનાનો ભાર ઓછો થતો જણાય છે. વિજય શાસ્ત્રી પરંપરાગત રીતે લખાતી વાર્તાઓ અને આધુનિક વલણ ધરાવતી બંને પ્રકારની વાર્તાઓ લખે છે. બંને પ્રવાહને સાથે લઈને ચાલે છે. રઘુવીર ચૌધરી, સરોજ પાઠક, ભગવતીકુમાર શર્મા વગેરે આધુનિક અને પરંપરાગત – બંને પ્રકારની વાર્તાઓ લખવામાં પોતાનું કૌશલ્ય દાખવી રહ્યાં છે. એમાંના એક વિજય શાસ્ત્રી છે. અને છતાં પણ આધુનિક વાર્તાકાર હોવાની પ્રતિષ્ઠા પણ પામી ચૂક્યા છે. એમની વાર્તાઓમાં માનવમનના ઊંડાણોને માપવાની શક્તિ છે તેને કારણે એમનું સજ્જ પાત્રચિત્રણ દરેક વાર્તાઓમાં તેમણે પ્રયોજેલી વિવિધ નિરૂપણ રીતિને કારણે ખાસ ધ્યાન ખેંચે છે. આ વાર્તાસંગ્રહમાં પણ વિષયવૈવિધ્યની સાથે એમની માવજત, કુશળતા, ધ્યાનાકર્ષક છે. ‘શ્રવણની કાવડ’ વાર્તાસંગ્રહમાં ચોવીસ વાર્તાઓ સામેલ છે. ‘ચકરાવો”, ‘હરેશભાઈનો ફોન’, ‘માણેકલાલ તે ચૂનીલાલના’, ‘બદલી’, ‘ભઈલ’, ‘કાકનો ભત્રીજો’, ‘સાચાં મોતી’, ‘વાયકા’, ‘શ્રવણની કાવડ’, ‘સફોકેશન’, ‘ખરે વિધાતા તુજ કૃત્ય ખામી!’, ‘નોનસ્ટોપ બસની વાર્તાનો મુસદ્દો’, ‘તત્સમ’, ‘સુખાબાપાની રૂખી’, ‘કિસ્સો એવાં લોકોનો’, ‘જમનીની માઓ’, ‘માવજીનો દીકરો કોણ? - તો કે માવજી જ!’, ‘અંજુનો પત્ર-મંજુને’, ‘ઈત્યં વિચારયતિ’, ‘ધરપત’, ‘મંગુભાઈનું નેટવર્ક’, ‘એને નહીં’, ‘વધ-ઘટ’ અને ‘વહુ-દીકરી’ વાર્તા છે. ઉપરોક્ત બધી વાર્તાઓમાં આજના વ્યક્તિની, તેની વ્યક્તિગત જીવનની સમસ્યાઓને વાર્તાકારે વ્યંજિત કરી છે. વિવેચક નૂતન જાની નોંધે છે : ‘વિજય શાસ્ત્રીની વાર્તાઓમાં પ્રયોજાતો વ્યક્તિગત અને સામાજિક સંદર્ભ આધુનિક સંવેદના ઉપરાંત પરંપરાગત જીવનબોધ ઉભયના સમન્વયથી નિરૂપાયો છે. પાત્ર અને પરિસ્થિતિજન્ય વિસંગતિઓનું આલેખન વાસ્તવમાં તો જીવનની નિરર્થકતા પ્રત્યે જ સંકેત કરી રહે છે. વિભિન્ન વાર્તા ટેક્નિક્સ અને ટૂંકી વાર્તાની રૂપરચનાથી સભાન સર્જકરીતિ અને ભાષા સંદર્ભે નાવીન્ય દાખવે છે અને વસ્તુસામગ્રી સંદર્ભે પરંપરાગત જીવનબોધને સાંસ્કૃતિક મૂલ્યોને મહત્ત્વ આપે છે. વિજય શાસ્ત્રીના પાત્રો મોટે ભાગે એકલતા, હતાશા, નિરાશા, વિચ્છિન્નતાની અનુભૂતિને જકડી-પકડી જીવે છે. એમની વાર્તાઓની પાત્રચેતનાને રૂઢિગત સમાજ માળખું તેમ જ અફર મૃત્યુનું તત્ત્વ પ્રભાવિત કરે છે જેને કારણે પાત્રોના અંગત મનોવિશ્વમાં જાગ્રત થનાર સનાતન ભંગુર જીવનમાં સત્યનો ઉઘાડ રહસ્યાત્મક જીવનની આંટીઘૂંટી પરત્વે નિરાશાવાદી કરુણ નિષ્પન્ન કરવામાં સહાયભૂત બને છે.’