કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૨૦. ગજેન્દ્રચિંતન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૨૦. ગજેન્દ્રચિંતન

કદાચ આ છેલ્લો દાવ હોય;
ઋતુમાન વનમાં જન્મ્યો ત્યારે
મંદારે, પારિજાતે, અશોકે, આમ્રે, તાલે, તમાલે, દ્રાક્ષે, કેળે,
ક્યારેય કહ્યું નહિ કે રમત શરૂ થઈ ગઈ;
ન તો ક્યારેય ત્રિકુટાચલ બોલ્યો, કે
ન તો ક્યારેય આ રુદન કરતી હસ્તિનીઓ બોલી
કે હું કોણ;
જે જે કામ્યો તે તે પામ્યો;
જે જે માગ્યું તે તે મળ્યું—
વાત્સલ્ય, મમતા, સ્નેહ; સૌ સાથે ફર્યો, હર્યો, આનંદ કર્યો;
ભૂખ ભાંગી તોય તૃષા ન છીપી;
એમ કોઈએ ન કહ્યું કે હું કોણ;
હારી જવા જેવી રમત આસાનીથી જીત્યો;
એ પહેલો દાવ;
મને ગજેન્દ્ર કહ્યો આ ગ્રાહે,
જ્યારે મારી તૃષા છીપવવા આ સરોવરમાં હું પેઠો;
એના તીક્ષ્ણ દાંત મારા પગની આરપાર ગયા ત્યારે જાણ્યું
કે હું ગજેન્દ્ર અને આ ગ્રાહ;
જેને પછાડવા, મારવા, સરોવરની બહાર ખેંચી કાઢવા મથું છું,
તે વિગ્રહ કદાચ યુગો સુધી ચાલે;
કારણ કે આ ગ્રાહ મારું જોર નથી જાણતો;
જે જડ સૃષ્ટિમાં એનો જન્મ, એ સૃષ્ટિમાં જ મારો ઉછેર;
એટલે જ પેલા
મંદારે, પારિજાતે, અશોકે, આમ્રે, તાલે, તમાલે, દ્રાક્ષે, કેળે,
જે જે મને સહેલાઈથી આપ્યું તે મેં એની સામે પહેલાં ધર્યું;
પીઠબળ મળ્યું હસ્તિનીઓનું;
આ ગ્રાહ છેવટ એ પણ ખેંચી રહ્યો છે;
વાત્સલ્ય, મમતા, સ્નેહ એ સૌ આરપાર એના દાંત ફરી વળ્યા છે,
એટલે જ રુદન કરતી હસ્તિનીઓ દૂર ઊભી છે;
જીતવાની રમત જાણે હું હારી રહ્યો છું;
પરંતુ આ ગ્રાહને એ ખબર નથી કે—
કે છેલ્લો દાવ હજી હવે આવે છે;
આ ગ્રાહને મારે મારવાનો, પછાડવાનો, સરોવરની બહાર
ખેંચી કાઢવાનો નથી;
જે જડ છે તેનો સામનો ભલા જડથી કેમ થઈ શકે?
જે મને પેલા
મંદારે, પારિજાતે, અશોકે, આમ્રે, તાલે, તમાલે, દ્રાક્ષે, કેળે,
આપી આપીને શીખવ્યું તે જ મારે હવે કરવાનું —
આપવાનું;
જે દેહ આ ગ્રાહ માગી રહ્યો છે તે એનો;
પરંતુ જે વાત્સલ્ય, મમતા, સ્નેહ હસ્તિનીઓએ આપ્યાં
તે કોને આપું?
પાછાં આપું એટલી પાસે એ કોઈ રહી નથી;
અને નથી રહ્યો હવે એટલો સમય;
એથી જે ટકાવવા અત્યાર સુધી હું મથ્યો,
તે ચૈતન્યસ્વરૂપને, મારું જે શેષ, તે મારી સમજ
આ કમલના ફૂલમાં વીંટીને દરી દઉં તો?
મારું હૃદય
આ ગ્રાહની ઓસરતી પકડમાં, ચારે દિશાઓમાં
મંદારે, પારિજાતે, અશોકે, આમ્રે, તાલે, તમાલે, દ્રાક્ષે, કેળે,
ફરકાવેલા આનંદમાં, હસ્તિનીઓના મૌનમાં,

પ્રત્યક્ષ પ્રગટ થતા ચૈતન્યસ્વરૂપમાં,
ઊર્ધ્વ થવા મથતું જાણે છે કે —
જીત કોની છે.

૨૨ માર્ચ ’૬૬
મણિનગર

(સાયુજ્ય, પૃ. ૩૫-૩૭)