રણજિતરામ ગદ્યસંચય – ૨/આપણાં દેશી રાજ્યો
આપણાં દેશી રાજ્યો એટલે ગુજરાતનાં દેશી રાજ્યો, સમસ્ત હિંદુસ્તાનનાં નહીં. ગુજરાતનું ક્ષેત્રફળ આશરે ૬૫,૦૦૦ ચોરસ માઈલનું છે; તેમાંથી ૫૫,૦૦૦ ચોરસ માઈલમાં દેશી રાજ્યો છે. આ ઉપરથી સ્પષ્ટ થશે કે તેમના વિશે વિચાર કરવાની કેટલી અગત્ય છે. દેશી રાજ્યો સાથેનો મારો સંબંધ તટસ્થનો છે, તેમનામાં નિમગ્ન થયેલો નહીં. દેશી રાજ્યો તરફ અંગ્રેજો કેવી રીતે જુએ છે અને આપણે પોતે કેવી રીતે જોવું જોઈએ? અંગ્રેજ અમલદારોનાં ભાષણોમાં તથા લેખોમાં બે દૃષ્ટિ પ્રધાન હોય છે : (૧) અંગ્રેજો હિંદમાં આવ્યા ત્યારે દેશી રાજ્યોની સ્થિતિ કેવી હતી? (૨) દેશી રાજ્યો સુધારવામાં અંગ્રેજોએ કેટલો ભાગ લીધો? લીયોર્નરે કાઠિયાવાડ વિશે ઇંગ્લૅંડમાં આપેલું ભાષણ અને તે પ્રસંગે પ્રમુખ તરીકે લૉર્ડ વિલિંગ્ડને કાઢેલું ગર્વવચન એ આ બાબતમાં ઉદાહરણ છે. ટૂંકામાં, ‘અમે આવ્યા ત્યારે દેશી રાજ્યોમાં અંધેર અને ગેરવ્યવસ્થા હતાં, અને અમે તે દૂર કર્યાં.’ એ અંગ્રેજોની દૃષ્ટિનું તાત્પર્ય છે. આપણી દૃષ્ટિ આથી જુદી જાતની હોવી જોઈએ. આપણા દેશની પ્રગતિમાં દેશી રાજ્યોએ શો ભાગ ભજવવો જોઈએ અને તે ભજવવા દેશી રાજ્યો તૈયાર અને લાયક છે કે કેમ એ આપણો મોટામાં મોટો પ્રશ્ન છે. આ સંબંધમાં આપણા સાક્ષરોએ શું રજૂ કરેલું છે તે આપણે પ્રથમ જોવું જોઈએ. એમનામાંથી કોઈએ આ પ્રશ્ન વિશે ઊંડામાં ઊંડો અને વિશાળમાં વિશાળ વિચાર કર્યો હોય તો તે ગોવર્ધનરામે કર્યો હતો. ‘સરસ્વતીચંદ્ર’ની નવલકથામાં દેશી રાજ્યો વિશેની ચર્ચા ઘણું અગત્યનું સ્થાન રોકે છે. ગોવર્ધનરામે તેમની વ્યાપક પદ્ધતિ પ્રમાણે દેશી રાજ્યોના સંબંધમાં ચાર દૃષ્ટિઓનો નિર્દેશ જુદા જુદા પત્રો દ્વારા કર્યો છે : (૧) એક તો ‘દેશી રાજ્યો તદ્દન સડેલાં છે, તેમનો સમૂળો નાશ થશે તો જ આપણી રાષ્ટ્રીય ઉન્નતિ થશે.’ એવી વીરરાવ ધમ્પાટેની દૃષ્ટિ; (૨) ‘દેશી રાજ્યોને સત્તાહીન બનાવી બંગાળના જમીનદાર જેવા તેમને કરવા અને તેઓને નવી રાજ્યરચનામાં ‘હાઉસ ઓફ લૉર્ડ્ઝ’નું સ્થાન આપવું.’ એવી ચન્દ્રકાંતની દૃષ્ટિ; (૩) ‘દેશી રાજ્યો છે, તેમનો આવતી કાલે નાશ થવાનો નથી, તો પછી તેમને એવી રીતે સુધારવાં જેથી તેમનું પોતાનું અને દેશનું ઉત્તમ હિત સાધવા તેઓ સમર્થ થાય.’ એવી વિદ્યાચતુરની દૃષ્ટિ; અને (૪) ‘દેશી રાજ્યો દેશી લોકોનાં સંસ્થાનો જેવાં હિંદુસ્તાન દેશમાં રહેવાં જોઈએ.’ એવી પ્રવીણદાસ તથા શંકર શર્મા જેવા દેશી રાજ્યના અમલદારોની દૃષ્ટિ. આ ચાર દૃષ્ટિઓમાંથી અત્યારે વિદ્યાચતુરની દૃષ્ટિથી દેશી રાજ્યોના પ્રશ્ન તરફ જોવું એ ઉત્તમ છે એમ મને લાગે છે. દેશી રાજ્યો કેવી જાતનાં છે? સરકારે તેમના સાત વિભાગ પાડ્યા છે. તે વિભાગનું મુખ્ય ધોરણ વિસ્તાર છે, પરન્તુ કેટલેક સ્થાને ઐતિહાસિક અગત્ય ઉપર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. દાખલા તરીકે ધ્રાંગધ્રાનો વિસ્તાર મોટો નથી, છતાં તે પ્રથમ વર્ગમાં મુકાયું છે. કચ્છ, જૂનાગઢ, ભાવનગર, જામનગર, એવાં મોટાં રાજ્યો ભલે રહે એમ કદાચ આપણે કહીએ તોપણ નાનાં નાનાં રાજ્યોનું શું એ પ્રશ્ન ઊભો થાય છે. રાજાઓ મોટા ભાગે રજપૂત, કોળી અને મરાઠા એટલા હિંદુમાંથી છે અને બીજા મુસલમાનો છે. દેશી રાજ્યોની ઉત્પત્તિ કેમ થઈ? તેમની સ્થિતિ કેવી હતી? દેશી રાજ્યોની ઉત્પત્તિ તલવારથી જ થઈ છે. જે જીતે તે રાજા. રૈયત તદ્દન ઉદાસીન રહેતી. પરિણામે જાણ્યેઅજાણ્યે એવું સૂત્ર સ્વીકારાય એ સ્વાભાવિક છે કે ‘રાજા તે રાજ્ય’, હાલનું ‘રૈયત તે રાજ્ય’ એ લોકશાસનનું સૂત્ર અજાણ્યું હતું. છતાં રાજાની સત્તા તદ્દન અમર્યાદરૂપ હતી એમ કાંઈ નહોતું. પ્રજાના લડાયક વર્ગની મદદથી કાં તો તે ઘણીવાર રાજ્ય મેળવી શકતો અથવા પોતાને હસ્તક સાચવી રાખતો એટલે રાજ્યવ્યવસ્થામાં તેમનો પ્રભાવ રહેતો. રાજા અને પ્રજાની વચ્ચે તકરારો થાય ત્યારે સમાધાન કરવાની ત્રણ પદ્ધતિઓ હતી : એક તો બહારવટું; બીજી ઉચાળાં ભરીને ચાલ્યા જવાની મહાજનની અને ખેડૂતોની પદ્ધતિ; અને ત્રીજી બખેડો, ફિસાદ અને રાજસત્તાનો ઉઘાડો અનાદર. ઈ. સ. ૧૮૮૨માં કાઠિયાવાડમાં પહેલો પોલિટિકલ એજંટ નિમાયો, ત્યારથી ધીમે ધીમે દેશી રાજ્યો ઉપર અંગ્રેજોની અસર થવા માંડી. ઈ. સ. ૧૮૬૦માં રાજાઓની સત્તા મુકરર થઈ. ઈ.