હયાતી/૨૨. મૃત્યુ
Revision as of 22:17, 9 April 2025 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ૨૨. મૃત્યુ | }} {{center|<poem> મ્હેકમાં મ્હેક મળી જાય તો મૃત્યુ ન કહો, તેજમાં તેજ ભળી જાય તો મૃત્યુ ન કહો, રાહ જુદો જ જો ફંટાય તો મૃત્યુ ન કહો, શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો. દીર્ઘ ય...")
૨૨. મૃત્યુ
મ્હેકમાં મ્હેક મળી જાય તો મૃત્યુ ન કહો,
તેજમાં તેજ ભળી જાય તો મૃત્યુ ન કહો,
રાહ જુદો જ જો ફંટાય તો મૃત્યુ ન કહો,
શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો.
દીર્ઘ યાત્રાની જરૂરતથી સજ્જ થઈ જઈને,
એક મંઝિલની લગન આંખે ઊતરવા દઈને,
ભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને,
‘આવજો’ કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો.
જે નરી આંખે જણાયાં ન એ તત્ત્વો કળવા,
જે અગોચર છે એ અસ્તિત્વને હરદમ મળવા,
દૂર દુનિયાનાં રહસ્યોનો તાગ મેળવવા,
દૃષ્ટિ જે આંખથી છલકાય તો મૃત્યુ ન કહો.
શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નીરખવા માટે,
ભાનની સૃષ્ટિની સીમાને પરખવા માટે,
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે,
કોઈ મહેફિલથી ઊઠી જાય, તો મૃત્યુ ન કહો.
૧૯૬૨