આંગણું અને પરસાળ/દીવાલ

From Ekatra Wiki
Revision as of 15:28, 20 October 2023 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


દીવાલ

દીવાલ સુરક્ષા માટે હોય કે અવરોધ માટે, પણ એ છે તો આપણી નગરસંસ્કૃતિની ભેટ. આપણે કંઈ પહેલેથી દીવાલપ્રિય નથી. આર્યો તરીકે તો આપણે આકાશ નીચે, મોકળાશથી વિહાર કરતી, અશ્વોની વેગીલી પીઠ પર ભૌગોલિક સીમાઓ ઓળંગતી આરણ્યક જાતિના હતા. સંસ્કૃતિ હતી પણ એ વન-સંસ્કૃતિ હતી. સાક્ષાત્ અનુભવની સંસ્કૃતિ. વસવું એ નહીં પણ વિચરવું ને વિહરવું આપણાં પ્રાથમિક ક્રિયાપદો હતાં. બાંધેલા આવાસોની (સુ)બદ્ધ સંસ્કૃતિને, નગરોનેે – પુરોને – તોડનાર પુરંદર અને ત્રિપુરારિ આપણા અગ્રણી દેવો હતા. શું થઈ ગયું, પણ પછી આપણે ય આવાસ સ્વીકાર્યો – મંદિરસ્થ થયા, નગરવાસી બન્યા. અમુક ઈશ્વરને મૂર્તિ રૂપે સ્થિર-સ્થગિત કરી દઈને એની આરાધના કરનાર આપણે પણ સ્થાયી-સ્થગિત થયા. ત્યારથી દીવાલ આપણા જીવનનું પ્રતીક, એક અનિવાર્યતા બની ગઈ. વનસંસ્કૃતિને જાળવી રાખનાર સાધુઓને બાદ કરતાં આપણે સૌ સ્થવિર બન્યા. ભાષા આવી ત્યાં સુધી તો ઠીક, લિપિ આવી ગઈ પછી આપણું જ્ઞાનસંવર્ધન ચાર દીવાલોની વચ્ચે થવા માંડ્યું. પ્રત્યક્ષ અનુભવનું પ્રમાણ ઘટતું ગયું ને અન્યના અનુભવોનો, અનુભવોનોય નહીં – એનાં તારણોનો, સંચય એ જ આપણું જ્ઞાન કહેવાયું. અનુભવની ને આપણી વચ્ચે દીવાલ થઈ ગઈ. આમ, સંસ્કૃતિનો વ્યાપ વધતો ગયો ને આપણે ક્યારેક તો બહુ લાક્ષણિક રીતે મર્યાદાને હવાલે થતા ગયા. માત્ર દીવાલના પર્યાયો વધતા ગયા. સુરક્ષા, અવરોધ, મર્યાદા, અપારદર્શકતા, લૅક ઑફ કૉમ્યુનિકેશન... એક પ્રકારની પરોક્ષતા, બલકે લાચારી. આપણી ભાષા જ નહીં, આપણો ચહેરો પણ ક્યારેક બીજા માટે દીવાલ બની જાય છે, પૂરા પહોંચી શકાતું જ નથી એકબીજા સુધી. એથી આજે આપણી સૌથી મોટી સમસ્યા છે આ અમૂઝણની, ગૂંગળામણની. આપણો શ્વાસ પણ જાણે અવહેલના પામીને પાછો ધકેલાય એવી દીવાલ. બહાર રસ્તા પર આવ્યા તો ત્યાં ય અદૃશ્ય દીવાલો છે – કોણ કોને ઓળખે છે? એક ગુજરાતી નવલકથાનું નામ છે ‘કોઈ કોઈને ઓળખતું નથી.’ એના સર્જક પરેશ નાયકે ૧૬ વર્ષની વયે આ નવલકથા લખેલી. થાય છે કે આ દીવાલો ઓળંગી જઈએ ને પરસ્પરને આલિંગી લઈએ, ખુલ્લા આકાશની નીચે આવી જઈએ. પણ તોય દીવાલો રહેશે. એટલે એને કોઈએ તોડવી રહી. પણ મોકળાશ માટે હવે કોઈના અવતારની રાહ જોવા જેટલા ભોળા બલકે મૂરખ રહેવાનું આપણને પાલવે એમ નથી. હવે તો આપણે જ પુરંદર ને આપણે જ ત્રિપુરારિ. દીવાલો તોડવાની સક્રિયતા એ આપણો પ્રત્યક્ષ અનુભવ. ને ખુદ આ પ્રક્રિયા જ આંતરિક રીતે પણ દીવાલોને તોડનાર જ હશે ને?