સાહિત્ય પલ્લવ – ભાગ ૨/જઠરાગ્નિ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨. જઠરાગ્નિ

ઉમાશંકર જોષી

[‘કુતૂહળ’માં વપરાય છે તે જ છંદ, અને તે જ કાવ્યતત્ત્વનાં પોષક અંગો વડે પ્રાણવાન બનેલું આ કાવ્ય સૉનેટ જાતિનું છે. ‘કુતૂહળ’માં કવિએ પ્રાસની દરકાર નથી રાખી, જ્યારે આમાં મોટે ભાગે પ્રાસ મેળવ્યા છે. ગરીબ લોકોનાં જીવન પ્રત્યે બેદરકાર રહી પોતાના ધનવૈભવમાં મશગૂલ એવા દ્રવ્યાન્ધ લોકોને સંબોધાયેલું આ કાવ્ય જાણે શરૂઆતથી જ ધનિકોની એ લીલાની ઠેકડી કરવું હોય તેમ કહે છે; ‘રચો, રચે, ભલે આજે એ તમારા મહેલ મિનારા રચો! પણ . .’ અને એમ ‘પણ’ કહેતાંની સાથે જાણે ક્રોધથી તર્જની ઊંચી કરી કવિ રૌદ્ર વાણીમાં કહે છે : ‘પણ યાદ રાખજો, એક દિવસે એ ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે’—અને ત્યારે? એ જઠરાગ્નિનું રૌદ્ર સ્વરૂપ અને તેની સંહારલીલા એ આ કાવ્યનું હાર્દ છે. કવિતામાં એટલા ઓછા શબ્દોમાં અને એટલું તો અસરકારક રીતે એ ગૂંથાયું છે કે એને બીજા શબ્દોમાં મૂકતાં એના અર્થને હાનિ જ પહોંચે. એટલે હૃદયશૂન્ય ધનઘેલછાને અપાયેલો એ શાપ તો કવિના શબ્દોમાં જ આપણે જોવો જોઈએ. આ કાવ્યની ત્રીજી પંક્તિમાં ‘લટકાઓ’–માંના ‘ઓ’નું ઉચ્ચારણ લઘુ કરવાનું છે. એટલે ‘લટકાવ’ જેવો ઉચ્ચાર કરવાથી એ પંક્તિ સારી રીતે વાંચી શકાશે.]

(મિશ્રોપજાતિ)
રચો, રચો અંબરચુંબી મંદિરો,
ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા!
મઢો સ્ફટિકે, લટકાઓ ઝુમ્મરો,
રંગે ઉડાવો જળના ફુવારા!
રચો, રચો ચંદન-વાટિકાઓ,
રાચો રચી કંચન સ્થંભમાળા!
ઊંડા તણાવો નવરંગ ઘુમ્મટો,
ને કૈંક ક્રીડાંગણ, ચંદ્રશાળા
રચો ભલે!
અન્તર રુંધતી શિલા
એ કેમ ભાવિ બહુ કાળ સાંખશે!
દરિદ્રની એ ઉપહાસલીલા
સંકેલવા, કોટિક જીભ ફેલતો
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે,
ખંડેરની ભસ્મકણી ન લાધશે!
ગંગોત્રી’માંથી

સ્વાધ્યાય

૧. ‘દરિદ્રની એ ઉપહાસલીલા’ સવિસ્તર વર્ણવો.
૨. જાગેલા જઠરાગ્નિના સ્વરૂપનું વર્ણન કરો.
૩. સજીવારોપણનો કવિએ ક્યાં આગળ ઉપયોગ કર્યો છે તે જણાવો.
૪. આ કાવ્યની પહેલી પંક્તિની ખૂબીઓ સમજાવો.
૫. આ કાવ્યમાં અનુનાસિકોનો જે રીતે ઉપયોગ થયો છે તે તપાસો અને એની કાવ્ય ઉપર શી અસર થઈ છે તે જણાવો.