ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/માનશંકર પીતાંબરદાસ મહેતા

Revision as of 02:51, 11 July 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


માનશંકર પીતાંબરદાસ મહેતા

એઓ જ્ઞાતિએ વડનગરા નાગર છે. વતની ભાવનગરના અને જન્મ કુંડલા–તાબે ભાવનગર–સં. ૧૯૧૯ના ચૈત્ર સુદ ૨, વાર શનિ (તા. ૨૧ મી માર્ચ ૧૮૬૩)ના રોજ થયો હતો. પિતાનું પૂરૂં નામ પીતાંબરદાસ બાપુભાઈ મહેતા છે; અને માતાનું નામ ઉમેદકુંવર તે સ્વ. ઓઝા જયશંકર રાઘવજીના પુત્રી થાય. એમનું લગ્ન ઇ. સ. ૧૮૭૨માં ભાવનગરમાં સ્વ. વિજયશંકર નાનાભાઈની પુત્રી ઇચ્છાલક્ષ્મી સાથે થયું હતું. પ્રાથમિક તેમ ઉંચી કેળવણી બધી ભાવનગરમાં લીધેલી. સન ૧૮૮૪ માં મેટ્રિક થયેલા, હાઈસ્કુલના અભ્યાસ દરમિયાન વારંવાર સારા અભ્યાસ માટે ઈનામો મળેલાં. વળી પ્રિવિયસના વર્ગમાં કવિ કાલિદાસ વિષેના સંસ્કૃત નિબંધ માટે ગૌરીશંકર પ્રાઇઝ અને મેટ્રિકમાં ઉંચે નંબરે પાસ થવાથી જુવાનસિંહજી સ્કોલરશીપ આખું વર્ષ મળ્યાં હતાં. પણ તે વખતે તેઓ પ્રિવિયસમાં ફતેહમંદ થયા નહિ અને પછી કૌટુંબિક કારણે કૉલેજનો અભ્યાસ પડતો મૂકવો પડ્યો હતો. સન ૧૮૮૬થી ભાવનગર રાજ્યની વસુલાત ખાતાની નોકરીમાં જોડાયા; અને તેમાં જાત હુંશિયારી, કાર્યદક્ષતા અને બાહોશી વડે છેક વહિવટદાર સુધીની ઉંચી પાયરીએ પહોંચેલા. સન ૧૯૧૮થી તેઓ પેન્શન પર છે અને નિવૃત્તિકાળ અભ્યાસ, ધર્મચિંતન અને સમાજસેવામાં વ્યતીત કરે છે. એક વસુલાતી અધિકારી ઇચ્છે તો કેટલુંબધું અને કેટલું સંગીન કાર્ય કરી શકે તેનું સરસ દૃષ્ટાંત એમની કારકિર્દી પૂરૂં પાડે છે. એક થાણદાર કે એક વહિવટદારનું જીવન કેવું વ્યવસાયી, વ્યગ્રતાભર્યું અને શ્રમજનક હોય છે તેનો ખરો ખ્યાલ તેના અનુભવીઓને આવી શકશે. સાંસારિક ઉપાધિના સબબે તેઓ આગળ કૉલેજશિક્ષણ લઈ શક્યા નહિ. પણ એમના લેખો વાંચનાર અને એમના સંસર્ગમાં આવનાર કોઇ પણ કહી શકશે કે એક ગ્રેજ્યુએટને પણ હંફાવે એવું એમનું વિશાળ વાચન છે અને પ્રાચીન ઈતિહાસ, સંસ્કૃતિ અને સાહિત્ય વિષે એમનું જ્ઞાન અને માહિતી કોઇ પણ વિદ્વાન વ્યક્તિને જેબ આપે એવું ઉંચા પ્રકારનું અને માર્મિક છે. તેમાં સંતોષ પામવા જેવું એ છે કે પોતે જે જ્ઞાનસંપત્તિ વ્યવસ્થિત શિક્ષણદ્વારા મેળવી ન શક્યા તે ચાલુ વ્યવસાયમાંથી સમય ફાજલ પાડી સંસ્કૃત, સાહિત્ય, ઇતિહાસ, પુરાતત્ત્વ વગેરે વિષયોનું નિયમિત રીતે અધ્યયન કરીને તેમાં પારંગત થયા છે; એટલુંજ નહિ પણ તે વિષયોની માહિતી અપ-ટુ-ડેટ હોય છે, તે એમનો નાગરોત્પત્તિ નિબંધ વાચનાર જોઈ શકશે. એમના એ અભ્યાસનો લાભ એમણે સમાજને જૂદા જૂદા માસિકોમાં તેમજ સાહિત્ય પરિષદોમાં સ્વતંત્ર નિબંધો રજુ કરીને આપ્યો છે; અને તેની સંખ્યા નોંધીએ તો ઓછામાં ઓછા આ પુસ્તકનાં બે પાનાં લે. નોકરી દરમિયાન તેઓ જેમ અભ્યાસને વિસર્યા નથી તેમ સ્વજ્ઞાતિના ઉત્કર્ષાર્થે ‘નાગર ત્રિમાસિક’ દશ વર્ષ સુધી એડિટ કરી, તે દ્વારા સુંદર સેવા બજાવી છે, અને તેમાં આવતાં ઐતિહાસિક અને સાહિત્ય વિષયક લેખોના કારણે તે માત્ર કોમી જનોને ઉપયોગી થઈ ન રહેતાં, પ્રાચીન સાહિત્ય અને ઇતિહાસના અભ્યાસીઓને પણ તેમાંથી કેટલુંક નવલ અને વિશેષ જાણવા જેવું સાધન થઈ પડ્યું હતું. તે આવું સારૂં ઉપયોગી અને કિમતી બનાવવાનો યશ એમને ઘટે છે. આ તો પોતાની અને પોતાની જ્ઞાતિની સેવાની વાત થઇ; પણ એમની દૃષ્ટિ તેથી સંકુચિત થઇ ન હતી. ચાલુ નોકરી અંગેના વ્યવસાયના કારણે તેઓ જાહેર પ્રવૃત્તિમાં ઝાઝો ભાગ લઈ ન શકે, એ દેખીતું છે. પણ તેમાંથી ફારગ થયા પછી એઓ ભાવનગરની જૂદી જૂદી કેળવણીની અને સમાજસેવાની પ્રવૃત્તિમાં એક વા બીજી રીતે નિકટ જોડાયલા માલુમ પડે છે. ભાવનગરની સાહિત્ય પ્રવૃત્તિના પ્રાણ કહો કે ઉત્પાદક કહો તે એઓ જ છે. સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદ ભાવનગરમાં ભરાઇ અને તે યશસ્વી નિવડી, તેનો કોઈ એક વ્યક્તિને યશ આપી શકાય તો તે માન શ્રી. માનશંકરભાઈને ઘટે છે. જ્ઞાતિ, કેળવણી, સમાજ તેમ ધર્મ પ્રતિ એમને પુષ્કળ અનુરાગ છે. અત્યારે એમનું શરીર શિથિલ થઈ ગયું છે; આંખે ઝાંખપ આવી છે; તેમ છતાં વેદ અને ગીતાનું અધ્યયન દરરોજ કર્યે જાય છે; અને અને વેદમાંથી મળી આવતી ઐતિહાસિક હકીકત સંગ્રહી, તે પરથી તેઓ એકાદ નિબંધ લખવાને ઉત્કંઠા રાખે છે. એમનું સમગ્ર જીવન અવલોકતાં, ખેદ માત્ર એટલો થાય છે કે આપણા દેશમાંથી આવી કર્તવ્યનિષ્ઠ ભાવનાશાળી, ધર્મપરાયણ અને સેવાભાવી વ્યક્તિઓ દિન પ્રતિદિન ઓછી થતી જાય છે.

