ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/ઍલેકઝાંડર કિન્લૉક ફોર્બ્સ

From Ekatra Foundation
Revision as of 02:59, 19 April 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ઍલેક્ઝાંડર કિન્લોક ફૉર્બ્સ

ગુજરાતી ભાષા અને પ્રજાના સાચા હિતૈષી તરીકે આજથી એક સદી પહેલાં સારી પેઠે પંકાયેલા આ અંગ્રેજ અમલદારનો જન્મ ઈ.સ. ૧૮૨૧ના જુલાઈ માસની ૭ મી તારીખે લંડનમાં થયો હતો. તેમના પિતાનું નામ મિ. જ્હૉન ફૉર્બ્સ મિશલ હતું. વતન સ્કૉટલેંન્ડમાં આબરડીન પરગણું. ફૉર્બ્સને પિતા તરફથી ઉમરાવ દિલ અને માતા તરફથી વિદ્યાપ્રીતિનો વારસો મળ્યો હતો. તેમના પ્રારંભિક વિદ્યાભ્યાસની ખાસ માહિતી મળતી નથી, પરંતુ પહેલેથી તેમને ઉચ્ચ કલા અને વિદ્યા વિશે અનુરાગ હતો. આરંભમાં તેમને શિલ્પી બનવાની આકાંક્ષા હતી. તદનુસાર ઇંગ્લેન્ડના પ્રખ્યાત શિલ્પશાસ્ત્રી મિ. જ્યૉર્જ બાસ્સેવિની પાસે તેમણે આઠ માસ અભ્યાસ કર્યો હતો. વીસ વર્ષની ઉમર થતાં ફૉર્બ્સ હિન્દી સનદી નોકરીમાં દાખલ થવાનું નક્કી કર્યું. તેને માટે તેમણે હેલીબરી પાઠશાળામાં અભ્યાસ કરવા માંડ્યો. આ વખતે કાં તો મિત્રવર્ગ તરફથી કે પછી પાઠશાળા તરફથી ફૉર્બ્સને સર વિલિયમ જોન્સના બધા ગ્રંથો ભેટ મળ્યા હતા. ફૉર્બ્સને એ ગ્રંથસમૂહ અત્યંત પ્રિય હતો. શેક્સપિયર તેમનો પ્રિય કવિ હતો. પોતાના લેખોમાં શેક્સપિયરનાં વચનો ટાંકવાનો તેમને શૉખ હતો. મુંબઈ પ્રાંતની ૧૮૪૩ના નવેમ્બરની ૧૫મી તારીખે ફૉર્બ્સ સનદી નોકરીમાં જોડવા સારુ મુંબઈ આવ્યા. આરંભમાં તેમને અહમદનગરમાં મૂક્યા. પછી બે જ માસમાં તેઓ હિન્દુસ્તાની ભાષાની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. એટલે અહમદનગરમાં જ ત્રીજા આસિ. કલેક્ટર તરીકે તેઓ નિમાયા. તા. ૮મી નવેમ્બર ૧૮૪૪ના રોજ તેઓ ખાનદેશના બીજા આસિ. કલેક્ટર તરીકે નિમાયા. તા. ૬ઠ્ઠી એપ્રિલ ૧૮૪૬ના રોજ તેઓ મુંબઈની હાઈકૉર્ટના ઍકિંટગ-ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકે નિયુક્ત થયા. તેને ત્રીજે જ દિવસે અમદાવાદના આસિ. જજનો હોદ્દો ફૉર્બ્સને મળ્યો. ફૉર્બ્સ વિદ્યા કલા ઉભયમાં કુશલ હતા. તેમને શિલ્પનો ખાસ શૉખ હતો. ગુજરાતની સુંદર શિલ્પકૃતિઓ જોઈને ફૉર્બ્સને લાગ્યું કે ‘કોઈ પૂર્વે થઈ ગયેલા પ્રતાપી લોકના મહિમાનાં એ અવાચિક ચિહ્ન છે.’[1] આ ઉપરથી ગુજરાતનાં પ્રાચીન સ્થળો અને શિલાલેખો જોઈને ગુજરાતનો ઇતિહાસ ઊકેલવાની તેમને ઈચ્છા થઈ આવી. મનઃસુખરામ ત્રિપાઠી કહે છે તેમ, ‘કલા ઉપર વિદ્યાનો પ્રકાશ પાડી તેને વાગ્મિની કરવાનો તેમણે નિશ્ચય કર્યો.’ એમણે ગુજરાતી ભાષા શીખવા માંડી. અમદાવાદની અંગ્રેજી શાળાના હેડમાસ્તર ભોગીલાલ પ્રાણવલ્લભદાસ પાસે તેઓ આરંભમાં ગુજરાતી શીખ્યા. પછી તો ગુજરાતી સાહિત્યના અભ્યાસની અભિરુચિ જાગી. એટલે ભોળાનાથ સારાભાઈની ભલામણથી ફૉર્બ્સે કવિ દલપતરામને સને ૧૮૪૮ના નવેમ્બરમાં વઢવાણથી અમદાવાદ તેડાવ્યા. દલપતરામે તેમને ગુજરાતી સાહિત્યની લગની લગાડી. ફૉર્બ્સ ને દલપતરામ વચ્ચે જિંદગીભરની મિત્રતા બંધાઈ દલપતરામની સહાયથી ફૉર્બ્સે ગુજરાત-કાઠિયાવાડનો પ્રવાસ ખેડીને હસ્તલિખિત ગ્રંથોની શોધ કરવા માંડી. ખૂણે ખાંચરે પડી રહેલા કવિઓને તેણે ઉત્તેજન આપવા માંડ્યું. એટલે ફૉર્બ્સને ભોજની ઉપમાં મળી. ફૉર્બ્સને ગ્રંથસંગ્રહ કરવાનો પ્રયત્ન એ વખતે ગુજરાતમાં એટલો આગળ વધ્યો હતો કે દલપતરામે ઉધઈને ઉદ્દેશીને કવિતા કરી કે

