ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/‘દેવકીજીના છ પુત્રોનો રાસ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘દેવકીજીના છ પુત્રોનો રાસ’ : અજ્ઞાત જૈન કવિ દ્વારા રચિત ૧૯ ઢાળની દુહા-દેશીબદ્ધ આ કૃતિ (લે.ઈ.૧૮૨૩; મુ.) મુખ્યત્વે હેમચન્દ્રાચાર્યના ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ-ચરિત્ર’ને આધારે દેવકીના છ પુત્રોનું જૈન પરંપરા અનુસારનું કથાનક વર્ણવે છે. બબ્બેની જોડમાં ભિક્ષા લેવા આવેલા સાધુઓ એમના સમાન રૂપને કારણે જાણે ફરીને આવ્યા હોય એવો ભાસ થતાં દેવકી પૂછે છે ત્યારે એ છયે ભાઈઓ હોવાનું જાણવા મળે છે. પોતાને આઠ પુત્રો થવાનું વરદાન હતું તે નિષ્ફળ ગયાની વેદના અનુભવતાં દેવકીને નેમિનાથ ભગવાન પાસેથી આ છયે પુત્રો પોતાના હોવાની માહિતી મળે છે. સુલસાને ત્યાં એ ઊછર્યા ને એમને સ્થાને મુકાયેલાં સુલસાનાં મૃત બાળકોની કંસે પોતે હત્યા કરેલી હોવાનું માન્યું તેથી એ બચી ગયા. સાતમા પુત્ર તે કૃષ્ણ. આ પછી દેવકીને આઠમા પુત્ર ગજસુકુમાળ જન્મે છે પણ એ પણ અંતે દીક્ષા લઈ તપસ્વીનું જીવન ગાળે છે. અવારનવાર અંકાતી દેવકીના આર્દ્ર વાત્સલ્યભાવની રેખાઓ, નેમિનાથના દર્શને જતી દેવકીના રથનું છટાયુક્ત વર્ણન તથા વૈરાગ્યબોધક રૂપકશ્રેણિથી ને સુંદર ગાનછટાથી મનોરમ બનતો દેવકી-ગજસુકુમાળનો સંવાદ એ પરંપરાનિષ્ઠ આ કૃતિનાં ધ્યાન ખેંચતાં તત્ત્વો છે. કૃતિ : ૧. * છ ભાઈનો રાસ, પ્ર. નારાયણ ભીકશેટ ખાતુ, ઈ.૧૮૮૫; ૨. દેવકીજી છ ભાયારો રાસ, સં. બિપિનચંદ્ર જી. ઝવેરી, ઈ.૧૯૫૮ (+ સં.). ૩. દેવકીજીના ષટપુત્રનો રાસ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૯. [જ.કો.]