અધીત : પ્રમુખીય પ્રવચનો - ૧/અર્વાચીન સંદર્ભમાં સાહિત્યનું અધ્યાપન

From Ekatra Wiki
Revision as of 09:56, 7 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૧. અર્વાચીન સંદર્ભમાં સાહિત્યનું અધ્યાપન
સુરેશ હ. જોષી

આપણામાંના જેઓ જીવન પ્રત્યેની તેમ જ સાહિત્ય પ્રત્યેની નિષ્ઠાથી સાહિત્યનાં અધ્યાપનમાં પ્રવૃત્ત થતા. હશે તેઓ આજે એક વિશિષ્ટ પ્રકારનો સંક્ષોભ અનુભવતા હશે. મેકોલેએ કહેલું કે જેમ જેમ સંસ્કૃતિ વિકસતી જાય છે તેમ તેમ કવિતા ક્ષીણ થતી જાય છે. વ્યક્તિગત રીતે સર્જકોને કોઈકવાર પોતાની સર્જનપ્રવૃત્તિનું વૈતથ્ય સમજાય એવું બને. પણ એની ચર્ચા અહીં પ્રસ્તુત નથી. સાહિત્ય જીન વિશેની જે અભિજ્ઞતા એક પ્રકારની પ્રત્યક્ષતા અને મૂર્તતાથી એની આગવી રીતે પ્રકટાવે છે તેનું આજના સામાજિક સંદર્ભમાં એક ક્રિયાશીલ મૂલ્ય તરીકે મહત્ત્વ કેટલું'? અધ્યાપકો સાહિત્યની મીમાંસા કરે છે ત્યારે વનને ગોચર કરવાની સાહિત્યની આ વિશિષ્ટ રીતિનો ઉચિત મહિમા સ્થાપી આપી શકે છે ખરા? સાહિત્યકૃતિનાં આલોચનપરિશીલનને પરિણામે જે અભિજ્ઞતા સિદ્ધ થાય છે તેને આપણા જીવનમાં એક ક્રિયાશીલ મૂલ્ય તરીકે સ્થાપી આપી શકે છે ખરા? આ રીતે, આજના સંદર્ભમાં વિચારતાં. સાહિત્યના અધ્યાપનનું પ્રયોજન શું અને એ શી રીતે સિદ્ધ થાય એ પ્રશ્નોના જે પરંપરાગત ઉત્તરો છે. તેનાથી આપણને સંતોષ થાય એવું લાગતું નથી. આ નિમિત્તે એ પ્રશ્નનો ફરીથી વિચાર કરવાની આપણને તક સાંપડી છે. સાહિત્યનું અધ્યાપન એટલે સાહિત્ય વિશે કંઈક બોલી છૂટવું કે પ્રચલિત પરિભાષાનો આશ્રય લઈને પ્રસંગોપાત્ત થોડુંક લખી છૂટવું એવું તો આપણે નહીં જ કહીએ. સાહિત્યકૃતિની શ્રેષ્ઠતાને પ્રમાણિત કરવાની પ્રવૃત્તિ દ્વારા જ કૃતિઓની ઉચ્ચાવચતાનો નિર્ણય કરનારી વિવેકબુધ્ધિ ઘડાતી આવે છે. આનાં કોઈ ત્રિકાલાબાધિત ધોરણો હોઈ શકે નહીં. આથી જ સમકાલીન તેમ જ પૂર્વકાલીન સાહિત્યસંદર્ભનો જેને પ્રત્યક્ષ પરિચય હોય તેની જ રુચિ મુકુરીભૂત બને, પરિષ્કૃત બને. નવા ઉન્મેષો, જો એની ધ્યાન બહાર રહી જાય તો એનું દર્શન ખણ્ડન બનવાનો દોષ વહોરી લે. સાહિત્ય પાસેથી અનેક પ્રકારની, કેટલીક વાર પરસ્પર વિરોધી, અપેક્ષાઓ રાખવામાં આવે છે. કેટલીક વાર સમાજનાં જુદાં જુદાં બળો તરફથી સાહિત્યના અમુક જ પ્રકારનાં અર્થઘટન માટેનાં સૂક્ષ્મ દબાણો આવે છે. સામાજિક સંદર્ભ વિશેની પ્રવર્તતી અમુક પ્રકારની સમજ જ સાહિત્ય દેાહરાવે એવા પણ આગ્રહ કોઈકવાર જોવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં, આવાં દબાણો વચ્ચે, સાહિત્યને જ્ઞાનના એક સુયોજિત ક્ષેત્ર તરીકે પદ્ધતિસર અભ્યાસ કરવો