“કુથ્યા પુસ્તક કાપિને, એનો ન કરીશ અસ્ત;
ફરતો ફરતો ફારબસ, ગ્રાહક મળ્યો ગૃહસ્થ.”

ઈ.સ. ૧૮૪૮ના ડિસેંબરની ૨૬મી તારીખે ફૉર્બ્સે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (હવે ગુજરાત વિદ્યાસભા)ની સ્થાપના કરી.[2] તેનો ઉદ્દેશ “ગુજરાતી ભાષા સાહિત્યનો ઉત્કર્ષ કરવો, ઉપયોગી જ્ઞાનનો પ્રચાર કરવો અને સામાન્ય રીતે કેળવણીની વૃદ્ધિ કરવી.” આ ઉદ્દેશ અનુસાર ગુજરાતનું પહેલું સામયિક ‘વર્તમાનપત્ર’ ફૉર્બ્સે શરૂ કર્યું, ગુજરાતની પહેલી લાઈબ્રેરી નેટિવ લાઈબ્રેરી પણ તેણે સ્થાપી અને જૂનાં ગુજરાતી પુસ્તકોની હાથપ્રતોનો સંગ્રહ કરવા માંડ્યો; શાળાઓની સ્થાપના કરી અને શાળોપયોગી પુસ્તકનું પ્રકાશન કર્યું; ઈનામો આપીને નવાં પુસ્તકો લખાવ્યાં અને વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપીને અભ્યાસમાં ઉત્તેજન આપ્યું. ગુ. વ. સો. ની સ્થાપનામાં ફૉર્બ્સેની સાથે કર્નલ કુલજેમ્સ, કર્નલ વૉલેસ, વિલિયમ ફૉર્સ્ટર, જ્યોર્જ શીવર્ડ અને રેવરંડ પીટર આદિ યુરોપિયન ગૃહસ્થો જ હતા. છેક ૧૮૫૨માં પહેલા દેશી ગૃહસ્થ આ મંડળમાં જોડાયા તે ભોગીલાલ પ્રાણવલ્લભદાસ.