[19] વાર્તાકાર વિજય શાસ્ત્રીના લગભગ દરેક વાર્તાનાં પાત્રો જીવનમાં બંધિયારપણાની, વ્યર્થતાની સંવેદનાને જ ધ્વનિત કરે છે. વિજય શાસ્ત્રીની વાર્તાઓમાં પરંપરા અને આધુનિક બંને પાસાં જોવા મળે છે. પરંપરાગત વાર્તાસર્જક પાસે સુખદ અંત હોય છે અને સરળ આરંભ જોવા મળે છે. સંતુલિત સ્નેહસભર શ્રદ્ધાભર્યું જીવન હોય છે. જ્યારે આધુનિક અને આધુનિકોત્તર સમયગાળામાં લખાતી વાર્તાઓમાં જીવાતા જીવનની પરિસ્થિતિ તદ્દન વિપરીત છે. એમાં ક્યાંય સમતુલા જળવાતી નથી. સ્નેહને સ્થાને રિક્તતા, સ્વાર્થ અને અનીતિભર્યા વાણીવ્યવહારમાં વહેતું આ સંવેદનશીલ જીવન જુદી જુદી તરાહથી વિજય શાસ્ત્રીની કલમે વાર્તા સ્વરૂપે પ્રગટ થયું છે. એ દૃષ્ટિએ આ વાર્તાસર્જકનું વલણ આધુનિક બનવા પામ્યું છે. ‘શ્રવણની કાવડ’ વાર્તાસંગ્રહ વિશે મહેશ દવે નોંધે છે : ‘ ‘શ્રવણની કાવડ’માંની વિજય શાસ્ત્રીની વાર્તાઓ આવે છે. તે કાવડની સમતુલા જાળવીને સહજ રીતે ચાલે છે. તેમાં પરંપરાના લક્ષણો સાથે આધુનિકતાના અંશોને કારણે જ તેમની વાર્તાઓ આસ્વાદ્ય બને છે.”[20] વાર્તાકાર વિજય શાસ્ત્રીની વાર્તાઓમાં લોકપ્રિય વાર્તા અને દુર્બોધ રહસ્યમયતાના આ બે છેડા વચ્ચે વિષયવસ્તુ, કથનરીતિ અને ભાવનાનું અપાર વૈવિધ્ય જોવા મળે છે. આ બે છેડા વચ્ચે પરંપરાનાં લક્ષણો અને આધુનિકતાના અંશો વચ્ચે સમતુલા જાળવી આ સંગ્રહની વાર્તાઓને સરળ બનાવી ભાવકોને ભીંજાવ્યા છે. ‘શ્રવણની કાવડ’ વાર્તાસંગ્રહમાં પણ વિષયવૈવિધ્યમાં વૃદ્ધજીવનની કરુણતા, દામ્પત્યજીવન, પ્રણયભાવ, નારીસંવેદનાને આલેખતી વાર્તાઓને રસપ્રદ બનાવવા માટે લેખકે મનોવૈજ્ઞાનિક અભિગમ, પુરાકલ્પન, પીઠઝબકાર પદ્ધતિ, સન્નિધિકરણ, પત્રશૈલી, પ્રતીક વગેરેનો ઉપયોગ કર્યો છે. આ સંગ્રહની મોટાભાગની વાર્તાઓ વૃદ્ધજીવનની સમસ્યાઓને અભિવ્યક્ત કરે છે. ‘ચકરાવો’, ‘માણેકલાલ તે ચૂનીલાલ’, ‘ભઈલુ’, ‘કાકાનો ભત્રીજો’, ‘શ્રવણની કાવડ’, ‘સાચાં મોતી’, ‘વાયકા’, ‘તત્સમ’, ‘માવજીનો દીકરો કોણ? તો કે માવજી!’, ‘એને નહીં’, ‘વધઘટ’ જેવી વાર્તાઓમાં સાંપ્રત સમયનાં વૃદ્ધોની એકલતા, સંવેદનાને વાચા આપી છે. ‘માણેકલાલ તે ચૂનીલાલ’ વાર્તામાં વૃદ્ધવિધુર સમદુઃખિયા બે પુરુષપાત્રોની સંવેદના અભિવ્યક્ત થઈ છે. ‘ભઈલું’ વાર્તા ‘ચકરાવો’ને મળતી આવતી વાર્તા છે. વૃદ્ધાવસ્થામાં દીકરા વિનાની એકલતા. એક