વિવેચનની પ્રક્રિયા/કવિની મુલાકાત

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

કવિની મુલાકાત[1]

પ્રશ્ન ૧ : તમારા બાળપણના સમયના ગુજરાતની કેવી સ્મૃતિ મનમાં છે?

ઉત્તર ૧ : બાળપણના સમયનું ગુજરાત એટલે બાળકનું મન ભૂગોળને જેટલું સમજી શકે તેટલું ગુજરાત. ગુજરાતી સાત ચોપડી હું ભણ્યો ત્યાં પૃથ્વીની ભૂગોળ ભણવાની આવી ગયેલી. પણ એમાં જિવાતા માનવજીવનનો ખ્યાલ બહુ દૂરની વસ્તુ હતી. સાવ બાળપણમાં તો ગામભાગોળેની નિશાળ પણ ઘણી દૂરની વસ્તુ હતી. કોઈ બીજા ગામે જવું એ તો ઘણી મોટી ક્રિયા બનતી એટલે ગુજરાતનો વિશાળ ખ્યાલ તો આમોદમાં ભણવા ગયો ત્યારે કંઈક આવ્યો. પાંચ અક્ષરનું બનેલું અમદાવાદ શહેર કલ્પનાતીત રીતે દૂર હતું.

પણ આસપાસનું જીવન એ ગુજરાતના જીવનના પ્રતિનિધિ જેવું હતું. સ્પષ્ટ રીતે ત્રણ વિભાગમાં વહેંચાઈ જતી ગુજરાતની ઋતુઓના પલટાનો અનુભવ પૂરેપૂરી તીક્ષ્ણતા સાથે થતો. ગુજરાતનું આખું જીવન જ્ઞાતિઓના પાયા ઉપર મંડાયેલું હતું અને દરેક જ્ઞાતિની વિશિષ્ટ છાપ માણસ પર અંકાયેલી રહેતી એટલે ગામના નીચેના સ્તરના માણસોથી માંડી બ્રાહ્મણો અને બાવાઓ સુધીની કક્ષાઓમાં પ્રત્યેકનાં વિશિષ્ટ ચિત્રો બની રહેતાં. ગુજરાતના જીવનનું અર્થકારણ પણ બહુ સ્પષ્ટ રીતે ગોઠવાઈ ગયેલું. ખેડૂતો ખેતી કરે, વાણિયા વેપાર કરે, બ્રાહ્મણો પાઠપૂજા વગેરે કરે. કારીગર વર્ગ પોતપોતાનું કામ બરાબર બજાવે, ખેતી વગેરેમાં કામ કરનારા નીચલા વર્ગની પરિસ્થિતિ પણ વિશિષ્ટ રીતની જ હોય.

રાજકીય રીતે ગામનું સરકારી તંત્ર એ જ મુખ્ય વસ્તુ. એનો પ્રભાવ પણ અનુભવાય. એમાં રાષ્ટ્રિયતા આવી અને એક નવી ઝલક આવી. એ માતર ગામમાંથી આમોદમાં ગયા પછી બન્યું અને ક્ષિતિજ ઘણી વિશાળ થઈ ગઈ. શહેરોની સભરતા ખૂબ અનુભવવા મળી, રાજકીય પ્રવાહોનાં મોટાં આંદોલનો જોવાં મળ્યાં અને સાહિત્યની સૃષ્ટિ પણ ધીરે ધીરે સ્પષ્ટ બની ગઈ. આધ્યાત્મિકતા તે પ્રચલિત મંદિરોના, ભજનમંડળીઓના, કેટલીક નાની મોટી આધ્યાત્મિક વ્યક્તિઓના સંપર્ક પૂરતી હતી, એને પોતાની તૃપ્તિ, રંગદર્શિતા અને તીવ્રતા હતી.

૨. તમારા ગામ વિશે—આસપાસના જીવન વિશે તમે કહ્યું એ બરાબર, હવે તમારાં માતાપિતાના તમારા પર પડેલા પ્રભાવ વિશે કાંઈક ખ્યાલ આપશો?

૨. મારો જન્મ ૨૨મી માર્ચ, ૧૯૦૮માં થયેલો. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના માતર ગામમાં. હું જન્મ્યો ત્યારે મારા દાદાનાં બા પણ હતાં. અને મારા કે જેને અમે ‘ગ’મા (ઘરડી બા) કહેતાં. દાદા અને દાદીમા, કે જેને અમે ‘ગ’મા (ઘરડી બા) કહેતાં. મારા બાપુ અને બા એમનું સ્થાન પ્રમાણમાં ગૌણ રહેતું. મારા બાપુએ મને રમાડ્યો હોય એવું મને યાદ આવતું નથી. એવું મારી બાને વિષે પણ. સામાન્ય રીતે બાળકો કુટુંબના મુખ્ય માણસોના હવાલામાં જ હોય છે. મારા દાદા શ્યામ વર્ણના હતા. એ કેશુરકાકા કહેવાતા. એ પોતાને લવાર કેશવ જેઠા લખતા. જેઠા દેવજી, દેવજી મોરાર એટલા પૂર્વજોનાં નામો બોલતા અમારા બાપુ એ એમનાં ઘણાં સંતાનોમાં મોંઘામોલું ઊછરેલું સંતાન હતું. તે અંબાજીની ખાસ પ્રસાદીરૂપે હતા. અમારા દાદા અને બા અંબાજીની જાત્રાએ જઈ આવેલાં, અમારા બાપુને લઈને. એ જમાનામાં અંબાજીની યાત્રા ઘણી મહાયાત્રા જેવી હતી. અમારા બાપુ એકવડિયા બાંધાના અને મૃદુ ચહેરાવાળા માણસ હતા. એમને બધા પોચિયો કહેતા. મારી બા, એનું નામ નવું પાડવામાં આવેલું કાશી. કાશીનું નામ ઊજમ હતું, પણ અમારી ઘરડી બાનું નામ પણ ઊજમ હતું એટલે આ નવું નામકરણ થયું. હમણાં હમણાં મેં મારી અને મારી બાની છબી સરખાવી જોઈ તો જણાયું કે એના ચહેરાની બધી મુખ્ય રેખાઓ તે મારી છે. અને હમણાં સાંભળવા મળ્યું કે છોકરાઓ માનો ચહેરો લઈને આવતા હોય છે અને છોકરીઓ પિતાનો. મારી સુધાને જોઉં છું ત્યારે આ પણ સાચું લાગે છે. બેશક સુધા ઘણી વધારે આગળ પડતી રેખાઓ લઈને આવેલી છે.

અમે ચાર ભાઈઓ છીએ, દરેકનું જુદું જુદું વ્યક્તિત્વ છે. ચહેરાઓની ભિન્નતા છે છતાંય સામ્ય પણ ઠીક ઠીક છે.

૩. તો સુન્દરમ્, તમે પ્રાથમિક અને તે પછીનું શિક્ષણ ક્યાં લીધું? એ વખતની શિક્ષણપદ્ધતિ અને જે શિક્ષકોએ તમારા બાલમાનસ પર પ્રભાવ પાડ્યો હોય એને વિશે કાંઈક જાણવાની ઇચ્છા છે.

૩. પ્રાથમિક શિક્ષણ માતરમાં જ થયું. ગુજરાતી ૧થી ૭ ધોરણ સુધીનું –પાંચથી બાર વર્ષ સુધીમાં. બીજાં પાંચ વર્ષમાં મેં અંગ્રેજી સાત ધોરણોનો અભ્યાસ પૂરો કર્યો. પ્રાથમિક શાળામાં લીધેલું ઉચ્ચ ધોરણોનું શિક્ષણ મને આમાં મદદરૂપ નીવડ્યું. અંગ્રેજી અભ્યાસ માટે આમોદ ગયો અને થોડા જ વખતમાં એટલે કે ૧૯૨૦માં અસહકારની મહાભરતી આવી ગઈ. હું એમાં મોખરે તરતો હતો. અમારી શાળાને રાષ્ટ્રિય શાળા બનાવી દેવામાં આવી. એડવર્ડ ઇંગ્લિશ સ્કૂલમાંથી રાષ્ટ્રિય શાળાનું પાટિયું મેં ચીતરેલું. આમોદમાં હું છાત્રાલયમાં (બોર્ડિંગમાં) રહેતો, અને જાહેર સભાઓ માટે થાળી પીટવી, ખાદી વેચવી, સરઘસો કાઢવાં એ બધું કામ અમારી બોર્ડિંગના વિદ્યાર્થીઓને માથે વિશેષ આવતું.

