સાહિત્ય પલ્લવ – ભાગ ૧/ત્રિભુવનદાસ લુહાર – ‘સુન્દરમ્’

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ત્રિભુવનદાસ લુહાર – ‘સુન્દરમ્’

[શ્રી. પૂજાલાલે આપણને વસન્તનું એક દર્શન કરાવ્યું. શ્રી. સુન્દરમ્ પણ સાઇકલ ઉપર બેસીને જતાં પોતાના રોજના શહેર બહારના રસ્તા પર વસન્ત જોવા મથે છે. એ રસ્તા પર શિરીષ ને ગુલમોર, આંબો ને કોકિલા જોવાનાં મળે ખરાં? ત્યાં તો ડામરની સડક, મકાનો, દુકાન અને ખદબદતી ગટરોની સાહ્યબી છે! વળી એ રસ્તા પર ગંદા નાખી દીધેલા કાગળો, તડબૂચનાં છોડાં, ધૂળ, પથ્થર, રોડાં અને કદી કદી ગધેડાં કે બોડાં ઘેટાં જોવાનાં મળે. પણ તે ‘મધુર મલપતી’ વસન્ત ક્યાં? કવિ એ રસ્તે આગળ ને આગળ જાય છે. એમની નજરે ચડતી ત્રાસજનક વસ્તુઓ વધતી જ જાય છે. તેમની આંખ થાકી જાય છે. દિલમાં છાનું દર્દ ઊછળી રહે છે. પગ લોથપોથ થઈ જાય છે. પણ વસન્ત ક્યાં? છેવટે ગરીબોની એક હોટેલ એ ધૂળિયા રસ્તે કવિની નજરે પડી, અને તે હોટેલની બાજુમાં કડવા લીમડા લહેરાઈ રહેલા કવિએ જોયા. તે જોતાં કવિની આંખ આનંદથી ચમકી અને તેમના મુખમાંથી સરી પડ્યું: ‘અહો! લીમડે જગ શું રંગ્યું!’ વસન્તનું કવિને આવું દર્શન થયું. ક્યાં વનવનને આનન્દમાં તરબોળ કરતી મધમધતી વસન્ત અને ક્યાં આ શહેરની ‘અધૂરી અકારી’ વસન્ત! કુદરત આખી જ્યારે વસન્તથી ખીલી ઊઠે ત્યારે શહેરનાં આ માનવીઓ ઉપર વસન્તની શી અસર હોય છે? એ માનવ-તરુ વિકસે છે ખરાં? શહેરની એ ગંદકી, ગરીબાઈ, અને એની વિવિધ સમાજરચનામાં વસન્તની વાત પણ કેમ સંભવી શકે? — એવો કાવ્યની પાછળ ધ્વનિ છે. ૪૬-૪૭. આ પંક્તિઓ બરોબર સમજજો. કવિ કહે છે કે વસન્તમાં ઝાડપાન, લતા, વેલી, ફૂલ – આખી કુદરત ખીલે. માનવી પણ કુદરતનું જ એક અંગ છે. એ પણ જાણે કે એક વૃક્ષ છે. શહેરમાંનું એ માનવતરુ વસન્ત આવતાં કેમ નથી ખીલતું? ક્યાં છે તે વસન્ત જે આખા વિશ્વમાં વિહાર કરી માનવી, પશુ, પંખી, વૃક્ષ, લતા, ફૂલ આદિ સહુને જ ખીલવે?]