ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/વિનોદ ગાંધી
નીતિન રાઠોડ
(‘સગડીનો અગ્નિ’ (વિનોદ ગાંધી) વાર્તાસંગ્રહ, ડિવાઈન પબ્લિકેશન, અમદાવાદ, પ્ર. આ. ૨૦૧૩(બીજી ૨૦૧૩), મૂલ્ય ૮૦, પૃષ્ઠ ૧૨૨) વિનોદચંદ્ર ત્રિકમભાઈ ગાંધીનો જન્મ ૮મી જૂન, ૧૯૫૩માં ગોધરામાં થયો હતો. સર્જક વિનોદ ગાંધીનું કવિતા, વાર્તા, નવલકથા, બાળસાહિત્ય, વિવેચન એમ વિવિધ સ્વરૂપો પ્રદાન છે. કવિતાક્ષેત્રે ‘રમ્યતા’, ‘પાર્થતા’, ‘ઝાકળના દરિયા’, ‘ફ્લેટ બંધ છે’ વગેરે કાવ્યસંગ્રહો પ્રાપ્ત થાય છે. તો વિવેચનક્ષેત્રે ‘વાર્તાકાર જયંત ખત્રી’, ‘સમદૃષ્ટિ’ પુસ્તકો મળે છે. તેમણે ‘વાસ’ નામની એક નવલકથા લખી છે. આ સિવાય ટૂંકી વાર્તાક્ષેત્રે બે સંગ્રહો મળે છે. ‘સગડીનો અગ્નિ’ અને ‘તમે સાક્ષાત એક વાર્તા છો...’. બાળસાહિત્યમાં સાત જેટલા સંગ્રહો આપ્યા છે. તેમના આ માતબર સાહિત્ય માટે ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર તથા ગુજરાત સરકારનો કબીર ઍવૉર્ડ મળ્યા છે. તેમની સર્જનયાત્રા આધુનિકયુગથી લઈને અનુ-આધુનિક-આજપર્યંત ચાલી રહી છે. ગીત, ગઝલ તથા અછાંદસ કવિતામાં તેમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. એસ.પી.ટી. આટ્ર્સ કૉલેજ, ગોધરામાં ૩૦ વર્ષ સુધી ગુજરાતીના અધ્યાપક તરીકે સેવા આપી હાલ નિવૃત્ત થયેલા છે. અહીં તેમની વાર્તાઓ વિશે વાત કરવી છે. વિનોદ ગાંધીનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘સગડીનો અગ્નિ’ (પ્ર. આ. ૨૦૧૨)માં કુલ ૧૯ વાર્તાઓ છે. આ વાર્તાઓ ગુજરાતીના ‘હયાતી’, ‘તાદર્થ્ય’, ‘જલારામદીપ’ વગેરે જેવા સામયિકમાં પ્રગટ થઈ છે તથા વિવિધ એવાં સંપાદનોમાં સમાવેશ પામી છે.