એ વખતની શિક્ષણપદ્ધતિ ચાલુ રીતની હતી. ટ્રેઇન્ડ શિક્ષકો જેવું કાંઈ હતું નહિ. માસ્તરને આવડે તેવું ભણાવે. અંગ્રેજી શાળામાં તો અમારા એક શિક્ષક કવિતાનો અર્થ કરતાં મૂંઝાયેલા ત્યારે મેં એમને એ ગૂંચમાંથી બહાર કાઢી આપેલા. એ લીટી હતી “જેને થાએ શરદી ગરમી થોડી રે અન્ય કરતાં” એ શિક્ષક ‘કરતાં’નો અર્થ ક્રિયાપદ તરીકે લેવાનો પ્રયત્ન કરતા અને અર્થ બેસતો ન હતો. મેં એમને કહ્યું કે આ તો બીજાની સરખામણીમાં એવો અર્થ થાય અને તે ખૂબ પ્રસન્ન થયેલા.

દરેક શિક્ષકનો નાનો મોટો પ્રભાવ હતો. માતરમાં એક માસ્તર લંગડા હતા. ધોબીનાં ધોયેલાં કડકડતાં કપડાં પહેરીને આવતા. પણ અમને તે ખૂબ જ મારતા. અમે વિદ્યાર્થીઓએ એમને માટે ખાસ જાજરૂ ખોદી આપેલું. એ સિવાયના દરેક શિક્ષકનાં નાનાં મોટાં મધુર સ્મરણો છે પણ એ ઘણો મોટો વિષય છે. ખાસ કરીને તો માતરમાંના તથા આમોદમાંના અમારા હેડમાસ્તરોનો પ્રભાવ ખાસ રહેલો છે. અમારા ગુજરાતીના એક શિક્ષક ખાસ યાદ છે. તે મધુર કંઠથી કવિતા ગાતા અને કે. હ. ધ્રુવે કરેલા ‘વિક્રમોર્વશીય’ના અનુવાદનું પુસ્તક રેલવેના પાટા પાસે બેસીને એક સાંજે એમણે વાંચેલું એ મને બરાબર યાદ છે. એમાંની એક લીટી આ હતી : દઈ દે દયિતા મારી ચોરી છે ચારુ ચાલ તેં.

આ બધા શિક્ષકોમાં એક ખાસ વ્યાસ સાહેબ હતા. એ સાયન્સના શિક્ષક હતા પણ એમનામાં એક મિસ્ટિકની પ્રેરક બાજુ હતી. એ પાણિનીનાં સૂત્રોથી માંડી દેવદેવાદિની અનેક વાતો કરતા, અને અનેક રીતે ભક્તિમાં લીન રહેતા. આમોદમાં અમારા છેલ્લા હેડમાસ્તર શ્રી પ્રાણશંકર ભટ્ટ હતા. તે વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના મામા થાય અને એમની દ્વારા મારો વિષ્ણુપ્રસાદ સાથેનો સંબંધ શરૂ થયેલો—પરોક્ષ રીતે. એ પ્રખર રાષ્ટ્રવાદી હતા અને જેલમાં ગયેલા. એમણે મને પોતાને ઘેર બોલાવીને ઘણું ઘણું શીખવેલું, ખાસ તો અંગ્રેજી અને ‘સરસ્વતીચંદ્ર’ જે અમારા અભ્યાસક્રમનો કોઈ વિષય ન હતો.

ભરૂચમાં શ્રી છોટુભાઈ પુરાણીની શાળા – ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ – માં ભણવા ગયો ત્યારે એમણે મને એક ભલામણપત્ર લખી આપેલો અને એમાં લખેલા ‘Promising Boy’ એ શબ્દો મને યાદ રહી ગયા હતા.

‘ભરૂચમાં અમારા વિનયમંદિરના બધા અધ્યાપકો વિશિષ્ટ વ્યક્તિત્વવાળા હતા. ગિરધરલાલ શેઠ એ અમારા ગણિતના શિક્ષક અને વિદ્યાપીઠમાંથી સ્નાતક થઈને તાજા જ ભરૂચમાં આવેલા. શ્રી છોટુભાઈ પુરાણી એ અમારા આચાર્ય અને એમના લાંબા ઝભ્ભામાં તેમનું એક પ્રભાવશાળી વ્યક્તિત્વ અનુભવાતું. એ અમારો વર્ગ ઊભા ઊભા જ લેતા. અમે વિદ્યાર્થીઓ નીચે ભોંય પર નાના ઢાળિયા પાસે બેઠેલા હોઈએ અને એમની હરતીફરતી આકૃતિ અંગ્રેજો સામે પ્રચંડ ઉદ્ગારો કાઢતી હોય. વિશ્વનાથ ભટ્ટ અમારા ગુજરાતીના અધ્યાપક. તે આવીને સીધા શિક્ષકના બાજઠ પર બેસે અને એમનું સ્થિર મસ્તક માંડમાંડ ડાબું કે જમણું ફરે. સ્મિત પણ ભાગ્યે જ દેખા દે. એકધારા શાંત અવાજે તે ભણાવે જાય. એમણે મને અમદાવાદમાં લેવાતી ગુજરાતી સાહિત્યની પરીક્ષા માટે પ્રોત્સાહન આપી તૈયાર કરેલો.

બોટાદકરની ‘નિર્ઝરિણી’, ‘રણજિતકૃતિ સંગ્રહ’, ‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’ – એ પુસ્તકોનો અભ્યાસ એમણે કરાવ્યો. હું પરીક્ષામાં પાસ થયો, જેને માટે રમણભાઈ નીલકંઠના હસ્તાક્ષરવાળુ પ્રમાણપત્ર મને મળેલું. એ હજુ પણ જળવાઈ રહ્યું છે.

૪. શૈશવમાં તમે શું વાંચતા? તમારા ચિત્ત પર અસર કરનાર પુસ્તકો અને સર્જકો વિષે કાંઈ કહેશો?

૪. નિશાળના પાઠ્ય પુસ્તકો એ જ માત્ર વાચન રહેતું, જે નિશાળ સિવાય બીજે ભાગ્યે જ વંચાતાં. લોકોનાં ઘરોમાં પણ ભાગ્યે જ કોઈ પુસ્તકો હોય. પણ મારો એક ભાઈબંધ બેચાર ચોપડીઓ લઈ આવેલો, એમાં હતી સદેવંત સાવળિંગા અને ગજરામારુની વાતો. ઘાસલેટના ખડિયાના આછા અજવાળામાં એ વંચાતી. પેલો ભાઈબંધ સારો એવો રાગ કાઢીને વાંચતો. થોડાં વર્ષો પછી એ ‘મેઘદૂત’નું ભાષાંતર પણ લઈ આવેલો–કિલાભાઈ ઘનશ્યામનું. એમાંનાં ચિત્રો જોતાં જોતાં મેં એ અપૂર્વ રસથી વાંચેલું. વળી એક મણિકાંત કાવ્યમાળા પણ હતી. પછી તો ભક્તોનાં ચરિત્રોનાં ઘણાં પુસ્તકો વાંચવા મળ્યાં. આમોદમાં ગયા પછી પુસ્તકોની દુનિયા ખૂલી ગઈ. બોર્ડિંગના કબાટમાં હતાં તે બધાં જ પુસ્તકો વાંચી નાખ્યાં, એમાં સસ્તા સાહિત્યનાં ઘણાં પુસ્તકો હતાં. એમાં ખાસ તો ‘ચન્દ્રાકાન્ત’ હતું. એના ત્રણ ભાગ હતા. ત્રીજો ભાગ એવો દુર્લભ હતો કે તે આખો મેં ઉતારી લીધેલો. કલાપી અને ‘સરસ્વતીચંદ્ર’ પણ આ વખતે આવી ગયાં ને મારા એક મિત્રને કાગળ લખવામાં કલાપીની પંક્તિઓ હું ભરચક વાપરતો.

૫. તો બાળપણમાં શું થવાનું–કરવાનું તમારું સ્વપ્ન હતું?

૫. સ્વપ્ન નહીં જેવું હતું. બહુ બહુ તો નિશાળના માસ્તર થવું, એથી વધારે વિચાર નહીં આવતા. મોટા થયા પછી ઘણાં ઘણાં સ્વપ્નો આવ્યાં. એમાં એક આકર્ષક સ્વપ્ન હતું અમારા ગામમાં ઘેર ઘેર રેંટિયો કંતાતો ચાલુ કરી દેવાનું.

