હયાતી/૬. બાપુનો જનમદિન

From Ekatra Wiki
Revision as of 18:33, 8 April 2025 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| | }} <poem> આજ બાપુનો જનમદિન જ્યારથી સરકાર પાળે છે રજા ત્યારથી કેમેય ભુલાતો નથી. વાંચશું થોડા ગીતાના શ્લોક? ‘વૉઈસ ઑફ ઇન્ડિયા’ જોવા જવું છે, ક્યાં સમય રહેશે? ને ઉપવાસ? ના રે એમ દુભ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


આજ બાપુનો જનમદિન
જ્યારથી સરકાર પાળે છે રજા
ત્યારથી કેમેય ભુલાતો નથી.

વાંચશું થોડા ગીતાના શ્લોક?
‘વૉઈસ ઑફ ઇન્ડિયા’ જોવા જવું છે,
ક્યાં સમય રહેશે?

ને ઉપવાસ?
ના રે એમ દુભવ્યે જીવ
બાપુ તે કદી રાજી રહે?

રાજઘાટ જશું?

ચલો, સુંદર જગા છે,
ટહેલશું થોડું.
અને બે ફૂલ બાપુની સમાધિ પર મૂકી
કર્તવ્યનિષ્ઠા તો બતાવીશું.
ક્યાં બિચારાએ સહન થોડું કર્યું
બે ફૂલનો તો હક્ક અદા કરવો ઘટે

પ્રાર્થનાના તો ન શબ્દો યાદ
પણ બાપુ સદા કહેતા હતા
કે હૃદય જો પ્રાર્થતું હોયે તો સાચી પ્રાર્થના.

આ રજાનો દિન
હશે આકાશવાણી પર વધારે કાર્યક્રમ :
વ્યાખ્યાન કોઈ રાજનેતાનું—
જવા દો,
ગ્રામ પર મૂકો નવી રેકૉર્ડ.

આજ બાપુનો જનમદિન
ને રજા,
કેટલો જલ્દી દિવસ વીતી ગયો,
જેમ બાપુનું જીવન.