ને ભગવાને લઈ લીધો તો બીજો અમેરિકા. આધુનિક દીકરો શ્રવણ બની શકતો નથી. તો આધુનિક પિતા શ્રવણના પિતા બની શકતો નથી એ વાત સશક્ત રીતે ‘ચકરાવો’, ‘સાચાં મોતી’, ‘ભઈલુ’, અને ‘વાયકા’નું વિષયવસ્તુ એક સમાન છે. પરંતુ વાર્તાને અભિવ્યક્ત કરવાની ટેક્નિક અલગ અલગ છે, એ વાચક દૃષ્ટિએ ચઢે છે. ‘સફોકેશન’, ‘ઈત્થ વિચારયતિ’ જેવી વાર્તાઓમાં દામ્પત્યજીવનની સંવેદનાનું આલેખન થયું છે. ‘સુખાબાપાની રૂખી’ વાર્તામાં ભગ્ન દામ્પત્યજીવનનું આલેખન થયું છે. સુખા અને રુખીનું દામ્પત્યજીવન આરંભમાં સુખરૂપ છે. પરંતુ વિધિની વક્રતા એ છે કે રૂખીનો પતિ અવળે રસ્તે ચઢે છે અને રૂખીને એના પતિથી સતત દબાયને જીવવું પડે છે. ‘કિસ્સો, એવા લોકોનો’ વાર્તામાં પતિ-પત્ની વચ્ચે અહમ્ ટકરાય છે અને વિયોગની અનુભૂતિ બંનેને સતાવે છે પરંતુ બંને ટેક છોડતા નથી. ‘બદલી’ મુગ્ધપ્રણયને આલેખતી વાર્તા છે. ‘ધરપત’ વાર્તામાં બે મિત્રોની વાત લેખકે કરી છે. વાર્તાનાયક પશાકાકા માંદીમાની ખબર કાઢવા ગામ આવેલો અને અંતે ગામ છોડવાનો નિર્ણય લે છે એ વાત વર્તમાનમાં કહેવાય છે ત્યાર પછી પીઠઝબકાર પદ્ધતિ દ્વારા આખો ભૂતકાળ આલેખાયો છે. ‘ખરે વિધાતા, તુજ કૃત્ય ખામી!’ મનોવૈજ્ઞાનિક અભિગમ ધરાવતી વાર્તા છે. આખી વાર્તામાં વાર્તાનાયક ‘હું’ના મનના વિચારોનું આલેખન થયું છે. વાર્તાનાયકનો મનોસંઘર્ષ ‘ખરે વિધાતા, તુજ કૃત્ય ખામી!’ શીર્ષકમાં જ પ્રતીત થઈ જાય છે. આ વાર્તામાં બે યુવતીના વર્તનવ્યવહારનો વિરોધાભાસ સન્નિધિકરણની રીતિથી અભિવ્યક્ત કર્યો છે. એ બંને યુવતીના વિરોધાભાસથી વાર્તાનાયક ગૂંગળામણ અનુભવે છે. પ્રથમ યુવતી સાથે સગપણ થવાના હતા એ યુવતીને વાર્તાનાયક બાગમાં મળવા જાય છે એકાંત મળતા લાગણીવશ થઈ એને સ્પર્શે અને છૂટા થવું પડે છે. ત્યારપછી બીજી યુવતીને પસંદ કરે છે ત્યાં દૂધનો દાઝ્યો છાશ ફૂંકીને પીએ એમ એ બીજી યુવતીથી ચેતીને ચાલે ને બોલવાનું સાવ ઓછું કરી દે છે. આ વાર્તાસંગ્રહમાં પણ લેખકની વાર્તાકલા ખીલી ઊઠે છે. આ સંગ્રહની ‘શ્રવણની કાવડ’, ‘બદલી’, ‘ચકરાવો’, ‘ખરે વિધાતા, તુજ કૃત્ય ખામી!’, ‘સાચાં મોતી’, ‘તત્સમ’, ‘સુખાબાપાની રુખી’, ‘જમનીની માઓ’, ‘હરેશભાઈનો ફોન’, ‘માણેકલાલ તે ચૂનીલાલ’, ‘માવજીનો દીકરો કોણ? - તો કે માવજી જ!’ વગેરે ઉત્તમ ગણી શકાય તેવી વાર્તાઓ છે. વાર્તાઓનો આવતો અણધાર્યો સચોટ અંત વાર્તાકારને સિદ્ધિના શિખરે પહોંચાડે છે.