‘સગડીનો અગ્નિ’ વાર્તાસંગ્રહની પ્રથમ વાર્તા ‘શાલિનીનો હસબન્ડ અને હું’ છે. આ વાર્તાની કથનરીતિ જુદી છે. નાયક પંકજ અને શાલિની કૉલેજમાં હતા ત્યારે એકબીજાને પ્રેમ કરતાં હતાં. ત્યારબાદ બંનેયનું લગ્ન અલગ અલગ જગ્યાએ થઈ જાય છે. એક દિવસ અચાનક બંનેય રસ્તામાં મળી જાય છે. આ ઔપચારિક મુલાકાત અંતે નાયક શાલિનીના ઘેર જાય છે. તેના પતિ શરદને મળે છે. ઘરમાં રહેલી શાલિની પંકજને મળવા આવતી નથી. પંકજ શરદને મળીને ચા પીને નીકળે છે તેવા સમયે શાલિનીનો ખાંસવાનો અવાજ તથા દબાયેલી ચીસ અને ડૂસકાંના અવાજથી નાયકને ખબર પડી જાય છે કે ઘરે હોવા છતાં શાલિની મળવા આવી નથી. ઘરે જઈને નાયક સાથે ફોન પરની વાતચીત કરતા શાલિની જણાવે છે કે તેને મારી હતી ને તે ઘરમાં જ રહે છે. પછી એકાંતમાં એક દિવસ મળે છે. વાર્તાના અંતે ઘરે જતા નાયકના ઘરે શાલિનીનો પતિ ત્યાં બેઠેલો હોય છે તે પણ એ જ શબ્દો બોલે છે. પોતે અને નાયકની પત્ની સાથે કૉલેજમાં ભણતાં હતાં. વાર્તા ત્યાં પૂરી થાય છે. જુદી કથનશૈલીથી રજૂ થયેલી આ પ્રેમ કહાની ભાવકને સાથે લઈને ચાલે છે. ‘સબ ભૂમિ ગોપાલકી’ વાર્તામાં દલિત સંવેદના રજૂ થઈ છે. જટાશંકર નામના બ્રાહ્મણનું અવસાન થાય છે. જટાશંકરની અંતિમ ઇચ્છા વાંસની નનામીમાં જવાની હતી. માટે વાસમાં ભોળો હરિજન પાસે રેવાશંકર જાય છે. ત્યાં ભોળિયાના કાકાનું અવસાન થયેલ હતું તેમના માટે બનાવેલી વાંસની નનામી રેવાશંકર લઈ આવે છે. પરંતુ પોતાની લોખંડની નનામી આપવાની ના પડે છે. અંતિમ વિધિ માટે જ્યાં જટાશંકરને લઈ ગયા છે તે જ કૈલાસ ધામમાં હરિજનો ભોળાના કાકાને લઈને આવે છે. પરંતુ બ્રાહ્મણો ત્યાં હરિજનોને અંતિમ વિધિ કરવા દેતા નથી. વાર્તાને અંતે જટાશંકર બળી રહ્યા છે તે ધુમાડાની ચેહ અને ભોળાના કાકાના બળવાના ધુમાડાની સેર ઊંચે જઈને ભળી જતી દેખાય છે. જેવો વાર્તાનો અંત ખૂબ જ સૂચક છે. બધા એક જગ્યાએ અંતિમ વિધિ કરવાની નક્કી થયું હોવા છતાં હરિજનોને કૈલાસધામમાં અંતિમ વિધિ કરવા દેવામાં આવતી નથી. કૈલાસધામની બહાર લખેલી પંક્તિ ‘સબ ભૂમિ ગોપાલ કી’ કેવળ પંક્તિ બની રહે છે. દલિત અને સવર્ણો વચ્ચેનો સંઘર્ષ રજૂ થયો છે. ‘દહીંદૂધના દેવ’ વાર્તામાં એક માણસના જમણા પડખામાં દૂધની વાસ અને ડાબા પડખામાં દહીંની વાસ આવે છે. ધીરે ધીરે આ વાત આખા ગામ-શહેર-દેશ અને વિશ્વમાં ફેલાય જાય છે. અનેક લોકો આ માણસને જોવા આવે છે. જોવા આવનાર માણસો ભેટ-સોગાદો, પૈસા મૂકે છે. તેનું સંચાલન માટે ગામલોકો મંદિર બનાવે છે. સાથે સાથે કમિટી બનાવે છે. એક દિવસ પેલો માણસ ક્યાંક અદૃશ્ય થઈ જાય છે. ગામલોકોને ચિંતા થાય છે કે ‘આપણાં ઘર કેમ ચાલશે?’ ગામલોકો જાહેર કરે છે કે ‘દેવ અંતરધ્યાન થયા છે યોગ્ય સમયે પાછા આવશે.’ ગામલોકો ત્યાં ફૂલોનો ઢગલો કરીને દેવની પૂજા કરે છે. અંધશ્રદ્ધામાં ગરકાવ થઈ જતા લોકો અને ગામલોકોનો ધંધો બંધ ન થઈ જાય માટે કરતા યુક્તિઓ વાર્તામાં ધ્યાનપાત્ર છે. સમાજમાં ધર્મને નામે ચાલતા ચમત્કારો અને અંધશ્રદ્ધા વાર્તામાં ઉજાગર થયા છે. ‘વચ્ચોવચ’ વાર્તાનો નાયક-રાયસંગ ભજનિક છે. તેના ભજનથી ગામ લોકો પ્રભાવિત છે. માટે ‘ભગત’ ઉપનામ આપ્યું છે. ડુંગરવાળા ફળીમાં ભજન ગાવા જવામાં રાયસંગ ખૂબ જ ઉત્સાહિત છે. કારણ કે તે ફળીમાં એક સ્ત્રી પ્રત્યે તેને આકર્ષણ છે. ડુંગરવાળી ફળીમાં ભજન ગાતી વખતે ડૂમો ભરાતા પેલી સ્ત્રી પાણી છોકરા દ્વારા પહોંચાડે છે. આ વાત જાણીને રાયસંગ સંતોષ પામે છે. ભડભાંખડે રસ્તે જતી વખતે ભજનિક સાથીઓ પૂછે છે કે ‘પોપટ રાજા રામના’વાળું ભજન ક્યાંથી સૂઝી આવ્યું? આ પ્રશ્નનો ઉત્તર તે આપી શકતો નથી. ભડભાંખડે નદી ઓળંગીને જતા સાથીઓ સામે કિનારે જતા રહે છે. પણ રાયસંગ વચ્ચોવચ ઊભા રહી જાય છે. અંતે ‘વચ્ચે ઊભા રહેવાનો શો અર્થ?’ ને ભગત સામે કિનારે ડગ માંડે છે. ત્યાં વાર્તા પૂરી થાય છે. વાર્તામાં ગ્રામીણ જીવન અને રાયસંગની મનઃસ્થિતિ આલેખાયેલી છે. ‘ગુલાબના સ્પ્રેની સુગંધ’ વાર્તામાં દામ્પત્યજીવનની વ્યથા આલેખાયેલી છે. વિપિનચંદ્ર અને તેમની પત્ની મનોરમાની એક વયસ્ક દીકરી નિરાલી છે. તો બાજુના ઘરમાં રતિલાલ અને તેમની પત્ની સરલા રહે છે. સરલા પિયર જાય છે. તે દિવસોમાં ઘરે એકલી રહેતી મનોરમા સાથે રતિલાલનું મન મળી જતા ભાગી જાય છે. આ ઘટનાથી વિપિનચંદ્ર ભાંગી પડે છે. પુત્રી નિરાલી બાપને સંભાળી લે છે ને વિપિનચંદ્ર અને સરલા એકબીજાની નજીક આવે તે માટે પ્રયાસ કરે છે. વાર્તાને અંતે તે ભેગા થાય છે. ગુલાબના સ્પ્રેની સુગંધ અંતે સરલાની સાડીની સાથે વિપિનચંદ્રના જીવનમાં ફેલાય છે. ‘ચોકીદાર’ વાર્તાના આરંભમાં આવતું વાક્ય – ‘પંદરહો રૂપરડીમંઅ તો ચાર જણનું શેં પૂરું થાય?’ ચોકીદાર બોલે છે. ઓછા પૈસામાં ઘર ન ચાલતું ચોકીદારને સોસાયટીમાં બીજી સ્ત્રીને મળવા આવેલ પુરુષ જે પૈસા આપે છે, તેનાથી તે ખુશ છે. ને સોસાયટીની સ્ત્રી અને મળવા આવેલો પુરુષ તરફથી મળતી વસ્તુઓથી તે પોતાની જરૂરિયાતો પૂરી કરવાનાં સપનાંઓ જુએ છે. ઘરે જઈને ચોકીદાર જુએ છે તો પોતે જે શેઠની દુકાનેથી ઉધાર લાવે છે તે શેઠ પોતાની પત્નીને મળીને નીકળતો જોવે છે. પોતાની પત્ની મંજુથી અચાનક પુછાય જવું – ‘તમે?’ તથા પલંગ પર પડેલી પચાસ-પચાસની ચાર નોટો જુએ છે, ને ફસડાય પડે છે. વાર્તા ત્યાં પૂરી થાય છે. સોસાયટીની ચોકીમાં જોવા મળતી બિનવફાદારી સાથે પરિવારની ચોકી ન કરી શકતો ‘ચોકીદાર’. વાર્તાનું શીર્ષક અનેક રીતે સાર્થક છે. જરૂરિયાતો અને આર્થિક પરિસ્થિતિને કારણે થતું શોષણ પણ વાર્તામાં રજૂ થયું છે. ‘દિયરવટુ’ વાર્તાનું વસ્તુ નવું નથી પણ અહીં જુદી રીતે રજૂ થયું છે. પતિના જીવતો હતો ત્યારે દિયર દલુને ભાભી પાની છોકરાની જેમ ઉછેર કરે છે. અચાનક પતિનું બીમારીને કારણે મૃત્યુ થતા ભાંગી પડેલી પાનીને દિયર દલુ સાચવે છે. વિધવા પાની અને છોકરાને સાચવવા માટે સમાજ ‘દિયરવટુ’ દલુ સાથે કરાવે છે. પિયરથી પાછી ફરેલી પાનીને આ વાતની ખબર પડે છે ત્યારે રાત્રે એકલી પાનીને દલુ જે કહે છે કે ‘...ગઈકાલ હુંધી તો હું દિયર હતો, પણ આજથી તો હું તારો મોટો છો’રો છું’ (પૃ. ૫૦) તે ધ્યાનપાત્ર છે. વાર્તામાં દલુ પહેલા દિયર, પતિ અને અંતે મોટો પુત્ર બને છે. વાર્તામાં સામાજિક રીતરિવાજ તથા સ્ત્રીની સ્થિતિનું પણ નિરૂપણ જોવા મળે છે. ‘પત્રપ્રતીક્ષા’ વાર્તામાં પત્રના વિવિધ પાસાંની ચર્ચા થઈ છે. પત્રની રાહ જોવાતી હોય ત્યારે કશું બીજું આવે તે સમયની સ્થિતિ, પત્ર લખનારની મનઃસ્થિતિ, પત્ર વાંચનાર શું વિચારતો હશે? વગેરે વિશે આ વાર્તામાં ચર્ચા કરી છે. ટપાલી પોતાનો પત્ર લઈને ન આવતા મૂંઝવણ અનુભવતો વાર્તાકથક અને અંતે પત્ર પાંચ દિવસ બાદ પણ આવતો નથી. કાવ્યપંક્તિથી વાર્તા પૂરી થાય છે. વાર્તા નિબંધ હોય એવું અનુભવાય છે. પત્રની વિશેની સમીક્ષા જોવા મળે છે. ‘પ્રસાદ’ વાર્તામાં દલિત સંવેદના રજૂ થઈ છે. વાર્તાનો નાયક અને