સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ભોળી ભરવાડણ

Revision as of 17:17, 30 March 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૩. ભોળી ભરવાડણ

નરસિંહ મહેતા

ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી;
સોળ સહસ્ત્ર ગોપીનો વહાલો મટુકીમાં ઘાલી. ભોળી રે૦

અનાથના નાથને વેચે આહીરની નારી;
શેરીએ શેરીએ સાદ પાડે: લો કોઈ મોરારી. ભોળી રે૦

મટુકી ઉતારી, માંહી મોરલી વાગી;
વ્રજનારીને સહેજે જોતાં મૂરછા લાગી. ભોળી રે૦

બ્રહ્માદિક ઇંદ્રાદિક સરખા, કૌતક એ પેખે;
ચૌદ લોકના નાથને કાંઈ મટુકીમાં દેખે. ભોળી રે૦

ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી;
દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી. ભોળી રે૦