૬. ગુજરાત વિદ્યાપીઠમાં દાખલ થવાનું તમારું શું પ્રયોજન હતું?

૬. ભરૂચમાંની અમારી શાળા ગુજરાત વિદ્યાપીઠ સાથે જોડાયેલી રાષ્ટ્રિય શાળા હતી અને એની વિનીતની પરીક્ષામાં વધારે માર્ક મેળવનાર વિદ્યાર્થી હું હતો એટલે મને આગળ ભણાવવાનું કામ બધાઓએ જાણે ઉપાડી લીધું અને હું વિદ્યાપીઠમાં દાખલ થયો.

૭. તો સુન્દરમ્, તમે વિદ્યાપીઠમાં ક્યાં સુધી રહેલા? એ સમયની ગૂજરાત વિદ્યાપીઠમાં કેવું વાતાવરણ હતું?

૭. ગૂજરાત વિદ્યાપીઠમાં હું ૧૯૨૫થી ૧૯૨૯ સુધી રહ્યો. એ સમયનું ગૂજરાત વિદ્યાપીઠનું વાતાવરણ ખૂબ અનોખું હતું. રાષ્ટ્રિયતાની મૂર્તિમંત હવા આખા ગુજરાતમાં ત્યાં જ એક હતી. સત્યાગ્રહ સમયમાં ગાંધીજીને મળવા દુનિયાભરના લોકો આવતા, એ ઘણા ખરા બધા જ વિદ્યાપીઠમાં પણ આવતા. એટલે અમારું વાતાવરણ વૈશ્વિક જેવું હતું.

૮. તમારા વ્યક્તિત્વ ઉપર પ્રગાઢ અસર કરી હોય એવા ગૂજરાત વિદ્યાપીઠના કોઈ પ્રસંગો ખરા?

૮. આમ તો વિદ્યાપીઠનાં ચારેય વર્ષ પ્રગાઢ અસર કરનારાં હતાં. પણ એમાં બહારની વ્યક્તિઓ આવે તે તેજસ્વી બિંદુઓ જેવી બની રહેતી. અમારા અધ્યાપન દરમ્યાન પણ ઘણી વિશિષ્ટ પરિસ્થિતિઓ રચાતી. સૌથી પહેલું તો ગાંધીજી અમુક વખત દર શનિવારે આવીને કાંઈક વાંચતા, એ ખૂબ મઝાના દિવસો બનતા. પછી એકાદ માસ એ વિદ્યાપીઠમાં પણ રહેલા. એક ખાસ પ્રસંગ તે ગૂજરાત વિદ્યાપીઠ માટેની વિચારણા સમિતિ નિમાયેલી તે છે અને તેમાં આનંદશંકર ધ્રુવ વિદ્યાપીઠમાં આવતા, એ એમનું આગમન ખાસ નોંધપાત્ર બનેલું. બીજો પ્રસંગ તે બારડોલીના સત્યાગ્રહનો હતો, ત્રીજો પ્રસંગ તે રેલસંકટ આવેલું ત્યારે અમે રાહતકાર્ય માટે ગએલા વૌઠાનો મેળો જોવાને, કહો કે તેમાં કામ કરવાને ગયેલા તે પણ ખૂબ સ્મરણીય છે.

૯. ગૂજરાત વિદ્યાપીઠમાં કયા અધ્યાપકોએ તમારા ઉપર વિશેષ પ્રભાવ પાડ્યો? તમે કોના અંતેવાસી બન્યા?

૯. આમ તો અમારા બધા અધ્યાપકો પોતપોતાનો પ્રભાવ ધરાવતા. અમારા આચાર્યોમાં આચાર્ય ગિદવાણી, કૃપાલાની અને કાકાસાહેબ હતા. રા. બ. આઠવલે અને હરિનારાયણ આચાર્ય સંસ્કૃતના અધ્યાપકો હતા. પુરાતત્ત્વના અધ્યાપકોમાં શ્રી રસિકલાલ પરીખ અને પંડિત સુખલાલજી પાસેથી અમારે સંસ્કૃત ભણવાનું થયેલું. ગુજરાતીના અધ્યાપકોમાં ખાસ રા. વિ. પાઠક—પાઠકસાહેબ—અને નરહરિ પરીખ હતા. હું અંતેવાસી તો કાકાસાહેબનો બન્યો એમ કહેવાય.

૧૦. કાકાસાહેબના વ્યક્તિત્વ વિષેની આપની છાપ વર્ણવશે?

૧૦. કાકાસાહેબ વિષે મેં પૂરતા વિસ્તારથી લખ્યું છે. ‘સમર્ચના’માં મારો લેખ તમને મળશે. બાહ્ય રીતે ઘણાં અસંતોષકારક તત્વો ધરાવતું એમનું વ્યક્તિત્વ ઘણી આંતરિક સમૃદ્ધિવાળું હતું અને તે સમૃદ્ધિ ખૂબ રોચક અને પોષક નીવડે તેવી હતી. એમના અ–ગુજરાતી ઉચ્ચારોવાળી ગુજરાતી પણ આહ્લાદક લાગતી, એની પાછળની રસવત્તાને લઈને.

૧૧. તમે ગાંધીજીના પરિચયમાં આવેલા, એમના વિશેની તમારી છાપ એ વખતે કેવી હતી? એમની સત્યાગ્રહની પ્રવૃત્તિ વિષે ત્યારે તમે શું વિચારતા હતા?

૧૧. ગાંધીજીના પરિચયમાં તો આવેલો જ. પણ તે બાહ્ય રીતે ઘણા અલ્પ પ્રમાણમાં. સૌથી પહેલાં તેમને આમોદમાં એક જાહેર સભામાં જોયેલા, સાંભળવાનો તો પ્રશ્ન જ ન હતો. ગાંધીજીનાં જાહેર ભાષણો બહુ જ થોડાં સાંભળેલાં. એ ભાષણોએ મારા પર બહુ અસર કરેલી નહિ. એમની નિકટ બેસીને એમનું વ્યક્તિત્વ અનુભવવાના થોડાએક પ્રસંગો બનેલા. એમની ચેતના જગતમાં વ્યાપક રીતે કામ કરતી હતી એને વિશે હું બહુ વિચાર નહોતો કરતો. એમના વ્યક્તિત્વની ચમક પણ જોવા મળેલી. અમારી વચ્ચે મોટામાં મોટો વ્યવહાર થયેલો હોય તો તે એમણે મને અમારા સ્નાતક થયાના પદવીદાન પ્રસંગે પહેરાવેલો તારાગૌરી રૌપ્યચંદ્રક હતો.

એમની સત્યાગ્રહની પ્રવૃત્તિ મને જીવનના ઉત્તમ પુરુષાર્થ રૂપે અને કર્તવ્ય રૂપે લાગેલી. એમાંથી જેટલા દૂર હોઈએ તેટલું જીવન મારે માટે ન પુરાય તેવું નુકસાન છે એમ થયેલું અને મેં એમાં પૂરેપૂરું ઝંપલાવી દીધેલું. એમણે એ પ્રવૃત્તિનું પૂરેપૂરું વિસર્જન કર્યું ત્યારે જ મેં એનું વિસર્જન કર્યું.

૧૨. ગૂજરાત વિદ્યાપીઠ ક્યારે છોડી? શા માટે? એ છોડતાં તમોને કેવી લાગણી થયેલી?

૧૨. ગુજરાત વિદ્યાપીઠ ૧૯૨૯માં મારો અભ્યાસ પૂરો કરીને છોડી. એ છોડવી પડે છે એમ સહેજ લાગેલું તો ખરું, પણ વિદ્યાપીઠ સાથે સંબંધ ચાલુ રાખવાની કોઈ પરિસ્થિતિ ન હતી. હા, સ્નાતકસંઘ તરીકે અમે મળતા રહેતા.

૧૩. સમગ્રતયા તમારા વ્યક્તિત્વ–ઘડતરમાં વિદ્યાપીઠનો શો મહિમા છે?

૧૩. વિદ્યાપીઠમાં ગાળેલાં ચાર વર્ષમાં અનેક રીતે ઘડાઈને જીવનની યાત્રા કરવા માટે, જીવનનો સંગ્રામ ખેલવા માટે બુદ્ધિથી, હૃદયથી અને શરીરથી પણ હું તૈયાર થઈ ગયો.

૧૪. તમે કવિતાના સ્વરૂપ પ્રત્યે કઈ રીતે આકર્ષાયા અને એના સર્જન તરફ કઈ રીતે વળ્યા?