‘આવાગમન’ :
વિજય શાસ્ત્રીનો આ આઠમો વાર્તાસંગ્રહ છે. તેમના ઘણાખરા વાર્તાસંગ્રહો પારિતોષિકોથી પોંખાયા છે. એમના ટૂંકીવાર્તાના સર્જનાત્મક પ્રદાનને જોતાં ગુજરાતી ટૂંકીવાર્તા સાહિત્યક્ષેત્રે એમનું નામ એક સફળ વાર્તાકાર તરીકે ચોક્કસ લઈ શકાય. વાર્તાકાર વિજય શાસ્ત્રીના આ વાર્તાસંગ્રહ ૨૦૦૮માં પ્રકાશિત થયો. ‘આવાગમન’ ભાવનામય સફર કરાવતી ચૌદ વાર્તાઓનો સંગ્રહ છે. દરેક વાર્તાસંગ્રહના પ્રમાણમાં સૌથી ઓછી વાર્તાઓનો આ સંગ્રહ છે. ચૌદ વાર્તાઓના સંચયમાં દરેક વાર્તાસંગ્રહની જેમ આ વાર્તાસંગ્રહમાં પણ વાર્તાકલા સફળ રીતે ખીલી ઊઠી છે. આ સંગ્રહની દરેક વાર્તા જાણીતા સામયિકોમાં પ્રગટ થઈ છે. આ સંગ્રહમાં સંગ્રહિત વાર્તાઓ ‘જીવ તો બળે છે ને!’, ‘ભાર’, ‘રુકિમણી હિંમતલાલ દવે’, ‘જેઠાકાકાનો રમેશ’, ‘સંતાકૂકડી’, ‘સ્વામી’- ચંદ્રકાંત’, ‘એક દા’ડાનો ફેર’, ‘આવાગમન’, ‘ગંગા નાહ્યા’, ‘ક્ષય’, ‘રાત રહે જ્યાહરે પાછલી ખટ ઘંડી’, ‘આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે’, ‘બાપુજી, ધીરે ચલના’ અને ‘સાથે કોઈ ‘માણસ’ જોઈએ’ જેવી વાર્તાઓ છે. વાર્તાકાર વિજય શાસ્ત્રી આઠમા વાર્તાસંગ્રહ ‘આવાગમન’ની સૃષ્ટિ પણ આમ તો સામાન્ય કથાવસ્તુને જ તાકે છે પરંતુ મનુષ્ય સંવેદનની તીવ્રતમ ક્ષણને પકડવામાં આ સંગ્રહ સફળ રહ્યો છે. ‘આવાગમન’માં સંગ્રહિત વાર્તાઓમાં વિષયવૈવિધ્ય, સંવેદનની વિવિધ તરાહો રહસ્યસ્ફોટ જેવી શૈલી કે આલેખન કે નિરૂપણશૈલી લેખકે પસંદ કરી છે એ જ આ સંગ્રહની મજા છે. સંગ્રહની વાર્તા વાંચતા, વિચારતા, રસાનુભૂતિ કરતા ભાવકોને પોતાની જ વાત લાગે, જાણે કે આપણા જ જીવનની કોઈ ઘટના લઈ આપણી આજુબાજુનું નિરૂપણ લાગે એવી કળાસૂઝ આ વાર્તાઓમાં જોવા મળે છે. ‘આવાગમન’ વાર્તાસંગ્રહની પહેલી વાર્તા ‘જીવતો બળે છે ને!’માં આપણી પડોશની કે આજુબાજુનું આલેખન થયું હોય એવું લાગે છે. આપણા સમાજમાં પરંપરાગત રીતે ચાલતી આવતી સાસુ-વહુ વચ્ચેના સંબંધોના તાણા-વાણા, લડાઈ-ઝઘડા અને એમા પીસાતા દીકરાની વાત લેખકે રજૂ કરી છે. ‘ભાર’ વાર્તામાં પણ વૃદ્ધજીવનનું આલેખન થયું છે. વાર્તામાં ‘મા’ માટે પુત્ર કેન્દ્રબિંદુ છે. ‘આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે!’ વાર્તામાં પતિના અચાનક મૃત્યુ પછી વાર્તાનાયિકા અરુણાબહેનની કરુણતા, એકલતાની રજૂઆત લેખકે કરી છે. આજના વૃદ્ધાવસ્થાના પ્રશ્નો, તેમની અવગણના વગેરે અહીં જોવા મળે છે. આ જ વિષય વાર્તાના કેન્દ્રમાં છે. ‘ગંગા નાહ્યાં’ વાર્તામાં ‘ચિત્રલેખા’- યોજિત વાર્તાસ્પર્ધામાં પુરસ્કૃત થઈ છે. આ વાર્તા નિબંધસ્વરૂપે લખાઈ છે. લેખકે વાર્તાની શરૂઆતમાં નોંધ લખી છે : ‘આ લખાણમાં નિબંધ સાથે કથાનું મિશ્રણ કર્યું છે, તે રીતે વાંચવું.’[21] આ વાર્તામાં વ્યંગ્ય પ્રધાનસ્થાને છે. સુરતી બોલીની લહેકાલઢણમાં કહેવાયેલી વાર્તામાં વાર્તાનાયક વૃદ્ધાવસ્થામાં પોતાની બધાં ઉપેક્ષા કરે છે કોઈ ધ્યાન નથી આપતું એવા દૃષ્ટિકોણથી પીડાતા નાયકની કથા છે. સ્વર્ગલોક સિધાવી ગયા છે એવું નાટક કરી બધાંની વાતો સાંભળે છે. “મારું ધ્યાન બધાં રાખે જ છે – બાજુવાળાં રમાબહેન પણ! ગંગા નાહ્યાં!”[22] ત્યાં વાર્તાનાયકની શુભ આશા સાથે વાર્તાનો અંત આવે છે. ‘રુક્મિણી હિંમતલાલ દવે’, ‘સ્વામી’ ચંદ્રકાંત’, ‘ક્ષય’, ‘રાત રહે જ્યાહરે પાછલી ખટ ઘડી’ જેવી વાર્તાઓમાં દામ્પત્યજીવનની સમસ્યાઓનું આલેખન થયું છે.
