સોરઠી સંતવાણી/ગુરુ-શિષ્યની એકતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગુરુ-શિષ્યની એકતા

મન મટીયું તેને ત્યાગી કહીએ ને
મરને વરતે વહેવાર માંય રે,
ભીતર જાગ્યા તેને ભ્રાંતિ ભાંગી ને
તેને નડે નહીં માયાની છાંય રે. — મન.
ભાઈ રે! આદર્યો અભ્યાસ ને મટી ગઈ કલપના
આનંદ ઊપજ્યો અપાર રે,
વ્રતમાન બદલે પાનબાઈ તેને રે
જેને લાગ્યો વચનુંમાં તાર રે. — મન.
ભાઈ રે! આસન ત્રાટક ખટમાસ સિદ્ધ કર્યું ને
વરતી થઈ ગઈ સમાન રે,
ગુરુ ને શિષ્યની થઈ ગઈ એકતા ને
મટી ગયું જાતિનું માન રે. — મન.
ભાઈ રે! પદાર્થની અભાવના થઈ ગઈ તેહને રે
વાસના મટી ટળી તાણાવાણ રે,
ગંગાસતી એમ બોલિયાં ને
જેને થઈ ગઈ સદ્ગુરુની ઓળખાણ રે. — મન.

[ગંગાસતી]