ઈ.સ. ૧૮૪૯ના એપ્રિલની ૪થીએ[3] ફૉર્બ્સે ‘વર્તમાન’ નામનું ગુજરાતનું પહેલું અઠવાડિક પત્ર શરૂ કર્યું. તે દર બુધવારે પ્રગટ થતું હોવાથી લોકો તેને અને પછી. તો દરેક વર્તમાનપત્રને બુધવારિયું કહેવા લાગ્યા. ઈ.સ. ૧૮૫૦ના એપ્રિલની ૧૫મી તારીખે ફૉર્બ્સની બદલી સુરતના આસિ. જજ તથા સેશન્સ જજ તરીકે થઈ ત્યાં તેમણે ‘સુરત સમાચાર’ કઢાવ્યું. ઉપરાંત એક ‘સુરત અષ્ટાવિંશી સોસાયટી’ ઊભી કરીને ફૉર્બ્સ પોતે તેના મંત્રી થયા. એમના પ્રયત્નથી ૧૮૧૦માં ત્યાં ‘એન્ડ્રુસ લાઈબ્રેરી’ની પણ સ્થાપના થઈ. આ વખતે શહેર સુધરાઈનો ધારો સુરતમાં દાખલ કરવાનો હતો. તે ધારા અંગે લોકમત કેળવવાનું કામ ફૉર્બ્સને સરકારે સોપ્યું. કવિ દલપતરામ તથા દુર્ગારામ મહેતાજીની સહાયથી ફૉર્બ્સે સુરતમાં મહોલ્લે મહોલ્લે ફરીને લોકોને એ ધારાની એવી સુંદર સમજૂતી આપી કે સરકારે તેમની કુનેહ અને નિર્ણયબુદ્ધિનાં વખાણ કરીને તેમનો ખાસ આભાર માન્યો. તા. ૧લી મે ૧૮૫૧ના રોજ ફૉર્બ્સ અમદાવાદના પહેલા આસિ. કલેક્ટર અને માજિસ્ટ્રેટ તરીકે નિયુક્ત થયા. ૧૮૫૨ના ઑગસ્ટમાં તેમને મહીકાંઠાના પોલિટિકલ એજન્ટનું સ્થાન મળ્યું. આ વખતે સાદરામાં તેમણે રાજકુમારોને શિક્ષણ આપવાની શાળા સ્થાપી. પછી પાછા તે ૧૮૫૩ના જૂનમાં અમદાવાદના ઍકિટંગ જજ અને સેશન્સ જજ તરીકે આવ્યા. અમદાવાદ આવ્યા પછી પાછી તેમણે હસ્તલિખિત ગ્રંથોની શોધ શરૂ કરી. ચંદ કવિનો ‘પૃથુરાજ રાસ’ મેળવવા સારુ ફૉર્બ્સે બહુ જહેમત ઉઠાવી. ગુજરાતના ગામેગામ માણસ મોકલીને જૂની હાથપ્રતોની તેમણે તપાસ કરવા માંડી, પણ વ્યર્થ. રોયલ એશિયાટિક સોસાયટીમાં પણ એ પુસ્તકની અધૂરી પ્રત જ મળે છે. છેવટે બુંદીકૉટાના રાજા પાસે એ પુસ્તક છે એવું સમજાતાં ત્યાંના રેસિડેન્ટની વગ લગાડીને મહાપ્રયત્ને એ પુસ્તક ફૉર્બ્સે મંગાવ્યું. તેના ૮૦,૦૦૦ જેટલા શ્લોકોની નકલ કરાવીને તેમણે એ પુસ્તક પોતાની પાસે રખાવ્યું. તેમના મૃત્યુ બાદ, આ પુસ્તક મુંબઈની ‘ફાર્બસ ગુજરાતી સભા’ના પુસ્તકાલયમાં રાખવામાં