: : એમની કૃતિઓ : :

નીતિવિચાર સન ૧૮૭૯-૮૦
સત્ય  ”
જનસ્વભાવ  ”
યગ્દૃશ્યવિવેક અથવા વાક્યસુધા (અનુવાદ)  ”  ૧૮૯૦
વેદાન્તસાર (અનુવાદ)  ”  ૧૮૯૦-૯૧
ઉપનિષત્પ્રકાશિત મરણોત્તર સ્થિતિ  ”  ૧૮૦૬-૦૭
ઔર્ધ્વદૈહિક પ્રયોગ  ”  ૧૯૦૮
નાગરી લિપિ અને નાગરો (અનુવાદ)  ”  ૧૯૧૨-૧૩
વિવાહ સંસ્કાર  ”  ૧૯૧૭-૧૮
૧૦ વૈદિક કાલનું ભારતીય યુદ્ધ અથવા વાશરાદી વિગ્રહ  ”  ૧૯૨૦
૧૧ નાગરોત્પત્તિ  ”  ૧૯૨૩
૧૨ આહ્નિક મીમાંસા  ”  ૧૯૨૭-૨૮
૧૩ મેવાડના ગુહિલો  ”  ૧૯૨૮
૧૪ સહુનવર નામને સર્જન જુનો મંત્ર છપાય છે.
૧૫ રાજા છબીલા રાયબહાદુર અથવા નાગરવીરસપ્તક છપાય છે.