વીક્ષા અને નિરીક્ષા/કલામાં સુખવાદની ચર્ચાઃ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૧
કલામાં સુખવાદની ચર્ચા

ઉચ્ચતર ઇન્દ્રિયોને રીઝવે તે સુંદર?

કલામાં સુખવાદીઓ બધી જ સુખદ વસ્તુઓને સુંદર નથી માનતા. તેઓ આંખ અને કાન જેવી કહેવાતી ઉપલા દરજ્જાની ઇન્દ્રિયોને સુખદ હોય તેવી વસ્તુઓને જ સુંદર માને છે. ક્રોચેને આ માન્ય નથી. તેને મતે સંવેદન કોઈ પણ પ્રકારનું હોય પણ તે આકારિત થાય એટલે કલાકૃતિ બને અને તે સુંદર ગણાય. કોઈ પણ ઇન્દ્રિય મારફતે થતું સંવેદન આકારિત ન થાય ત્યાં સુધી તે અભિવ્યક્તિ ન બને અને સુંદર ન કહેવાય. વળી, અમુક ઇન્દ્રિયનું સંવેદન આકારિત થશે જ એવો કોઈ નિયમ નથી. જો ઇન્દ્રિય મારફતે મળતા સુખને સુંદર કહીએ તો બધાં જ ઇન્દ્રિયસુખને કલાનંદ કહેવાનો વારો આવે.

કલા ક્રીડા?

કલા એ ક્રીડા છે એ વાદ પણ ક્રોચેને માન્ય નથી. ક્રીડા ક્રિયાસ્વરૂપ છે, કલા પ્રતિભાનરૂપ છે, એટલે તેને ક્રિયાત્મક પ્રવૃત્તિ સાથે એકરૂપ માની શકાય જ નહિ.

કલાનો ઉદ્ભવ કામવૃત્તિમાંથી?

કેટલાક કલાનો ઉદ્ભવ કામવૃત્તિમાંથી થાય છે અને કલાનંદ એ કામાનંદ છે એમ કહે છે, પણ ક્રોચે કહે છે કે સ્ત્રીપ્રેમમાં સફળતા મેળવવા માટે કલાનો ઉપયોગ થાય છે એ ખરું, પણ તેથી કંઈ કલાનો જન્મ એટલા માટે જ થયો છે એમ ન કહેવાય. કવિને પૈસા મળે છે, પણ તેથી કંઈ કાવ્યનો હેતુ પૈસા છે એમ ન કહેવાય.

હૃદ્યતા કલા?

કેટલાક કલાને જે આપણને હૃદ્ય લાગે, જે આપણામાં સહાનુભૂતિ જગાડે, આપણને આકર્ષે, સુખ આપે, અને આદરમિશ્રિત કૌતુક જગાડે તેની સાથે એકરૂપ માને છે. એનો અર્થ એ થયો કે અભિવ્યક્તિ અથવા કલા, જે આપણને સુખ આપે તેની મૂર્તિ છે. આમાં બે વસ્તુ સમાય છે: ૧. આકારિત કરવાની પ્રક્રિયા અને ૨. જેને આકાર આપવાનો છે તે સુખદ વસ્તુઓ. એનો અર્થ એ થયો કે બધી અભિવ્યક્તિ નહિ પણ આપણને સુખદ લાગતી વસ્તુની અભિવ્યક્તિ જ સુંદર હોય અને કલા ગણાય છે. પણ અભિવ્યક્તિમાત્રને કલા માનનાર ક્રોચે આ વાદ શી રીતે સ્વીકારે? બીજી વાત એ કે અભિવ્યક્તિ સધાયા પછી જ વસ્તુ હૃદ્ય છે કે કેમ તેની ખબર પડે છે. અને હૃદ્યતા એ અભિવ્યક્તિ કરતાં જુદું જ મૂલ્ય છે. આ લોકોને મતે અભિવ્યક્તિનું મૂલ્ય અને હૃદ્યતાનું મૂલ્ય મળીને કલાકૃતિનું મૂલ્ય થાય છે, જ્યારે ક્રોચેને મતે અભિવ્યક્તિનું મૂલ્ય એ જ કલામૂલ્ય છે.

કલાનું પ્રયોજન સુખ કે ઉપદેશ નથી

કલા સુખનું સાધન છે એમ માનો એટલે એનો ઉપભોગ કે ઉપયોગ શા માટે કરવો એેવો પ્રશ્ન જાગે; કલાનું પ્રયોજન શું એેવો પ્રશ્ન અભિવ્યક્તિવાદમાં ઉદ્ભવતો જ નથી. કલાએ સુખ કે બોધ આપવો જોઈએ એવું ક્રોચે સ્વીકારતો નથી. એ મતમાં કલાકૃતિ માટે વસ્તુની પસંદગી કરવાની વાત ગર્ભિત છે અને તે શક્ય નથી એમ ક્રોચેએ કહેલું જ છે.

કેવળ સૌંદર્ય

કેટલાક કેવળ સૌંદર્યની, શુદ્ધ કવિતાની વાત કરે છે. તેમને ઉદ્દેશીને ક્રોચે કહે છે કે એનો અર્થ જો એટલો જ હોય કે કલા ઇન્દ્રિયસુખ અથવા નૈતિક બોધનું સાધન નથી તો મને એ માન્ય છે, પણ જો એનો અર્થ આ જગતની પારનું, અનિર્વચનીય, અગમ્ય એવું કશું હોય તો તે મને બિલકુલ માન્ય નથી.