‘સરનામું બદલાયું છે’ :
‘સરનામું બદલાયું છે’ શ્રી વિજય શાસ્ત્રીનો નવમો વાર્તાસંગ્રહ છે. આ ૨૦૧૫માં પ્રકાશિત થાય છે. આ વાર્તાઓમાં વ્યંગ-વિનોદ, નર્મ-મર્મ શૈલીમાં કહેવાઈ છે. આ સંગ્રહની આરંભની છ વાર્તાઓમાં બદલાતી મનોદશાઓ આલેખાઈ છે. જેના પાત્રો વૃદ્ધ છે. ‘વિયોગી હરિ’ વાર્તામાં પ્રવાસે જતી પત્નીને સ્નેહભર્યા સ્પર્શથી વિદાય આપવાની ભલાભાઈની ઇચ્છા અધૂરી રહી જાય છે. ભાનુબેન બૅગ બંધ કરી તૈયાર થયા ત્યાં મનોરમાબેન ગાડીમાં લઈ જવા આવી પહોંચે છે. હૉસ્પિટલમાં જશુભાઈની ખબર કાઢવા જવાનું છે. અને એમનાં પત્ની રમાનું ભલાભાઈ સાથે ગોઠવાયું હોત, પણ એમના પિતા પૂછે છે ત્યાં જાણવા મળે છે કે એમનું તો ગોઠવાઈ ગયું છે. સગાઈ થઈ ગઈ છે. હૉસ્પિટલમાં આ બધી વાતો લેખક હળવાશથી આલેખે છે. ભલાભાઈની કહે છે : ‘અરે, ભગવાન, જરાક તો ઇશારો કરવો’તો, ચાંલ્લા જ થયેલા હતા ને? કાંઈ મંગળફેરા તો નહોતા ફરી લીધા ને- બધું ફોક કરી દેત. અરે નાતના પંચનો દંડ સુધ્ધાં ભરી દેત.’[23] ત્યાં રમાનાં સાસુ ટિફિન લઈને આવે છે. ભલો સમજે છે ‘સાસુ આવે ને પોતે તરત ઊઠી જાય તો વહેમાય.’[24] જે મળ્યું છે એની સામે ફરિયાદ ન હોય તોપણ પ્રૌઢાવસ્થા સુધી અધૂરા રહેલા ઓરતાનો નિર્દેશ કરી લેખક આ મનોદશા પર હાસ્ય ઉપજાવે છે. ‘હું બીજો કોઈ છું’ વાર્તામાં આરંભે હસમુખના ગૃહસ્થજીવનની ઝાંખી કરાવી છે. મામાએ દીકરાને સ્કૂટર અપાવ્યું છે; ટ્યુશને જવા. સેકન્ડ હેન્ડ છે પણ નવા જેવું છે – પત્ની કહે છે, કેવું ચાલે છે એ જોવા હસમુખ પેટ્રોલ પુરાવવા નિમિત્તે લઈ જાય છે. એ જોઈ દીકરાનો મૂડ બદલાઈ જાય છે, ‘પહેલીવાર કહોર કરડા બાપમાં હૂંફાળો મિત્ર દેખાયો.’[25] નિવૃત્તિ પછી હસમુખરાય વધુ પરગજુ બને છે. પત્ની આરામ કરવા કહે તો પણ હસમુખરાય ગજા બહાર મદદ કરવા પ્રેરાય છે. ડબો ઉતારવા જતા નીચે પડે છે. પછી હસમુખરાય હિંમત હારી જાય છે. ત્યાં ફરી સ્વામીજીના ઉદ્ગારો પ્રેરક નીવડે છે. ‘દૂસરોં કો મદદ કરના તેરા ફર્જ હૈ તો ઈસસે ભી બડા એક ફર્જ હૈ – અપને આપકો મદદ કરના.’ હસમુખરાયના મનમાં ચમકારો થાય છે. ‘આ હું હું છું તે ખોટું છે.’ પોતાને અન્ય માનવાથી હિંમત આવે છે. ખાટલાની પાંગતનો ટેકો લઈ ઊભા થઈ જાય છે. સ્વામીજીને ભેટી પડે છે. આવી સામાન્ય લાગતી વસ્તુમાંથી વાર્તાકાર સુંદર કલાત્મક વાર્તા સર્જે છે. વાર્તાકારની આ જ મોટી હથોટી છે. ‘છાનું રે છપનું કંઈ થાય નહીં’ વાર્તા એક વૃદ્ધદંપતીની એકમેક માટેની લાગણીનું નિરૂપણ કરે છે. ભાલચંદ્રભાઈને ગળામાં ગાંઠ છે. ડૉક્ટર એમનાં પત્ની ભાનુબેનને વાત કરે છે, રિપોર્ટ આવે ત્યાં સુધી બધું છુપાવી રાખવાનું છે. ગાંઠ નિર્દોષ છે કે કેન્સરની? હકીકત બહાર આવે એ પહેલાંની ક્ષણો ગંભીર હોવા છતાં લેખક હળવાશથી રજૂ કરી શકે છે. ભાલચંદ્રભાઈ ડૉક્ટરને કહે છે : ‘હું મરું તેનો વાંધો નથી. અબઘડી તૈયાર છું. આવું નાટકમાં આવે એવું બોલતાં તો બોલાઈ ગયું પણ અંદરથી ઢીલાઢફ થઈ ગયા પણ ઘરવાળાં મરતાં પહેલાં મરી જાય એ ઠીક નહીં. એણે બિચારીએ શો ગુનો કર્યો?’ કહેતાં કહેતાં ભાલચંદ્રભાઈને પાછો ડૂમો ભરાઈ આવે છે.[26] વાર્તા દીર્ઘપટ પર છવાયેલી છે, પણ મનોદશાના પલટા સાથે આગળ વધે છે. ગાંઠ કેન્સરની નથી. સંન્યાસઆશ્રમમાં પ્રવેશેલ દંપતી પણ સુખ અને સ્નેહ કેવી રીતે અનુભવે એના નિર્દેશ સાથે વાર્તા પૂરી થાય છે. ‘હિસાબ’ વાર્તા ગણતરીબાજ ગૃહસ્થજીવન પર આધારિત છે. ‘એકનો એક દીકરો, કુલ ત્રણ જણ – દીકરી માટે કશી ઇચ્છા નહીં દીકરો પરણશે ને વહુજી ઘરમાં આવશે એ દીકરી જ બનશે ને!’ એવી આંતરિક ભાવના પાત્રમુખે વ્યક્ત કરાઈ છે જે આસ્વાદ્ય બને છે. ‘ગાય, ગાય લે’ ગ્રામીણકુટુંબની વાર્તા છે, મદદ કરી ભણાવેલો ભત્રીજો ડૉક્ટર થઈ મદદરૂપ થાય છે. ‘સરનામું બદલાયું છે.’ વાર્તા એકપત્નીવ્રત વાસ્તવમાં શું છે એની હળવી રજૂઆત વાર્તામાં કરાઈ છે. પત્નીની ખોટ અંતે સાલતી નથી. વૃદ્ધાવસ્થાને કારણે ભોંયતળિયાનું મકાન લીધું એમ વિમળા નામની અન્ય ગૃહિણીની હાજરી અનુભવાય છે. જ્યાં બહારનું જ નહીં, અંદરનું સરનામું પણ બદલાયું! – આવું નિરૂપણ કરવા છતાં લેખક વાર્તાના પાત્રો સાથે સહાનુભૂતિ ધરાવતા લાગે છે. વિવેચકોનો રસાસ્વાદ અને અભિપ્રાયો જોતાં પ્રસ્તુત વાર્તાસંગ્રહમાં વિજય શાસ્ત્રીની વાર્તાકથનશૈલીનો સફળ વિકાસ જોવા મળે છે. વાર્તાઓ સફળ રીતે ખીલેલી છે, તેમજ મનુષ્ય સંવેદનની તીવ્રતમ ક્ષણોને અંકિત કરવાનો પ્રયાસ થયો છે. એ સંવેદનો યોગ્ય રીતે પ્રતિબિંબિત થયેલાં જોવા મળે છે. આપણા જ જીવન અંગેની આપણી જ કોઈ વાત જાણે કહેવાતી હોય, એવો સહજભાવ વાચક અનુભવે છે. વૃદ્ધજીવનની સમસ્યાઓ, એકલતાનો અનુભવ અને દામ્પત્યજીવનની કેટલીક સમસ્યાઓ પણ લાક્ષણિક રીતે વાર્તામાં વણી લેવાનો સર્જકનો પ્રયત્ન સફળ નીવડ્યો છે. જો કે આવી રીતે સમસ્યાઓને વાચા આપવાનો સફળ પ્રયત્ન સર્જક દ્વારા અન્ય વાર્તાસંગ્રહોમાં પણ જોવા મળે છે. સમાજનો પટ જ્યારે પોતાની વિશેષ સર્જનશૈલીથી વિજય શાસ્ત્રી આલેખન કરે છે ત્યારે સામાજિક અને વ્યક્તિગત એમ બંને સ્તરે તેઓ પ્રયત્નશીલ હોય છે. સમસ્યાઓનો ઉપાય દર્શાવવો એ જ માત્ર આનો હેતુ સફળ નથી થયો, પણ માનવીય સંવેદનોને વાચા આપવાની કુનેહ તેમના શબ્દોમાં જણાય