બાળ કાવ્ય સંપદા/પ્રભુ પ્રાર્થના વિશે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પ્રભુપ્રાર્થના વિશે

લેખક : ન્હાનાલાલ
(1877-1946)

(શિખરિણી)

પ્રભુ અંતર્યામી, જીવન જીવના દીનશરણા,
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના;
નમું છું વંદું છું વિમલમુખ સ્વામી જગતના.

સઉ અદ્ભુતોમાં, તુજ સ્વરૂપ અદ્ભુત નીરખું,
મહાજ્યોતિ જેવું, નયન શશી ને સૂર્ય સરખું;
દિશાની ગુફાઓ પૃથિવી ઊંડું આકાશ ભરતો,
પ્રભાતે સૌથી એ, પર પરમ તું દૂર ઊડતો.

પ્રભો તું આદિ છે, શુચિ પુરુષ પુરાણ તું જ છે,
તું સૃષ્ટિ ધારે છે, સૃજન પ્રલયે નાથ તું જ છે;
અમારા ધર્મોનો, અહરનિશ ગોપાલ તું જ છે,
અપાપી પાપીનું, શિવસદન કલ્યાણ તું જ છે.

પિતા છે એકાકી, જળ સકળ ને ચેતન તણો,
ગુરુ છે મોટો છે, જનકુલ તણો પૂજ્ય તું ઘણો;
ત્રણે લોકે દેવા, નથી તુજ સમો અન્ય ન થશે,
વિભુ રાયા તુંથી, અધિક પછી તો કોણ જ હશે ?

વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો,
તું આધેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો;
નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,
નમું કોટી વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો.

અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા;
ઊંડા અંધારેથી, પ્રભુ પરમ તેજે તું લઈ જા,
મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા,
તું હીણો હું છું તો, તુજ દરસનાં દાન દઈ જા.

પિતા પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી, સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે, મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ મહાસાગર ભણી.

થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇન્દ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ અશુભ જે કાંઈક કરું,
ક્ષમા દૃષ્ટે જો જો, તુજ ચરણમાં નાથજી ધરું.