ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધનદાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ધનદાસ [ઈ.૧૬૭૩ સુધીમાં] : ધંધુકાના વતની તથા જ્ઞાતિએ સંભવત: પટેલ હોવાનું જણાવાયું છે પણ તેનો આધાર સ્પષ્ટ નથી બીજી બાજુથી ‘રામ-કબીરસંપ્રદાય’માં કવિની ‘અર્જુન-ગીતા’માં રામકૃષ્ણની અભેદભાવની ભક્તિ તથા સગુણની સાથે નિર્ગુણભક્તિનું નિરૂપણ હોવાથી કવિ ઉદાસંપ્રદાયના જીવણશિષ્ય કૃષ્ણદાસના શિષ્ય ધનાભગત / ધનાદાસ હોવાનો તર્ક થયો છે. એ ધનાભગત આગલોડના કડવા પાટીદાર હતા અને તેમણે કૃષ્ણદાસ પાસે લગભગ ઈ.૧૬૬૮માં ઉદાધર્મનો સ્વીકાર કર્યો હતો. સરસ્વતી છંદની ચાલમાં રચાયેલી ૪૬/૪૭ કડીની ‘અર્જુનગીતા/સાર-ગીતા/ભક્ત-ગીતા’ (લે.ઈ.૧૬૭૩; મુ.) વસ્તુત: ભગવદ્ગીતાના સારાનુવાદરૂપ નથી પરંતુ રામ-કૃષ્ણ આદિ અવતારોમાં ભગવાને ભક્તોને કરેલી સહાયની સાથે જ્ઞાની ભક્તનાં લક્ષણ અને ભગવાનનો ભક્ત પ્રત્યેનો આત્મીયભાવ વર્ણવે છે. શ્રીકૃષ્ણે અર્જુનને કરેલા સંબોધન રૂપે રચાયેલ આ કાવ્ય એના સરળ તત્ત્વજ્ઞાન, પ્રાસાદિક અભિવ્યક્તિ અને ભક્તલક્ષણ વર્ણવતી “સંસાર સું સરસો રહે, ને મન મારી પાસ” એવી કેટલીક ચોટદાર પંક્તિઓથી ગુજરાતમાં લોકપ્રિય બની નિત્યપાઠમાં પણ સ્થાન પામ્યું છે. આ કવિને નામે ‘પંચશ્લોકી ભાગવત’ તથા બોધનાં પદ નોંધાયેલાં છે પણ તેની અધિકૃતતા ચકાસણીને પાત્ર છે. કૃતિ : ૧. કાદોહન : ૧; ૨. બૃકાદોહન : ૨(+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુજૂકહકીકત; ૩. પ્રાકકૃતિઓ : ૪. રામકબીર સંપ્રદાય, કાંતિકુમાર સી. ભટ્ટ, ઈ.૧૯૮૩;  ૫. ગૂહાયાદી; ૬. ફૉહનામાવલિ. [દે.જો.]