છે. વાર્તાકારની કથનશૈલી વધુ ને વધુ વિકસતી જતી અહીં જોવા મળે છે. પ્રસ્તુત વાર્તાસંગ્રહોના ઊંડા અભ્યાસ થકી સાહિત્યના ભાવક તરીકે કહી શકાય કે : સાહિત્ય-વાર્તા માનવજીવનનું એક સાચું દર્શન કરાવે છે અને માનવીને વધુ સમૃદ્ધ કરવા પ્રયાસ કરે છે. એવું વાતાવરણ જાણે તેમની વાર્તા બક્ષે છે. વિજય શાસ્ત્રીની ટૂંકીવાર્તામાં સ્ત્રી અને પુરુષ બંનેના મનોભાવો વ્યક્ત થયા છે. માત્ર પુરુષકેન્દ્રી દૃષ્ટિકોણથી તેમની કેટલીક વાર્તાઓ છે પણ એવા દૃષ્ટિકોણથી એ નબળી બનતી નથી. રહસ્યસ્ફોટનું શસ્ત્ર પણ વાર્તામાં સફળતાપૂર્વક ઉગામ્યું છે. ‘બાબુજી ધીરે ચલના’ વાર્તામાં કંઈક આવો જ ઘટસ્ફોટ થાય છે પણ ત્યાં સુધી મોડું થઈ ચૂક્યું હોય છે. આ વાર્તામાં મિત્રના સંબંધને પણ તાકવામાં આવ્યો છે. વાર્તા પ્રથમ પુરુષ એકવચનમાં કહેવાઈ છે. વાર્તાકાર વિજય શાસ્ત્રીની કલમ વિવિધ પ્રયોગરચના, શબ્દકળા અને અસરકારતા છે. એમની પાત્રસૃષ્ટિમાં તદાકાર થવાય છે અને એ પાત્રો જાણે આપણી આસપાસ છે એવી અનુભૂતિ થાય છે. જિંદગીનું કંઈક તત્ત્વ, બુનિયાદી રૂપરેખા પણ સર્જક પોતાની રીતે મૂકવા પ્રયાસ કરે છે, એ સરલ અને તરલ છે. ભવિષ્યદૃષ્ટિ રાખીને કહેવાનું મન થાય છે કે હજી પણ વિજય શાસ્ત્રીની વાર્તાઓ ગુજરાતી સાહિત્યને કંઈક એવું ગૂઢ અને સત્યમય આપશે કે દીપી ઊઠશે, એવી અભિલાષા રાખીએ. ગુજરાતી વાર્તાસાહિત્યને રચના અને આશય તથા પાત્રચિત્રણ અંગે વધુ બળૂકા પ્રયોગનો અવકાશ તેઓ મેળવી આપશે. વાર્તાકાર વિજય શાસ્ત્રીની વાર્તાઓ આશાવાદી તો છે જ, પરંતુ એટલી જ નિરાશાવાદી પણ જણાય છે. એમાં વળી સમાધાનવૃત્તિનું વલણ એ એનું જમા પાસું છે. વાસ્તવિક જીવનના અનુભવો એમની વાર્તાઓનું વિષયવસ્તુ છે. રોજબરોજની બનતી નાનીમોટી ઘટનાઓ એમને આકર્ષી જાય છે અને વાર્તાનો પિંડ બંધાય છે અને સહજ રીતે વાર્તાની આકૃતિ બનવા પામે છે. વાર્તાકારની શબ્દકળા, એનું ઘડતર, પાત્રો, એ પાત્રોની મનોવ્યથા, સંવેદનો, વાતાવરણ તેમજ એમના ભાગે આવેલી જીવતરની વેદના અને આનંદનો વૈભવ વગેરે કેટલીયે બાબતો જોવાનો પ્રયાસ કર્યો છે. વાર્તાકારની કલમ આપણને એ બધુ સુપેરે બતાવે છે. મનોરંજનની સાથે એનો સ્પર્શ પણ આપણે અનુભવીએ છીએ. આમ, વાર્તાકાર વિજય શાસ્ત્રીના આઠેઆઠ વાર્તાસંગ્રહોમાં વાસ્તવિક જીવનના પ્રશ્નોને તેઓ તાકતા રહ્યા છે. એમની વાર્તાઓમાં ઘટના એ મૂળ ભૂમિ છે. ઘટનાનો આધાર તો લેખક લે જ છે ત્યાર પછી માનવજીવનની સંવેદના, વર્ણન, પ્રતીક દ્વારા વાર્તાનો વિસ્તાર કરે છે. ક્યારેક તો ભાવકને સ્પષ્ટ કરી આપી દેવાની તેમની શૈલી છે. જોકે સર્જન પ્રક્રિયામાં અથવા સંપૂર્ણ અનુબંધમાં ખલેલ ના પહોંચે એની કાળજી પણ તેઓ લે છે. વાર્તાકારે જરૂર જણાય ત્યાં કૌંસનો ઉપયોગ કર્યો છે. તેમાં સૂચના આપી સ્પષ્ટતા કરી દે છે. જરૂર જણાય ત્યાં ‘...’