૧૪. કવિતાનો લય, અર્થમાધુર્ય, ચારુત્વ મને નાનપણમાં જ સ્પર્શી ગયેલાં અને એના પડઘારૂપે બાલપણથી જ કાંઈ કાંઈ જોડાવા લાગેલું. લખવાનું કામ તો મોટી ઉંમરે થયું.

૧૫. તમારી પ્રથમ કાવ્યકૃતિ કઈ? એ ક્યાં પ્રગટ થયેલી? અને તે ‘સુન્દરમ્’ કે ‘ત્રિભુવનદાસ લુહાર’ની સહીથી? તમારાં તખલ્લુસો વિષે કંઈ કહેશો?

૧૫. મારી પ્રથમ નોંધપાત્ર કૃતિ ‘તે વડલાની ડાળનો હીંચકો’ કહેવાય, જે શાળાના હસ્તલિખિત અંકમાં છપાયેલી. તખલ્લુસ તો હોવું જ જોઈએ એવું પહેલેથી જ મનમાં ગોઠવાઈ ગયેલું અને તે માટેની શોધ પણ તીવ્ર રીતે થવા માંડેલી. ‘વિશ્વકર્મા’, ‘મરીચિ’ જેવાં બે-એક ઉપનામો અજમાવ્યા પછી ‘સુન્દરમ્’ હાથ આવી ગયું. કેવી રીતે એ બધા જાણે છે.

૧૬. તમારા કવિતાલેખનમાં કોણે પ્રેરણા આપી?

૧૬. કવિતાએ પોતે જ. અને પછી અમુક કવિઓએ.

૧૭. કવિતાના સર્જન અંગે તમારી કોઈ પ્રવૃત્તિ રહેલી છે ખરી?

૧૭. ૧૯૩૫માં અમદાવાદમાં રહેવા આવ્યો–જ્યોતિસંઘમાં કાર્યકર્તા તરીકે—ત્યારે કુમાર કાર્યાલયમાં શ્રી બચુભાઈ રાવતના હૂંફાળા વાતાવરણમાં થોડાક કવિઓ મળતા હતા, દર બુધવારે. પછીથી એ વસ્તુ અમારી ‘બુધસભા’ તરીકે જાણીતી થઈ. એમાં આવનારાઓ પોતપોતાની કૃતિઓ લઈ આવતા અને તેને વિશે અમે ચર્ચા, ચિંતન, વિમર્શ કરતા. એમાં થોડો વખત અમે સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો પણ અભ્યાસ કરેલો, ખાસ તો ‘ધ્વન્યાલોક’નો. ૧૯૪૦ પછી હું સ્વસ્તિક સોસાયટીમાં રહેવા ગયો અને આ બુધસભામાં જવાનું ઓછું થઈ ગયું. બુધસભા તો ચાલુ રહેલી છે.

૧૮. તમારા સર્જનકાળના આરંભે કયા કયા ગુજરાતી કવિઓનો તમારા ઉપર પ્રભાવ પડેલો? તમારા મનમાં કેવા કવિ થવાની ખ્વાહેશ હતી?

૧૮. મારા મનમાં કાન્ત, ન્હાનાલાલ, બળવંતરાય થવાની ખ્વાહેશ હતી.

૧૯. તમે કવિ ન્હાનાલાલના પરિચયમાં આવેલા? તેમનાં અંગત સ્મરણો વર્ણવશો? ન્હાનાલાલના ગાંધીજી અને વિદ્યાપીઠ સાથે કથળેલા સંબંધો વિષે તમારો પ્રતિભાવ કહેશો?

૧૯. ન્હાનાલાલના પરિચયમાં હું આવ્યો છું. તેમનાં અંગત સ્મરણો મેં તાજેતરમાં લખેલા એક લેખમાં છે. ન્હાનાલાલના ગાંધીજી સાથેના કથળેલા સંબંધો વિષે પણ મેં એ લેખમાં લખ્યું છે.

૨૦. એ જ રીતે બળવંતરાય ઠાકોર અને એમની કવિતા સાથેના તમારા સંબંધ વિષે કંઈ કહેશો?

૨૦. એમની રીતની કવિતા લખવાનું મને બહુ અનુકૂળ લાગેલું. એમની સાથે અંગત સંબંધ પણ અનાયાસે રચાઈ ગયો. એક રીતે કહીએ તો એમણે પોતે જ એ સંબંધ બાંધેલો. એમની કાવ્યદૃષ્ટિના સત્યની સ્થાપના વધુ ને વધુ થાય અને ગુજરાતી કવિતાનો વિકાસ ઇષ્ટ દિશામાં થાય એ માટે તેઓ અમારો ઉપયોગ કરવા માગતા હતા એવું પણ તેમણે વિનમ્ર ભાવે એક વખતે સ્વીકારેલું. એમની પ્રકૃતિમાં ઉગ્રતા ઘણી રહેતી હતી. તે વિશે તેઓ સભાન પણ હતા; અને એવા ઉભરાઓ પછી તેઓ ક્ષમા પણ માગી લેતા કે ‘મારો સ્વભાવ એવો છે કે ગમે તેવા સંબંધો કથળી જાય.’ છેવટે તો એમ પણ કહેતા કે ‘દયામાયા ચાલુ રાખજો.’

૨૧. બળવંતરાયનો અજ્ઞેયવાદ અને તમારી શ્રી અરવિંદ દર્શન અંગેની પ્રતિબદ્ધતા તમારા પારસ્પરિક સંબંધમાં આડે આવેલી ખરી?

૨૧. બળવંતરાયના અજ્ઞેયવાદથી અમારી સાથેના સંબંધમાં કંઈ આડે આવ્યું નથી. ઊલટું એને લીધે એક મઝાની ચમક ઉમેરાયેલી હતી અને તેમનો અજ્ઞેયવાદનો કિલ્લો બહુ સલામત નથી એમ તે અનુભવતા થયા હતા.

૨૨. ગુજરાતી સાહિત્યમાં સુંદરમ્ – ઉમાશંકરનો ઉલ્લેખ એક યુગ્મ તરીકે થતો આવ્યો છે, એ તમને યોગ્ય જણાય છે? શા માટે?

૨૨. એમાં કંઈ ખોટું નથી કેમકે એ દિવસોમાં અમે ઘણું સાથે રહેલા છીએ અને અમારી લખાતી રહેલી કવિતાને સાથે રહીને લોકો સમક્ષ રજૂ કરતા રહ્યા હતા. પણ એ બાહ્ય પરિસ્થિતિ પર વધુ પડતો ભાર મૂકવાની જરૂર નથી.

ર૩. ઉમાશંકરનો પરિચય તમને ક્યારે થયો? તમારી એમની સાથેની મૈત્રી વિશે કંઈ કહેશો?

૨૩. ઉમાશંકરનો પરિચય મને ૧૯૩૦ના સ્વાતંત્ર્યસંગ્રામમાં થયો. વિસાપુર જેલમાં પણ અમે સાથે હતા. આવો મૈત્રીભાવ મેં ઓછો અનુભવ્યો છે. જીવનની કેટલીક પાયાની અવસ્થામાં અમે ઘણા આત્મીય જેવા રહેલા છીએ. પરસ્પરની પ્રવૃત્તિના વિકાસને અમે સ્નેહભાવથી અનુભવતા રહ્યા છીએ.

૨૪. કવિતામાં તમે અને ઉમાશંકર એકબીજાના પ્રેરક – પૂરક રહ્યા છો? શી રીતે?

૨૪. હા, એમ કહી શકાય. અમે પરસ્પરનાં સર્જનો વાંચતા અને એકબીજાને અનુમોદતા, વધાવતા પણ ખરા. કેટલીક વાર એમની દૃષ્ટિ મને પર્યાપ્ત જણાતી નહિ, પણ એ વિષયને મેં બાહ્ય ચર્ચામાં લઈ આવવાની જરૂર જોઈ ન હતી.

૨૫. વ્યક્તિ ઉમાશંકર વિષે તમારો શો અનુભવ છે?

૨૫. ઉત્તમ. એમના વ્યક્તિત્વનાં બધાં પાસાં મને આહ્લાદકારી બનેલાં છે.

૨૬. કવિ ઉમાશંકર વિષે તમે શું માનો છો?

૨૬. એ નખશિખ કવિ છે. જોકે કેટલીક રચનાઓ મને પર્યાપ્ત લાગેલી નથી–વિવિધ દૃષ્ટિએ.