શક્ય છે? વ્યક્તિગત રીતે કે સામાજિક દૃષ્ટિએ કુંઠિત વૃત્તિઓનો, નિરુદ્ધ આવેગોને, બંધિયાર બની ગયેલી ચેતનાનો મોક્ષ સાધી આપે છે એવું પુરવાર કરવાનો ઉદ્યમ આપણે કરવા તત્પર થઈશું? અથવા કાંઈ નહીં તો સાહિત્યનું સેવન, રસવૃત્તિનું સંવન અને એની તૃપ્તિ, એની આલાચના એ સંસ્કારી માનવીનું એક ચિહ્ન છે એટલું પણ આપણે સ્થાપવા નીકળીશું? વિવેચનના આદર્શને આપણે ગમે તેટલા ઊંચે સ્થાપીએ, પણ આજે તો આપણામાંના ઘણા પોતાના કર્તવ્ય પરત્વે વિશ્વસ્ત હશે તે છતાં, સાહિત્યની આલોચનાના વ્યવસાયમાં તીવ્ર અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. એક બાજુથી આપણે સાહિત્યિક મૂલ્યો, સાહિત્યિક ધારણા, સાહિત્યની પદ્ધતિઓનો આગ્રહ રાખતા ગયા અને બીજી બાજુથી આપણે પ્રશિષ્ટ ગણાતી એવી કેટલીક કૃતિઓની જ પ્રદક્ષિણા કરતા રહ્યા, એને વિશે સામાજિક દૃષ્ટિકોણને અનુસરીને આવડ્યા તેવા શિખાઉ નિબંધો લખતા રહ્યા. આપણા વ્યવસાયમાં રહેલી કેટલીક મૂળભૂત અસંગતિએ આપણાં રોજ-બ-રોજનાં શિક્ષણકાર્યને પરિણામે બહાર આવતી ગઈ. આથી જેઓ હજી કંઈક અંશે પોતાની જાત સાથે પ્રામાણિક હતા તેમનો અંતરાત્મા કચવાવા લાગ્યો. આપણી સરકારની શિક્ષણનીતિ, આપણી વિદ્યાપીઠનાં જડ તંત્રો અને આપણી પ્રમુખ સાહિત્યસંસ્થાઓમાં આ અંગેના મૂળભૂત પ્રશ્નો પરત્વેની સભાનતાનો દેખાતો અભાવ ‘સ્થિતસ્ય-સમ નમ્’માં પરિણમે છે. કેટલીક વાર નાનાં નાનાં જૂથો આ પ્રશ્નોની ચર્ચા કરે છે. આપણે અધ્યાપનને નામે ખરેખર શું કરી રહ્યા છીએ? વિવેચનની પ્રવૃત્તિ માત્ર સ્પષ્ટીકરણ કે વિવરણ રૂપ જ બની નથી રહેતી? આપણી સામે જે ભણવા બેઠાં હોય છે એમનામાં આજે અનુચિત આવેગો દેખાય છે. એઓ જ્ઞાનના અનાસક્તિભર્યા પવિત્ર ક્ષેત્રને કલુષિત કરે છે. મને-કમને આપણે અભ્યાસની જે રીત એઓ અખત્યાર કરવા માગે છે તેને સ્વીકારી લઈએ છીએ. સાહિત્યકલાની સૂક્ષ્મતા સુધી એઓ પહોંચતા નથી. રચનાપ્રક્રિયા તપાસવાનો એમને રસ નથી. ભાષાની શક્તિની ચર્ચાનો એમને મન કશો અર્થ નથી. છતાં તેઓ વિદ્યાપીઠે આપેલી યોગ્યતાનું પ્રમાણપત્ર લઈને બહાર સંસારના સુખ–દુ:ખાત્મક આવેગોને તટસ્થતાપૂર્વકના તાદાત્મ્યથી રૂપ આપીને ઓળખવા ઓળખાવવાની એમનામાં સજ્જતા હાતી નથી. એઓ રસવૃત્તિને કેળવ્યા વિના જ વિદ્યાપીઠની બહાર નીકળી જતા હોવાથી સમાજમાં પણ કલાપ્રવૃત્તિનાં સંવર્ધનપરિશીલન માટે ઉપકારક બળરૂપ બની રહેતા નથી. આપણે એમને એમની યોગ્યતા પ્રમાણે મૂલવવાની હિંમત કરી શકતા નથી, કારણ કે આપણી સામે પશુબળ ત્રાટકી રહ્યું. હોય છે. સાહિત્ય અને અન્ય કલાઓમાંથી કેળવાયેલો આપણો મૂલ્યબોધ પણ આ બળનો સામનો કરવાનાં સમર્થ સાધનો શોધવાની સજ્જતા