નો ઉપયોગ કર્યો છે. દા. ત. ‘ત્યારે’ વાર્તા ભાવકને વિચારતા કરી મૂકે છે એ એની મોટામાં મોટી લાક્ષણિકતા છે. એમની વાર્તાઓમાં લોકબોલીના લહેકા-બોલીનો પ્રયોગ શિષ્ટભાષા સામે ઓગળી જાય છે. વાર્તાકાર વિજય શાસ્ત્રીને એમના ઇન્ટરવ્યૂમાં પૂછાયેલા વાર્તાસર્જનની પ્રેરણા સંદર્ભે કહે છે કે : ‘વાર્તા મગજમાં આવે પછી એને શબ્દોમાં ઉતારવાની. એ બધી એક સરસાઈ જ અનાયાસે જ થઈ ગઈ. કશુંક વાંચીને નહીં પણ મારા મનમાં આ પ્રકારનો વિચાર આવ્યો અને એને શબ્દ રૂપે મૂક્યો. પ્રેરણા મળી છે એ રીતે હું વાર્તા લખી શકતો નથી. સ્વયંભૂ રીતે જ જે મનમાં આવે એની ઉપર કામ કરું છું.’[27] અનુઆધુનિક સમયમાં મનુષ્યની વાતને-સંવેદનાને લગતી કથાવસ્તુ જે પ્રચલિત હોવા છતાં તાજપ અનુભવાય તે રીતે સુંદર કલામય બનાવી છે. જેનું કારણ નર્મ-મર્મ વ્યંગ્ય, વિડંબના એ જ વાર્તાકારની મોટામાં મોટી સિદ્ધિ છે.
પાદનોંધ :
- ↑ જાની, નૂતન. ‘વાર્તાવિશેષ : વિજય શાસ્ત્રી’, અરુણોદય પ્રકાશન, અમદાવાદ. પ્રથમ આવૃત્તિ : જૂન, ૨૦૦૭. પ્રસ્તાવના
- ↑ શાસ્ત્રી, વિજય. ‘મિસિસ શાહની એક બપોર’, પૃ. ૫
- ↑ એજન, પૃ. ૫૬
- ↑ એજન, પૃ. ૧૬
- ↑ એજન, પૃ. ૧૬
- ↑ એજન, પૃ. ૮
- ↑ એજન, પૃ. ૪૬
- ↑ શાસ્ત્રી, વિજય. ‘વિજય શાસ્ત્રીની શ્રેષ્ઠ વાર્તાઓ’, પૃ. ૧૯૧
- ↑ એજન, પૃ. ૧૯૧
- ↑ એજન, પૃ. ૧૯૦
- ↑ શાસ્ત્રી, વિજય. ‘હોવું એટલે હોવું’, પૃ. ૩૯
- ↑ એજન, પૃ. ૮૪
- ↑ એજન, પૃ. ૧૧
- ↑ શાસ્ત્રી, વિજય. ‘વિજય શાસ્ત્રીની શ્રેષ્ઠ વાર્તાઓ’, પૃ. ૧૯૨
- ↑ એજન, પૃ. ૧૯૨
- ↑ એજન, પૃ. ૧૯૧
- ↑ ઉપાધ્યાય, ઉષા. ‘ઇક્ષિતા’, પૃ. ૭૨
- ↑ શાસ્ત્રી, વિજય. ‘ઇત્યાદિ’, પૃ. ૩૬
- ↑ એજન, પૃ. ૪૦
- ↑ એજન, પૃ. ૧૪૩
- ↑ એજન, પૃ. ૭૬
- ↑ શાસ્ત્રી, વિજય. ‘વિજય શાસ્ત્રીની શ્રેષ્ઠ વાર્તાઓ’, પૃ. ૧૭૬
- ↑ શાસ્ત્રી, વિજય. ‘સરનામું બદલાયું છે’, પૃ. ૬
- ↑ એજન, પૃ. ૬
- ↑ એજન, પૃ. ૯
- ↑ એજન, પૃ. ૧૮
- ↑ ‘પરબ’, માર્ચ : ૨૦૨૫
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.
સંદર્ભિત વાર્તાસંગ્રહ :
૧. મિસિસ શાહની એક બપોર
૨. અહીં તો
૩. હોવું એટલે હોવું
૪. ઇતરેતર
૫. ઇત્યાદિ
૬. અસારે ખલું સંસારે
૭. શ્રવણની કાવડ
૮. આવાગમન
૯. સરનામું બદલાયું છે.
અઝીઝ છરેચા
અધ્યાપક,
શ્રી ટી. એમ. એસ. ડી. મહિલા આટર્સ અને કૉમર્સ કૉલેજ,
આદિપુર (કચ્છ)
ઈમેલ : azizchhrecha@gmail.com