કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/ધોખો કોનો કરું?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૧. ધોખો કોનો કરું

ધોખો કરું રે જગમાં તો ધોખો કોને રે કરું?
એ જી એ ધોખા રૂપ છે સકલ આ સંસાર રે મનવા,
ધોખો કરું રે જગમાં તો ધોખો કોને રે કરું?

જુગતે ખોલ્યાં ને જતને જાળવ્યાં હો જી,
એ જી એ મારાં બિડાતાં દશેન્દ્રિયોનાં દ્વાર રે મનવા,
ધોખો કરું રે જગમાં તો ધોખો કોને રે કરું?

મારો રે માનીને એને સાંચવ્યો હો જી,
એ જી એ એક દિન ચાલ્યો જાશે ચેતના અંબાર રે મનવા,
ધોખો કરું રે જગમાં તો ધોખો કોને રે કરું?

સરજી ધકેલી દીધો સ્હેજમાં હો જી,
એ જી એ મારો છુપાઈ ગયો સરજનહાર રે મનવા,
ધોખો કરું રે જગમાં તો ધોખો કોને રે કરું?

કોણ રે કોનું, કોઈને શી પડી હો જી?
એ જી એ સહુને સહુની લાગી રે લગાતાર રે મનવા,
ધોખો કરું રે જગમાં તો ધોખો કોને રે કરું?

ડંખ રે ધોખાના દિલને લાગિયા હો જી,
એ જી એ શોધું ખટમીઠા ઝેરનો ઉતાર રે મનવા,
ધોખો કરું રે જગમાં તો ધોખો કોને રે કરું?

(રામરસ, પૃ. ૩૫)