આવ્યું હતું. પાટણના જૈન ભંડારોની મુલાકાતે પણ ફૉર્બ્સ ગયા હતા. જૈન મુનિઓને નમ્ર અને મધુર વચનો તથા માનવસ્ત્ર વડે પ્રસન્ન કરીને તેમણે એ ભંડારોમાંના ગ્રંથો જોયા. તે પૈકી ‘દ્વયાશ્રય’ની ફૉર્બ્સે નકલ કરાવી લીધી. ઉપરાંત વડોદરા, અમદાવાદ અને ખંભાતના ગ્રંથભંડારો પણ તેમણે જોયા હતા. તેમાંથી મુખ્યત્વે ઈતિહાસ-ગ્રંથોનો તેમણે સંચય કર્યો હતો, જેમાં ‘પ્રબંધ-ચિંતામણિ’, ‘ભોજપ્રબંધ’, ‘દ્વયાશ્રય’, ‘પૃથુરાજ રાસ’ ‘કુમારપાલ રાસ’, ‘રત્નમાલા’, ‘પ્રવીણસાગર’, ‘જગદેવ પરમાર’, ‘બાબીવિલાસ’, ‘શ્રીપાલ રાસ’, ‘કેસર રાસ’ અને ‘હમીરપ્રબંધ’ મુખ્ય હતા.[4] પગે ચાલીને પ્રવાસ કરવાનો ફૉર્બ્સને ઘણો શોખ હતો. પ્રવાસમાં તેઓ લાકડી, પિસ્તોલ, નકશો અને નાણાંની કોથળી સાથે રાખતા. માર્ગમાં મળતા વટેમાર્ગુઓને ઊભા રાખીને તેઓ તેમનાં સુખદુઃખની વાતો પૂછતા તથા સરકાર વિશેનો લોકોનો અભિપ્રાય જાણતા; કોઈ અનાથ દરિદ્રી હોય તો તેને પૈસા આપીને સહાય પણ કરતા.[5] ઈ.સ. ૧૮૫૨માં ફૉર્બ્સની પ્રેરણાથી ઈડરના રાણા યુવતસિંહજીએ ઈડરમાં કવિસંમેલન ભર્યું. કવિતા સાંભળીને યોગ્યતા પ્રમાણે દરેક કવિને ફૉર્બ્સે માનવસ્ત્ર આપ્યાં અને કહ્યું કે “હું તમને તમારા ગુણ પ્રમાણે આપી શકતો નથી.” વિદ્યા અને કલાના ઉત્તેજન અર્થે ફૉર્બ્સ એટલી છૂટથી સ્વોપાર્જિત ધન વાપરતા કે મોટો પગાર હોવા છતાં તેમને વિલાયતથી પૈસા મંગાવવા પડતા. ઈ.સ. ૧૮૫૪ના માર્ચ માસની ૨૮મીએ ફૉર્બ્સ સ્વદેશ ગયા. ત્યાં રહીને તેમણે ‘રાસમાલા’ની રચના કરી. લંડનના ‘ઇન્ડિયા હાઉસ’માં ગુજરાતને લગતાં જે જે ખતપત્ર ઇત્યાદિ હતાં તે અતિશ્રમપૂર્વક વાંચી જઈને ફૉર્બ્સે ‘રાસમાલા’નું પુસ્તક તૈયાર કર્યું. ‘રાસમાલા’ની પ્રથમ અંગ્રેજી આવૃત્તિ ઈ.સ. ૧૮૫૬માં લંડન ખાતે રિચર્ડસન બ્રધર્સ તરફથી બહાર પડી. આમ ગુજરાતનો ઇતિહાસ સૌથી પ્રથમ એક અંગ્રેજ પાસેથી મળે છે. જેમ ગ્રાંટ ડફે મહારાષ્ટ્રનો ઇતિહાસ લખ્યો અને કર્નલ ટૉડે રાજસ્થાનનો લખ્યો તેમ ફૉર્બ્સે ગુજરાતનો ઇતિહાસ લખ્યો છે. ગુજરાતની ભૂતકાલીન મહત્તાનો પુનરુદ્ધાર કરવાના સ્તુત્ય ઇરાદાથી પ્રેરાઈને આ પુસ્તક તૈયાર કરવામાં ફૉર્બ્સને કવિ દલપતરામની મોટી સહાય હતી. ઈ.