સ. ૧૮૭૫માં રાજકુમાર કૉલેજ સ્થપાઈ. બ્રિટિશ સરકારે આપેલી શાંતિ અને નિશ્ચિંતતા પછી કાઠિયાવાડનાં દેશી રાજ્યોની સ્થિતિ કેવી થતી ગઈ છે? અંગ્રેજી વહીવટની દેશી રાજ્યોના વહીવટ ઉપર ઘણી અસર થઈ છે અને વધારે થતી જાય છે. Personal Governmentને બદલે Impersonal Governmentનો સ્વીકાર – અલબત્ત ઘણો જ ધીમો સ્વીકાર થતો જાય છે. ‘રાજાની મરજી એ કાયદો’ એ સૂત્ર હવે પૂરેપૂરી રીતે ખરું રહ્યું નથી. મોટે ભાગે હવે ખાતાંઓથી કામ થાય છે. વસૂલાત માટે ઇજારદારોને બદલે અમલદારો દ્વારા કામ કરાય છે. પોતાદારીને બદલે રાજ્યની તિજોરી, બૅન્ક વગેરે હયાતીમાં આવ્યાં છે. દેશી રાજ્યોમાં લશ્કરનાં ખર્ચ ઘટ્યાં છે, પરંતુ જાહેર બાંધકામ, કેળવણી વગેરેનાં ખર્ચ વધ્યાં છે, કેટલાંક નાનાં રાજ્યોમાં ખર્ચના પ્રમાણમાં ઊપજ ઓછી હોવાથી રાજાઓ ઉદ્યોગ-વેપાર રાજ્ય મારફત કરે છે. રાજ્યની ઊપજ એ ખાનગી ગૃહસ્થની ઊપજ હોય એવી રીતે હજી રાજાઓ વર્તે છે. રાજાઓના ખાનગી ખર્ચા વધતાં જાય છે. રૈયતની જરૂર તો ઊભી રહે પણ રાજાના શોખ અને મોજ ઊભા ન રહે. રાજ્યને માથે દેવું થાય તો થાય પણ રાજાના ખર્ચા થવાં જ જોઈએ. હાલમાં રાજાઓના પ્રશ્નો એ છે કે દોલત અને ઊપજ કાયમ કેમ રહે, અને બ્રિટિશ સરકારની સાથે ક્ષોભ વિનાનો સંબંધ કેમ જળવાય? રૈયતનો પ્રશ્ન એ છે કે સારો વહીવટ કેમ થાય? લોકશાસન અને લોકોન્નતિના સિદ્ધાંતો હજી સ્વીકાર પામ્યા નથી, રાજ્યવહીવટમાં રૈયતને સામેલ કરવામાં આવી નથી. દેશી રાજ્યો પાસેથી આપણે શી આશા રાખીએ છીએ? દેશી રાજ્યોને માટે આપણે શું કરવું જોઈએ? દેશી રાજ્યોના રાજાઓ જમાનાને અનુસરી પોતાની પ્રજામાં લોકશાસનનું તત્ત્વ વ્યાવહારિક રીતે ફેલાવે, પોતાના રાજ્યમાં લોકશાસનના સિદ્ધાંતો યથાશક્તિ અજમાવે, પોતે રાજ્યના ટ્રસ્ટીઓ છે એમ માને અને હિંદના સમસ્ત રાષ્ટ્રની પ્રગતિમાં પોતાના રાજ્યને ભાગ ભજવવાનો છે એમ સમજે; એ પહેલા પ્રશ્નનો ઉત્તર છે. બીજા પ્રશ્નના ઉત્તરમાં જણાવવાનું કે બ્રિટિશ હિંદની પ્રજાએ ઉપરના પ્રયત્નોમાં સદ્ભાવથી તથા પ્રસંગાનુસાર સહાયથી દેશી રાજ્યોની પ્રજા તરફ સહાનુભૂતિ બતાવવી જોઈએ. આવી જાતનો પરસ્પર સંબંધ બંધાશે અને સચવાશે ત્યારે જ બ્રિટિશ પ્રજાની પ્રવૃત્તિઓમાં દેશી રાજ્યની પ્રજા ભાગ લેતી થશે અને બન્નેનું અંતિમ સાધ્ય એક બનશે.
૨૨-૨-‘૧૪