સોરઠી સંતવાણી/ક્રિયાશુદ્ધિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ક્રિયાશુદ્ધિ

વચન સુણીને બેઠાં એકાંતમાં ને
સુરતા લગાડી ત્રાટક માંય રે,
સંકલ્પ વિકલ્પ સરવે છૂટી ગયા ને
ચિત્ત લાગ્યું વચનુંની માંય રે —
ભાઈ રે! ખાનપાનની ક્રિયા શુદ્ધ પાળે ને
જમાવી આસન એકાંત માંય રે,
જાતિ અભિમાનનો ભેદ મટી ગયોને
વરતે છે એવાં વ્રતમાન રે. — વચન.
ભાઈ રે! ચંદ્રસૂરજની નાડી જે કહીએ ને
તેનું પાળે છે વ્રતમાન રે,
ચિત્તમાં માત્ર જે વચન મૂકે રે
એથી આવી ગઈ છે સાન રે. — વચન.
ભાઈ રે! ક્રિયા શુદ્ધ થઈ ત્યારે અભિયાસ જાગ્યો ને
પ્રકટ્યું નિરમળ જ્ઞાન રે,
ગંગાસતી એમ બોલિયાં ને
કીધો વાસનાનો સરવત્યાગ રે. — વચન.

[ગંગાસતી]