તેની પત્ની રમીલા દલિત વર્ગના છે. તેમના પાડોશી મનોજભાઈ અને રીટાબેનને ત્યાં સત્યનારાયણની કથા રાખી હતી. આ કથામાં નાયક જતો નથી રમીલા જાય છે. ત્યાં તેની સાથે દૂરતાભર્યું વર્તન કરવામાં આવે છે. થોડા દિવસ પછી નાયકના ઘરે સત્યનારાયણની કથા રાખવામાં આવે છે. પરંતુ તે દિવસે પાડોશી મનોજભાઈ અને રીટાબેન બહાર જતાં રહે છે. રાત્રે નાયકની પત્ની રીટાબેનને પ્રસાદ આપે છે. આ પ્રસાદ બીજા દિવસે ઘરની બહાર ગાયોને ખાવા મૂકવામાં આવતા પથ્થર પર પડેલો જુએ છે. ધાર્મિક વાડામાં બંધાયેલા આવા લોકોના મનમાં પડેલી અસ્પૃશ્યતા સામે વાર્તાકારે કટાક્ષ કર્યો છે. ધાર્મિક રીતે આસ્થાવાન લોકો જ્યાં સુધી મનોગત રીતે વિધિ-વિધાન પાડે પરંતુ માનસિકતા ન બદલે ત્યાં સુધી કથાનો કોઈ અર્થ નથી. જેવો અર્થ આ વાર્તા આપી જાય છે. ‘શિવપૂજા’ વાર્તામાં સૌરભ અને પુષ્પા પૂજા કરીને પાછાં આવતાં તેમને ખબર પડે છે કે પૂજા માટે વપરાયેલ ફૂલો દલિતની વાડીનાં છે. ત્યારે પૂજા ભટ્ટ પતિ સૌરભને જે ફરિયાદ કરે છે તેમાં તેની જાતિગત માનસિકતા બહાર આવે છે. જેમ કે ‘આજે રૂદ્રીમાં જે ફૂલો ચડાવ્યાં તે પેલી પરમારની બીસી બૈરીના બગીચાનાં હતાં. મૂઈ જાતે તોડી લાવી હોત તો ઠીક, પણ પેલી બૈરીએ તોડેલાં ફૂલો ઋચાડી લઈ આવી. ...મારી પૂજા નિષ્ફળ ગઈ, અભડાઈ ગઈ.” (પૃ. ૬૭) ધાર્મિકતામાં જેવા મળતો જાતિગત ભેદભાવ વાર્તામાં રજૂ થયો છે. ‘લાકડાં’ વાર્તામાં સ્મશાનવિધિ માટે લેવા આવેલા માણસને થોડા લાકડાં વધુ આપતા કંજૂસ શેઠ નોકર-મગનને ધમકાવે છે. શેઠ લાકડાં કાપવાનો ખર્ચ, જંગલખાતાના માણસોને આપવી પડતી લાંચ વગેરે ગણાવે છે. મગન વિચારે છે કે શેઠનો છોકરો બહાર છે ને પત્ની મૃત્યુ પામી છે. તો હવે ‘શેઠ ચ્યમ આટલા હાય વલૂરાં કરતોં અસીં?’ વાર્તામાં મગન જે ભજન ગાય છે – ‘જીતે ભી લકડી, મરતે ભી લકડી, દેખ તમાસા લકડી કા’ વાર્તાના અંતે મગનના મૃત્યુ બાદ શેઠને યાદ આવે છે ને મગનની અંતિમ વિધિમાં કોર્પોરેશનના કર્મચારીઓ ઇલેક્ટ્રિક કરંટથી બાળે છે. કંજૂસ શેઠને લાકડાં માટેનો કકળાટ વાર્તાન્તે ખબર પડે છે ને વાર્તા પૂરી થાય છે. ‘ઊંડા અંધારેથી...’ વાર્તામાં નેત્રહીન છોકરી ટીકુ અને તેના મા-બાપની સંવેદના નિરૂપાઈ છે. અંધજન આશ્રમના શિક્ષકો સંખ્યા માટે અંધપુત્રીને ભારરૂપ અને પોતાને સોંપી દેવા કહે છે. પણ મહેશ-મમતા ટીકુને આપતા નથી. ટીકુ માટે નેત્રદાન કોઈ કરતું નથી પણ વાર્તાના અંતે આ દંપતી પોતાના નેત્રનું દાન કરે છે. કોઈને નેત્રદાનથી રોશની મળી રહે. આ વાર્તા વાંચતા ‘દુનિયા અમારી’ (કવિ ભાનુપ્રસાદ પંડ્યા) કવિતા યાદ આવે છે. ‘મડદું’ વાર્તામાં દલિત સંવેદના રજૂ થઈ છે. દલિત સમાજનો વીરો ખબર લાવે છે દલિત સમાજના યુવકની લાશ દાટવામાં આવી હતી, તેને બહાર કાઢી નાખવામાં આવી છે. આવું વારંવાર થતું હોવાથી આ ઘટનાની તપાસ પોલીસને કરવામાં આવે છે. આ લાશ કાઢવાનું કામ જે વાંસફોડિયાને સોંપ્યું હતું, તેની લાશ કૂવામાંથી મળે છે. વાર્તાના અંતે દલિતોની સ્થિતિ સુધરતી નથી. તેમને ગામની બહાર થોડી ખુલ્લી જગામાં મડદું બાળવાનું મળે છે. મૃત્યુ બાદ પણ જ્ઞાતિવ્યવસ્થાનો ભોગ બનવું પડે છે તેની વ્યથા આલેખાઈ છે. ‘મુખ્યાજી, ગોરાણી ને સુમી...’ વાર્તામાં સફાઈ કરનાર દલિત સુમીને મુખ્યાજી મંદિરમાં પ્રવેશ તો આપે છે પણ તેનું શારીરિક શોષણ કરે છે. સુમીનું વારંવાર આવવું તેની મરજી બતાવે છે. તો મુખ્યાજીની પત્ની ગોરાણીને સંતાન ન થવાથી વ્રત રાખવા પિયર જાય છે, ત્યાં તે પૂજા કરનાર સ્વામી સાથે સંબંધ બાંધે છે ને ગર્ભવતી બને છે. દલિત સ્ત્રીનું થતું શોષણ અને ઘરની સ્ત્રીના સંબંધ બીજે બંધાય છે ને વાર્તા પૂરી થાય છે. વાર્તામાં જાતીય સંબંધોની સંકુલતા નિરૂપાઈ છે. આ વાર્તાનો અંત સૂચક નથી. ‘અભરખો’ વાર્તામાં જીવુભાનો અભરખો મનમાં જ રહી જાય છે. દલિત વર્ગની સ્ત્રીઓ ઠાકોરવાસમાં ગરબા રમવા ન આવવા કહેતા જીવુભાને જે સ્ત્રી ગમે છે તે પણ દલિત હોવાથી આવતી નથી અને દલિતવાસના અલગ ગરબા જોવા પોતે જઈ શકતા નથી. વાર્તાના અંતે બસમાં સ્ત્રીના સ્પર્શથી ખુશ થતા જીવુભાને પેલી સ્ત્રીને સીટ મળતા દૂર થઈ જાય છે ને ગુસ્સે થઈ જાય છે. એ અર્થમાં ‘અભરખો’ મનમાં રહી જાય છે. ‘અભડાયેલી આંગળી’ વાર્તામાં શંકરલાલ બ્રાહ્મણ રાજપૂતની હોટલ પર નૉનવેજ-માંસ ખાવા જાય છે. ત્યાં કર્મકાંડ માટે વપરાતી આંગળીઓ માંસના સ્પર્શથી અભડાય છે. તો રસ્તામાં સેક્સવર્કર સાથે સંબંધ બાંધતા જનોઈ ન ઉતારતાં જનોઈ અભડાય ગઈ એમ કરીને ફેંકી દે છે. વાર્તાના અંતે આવતું આપઘાતનું સ્વપ્ન શંકરલાલની ઊંઘ ઉડાડી દે છે. વાર્તામાં હાલના શોખીન કેટલાક કર્મકાંડી બ્રાહ્મણો પર કટાક્ષ કર્યો છે. ‘કેતકીનો બર્થ ડે’ વાર્તામાં પોતાના પુત્રની પુત્રી કેતકીના બર્થ ડેની ઉજવણી માટે વૃદ્ધાશ્રમમાં રહેતાં દાદા-દાદી અને સ્કૂલમાં બહાર ભણતી કેતકી બધા એક દિવસ માટે ભેગા થાય છે. ઉજવણી બાદ કેતકી પાછી જતી રહે છે સાથે સાથે દાદા-દાદી માટે પણ નાયકની પત્ની વૈભવી રિક્ષા બોલાવીને પાછા વૃદ્ધાશ્રમ મોકલી દે છે. નાયક પત્નીની સામે મા-બાપને રોકી શકતો નથી. પુત્રની સ્થિતિ તથા વૃદ્ધોની કરુણ સ્થિતિ વાર્તામાં રજૂ થઈ છે. ‘સગડીનો અગ્નિ’ વાર્તાસંગ્રહની ઓગણીસ વાર્તાઓમાંથી પસાર થતા એકથી વધુ વાર્તાઓમાં દલિત સંવેદના નિરુપાઈ છે. જેમ કે ‘સબ ભૂમિ ગોપાલ કી’, ‘પ્રસાદ’, શિવપૂજા’, ‘અભરખો’, ‘મડદું’ વગેરે તેના ઉદાહરણ છે. આ વાર્તામાં દલિત સંવેદનાની સાથે ઉચ્ચ વર્ગ દ્વારા દલિત વર્ગનું થતું શોષણ તથા ‘પ્રસાદ’ અને ‘શિવપૂજા’ વાર્તામાં દલિત વર્ગ સાથે થતું જાતિગત ભેદભાવ અને ઓરમાયું વર્તન રજૂ થયું છે. પરંતુ કળાત્મકતા ‘સબ ભૂમિ ગોપાલકી’ વાર્તામાં રજૂ થઈ છે તેટલી અન્ય વાર્તાઓમાં નથી. આ સંગ્રહની વાર્તા ‘કેતકીનો બર્થ ડે’માં વૃદ્ધોની સ્થિતિ તો ‘ઊંડા અંધારેથી...’ વાર્તામાં અંધ છોકરીના મા-બાપની મનોદશા આલેખાઈ છે. ‘શાલિનીનો હસબન્ડ અને હું’, ‘મુખ્યાજી, ગોરાણી ને સુમી...’, ‘ચોકીદાર’ અને ‘ગુલાબના સ્પ્રેની સુગંધ’ વગેરે વાર્તાઓમાં સ્ત્રી-પુરુષના સંબંધોની સંકુલતા આલેખાઈ છે. તો આર્થિક સમસ્યાનો ભોગ બનતો ‘ચોકીદાર’ વાર્તાનો નાયક. આ વાર્તાઓમાં ગ્રામીણ જીવન (‘અભરખો’), ધાર્મિક પાખંડો (‘દહીંદૂધના દેવ’), લગ્નેત્તર સંબંધો (‘મુખ્યાજી, ગોરાણી ને સુમી...’), અને દલિત સંવેદના (‘સબ ભૂમિ ગોપાલકી’) વગેરે વિષયોને ધ્યાન કેન્દ્રિત કરતી વાર્તાઓમાં મળે છે. આમ, પ્રથમ સંગ્રહથી મહત્ત્વની ધ્યાનપાત્ર, વૈવિધ્યસભર વાર્તાઓ લઈને આવનાર વિનોદ ગાંધીના આ સંગ્રહની બીજી આવૃત્તિ એક જ વર્ષમાં (૨૦૧૩) પ્રગટ થઈ છે, તે બાબત વાચકોનું ખેંચાણ દર્શાવે છે.
ડૉ. નીતિન રાઠોડ
આસિસ્ટન્ટ પ્રોફેસર,
ગુજરાતી વિભાગ
ડૉ. એ.પી.જે. અબ્દુલકલામ સરકારી કૉલેજ,
સિલવાસા-૩૯૬૨૩૦
યુ.ટી. ઑફ દાદરા ઍન્ડ નગર હવેલી
મો. ૯૮૭૯૭ ૭૯૫૮૦
Email : ngr12687@gmail.com