૨૭. વિવેચક વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ “ઉમાશંકર આજના આંતર વિસંવાદના પ્રતિનિધિ છે; સુન્દરમ્ સાચા ભક્ત અને મુમુક્ષુ છે” એમ લખ્યું છે એ વિષે તમારો શો પ્રતિભાવ છે?

૨૭. જોકે મને ભક્ત કે મુમુક્ષુ શબ્દો બહુ વાસ્તવિક નથી લાગતા. આવી રીતે માણસના વ્યક્તિત્વને ખાનામાં મૂકીને જોવું એ સત્યને બહુ ન્યાય કરતું નથી.

૨૮. ગુજરાતી સાહિત્યને મહાકાવ્ય આપવા માટે વિષ્ણુપ્રસાદે તમારી અને ઉમાશંકરની ઉપર મીટ માંડેલી, એ વિષે તમે શું માનો છો?

૨૮. એ મને બહુ ગમેલું છે, પણ એમાં મુગ્ધતા વધારે રહેલી છે; કારણ કે કોઈ પણ સર્જન કે આવું મહાકાવ્યનું સર્જન એ વ્યક્તિની અંગત અભીપ્સા પર આધાર રાખતું નથી. કાળનાં અનેક પરિબળો કોઈ સર્જનક્ષમ્ય વ્યક્તિનો આશ્રય લઈને પોતાની અભિવ્યક્તિ સાધે છે.

૨૯. ગુજરાતીમાં મહાકાવ્ય રચવાનો તમે પ્રયાસ કર્યો છે? હજુ પણ એ કરવાનો તમારો ખ્યાલ છે? ગુજરાતીમાં મહાકાવ્યના સર્જનની કેવી શક્યતા છે?

૨૯. કોઈ પણ કવિતા માટે મેં પ્રયાસ કર્યા નથી, જોકે ‘ધ્રુવપદ ક્યહીં’, ‘આ ધ્રુવપદ’, ‘મનુજ પ્રણય’ એમાં મેં અમુક તત્ત્વને વિચારની સર્જનાત્મક ભૂમિકા પર મૂકવાનો પ્રયત્ન કર્યો છે અને તે સફળ પણ થયો છે એમ માનું છું. મહાકાવ્ય રચવાનો કશો કાર્યક્રમ નથી. અત્યારે આપણી પાસે જે મહાકાવ્યો છે, શ્રી અરવિંદનું મહાકાવ્ય ‘સાવિત્રી’ પણ એમાં ગણી લેવાનું, એ માનવજાતિ માટે પૂરતાં છે. ગુજરાતીમાં મહાકાવ્યના સર્જનની શક્યતાનો પ્રશ્ન જ નથી. ગુજરાતીમાં મહાકાવ્ય અંગે જે પ્રયત્નો થયા છે તેમાં સર્જનની પ્રેરણા કરતાં વાસનાનું તત્ત્વ વધારે રહેલું છે, જે જરાકે પણ મદદરૂપ થાય તેવું નથી. બેશક, ગુજરાતીમાં—કોઈ પણ ભાષામાં—મહાકાવ્ય લખી શકાય.

૩૦. સુન્દરમ્, મહાકાવ્ય રચવાનો તમારો કશો કાર્યક્રમ નથી તો પછી એક કવિ તરીકે તમારો પુરુષાર્થ શું સિદ્ધ કરવાનો રહ્યો છે? એ દિશામાં શું થઈ શક્યું છે?

૩૦. કાવ્યકૃતિ તરીકે સ્વીકારી શકાય તેવી રચના કરવાનો. એ દૃષ્ટિએ પૂરતું કામ થયું છે. મને લખવાની પ્રેરણા થાય ત્યારે નાનું મોટું કે અસાધારણ કે લાક્ષણિક એવા કોઈ પણ ભાવમાં ગૂંચવાયા વિના એ પ્રેરણાને હું સાકાર કરું છું. એનું પૂરતું સંતોષકારક પરિણામ ન આવે તો નિરાંતે એ લખેલું બાજુએ મૂકી દઉં છું. મારાં કેટલાંક કાવ્યોને “કાચાં કાવ્યો” તરીકે પ્રસિદ્ધ કરવાની એક ગમ્મત પણ સૂઝેલી છે.

૩૧. તમારી વાસ્તવવાદી કવિતા વિષે આજે તમને શું લાગે છે?

૩૧. વાસ્તવવાદી વિશેષણ વધારે પડતું સ્થૂલ છે. બેશક ન્હાનાલાલની કેવળ ઊર્મિના લપેડાવાળી કેટલીક રચનાઓથી કવિતાને જુદી પાડવાને માટે આ વિશેષણ વાપરી શકાય તેમ છે. જોવાનું તો માત્ર એટલું જ છે કે કૃતિનું કાવ્યાત્મક સ્વરૂપ બંધાય છે કે નહિ. ‘અર્વાચીન કવિતા’માં મારાં અવલોકનોમાં હું આ વસ્તુને અનુસર્યો છું.

૩૨. તમે પ્રગતિશીલ સાહિત્યના આંદોલન સાથે પણ સંકળાયેલા હતા, આજે એ અંગે તમે શું માનો છો?

૩૨. ‘પ્રગતિશીલ’ શબ્દ એ વખતની હવામાંથી આપણે ત્યાં ઊતરી આવેલો અને મારા સાથીદારોના ઉત્સાહને ખંડિત ન કરવા દેવા માટે મેં તેમને સાથ આપેલો. આજે તેમ જ તે વખતે પણ ‘પ્રગતિશીલ’ શબ્દ વાપરવાથી કાવ્યના નિર્માણમાં આપણે કશું કીમતી તત્ત્વ ઉમેરી આપતા નથી.

૩૩. ત્રીસીના સમયમાં સામાજિક અને રાજકીય સભાનતાથી પ્રેરાઈને તમે ઘણી રચનાઓ કરેલી. આજે એમ કરવું તમને કેમ નથી ગમતું? એવું કરવું જોઈએ એમ તમે સ્વીકારો છો?

૩૩. સામાજિક અને રાજકીય સભાનતા ઉપરાંત જુદા પ્રકારની અને વધુ ઉચ્ચ સ્તરની સભાનતા પણ રહેલી છે. અને એનો પ્રકાર પણ સત્ય હોય છે. સામાજિક અને રાજકીય સભાનતાથી આપણે પૂરતું કામ કરી લીધું છે. હવે એવી કોઈ આવશ્યકતા રહી નથી.

૩૪. તમે તમારાં ‘સ્નેહની કડી’, ‘તને મેં ઝંખી છે’, ‘ધ્રુવપદ ક્યહીં’ અને ‘ધ્રુવપદ અહીં’, ‘અહીં તે છે’ એ પાંચ કાવ્યોને અગાઉ ઉત્તમ ગણાવ્યાં છે, અને ‘એક કિલ્લાને તોડી પડાતો જોઈને’ અને ‘મનુજ પ્રણય’ને નોંધપાત્ર લેખ્યાં છે. ત્યારબાદની તમારી રચનાઓમાંથી તમને બીજી કઈ ઉત્તમ લાગી છે? તમારા અગાઉના અભિપ્રાયમાં ફેરફાર કરવાનું તમને મન છે?

૩૪. એ તો બધું સારું છે. પણ મને તો લાગે છે કે બાળકોને માટે લખાયેલું ‘પગલાં’, ‘કડવી વાણી’માં મુકાયેલું ‘ત્રણ પાડોશી’ અને ‘કાવ્યમંગલા’માંનું ‘બુદ્ધનાં ચક્ષુ’ એ ત્રણ કાવ્યો જ માત્ર મેં લખ્યાં હોત તો એટલું માત્ર પણ મારા કવિકર્મ તરીકે પૂરતું રહે તેમ છે.

૩૫. અત્યારે સર્જાતી ગુજરાતી કવિતા વિષે તમારો શો પ્રતિભાવ છે?

૩૫. અત્યારની ગુજરાતી કવિતા બહુ સંતોષકારક રીતે આગળ વધી રહી છે. માત્ર કેટલાક કવિઓમાં જ કંઈક અનોખું કરવાની વાસના–લાલસા કામ કરે છે, પણ એવી રીતે લખાયેલી કવિતા સમય જતાં નામશેષ થઈ જશે.

૩૬. એક સારા કવિ પાસે તમે કઈ કઈ સજ્જતાની અપેક્ષા રાખો?

