બાળ કાવ્ય સંપદા/નમીએ તુજને
Jump to navigation
Jump to search
નમીએ તુજને
સ્નેહરશ્મિ (ઝીણાભાઈ રતનજી દેસાઈ)
(1903-1991)
પરોઢિયે પંખી જાગીને,
ગાતાં મીઠાં તારાં ગાન;
પરોઢિયે મંદિર મસ્જિદમાં
ધરતા લોકો તારું ધ્યાન.
તું ધરતીમાં, તું છે નભમાં,
સાગર મહીં વસે છે તું;
ચાંદા સૂરજમાંયે તું છે,
ફૂલો મહીં વસે છે તું.
હરતાં ફરતાં કે નીંદરમાં,
રાતે દિવસે સાંજ સવાર,
તારો અમને સાથ સદાયે,
તું છે સૌનો રક્ષણહાર.
દેવ, બનાવી દુનિયા તેં આ,
તારો છે સૌને આધાર,
તું છે સૌનો, સૌ તારાં છે,
નમીએ તુજને વારંવાર !