ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/સૌ. દીપકબા દેસાઈ
એઓ જ્ઞાતિએ વડનગરા નાગર ગૃહસ્થ; પેટલાદના વતની અને સુપ્રસિદ્ધ દિ. બ. મણિભાઇ જશભાઈના પુત્રી થાય છે. એમનો જન્મ પેટલાદમાં સંવત્ ૧૯૩૭ ના શ્રાવણ વદ ૭ ના રોજ થયો હતો. પોતે પ્રાથમિક કેળવણી પૂરી લીધા પછી વડોદરા કેમ્પની ઈંગ્રેજી નિશાળમાં તેમ મુંબાઈમાં એલેકઝાન્ડ્રા ગર્લ્સ સ્કુલમાં ઇંગ્રેજીનું શિક્ષણ ત્રણ ધોરણ સુધીનું લીધું હતું; અને સં. ૧૯૪૯ માં શ્રીયુત હિંમતભાઇ પ્રભુલાલ દેસાઈ વકીલ સાથે લગ્ન થયા પછી પણ એ અભ્યાસ ખાનગી રીતે વધારતા રહ્યા છે. એક વિદુષી બાઈ તરીકે હિન્દુ સ્ત્રીઓના વારસાઇ હક્ક સંબંધી શ્રીમંત મહારાજા સર શયાજીરાવની સરકારે ખાસ કમિટી નીમી હતી, તેમાં તેમને એક સભ્ય તરીકે નિમ્યા હતા. સંગીતનો અભ્યાસ સારો કરેલો છે; અને તે શિક્ષણ એમણે મશહુર સંગીતાચાર્ય મૌલાબક્ષ પાસેથી લીધેલું. વળી ખાસ નવાઈ પામવા જેવું એ છે કે પોતાને કવિતા રચવાનો શોખ થવાથી ગુજરાતી પિંગળનો અભ્યાસ એમણે જાણીતા સાક્ષર છોટાલાલ નરભેરામ ભટ્ટ પાસેથી કર્યો હતો. એ જ પ્રમાણે ભરતગુંથણમાં પ્રવીણતા મેળવેલી અને સન ૧૯૨૩ને ઇન્ડિયન ઈન્ડસ્ટ્રીયલ એક્ઝીબીશનમાં કીડીઆના નમુના માટે સુવર્ણચંદ્રક એમને અપાયો હતો. સ્ત્રીઓની પ્રગતિ અર્થે થતી પ્રવૃત્તિઓમાં તેઓ ઉત્સાહપૂર્વક રસ લે છે; અને શ્રી ચીમનાબાઈ સ્ત્રી સમાજના તેઓ અગ્રગણ્ય સભાસદ છે. એટલા પરથી એમની બુદ્ધિશક્તિ, જ્ઞાન અને સમાજમાં જે ઉંચું સ્થાન એમણે પ્રાપ્ત કરેલું છે, તેનો કંઈક ખ્યાલ આવશે; પણ એ બધાયમાં એક કવિયત્રી તરીકે તેઓ જાણીતા છે. માસિકોમાં એમના કાવ્યો અવારનવાર પ્રકટ થતાં રહે છે; અને તેનો બીજો સંગ્રહ ‘ખંડ કાવ્યો’-એ નામથી શ્રીયુત મંજુલાલના પ્રવેશક સહિત છપાયો છે. વળી મરાઠી વગેરે પરથી ‘સંજીવની’ નામનું નાટક પણ ગુજરાતીમાં ઉતારેલું છે. આમ એમની પ્રવૃત્તિ કોઇને કોઈ રીતે લોકોપકારક ચાલુ રહે છે. એમની કૃતિઓ : ૧ સન ૧૯૨૩ ૨ " ૧૯૨૬ ૩ સંજીવની+ " ૧૯૨૯ ૪ રાસ બત્રીશીx
+ મરાઠી નાટક ‘વિદ્યા હરણ’ વગેરે પરથી-નવાં ગાયનોની ઉમેરણી સાથે. x અપ્રકટ.
: : એમની કૃતિઓ : :
| ૧. | સ્તવન મંજરી | સન ૧૯૨૩ |
| ૨. | ખંડ કાવ્યો | ” ૧૯૨૬ |
| ૩. | સંજીવની+ | ” ૧૯૨૯ |
| ૪. | રાસ બત્રીશીx | ” ૧૯૨૬ |