૩૬. આ ઘણો જ મહત્ત્વનો પ્રશ્ન છે. કવિએ પોતાની જાતને પોતે જેટલું કંઈ સમજી શકે તેટલી ઉચ્ચ અવસ્થામાં રાખવી જોઈએ. કાવ્યકલાની જેટલી સમજ–જ્ઞાન આપણને વારસામાં મળેલાં છે તે વારસાને પચાવવો જોઈએ. અત્યારના અછંદની રીતે લખતા કવિઓ સારાય ભૂતકાળ તરફથી મોં ફેરવી લેતા હોય એમ લાગે તો એ વિકાસ બહુ ઇષ્ટ નથી. એમાં કેટલું દારિદ્રય આવી જાય તેમ છે એની આપણે સૌએ સતત શોધ કર્યા કરવાની રહે છે.

૩૭. કવિતા ઉપરાંત અન્ય સાહિત્યસ્વરૂપોમાં તમે જે કામ કર્યું એ કઈ અનિવાર્યતાથી? ક્યાં સ્વરૂપોનું તમને આકર્ષણ રહ્યું છે?

૩૭. અન્ય સાહિત્યસ્વરૂપો પણ મેં કવિતાની જેમ જ સહજ રીતે હાથમાં લીધાં છે, અને એ દરેકને માટે મેં પૂરતો પુરુષાર્થ કર્યો છે. દરેક સ્વરૂપની પોતપોતાની અનન્યતા હોય છે. આકર્ષણનો પ્રશ્ન રહેતો નથી, પણ એ સ્વરૂપ ખેડાયાનો આનંદ રહે છે.

૩૮. તમારી અગાઉની વાસ્તવલક્ષી વાર્તાઓને બદલે ‘કુસુમ્બી સાડી’, ‘એઈ દિકે’, ‘તારક હારિણી’ કે ‘તારિણી’ જેવી વાર્તાઓ લખવા તમે કેમ પ્રેરાયા? એ કુળની બીજી વાર્તાઓ હમણાં લખાઈ છે?

૩૮. એવી વાર્તાઓ લખવાની મને ખાસ પ્રેરણા થયેલી. એમાં કાંઈક લોકોત્તર તત્ત્વ આવે છે એમ મેં અનુભવ્યું છે. આવી બીજી વાર્તાઓ લખવાનું હમણાં બન્યું નથી. જોકે એ દિશામાંથી ધસારો તો ચાલુ છે.

૩૯. તમે નાટકના જેટલા અનુવાદ આપ્યા છે તેટલાં મૌલિક નાટકો રચ્યાં નથી એનું શું કારણ? નાટક એ કવિત્વનો–સર્જકતાનો છેડો લેખાય છે, એણે તમને કેમ ઓછા આકર્ષ્યા?

૩૯. મૌલિક નાટકો માટે જાણે કે સમયના અવકાશનો અભાવ રહ્યો હશે એમ માનું છું. નાટકને સર્જકતાનો છેડો ન કહી શકાય, અને નાટક લખવામાં કે કોઈ પણ બાબતમાં આકર્ષણનો પ્રશ્ન નથી રહેતો.

૪૦. સુન્દરમ્, તમે સર્જક ઉપરાંત વિવેચક પણ છો જ. ગુજરાતી સાહિત્યમાં વિવેચન એ સર્જન છે એની ખૂબ ચર્ચા થયેલી છે. આ અંગે તમારો સ્વાનુભૂત અભિપ્રાય શો છે?

૪૦. આ વિષય અંગે મેં એક લેખ લખ્યો છે – સર્જકોનું સંમેલન. એમાં આ વિષય વિસ્તારથી સ્પર્શાયો છે. મૂળ પ્રશ્ન એ છે કે સર્જનની ક્રિયા એટલે શું એ જાણી લીધા પછી અસ્તિત્વમાં આવતી દરેક વસ્તુના સ્વરૂપનો આપણે નિર્ણય કરી શકીએ, વિવેચન લખનાર ચિત્તની કઈ અવસ્થામાંથી લખે છે, પોતાના વિવેચનને કઈ રીતે બહલાવે છે એ બધા પરથી વિવેચનમાં આવતા સર્જકતત્ત્વનો ક્યાસ કાઢી શકાય.

૪૧. કોઈ પણ સર્જકના અંગત જીવનની વિગતો એના સર્જનના આસ્વાદનમાં કેટલે અંશે ઉપકારક થાય?

૪૧. ઉપકારક થાય પણ ખરી અને ન પણ થાય. કેટલીક વાર એ સર્જનને માટે તે ઘણી પોષક ભૂમિકા બની રહે છે અને કેટલીક વાર એ સર્જનને અપ્રસ્તુત વસ્તુઓ પણ લઈ આવે છે, અને જુદું જ વાતાવરણ ઊભું કરે છે.

૪૨. તમારા સમગ્ર સાહિત્ય પર પ્રભાવ પાડનારા પાશ્ચાત્ય અને ભારતીય લેખકો અને એમના થોડા ગ્રંથોનાં નામ આપશો?

૪૨. પ્રભાવ પાડનારા તો નહિ પણ મને ગમી ગયેલા, મારી ચેતનામાં સીંચાઈ ગયેલા અમુક લેખકો અને ગ્રંથો રહેલા છે. પાશ્ચાત્ય ગ્રંથોમાં સહેલાઈથી ‘ગોલ્ડન ટ્રેઝરી’, ‘ગોલ્ડન બુક ઑફ સૉનેટ’, બાયરનનું ‘ચાઈલ્ડ હેરૉલ્ડ’, મિલ્ટનનું ‘પેરેડાઈઝ લૉસ્ટ’, વિકટર હ્યુગોનું ‘લે મિઝરાબ્લ’, ગોલ્ડસ્મિથનું ‘ડેઝર્ટેડ વિલેજ’, શેક્સ્પિઅરનાં થોડાંક નાટકો–મૅકબેથ, હેમ્લેટ; બ્રાઉનિંગની કવિતા, ટૉમસ હાર્ડીની કવિતા, ટેનીસનની પણ ખરી, ખાસ તો શેલી અને કીટ્સ, જ્યોર્જ મેરેડિથ, જ્હોન ગાલ્સવર્ધી, રોમેરોલાં, ઈબ્સન, મૌલિક વિવેચક આઈ. એ. રિચાર્ડ્સ – એ બધું મૂકી શકાય.

ભારતીય લેખકોમાં કાલિદાસ અને ભાસથી શરૂઆત કરવી જોઈએ. એ બંનેનું લગભગ બધું વંચાઈ ગયેલું. રામાયણ અને મહાભારત તો હોય જ. પણ એને વ્યવહાર–ભૂમિકા ઉપર લાવી ન શકાય. ‘ગીતગોવિંદ’, બાણની કાદમ્બરી, ઉપનિષદો પણ ખરાં. ભાગવત્ સાવ અસ્પૃશ્ય જ રહી ગયેલું છે. એ પછી આવે ટાગોર, શરદબાબુ, ગાંધીજી પણ ખરા. આખી આશ્રમ ભજનાવલિ અને છેવટે શ્રી અરવિંદ – એમના સર્વતોભદ્ર રૂપે. ખાસ તો એમના બે ગ્રંથો – ‘ફ્યુચર પોએટ્રી’ અને ‘સાવિત્રી’ મહાકાવ્ય, આમાંના ઘણા મહાનુભાવોને મેં મારાં કાવ્યોના વિષયો પણ બનાવેલા છે.

૪૩. શ્રી અરવિંદ પ્રત્યે તમે શા માટે આકર્ષાયા અને ક્યારે?

૪૩. એ આકર્ષણ. ખાસ તો ૧૯૩૦–૩૧માં થયું. તે વખતે અમે સ્વાતંત્ર્યસંગ્રામના ખેલાડીઓ હતા. એમાં જ્યારે સાંભળવામાં આવ્યું કે શ્રી અરવિંદ એમ કહે છે કે તમારા બધાની પાછળ પ્રેરણા તરીકે હું કામ કરું છું ત્યારે હું છંછેડાઈ પડેલો. અમારું કર્તૃત્વ, એની પાછળ પ્રગટ પ્રેરણા તો ગાંધીજીની હતી અને એ પૂરતું સ્વપ્રતિષ્ઠિત હતું. અમારે કોઈના ટેકાની જરૂર ન હતી.

