કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૩૭. જ્યારે આ આયખું ખૂટે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩૭. જ્યારે આ આયખું ખૂટે
(પદ)

જ્યારે આ દેહ મહીં દેવે
ધીરેલું આયખું ખૂટે,
જીવનનો તાંતણો તૂટે.
જેવી રીતે માત નીંદરતું બાળ
ધીમેથી અંકમાં લિયે,
માસે માસે અમાસને દિન
દેવો મયંકને પિયે;
તેવી રીત ગોદમાં લેજે,
તારામાં સમાવી દેજે;
જ્યારે આ આયખું ખૂટે,
જીવનનો તાંતણો તૂટે.
જેવી રીતે બાપ ખંખેરી ધૂળ
બાળકના શીશને સૂંઘે,
થાકેલું બાપને ખભે ડોક
નાખી નિરાંતે ઊંઘે;
તેમ ખંખેરી લેજે,
મને તું તેડી લેજે;
જ્યારે આ આયખું ખૂટે,
જીવનનો તાંતણો તૂટે.
જેવા મહાન કવિના બસ જરા
એક શબ્દને સ્પર્શે,
ભાવક પ્રવેશે તેને વિશ્વ
સ્વયં બસ રસને હર્ષે;
તેવો આકર્ષજે મુને,
તારે રસ વર્ષજે મુને;
જ્યારે આ આયખું ખૂટે,
જીવનનો તાંતણો તૂટે.
જેવી રીત માળી ખરેલાં પાન
ક્યારામાં વાળી લિયે,
નવા અંકુર પાંગરવા કાજ
એ પાનને બાળી દિયે;
તેમ મુજ જીવનના સૌ શેષનું
કોઈને ખાતર કરજે,
કો’માં નવજીવન ભરજે,
મારો કો’ને લોપ ન નડશો,
મારો કોઈ શોક ન કરશો;
જ્યારે આ આયખું ખૂટે,
જીવનનો તાંતણો તૂટે.

(શેષનાં કાવ્યો, પૃ. ૧૩૦-૧૩૧)