ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/ઉમાશંકર જેઠાલાલ જોષી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ઉમાશંકર જેઠાલાલ જોષી

એઓ જ્ઞાતે ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ અને ઈડર સ્ટેટમાં આવેલા બામણગામના વતની છે. એમનો જન્મ તા. ૨૧મી જુલાઇ સન ૧૯૧૧ ના રોજ બામણાગામમાં થયો હતો. એમના પિતાનું નામ જેઠાલાલ કમળજી જોષી અને માતાનું નામ નવલબેન ભાઇશંકર ઠાકર છે. એઓ હજુ અવિવાહિત છે. પ્રાથમિક શિક્ષણ એમના વતનમાં લીધું હતું. તેની આસપાસના ડુંગરાળ રમણીય પ્રદેશામાં એમણે ખૂબ ભ્રમણ કરેલું છે અને એ રીતે કુદરત પાસેથી અને ત્યાંના પછાત સમાજની જીવનચર્ચામાંથી ખૂબ પ્રેરણા તેઓ પામ્યા છે. માધ્યમિક શિક્ષણ ઈડરની શાળામાં લીધું હતું. સન ૧૯૨૮માં મેટ્રીક્યુલેશનની પરીક્ષા પસાર કરી તેઓ ગુજરાત કૉલેજમાં દાખલ થયા હતા. મેટ્રીકની પરીક્ષામા અમદાવાદ વિભાગમાં પહેલે નંબરે અને આખી પરીક્ષામાં ત્રીજા નંબરે તેઓ આવ્યા હતા. તેના પરિણામે કૉલેજમાં તેમને ત્રણ સ્કોલરશીપો મળી હતી. ઇન્ટર આટર્‌સ પસાર કરી બી. એ. સુધી તેઓ ૫હોંચ્યા હતા પણ સત્યાગ્રહની લડત સન ૧૯૩૦માં જાગતાં તેઓ તેમાં જોડાયા હતા અને તેના અંગે. બે વાર જેલયાત્રા કરી છે. ખાસ કરીને જેલનિવાસને તેઓ પોતાની કેળવણીનો ઉત્તમ સમય ગણે છે. ખગોળ, કાવ્યવિવેચન, નાટકકળા, ભૂગોળ વગેરે એમના પ્રિય વિષયો છે. ગાંધીજી, વિવેકાનંદ, ટૉલસ્ટૉય વગેરે એમના જીવનના ઘડતરમાં મદદગાર થયા છે. છેલ્લાં બે વરસથી આચાર્યશ્રી કાકા કાલેલકરનો અમૂલ્ય સહવાસ મેળવવા એ ભાગ્યશાળી થયા છે. સન ૧૯૩૧માં ‘વિશ્વશાન્તિ’ નામક એમનું ખંડકાવ્ય ગુજરાતી સાહિત્ય આલમમાં પ્રશંસા પામ્યું હતું; તેમ ચાલુ વર્ષમાં પ્રસ્થાનમાં પ્રસિદ્ધ થયેલો “સાપના ભારા” નામના નાટકમાં એમણે હિન્દુ સમાજમાં વિધવાના દુઃખોની કરૂણ કથની અસરકારક રીતે બતાવી છે. એવાં વાસ્તવિકતાના પાયા પર રચાયેલાં એમનાં એકાંકી નાટકો ‘કુમાર,’ ‘કૌમુદી’માં પ્રગટ થતાં રહે છે.

: : એમની કૃતિઓ : :

વિશ્વશાન્તિ સન ૧૯૩૧