એમાં પછી અમુક સમયે અમારા એક જોરદાર કાર્યકર્તા એક ઠેકાણે બેસી જઈ શ્રી અરવિંદનાં પુસ્તકો વાંચવા લાગ્યા ત્યારે મને કોઈ અવનવી લાગણી થએલી અને હું શાંત થઈ ગયેલો. સ્વાતંત્ર્યસંગ્રામ પૂરો થયો. ગાંધીજીએ પોતાનું કર્તૃત્વ કે નેતૃત્વ સ્વાતંત્ર્યસંગ્રામમાંથી સંકેલી લીધું ત્યારે મારે માટે પુરુષાર્થનું ક્ષેત્ર જાણે સંકેલાઈ ગયું. ગાંધીજી સાથે અમારા વિદ્યાપીઠના સમયથી ઊંડો આંતરિક સંબંધ પણ ખરો, એને માટે આધ્યાત્મિક શબ્દ વાપરી શકાય પણ એ નહિ વાપરીએ, એટલે ગાંધીજી આત્માના પ્રદેશની જે જે પ્રવૃત્તિ આદરતા તેમાં પણ મને ઊંડો રસ રહેતો. આત્મશક્તિ દ્વારા તેઓ જીવનને સંચાલિત કરવા માગતા હતા, એ પ્રયોગ કે પ્રવૃત્તિ મને બહુ મહત્ત્વની લાગતી હતી અને તેની સાથે પણ હું પૂરેપૂરું અનુસંધાન રાખતો હતો. પણ ગાંધીજીએ રાજકીય પ્રવૃત્તિને ૧૯૩૫માં સ્થગિત કરી દીધી ત્યાર પછી હું એક શૂન્ય જેવી સ્થિતિમાં મુકાઈ ગયો. એમણે રચેલું આંતરિક કાર્ય પણ બહુ મદદરૂપ ન રહ્યું. એ પછી ગાંધીજીએ પાછા ભારતના મહાન પ્રશ્નોને ઉકેલવાના ભગીરથ પ્રયત્નો કરવા માંડ્યા, જેમાં મુખ્ય હતા – હિંદુમુસ્લિમ એકતા અને હિંદની સ્વતંત્રતા. એમની હરિજન પ્રવૃત્તિ એ ભારતના જીવનનો કોઈ સળગતો તાત્કાલિક પ્રશ્ન ન હતો, અને ૧૯૪૨માં ગાંધીજીએ જાણે કે પોતાનું સર્વસ્વ આ પ્રશ્નોના ઉકેલમાં હોમી દીધું.

આ દરમિયાન હું પ્રથમ ૧૯૩૫માં મારા દક્ષિણના પ્રવાસના અંગરૂપે પોંડિચેરી પણ જઈ આવ્યો અને એ પ્રથમ સ્પર્શની અદ્ભુત અનુભૂતિ લઈ આવ્યો, પણ તે કોરી પાટી ઉપર મનોહર મીડું ચીતરતા હોઈએ એના જેવી હતી. શ્રી અરવિંદને હું કોઈ વ્યાવહારિક વ્યવહારની ભૂમિકા ઉપર લઈ આવેલો નહિ. એ થયું ૧૯૪૦માં ૨૧મી ફેબ્રુઆરીએ દર્શન માટે ગયો ત્યારે. એ દર્શન દ્વારા શ્રી અરવિંદ અને તેમના અલૌકિક લોકોત્તર કાર્યને મૂર્તિમંત કરી રહેલાં શ્રી માતાજીએ એક અકલ્પ્ય એવી સૃષ્ટિ મારી સમક્ષ ખોલી આપી. એમાં આનંદ, પ્રેમ, સઘન શક્તિ, પ્રચંડ જ્ઞાન અને અગણિત ગુહ્ય પ્રક્રિયાઓના અઢળક ભંડારો ભરેલા જોવા મળ્યા, અને મારું કાર્ય જે દરેક રીતની શૂન્યતામાં મુકાઈ ગયું હતું તેની જે જે અનેકવિધ ખૂટતી કડીઓ હતી તે બધી જ શ્રી અરવિંદ સાથે જોડાઈ ગઈ. અને હું પ્રચંડ રીતે દરેક દિશામાં સભર બનવા લાગ્યો.

૪૪. શ્રી અરવિંદના બહુમુખી અને સમૃદ્ધ વ્યક્તિત્વમાંનાં ક્યાં પાસાંઓએ તમોને સૌથી વિશેષ પ્રભાવિત કર્યા છે?

૪૪. શ્રી અરવિંદના વ્યક્તિત્વને પાસાંની રીતે જોવું વાસ્તવિક નથી. જેવી રીતે સૂર્યને પાસાંઓ ન હોય તેવું શ્રી અરવિંદને વિશે છે. અને વળી વિશેષ તો એ છે કે સૂર્યમાં તો અમુક અંધકારનાં ધાબાં છે તેવું શ્રી અરવિંદમાં નથી. એટલે શ્રી અરવિંદ તરફથી જે અનેક વસ્તુઓ પ્રગટ થતી રહી છે તેમાં મારી આંતરિક અવસ્થા અનુસાર હું યથેચ્છ હરતો–ફરતો રહ્યો છું, લીન થઈ જતો રહ્યો છું – પૂર્ણપણે.

૪૫. તમે છેલ્લાં ઘણાં વર્ષોથી સાધના કરો છો, સાથે સાથે તમારી કલાસર્જનની પ્રવૃત્તિ પણ સમાન્તરે ચાલેલી છે, તો જીવનસાધના અને કલાસાધનાનો સંબંધ તમે કઈ રીતે સ્થાપો છો?

૪૫. સાધના અને કલાની વચ્ચે તમે આ અંતરની ભાષા વાપરો છો એ બરાબર નથી. એ બંનેની ગતિ સમાન્તરની રીતની નથી. મારી પાસે આવેલી શ્રી અરવિંદની યોગસાધનામાં કલા પણ યથાસ્થાને ગોઠવાઈ ગયેલી છે, અને કલાની પ્રવૃત્તિ પણ ઉત્તમ રીતે સાધનાની સર્જક બનેલી છે. એટલે વેદની અમુક ઋચાઓમાં આવે છે તેમ જરા જુદી રીતે, એ બંને પરસ્પરની જનક અને પરસ્પરની સંતાન રહેલી છે.

૪૬. તમારી સર્જનપ્રક્રિયા વિશે અગાઉ તમે લખી ચૂક્યા છો, એમાં અનુપૂર્તિ રૂપે કંઈ કહેવાનું ખરું?

૪૬. કહી શકાય. સર્જનની વસ્તુઓ હવે બૌદ્ધિક પ્રવૃત્તિનો આશ્રય લીધા વિના વધુ ને વધુ પ્રમાણમાં થવા લાગી છે. અને આમ ઉપરના કોઈ ગુહ્ય સ્તરમાં તૈયાર બની બેઠેલી ચીજો નીચે સડસડાટ ઊતરી આવે છે અને પોતાની અપૂર્વતાથી સાચે જ સ્તબ્ધ કરી દે છે. તે જોઈને આનંદ અનુભવતો રહું છું.

૪૭. શ્રી અરવિંદે તો પૂર્ણયોગની સાધના ગમે ત્યાં રહીને થઈ શકે એવું કહેલું છે, હવે જ્યારે શ્રી અરવિંદ અને શ્રી માતાજી સ્થૂલ દેહે આશ્રમમાં નથી ત્યારે તમે શા માટે પોંડિચેરીમાં રહીને જ સાધના કરવાનો આગ્રહ રાખો છો?

૪૭. તમે જે રીતે પ્રશ્ન ગોઠવ્યો છે એ રીતે તો હવે પોંડિચેરીમાંનો શ્રી અરવિંદ આશ્રમ આખો જ વિસર્જિત થઈ જવો જોઈએ, એની કશી આવશ્યકતા રહેલી ન ગણાય. પણ પ્રશ્ન ગોઠવતી વખતે તમારા ધ્યાન બહાર પૂર્ણયોગને અંગેની અનેક વસ્તુઓ રહી ગઈ છે એ સ્વાભાવિક છે. શ્રી અરવિંદ અને શ્રી માતાજી સ્થૂલ દેહે આશ્રમમાં નથી એમ કહીને તમે તેમનું અન્ય રીતે તો અસ્તિત્વ આશ્રમમાં સ્વીકાર્યું જ છે. અને એ અસ્તિત્વ પહેલાં સક્રિય હતું એના કરતાં દિનેદિને બુદ્ધિગત થતી જતી કલ્પનાતીત સક્રિયતાથી ત્યાં પ્રવૃત્ત છે, કે જે એ જ રીતે આશ્રમની બહાર નથી. અને એ હકીકતના આધારે જે લોકોને પૂર્ણયોગની સાધના માટે શ્રી અરવિંદાશ્રમમાં માતાજીએ સ્વીકારેલા છે તેમને માટે તો આશ્રમ એ અપરિહાર્ય જેવી વસ્તુ છે.

