ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/મણિલાલ જીવાભાઈ દ્વિવેદી

From Ekatra Foundation
Jump to navigation Jump to search


મણિલાલ જગજીવનભાઇ દ્વિવેદી

એઓ જ્ઞાતિએ ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણ છે. મૂળ વતની વડોદરા રાજ્યના દહેગામ પાસે આવેલા નાંદોલ ગામના; અને જન્મ પણ તે જ સ્થળે તા. ૧૮ મી માર્ચ ૧૮૮૭ (સં. ૧૯૪૩ના ચિત્ર સુદ બીજ)ના રોજ થયો હતો. એમના પિતાનું નામ શ્રી. જગજીવનભાઈ બટુકરામ દ્વિવેદી અને માતાનું નામ કાશીબ્હેન ત્રિભુવન ત્રિવેદી છે. એમણે પહેલા છ ધોરણ ગુજરાતીનો અભ્યાસ નાંદોલમાં અને ઈંગ્રેજી પાંચ ધોરણ સુધીનો અભ્યાસ પાટણમાં કર્યો હતો. એમનું પહેલેથી જ અક્ષરજ્ઞાન કરતાં અનુભવનું જ્ઞાન સાંસ્કારિક ભાવના સાથે મેળવવા પ્રતિ વધુ લક્ષ રહ્યું છે. એમણે સન ૧૯૨૫માં વડોદરામાં ચંદનબ્હેન સાથે પુનર્લગ્ન કર્યું હતું. સૌ. ચંદનબ્હેન મૂળ ઉદિચ્ય ટોળકીઆ બ્રાહ્મણ; અને જન્મ તા. ૨૯ મી જુલાઈ ૧૮૯૮ના રોજ વડોદરામાં થયો હતો. એમણે પણ ગુજરાતી છ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને એમના પતિ સાથે મુસાફરી કરેલી તેનું એક વૃત્તાંત ‘બલુચિસ્તાન પર્યટન’ એ નામથી સન ૧૯૨૯માં છપાવ્યું છે. વળી તેઓ મહાલક્ષ્મી ટ્રેનિંગ કૉલેજના ત્રીજા વર્ષમાં પાસ થયલા છે અને હમણાં પોતાના પતિ સાથે કાંતવાનું કાર્ય કરે છે. ઘણાં ગુજરાતીઓએ લાંબી લાંબી મુસાફરીઓ કરી હશે; પણ એ પ્રવાસનું વૃત્તાંત લખનારા થોડાક જ મળી આવશે. તેમાંય જેમણે એ પ્રવાસનોંધ લખી હશે તેમાં જેમનું વૃત્તાંત વાચવાને ગમે અને ગમ્મત સાથે જ્ઞાન આપે એવા એથી પણ થોડા મળશે. એ થોડામાં શ્રીયુત મણિલાલે જે પ્રવાસગ્રંથો લખ્યાં છે તે ગણાવી શકાય અને વિનાસંકોચે એમ કહેવું જોઇએ કે એ પ્રકારનું પ્રવાસસાહિત્ય આપણે ત્યાં નથી; અને તે નવું ઉભું કરવા માટે એમને ખરે યશ ઘટે છે.

: : એમની કૃતિઓ : :

પૂર્વ આફ્રિકાનો પ્રવાસ સન ૧૯૨૩
મ્હારૂં કાશ્મીર પ્રયાણ  ”  ૧૯૨૪
૩. નેપાળ અને આસામ ભ્રમણ  ”  ૧૯૨૯
૪. હિંદ પર્યટન  ”  ૧૯૩૦