સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી/કવિશ્વર દલપતરામ ડાહ્યાભાઈ સી.આઇ.ઇ.

From Ekatra Foundation
Revision as of 12:21, 30 March 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઇ સી. આઇ. ઇ.

ગુજરાતમાં કાવ્યનો અને વાચનનો પરિચય કરાવનાર, બાળકોથી વૃદ્ધ પર્યંત સર્વને વાચનમાલામાંનાં પોતાનાં કાવ્યોથી પ્રિય, સુધારાના સમયમાં સુધારાનો ઉપદેશ કરવામાં અતુલ શ્રમ ઉઠાવનાર, ગુજરાત વર્નાકયુલર સોસાઇટીની અને શાળાઓ, પુસ્તકાલયો, આદિની સ્થાપના અને વૃદ્ધિ કરાવવામાં તેમજ ગુજરાતી ભાષાની ઉન્નતિ માટે સર્વ રીતે પોતાના સમયનો ભોગ આપવામાં કૃતાર્થતા માનનાર, અલેકઝાન્ડર કિન્લોક ફોર્બસ સાહેબને રાસમાલામાં સહાય થનાર, સરકારે પણ જેની કવીશ્વરરૂપે પીછાન કરેલી એવો પ્રતિષ્ઠાવાન, નીતિ અને કાવ્યનો નિરંતર સંબંધ સાચવનાર આ નર શ્રીસ્વામીનારાયણના વડતાલ ક્ષેત્રમાં પરલોકગમન કરી ગયાના સમાચાર જાણી આખી ગુજરાતી પ્રજા સાથે અમો પણ અત્યંત શોકગ્રસ્ત છીએ. તેમના જેવી સર્વમાન્ય કાવ્યશક્તિ સર્વત્ર માર્ગ કરવાની આર્દ્રતા, પ્રત્યેક પ્રસંગે પ્રસરતી કાવ્યપ્રતિભાની તત્પરતા, હવે કોઇનામાં નથી, ગુજરાતી ભાષાનો હવે કોઇ એવો એકાન્ત ઉપાસક નથી, એ વિચારથી એ શોકમાં અનંત વૃદ્ધિ થાય છે. આવા કવિવરનું અનુકરણ કરી હવે પછી ગુજરાતીની એમના જેવા ભાવથી સેવા કરવા કોઇ તત્પર થાય એજ અભિલાષા છે. કવીશ્વરના અમર કાર્ય સંબંધે અન્યત્ર લખવામાં આવ્યું છે.

એપ્રીલ–૧૮૯૮.


Lua error in package.lua at line 80: module ‘strict’ not found.