સ. ૧૮૫૬ના નવેમ્બરમાં ફૉર્બ્સે પાછા હિંદ આવ્યા. ૧૮૫૭ની ક્રાન્તિ વિશે અનેક વિદેશી લેખકો અને અમલદારોએ હિન્દી પ્રજા પર એ વખતે ઝનૂનમાં આવીને સખત ટીકાપ્રહારો કર્યા હતા, ત્યારે ફૉર્બ્સ ન્યાયપક્ષ પકડીને તે વિશે લખતા હતા. સર જ્હૉન માલકોમના જીવનચરિત્ર પર વિવેચન કરતાં તેમણે બ્રિટિશ સરકારની એકપક્ષી નીતિની ટીકા કરતાં નીચે પ્રમાણે કહ્યું હતું: “ન્યાય કરવામાં કિંચિત્ પણ પક્ષપાત કર્યાથી આપણા વિશ્વાસ ઉપર જેટલો ધક્કો, અને તેનો જે પરિણામ થાય, તે પચાશેક આખા પ્રાન્તો હાથમાંથી જાય, તેનેા કરતાં પણ વિશેષ હાનિકારક છે એવું માલ્કોમ માનતા. અરે! આપણી જ પ્રજા સાથેના અને બીજા માંડલિક રાજા સાથેના, આ૫ણા કરારોના અર્થ કરવામાં, બ્રિટિશ સરકાર અને તેના કાર્યભારીઓ કેટલો બધો પક્ષ કરે છે.”[6] ‘આઉડ’(અયોધ્યા) નામના બીજા અંગ્રેજી લેખમાં તેમણે રાજાપ્રજાને હિતકારક ઉત્તમ વિચારો આપેલા છે. આ બન્ને લેખો ૧૮૫૭-૧૮૫૮માં ‘બૉમ્બે ક્વાર્ટર્લી રિવ્યૂ’માં પ્રસિદ્ધ થયા હતા. મહારાણીના ઢંઢેરા મુજબ વચન પાળવામાં આવે તો બ્રિટિશ સરકારની સામે હિંદી પ્રજાને બળવો કરવાનું કોઈ કારણ ન રહે એમ ફૉર્બ્સનું દૃઢ મંતવ્ય હતું. ઈ.સ. ૧૮૬૨ના એપ્રિલની ૧૨મી તારીખે ફૉર્બ્સની મુંબઈની હાઈકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે કામચલાઉ નિમણૂંક થઈ. અહીં તેમણે બુદ્ધિબળ તથા ઊંડી ન્યાયદૃષ્ટિનો સારો પરિચય કરાવ્યો. ૧૮૬૪માં તેઓ મુંબઈની રૉયલ એશિયાટિક સોસાયટીના ઉપપ્રમુખ તરીકે ચુંટાયા. તે જ વર્ષમાં મુંબઈ યુનિવર્સિટીના કુલનાયક (Vice-chancellor) તરીકે પણ સરકારે ફૉર્બ્સને નીમ્યા હતા. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટના અધ્યક્ષ (Dean) તરીકે પણ તેઓ આ વખતે કામ કરતા હતા. આ અરસામાં ફૉર્બ્સે ‘રત્નમાલા’ નામે વ્રજભાષાના ગ્રંથનો જેટલો મળ્યો તેટલો ભાગ અંગ્રેજીમાં ઉતાર્યો હતો. વળી, તા. ૧૪ એપ્રિલ ૧૮૬૪ના રોજ ‘સોમનાથ’ વિશે એક નિબંધ મુંબઈની રૉયલ એશિયાટિક સોસાયટીમાં તેમણે વાંચ્યો હતો, જે ૧૮૬૫માં તે જ સભાના મુખપત્રમાં પ્રગટ થયો હતો. આ વખતે મુંબઈમાં શૅરસટ્ટાનો જુવાળ ચાલતો હતો. તેનો લાભ લઈને નાણાં એકઠાં કરી ફૉર્બ્સના નામની એક ગુજરાતી સભા મુંબઈમાં સ્થાપવાનો વિચાર સ્વ. મનઃસુખરામ ત્રિપાઠીને આવ્યો. એ સભા માટે એક લાખ રૂપિયાનું ફંડ એકઠું કરવાનું નક્કી થયું. મનઃસુખરામની વગથી સૌરાષ્ટ્રના રાજાઓ તથા મુંબઈના શેઠિયાઓ પાસેથી મોટી મોટી રકમો ભરવામાં આવી. તા. ૨૫ માર્ચ ૧૮૬૫ના રોજ ફૉર્બ્સને બંગલે મુંબઈને સુપ્રસિદ્ધ ગુજરાતીઓની સભા મળી, અને ‘ગુજરાતી સભા’ની સ્થાપના કરી. ફૉર્બ્સની તે સભાના પ્રમુખ તરીકે અને મનઃસુખરામ ત્રિપાઠીની તેના મંત્રી તરીકે વરણી થઈ ફૉર્બ્સને ગુજરાતી સભા માટે એટલી બધી મમતા હતી કે માંદગીને કારણે બધાં કામો છોડ્યાં છતાં ગુજરાતી સભાની જવાબદારી તો છેવટ લગી તેમણે પોતાને શિરે જ રાખી. તા. ૩૧મી ઓગસ્ટ ૧૮૬૫ના રોજ પૂનામાં ફૉર્બ્સ સાહેબનું મગજના રોગના કારણે અકાળ અવસાન થયું. દયાળુ અને મિલનસાર સ્વભાવવાળા ફૉર્બ્સના મૃત્યુએ ગુજરાતને સ્વજન ગુમાવ્યા જેટલો આઘાત આપ્યો. કવિ દલપતરામે ‘ફાર્બસવિરહ’ નામની કરુણપ્રશસ્તિ રચીને સ્વમિત્રને શ્રદ્ધાંજલિ અર્પી છે. ફૉર્બ્સની ‘રાસમાલા’ આજ સુધી ગુજરાતના ઇતિહાસની સામગ્રી પૂરી પાડતા આકર ગ્રંથ તરીકે મહત્વ પામેલ છે. તેના કરતાં વધુ સુસંકલિત અને પ્રમાણભૂત ઇતિહાસગ્રંથો સુલભ થતાં આજે એનું મૂલ્ય પહેલાં જેટલું રહ્યું નથી. પણ મુંબઈમાં ગુજરાતી ભાષા-સાહિત્યનું સંશોધન કરી રહેલી ‘ફાર્બસ ગુજરાતી સભા’ અને છેલ્લાં સો વર્ષથી સમયના પ્રવાહ સાથે આગળ વધતી રહીને ગુજરાતમાં વિદ્યાવૃદ્ધિનું સુંદર કાર્ય કરતી રહેલી ગુજરાત વિદ્યાસભા (ગુ. વ. સો.) ફૉર્બ્સના યશસ્વી જીવનકાર્યના ચિરંજીવ સ્મારકરૂપ છે.

કૃતિઓ

કૃતિનું નામ *ભાષા *વિષય *પ્રકાશનસાલ *પ્રકાશક *અનુવાદક
રાસમાલા ભા. ૧ *અંગ્રેજી *ઇતિહાસ *૧૮૫૬ *રિચાર્ડસન બ્રધર્સ, લંડન
રાસમાલા ભા. ૧ *અંગ્રેજી *ઇતિહાસ *૧૮૫૬ *ઑક્સફર્ડ યુનિ. પ્રેસ, ઑક્સફર્ડ
રાસમાલા ભા. ૧ *અંગ્રેજી *ઇતિહાસ(બીજી આ.) *૧૯૨૪ * ઑક્સફર્ડ યુનિ. પ્રેસ, ઑક્સફર્ડ
રાસમાલા ભા. ૧ ગુજરાતી ઈતિહાસ *૧૮૬૯ ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ *રણછોડભાઈ ઉદયરામ
રાસમાલા ભા. ૨ ગુજરાતી ઈતિહાસ *૧૮૭૦ ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ *રણછોડભાઈ ઉદયરામ
રાસમાલા ભા.૧-૨ (બીજી આ.) *૧૮૯૯ *ગુજરાત વર્ના. સો. અમદાવાદ **રણછોડભાઈ ઉદયરામ
રાસમાલા ભા. ૧-૨ (ત્રીજી આ.) *૧૯૨૭ ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ *રણછોડભાઈ ઉદયરામ

અભ્યાસ–સામગ્રી

૧. ફાર્બસ જીવન ચરિત્ર : સ્વ. મનઃસુખરામ સૂ. ત્રિપાઠી
૨. ‘ફાર્બસ વિરહ’ : કવિ દલપતરામ (ઉપર્યુકત ચરિત્રની બીજી આવૃત્તિની સાથે બંધાયેલું)
૩. ગુજરાત વર્નાકયુલર સોસાયટીનો ઈતિહાસ, વિભાગ ૧ : હીરાલાલ ત્રિ. પારેખ
૪. મહાજન મંડળ : મગનલાલ નરોતમદાસ પટેલઃ પ્રકરણ ૨૦, પૃ. ૧૨૫૦

સંદર્ભ

  1. ગુ. વ. સો. નો ઇતિહાસ, વિ, ૧, પૃ. ૯
  2. ગુ. વ. સો. નો ઇ., વિ. ૧, પૃ. ૯
  3. મગનલાલ વખતચંદકૃત ‘અમદાવાદનો ઈતિહાસ’ માં પૃ. ૧૮૭ પર તા. ૨ જી મે આપી છે; પણ ‘દલપતકાવ્ય’ ભાગ ૧-માં આ તારીખ આપી છે તે વધુ પ્રમાણભૂત છે.
  4. ‘ફાર્બસ જીવન ચરિત્ર’, પૃ. ૧૭
  5. પ્રવાસ દરમિયાન કોઈવાર હાસ્યવિનોદના પ્રસંગ પણ બનતા. તેવો એક બનાવ ફાબર્સચરિત્રકાર મ. સૂ. ત્રિપાઠીએ નોંધ્યો છે. એક વખત પંચાસર પાર્શ્વ નાથમાં ફૉર્બ્સ વનરાજની મૂર્તિ જોવા ગયા હતા. ત્યાં કોઈ ભાટ તેમની કીર્તિ સાંભળીને એક પુસ્તક ભેટ કરવા આવ્યો અને બોલ્યો કેઃ “એક વાર ગાયકવાડને અમારા વૃદ્ધે એક જૂનું સરસ પુસ્તક દેખાડ્યું હતું તેથી સરકારે ખુશી થઈ એક ગામ બક્ષિસ આપ્યું છે. તો અંગ્રેજ તો મોહોટો રાજા છે, માટે અમને કાંઈ વધારે આથા છે.” સાહેબને આ વાત સાંભળી બહુ હસવું આવ્યું. તેમણે દલપતરામને ‘હનુમાન નાટક’માંની હનુમાન અને ભક્ત વચ્ચેની આ પ્રકારની વાતચીત સમજાવવાનું કહ્યું અને પોતે બોલ્યા કે “ભાઈ! તમને ગામ આપવાની મારી શક્તિ હોત તો હું જ ચાકરી શા વાસ્તે કરત!”
  6. મનઃસુખરામ ત્રિપાઠીએ મૂળ અંગ્રેજીનું આ પ્રમાણે ભાષાંતર કર્યું છે. (જુઓ ‘ફાર્બસ જીવનચરિત્ર’, બીજી આવૃત્તિ, પૃ. ૨૭)

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.

***