૪૮. ૧૯૫૧માં તમે ‘યાત્રા’ સંગ્રહ પ્રગટ કર્યો એ પછી તમારાં ઘણાં કાવ્ય સામયિકોમાં પ્રગટ થયાં છે, તો પછી એને ગ્રંથસ્થ કેમ કરતા નથી?

૪૮. કારણ કે તમારી પાસે બેસીને અમદાવાદમાં આવીને તમને આ બધા પ્રશ્નોનો ઉત્તર આપી રહ્યો છું! ૧૯૫૧માં ‘યાત્રા’ પ્રસિદ્ધ થયું એ પછી આશ્રમ બહારની મારી પ્રવૃત્તિઓએ અને ખાસ તો ગુજરાતમાંની મારી પ્રવૃત્તિઓએ મારો ઘણો સમય પોતાને ત્યાં જમા કરી લીધો છે. મારા સંપાદન હેઠળ પ્રસિદ્ધ થતું અમારું ત્રૈમાસિક ‘દક્ષિણા’ અત્યારે પાંચ વર્ષના વિલંબની ગતિમાં ચાલે છે. પણ કવિતા સિવાય મારા ગદ્યને મેં લગભગ અશેષ રીતે ગ્રંથસ્થ કરી દીધું છે અને હવે વહેલી તકે કાવ્યોનું કામ હાથ લેવાની મહાન ઇચ્છા ધરાવું છું.

૪૯. સાહિત્યપ્રવૃત્તિને તમે જીવનનની કૃતાર્થતા માનો છો?

૪૯. ઘણી કૃતાર્થતાઓમાંની એક.

૫૦. અત્યારે ગુજરાતી સાહિત્યમાં જે કામ થઈ રહ્યું છે. એનાથી તમોને સંતોષ છે? આપણા સાહિત્યમાં તમારી દૃષ્ટિએ શું કરવા જેવું છે? ૫૦. હા, હવે થોડા સમયથી વધારે સંતોષ છે. જૂનાગઢમાં મારા અધ્યક્ષસ્થાને ગુજરાતી સાહિત્ય પરિષદ મળી એ વખતે મેં કેટલાંક સ્વપ્નો રજૂ કરેલાં તેમ જ કેટલીક પ્રવૃત્તિઓ બીજ રૂપે ખેડાયેલી હતી તે હવે મનોહર રીતે પાંગરી ઊઠી છે. દા. ત. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ અત્યારના સંજોગોમાં લખાઈ શકે તેટલી સારી રીતે લખાયો છે. આપણા સૌની ઝંખના માટે પણ જે થોડાં વર્ષો પૂર્વે મુશ્કેલ હતું તેવું સાહિત્યપરિષદનું ભવન હવે આકાર લેવાની તૈયારીમાં છે. આપણા સાહિત્યમાં ખાસ તો એક પ્રખર અભ્યાસપીઠ રચાવી જોઈએ, આપણે ત્યાં ભૂતકાળમાં હતા તેથીય વધારે પ્રકાંડ પંડિતો, ચિંતકો, દ્રષ્ટાઓ પ્રગટવા જોઈએ. આપણે એમ કહી શકીએ એમ થવું જોઈએ કે આ તો નરસિંહરાવને ટપી જાય એવા વિદ્વાન છે, આ તો આનંદશંકરને પણ પ્રસન્ન કરે તેવા સાક્ષર છે, આ તો ગોવર્ધનરામ પોતાના સરસ્વતીચંદ્રમાં જેને જોડી દેવા માગે એવા કોઈ આર્ષ દૃષ્ટિવાળા લેખક છે.

આપણે ત્યાં સર્જકો તો પોતપોતાની રીતે આવતા જ રહેશે, પણ એ સર્જકોને પુષ્ટ કરે, બળવાન કરે, પ્રેરિત કરે તેવી વિદ્યાની અગાધ સામગ્રી ધરાવતી સૃષ્ટિ આપણે ત્યાં રચાવી જોઈએ અને તે આપણી સાહિત્ય પરિષદના આ ભવનમાં જ નહિ પણ એના છત્ર હેઠળ રચાતાં અનેક ભવનોમાં પણ બને એમ આપણે સૌ ઇચ્છીએ.

આપણી ગુજરાતી સાહિત્ય પરિષદમાં આપણી સાહિત્ય ચેતનાનું સંપૂર્ણ સુમિલન થઈ રહ્યું છે એ આનંદની વાત છે અને એનાથી વધી જાય તેવી બીજી તેજસ્વી સંસ્થાઓ માટે આપણે આતુર થવાની જરૂર નથી પણ પોતપોતાના નાના મોટા વિશિષ્ટ વ્યક્તિત્વથી સક્રિય બનતી અનેક સંસ્થાઓ આપણે ત્યાં ઉત્પન્ન થાય એ પણ ઘણું ઇષ્ટ છે.

ગુજરાતી સાહિત્ય પરિષદના આ ભવનમાં બે વસ્તુઓ બને તો સારું એમ મને લાગે છે. પહેલું તો એ કે આ ભવન દ્વારા પ્રત્યેક સર્જનાકાંક્ષી આત્માને એક અનોખી હૂંફ મળી રહેવી જોઈએ, કોક મુરબ્બી, વડીલ, જ્ઞાનસમૃદ્ધ, અનુભવ સમૃદ્ધ વ્યક્તિની અહીંયાં હાજરી સતત ઉપલબ્ધ રહે એવું થાય, એની આસપાસ આજના ખીલી ચૂકેલા સર્જકો તેમજ નવા સર્જકો બાળકોની પેઠે, શિષ્યોની પેઠે, ચાતકોની પેઠે બેસતા થઈ જાય અને એક તપોવન જેવું મધુર વાતાવરણ રચાય. વેદકાળના ઋષિઓના આશ્રમને યાદ કરાવે તેવું, એ મને બહુ ગમે એવું સ્વપ્ન છે. અને બીજું તો અહીંયાં વિવિધ રીતના અભ્યાસોની જુદી જુદી શાખાઓ વિકસવી જોઈએ. દા. ત. એક શાખામાં જગતનાં સર્વ મહાકાવ્યોનો વિસ્તારથી અભ્યાસ થતો રહેતો હોય તો વળી બીજી શાખામાં જગતની કવિતાનો અભ્યાસ થતો રહેતો હોય, ત્રીજી શાખામાં પ્રાચીન વિદ્યાઓનો, ગુહ્ય શાસ્ત્રોનો અભ્યાસ થતો રહેતો હોય એવું એવું ઘણું થાય અને વળી આપણા ભૂખ્યાતરસ્યા સર્જનશીલ આત્માઓને કાંઈક આપી શકે એવું ‘Home and Hearth’ પણ અહીં રચાય તો ઘણું સારું થાય. સાહિત્યકારને સર્વ રીતે અપનાવી શકે, સંભાળી શકે એવી ક્ષમતા આપણે અહીં ઉપજાવીએ.

૫૧. અને છેલ્લે... એક સર્જક તરીકે તમારો ભાવિ કાર્યક્રમ કહેશો?

૫૧. હમણાં તો થોડી કવિતાઓ લખાવા માગે છે તે અમદાવાદ છોડતાં પહેલાં કરી દઉં એમ મનમાં છે. અને આગળ આગળના અનંત ભાવિમાં તો જે બનશે તેને કાન પકડીને અહીંયાં લઈ આવવાની બાલચેષ્ટા કરવા જેવા આપણે મુગ્ધ બાળક નથી એટલું તો આપણા માટે કહીશું. અદૃશ્ય અને અગમ્ય ભાવિને અગમ્ય રૂપે જ અદૃષ્ટમાં સાચવી રાખવાનું સુભગ કાર્ય આપણે હમણાં તો કરીએ જ. અને એ ભાવિદેવતાને આપણા પ્રેમની પુષ્પમાળ ચઢાવીએ અને આપણી સર્વ શક્તિનું સર્વતોભદ્ર નૈવેદ્ય તેના ચરણમાં ધરીએ.


  1. આકાશવાણી દ્વારા આયોજિત ‘અતીતને આરે’ શ્રેણીમાં કવિ શ્રી સુંદરમની લીધેલી મુલાકાત. આકાશવાણી પરથી તા. ૨૦ સપ્ટેમ્બર અને તા. ૧૮ ઑક્ટોબર ૧૯૭૯ના રોજ પ્રસારિત થયેલી.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.