આપતો હોય એવું લાગતું નથી. એક જ પ્રકારની રેઢિયાળ ભાષામાં, અમુક જ ચવાઈ ગયેલા મુદ્દાઓ વિશેની વર્ગમાં પ્રશ્નોત્તરના સ્વરૂપમાં લખાવાયેલી નોંધમાંથી જડી રહેતી માહિતી જ આપવાનો ઉદ્યમ આપણે વિદ્યાર્થીઓ પાસે પરીક્ષામાં નથી કરાવતા હોતા? થોડા જ સમય પહેલાં પથ્થરમારો કરીને કે બસ સળગાવીને આવેલા વિદ્યાર્થીઓને હું કલાપીનું ‘શિકારીને’ કે કાન્તનું ‘સાગર અને શશી” કે બ. ક. ઠાકોરનું ‘આરોહણ’ કે સુન્દરમ્નું ‘બુદ્ધનાં ચક્ષુ’ શીખવું તો એમની મનોભૂમિ સુધી પહોંચવાનો સેતુ મારે શી રીતે બાંધવો ત્યારે હું એવી શ્રદ્ધાથી ચાલુ કે સાચી કવિતા તો ત્રિકાલાબાધિત હોય છે? અથવા એમ માની લઉં કે જડભરતા કવિતાને લાયક જ નથી? અથવા કાવ્યશિક્ષણને પરીક્ષાને અનુકૂળ ચોકડામાં ગોઠવીને વિદ્યાથીને વહેવારુ દૃષ્ટિએ ઉપયોગી નીવડ્યાના સંતોષ માનું? આપણા અને જગતભરના શ્રેષ્ઠ સર્જકોની ઉત્તમ સર્જનપ્રવૃત્તિનાં પરિણામોને સમાજ આત્મસાત્ કરી શકે એવી ભૂમિકા રચવાનો મારો શ્રમ આજે આવશ્યક છે કે કેમ એવો પ્રશ્ન ઉદ્ભવ્યા વગર રહેતો નથી. વિજ્ઞાન અને ટેક્નૉલૉજીના વિદ્યાર્થીઓ માટે સાહિત્યનું શિક્ષણ વૃથા કાળક્ષેપ કરનારું અને એ ભારરૂપ લેખાવા લાગ્યું છે. માનવિદ્યાના ક્ષેત્રમાં પણ અર્થશાસ્ત્ર કે રાજનીતિના વિદ્યાર્થીને એનો કશો ખપ નથી. સાહિત્યના ક્ષેત્રમાં પણ અમુક ભાષાનું, પ્રશિષ્ટતાની સીમામાં કાલજ્યેષ્ટ મુરબ્બીઓએ સમાવેલું, સાહિત્ય જ અભ્યાસક્રમમાં સ્થાન પામે છે. પણ આજના વિદ્યાર્થીઓને આજનો સમાજ સૌમનસ્ય શિખરથી અને કલ્યાણગ્રામથી બહુ છેટે નીકળી ગયો છે. નાનાલાલની અફલાતૂની સૃષ્ટિમાં એનો જીવ અકળાવા માંડે છે. એક રીતે જોઈએ તે જેને આપણે શ્રેષ્ઠ સર્જકો કહીએ છીએ. એમણે પણ એમના જમાનામાં પ્રચલિત સાંસ્કૃતિક વાતાવરણમાં રહેલા પૂર્વગ્રહોનો પોતાની ભાષાશક્તિના પ્રભાવથી સમાજમાં સબળ રીતે પ્રસાર કર્યો હશે. સત્યસંશોધકે તરીકે અને જ્ઞાનના ક્ષેત્રમાં આગવું અર્પણ કરનારા તરીકે આપણે આ તપાસવાની જવાબદારીમાંથી શી રીતે છટકી જઈ શકીએ? આપણી સામે બે કસોટીઓ આવીને ઊભી રહી છે: આપણી ઉદારમતવાદી માનવતાપરાયણ સંસ્કૃતિને જે પરિસ્થિતિનો સામનો કરવાના આવ્યો તેનાથી આપણે નિર્લિપ્ત નહીં રહી શક્યા: એણે આપેલાં ગૃહીતો અને માન્યતાને પ્રમાણેનો સુસંગત આચાર રાખવો અને અધ્યાપનનો વ્યવસાય સ્વીકારીને જે સંસ્થાઓનાં નીતિ–નિયમોનાં ચોકઠાંમાં રહીએ છીએ તેણે સોંપેલી જવાબદારી અદા કરીને પ્રામાણિકતાથી રોટલો રળવો—આ બે વચ્ચેનો સંબંધ શી રીતે જાળવી રાખવો એ સમસ્યા આપણામાંના ઘણા માટે ઊભી થઈ. આનંદશંકર, નરસિંહરાવ કે વિષ્ણુપ્રસાદની સામે જે આજ્ઞાંકિત વિદ્યા ભક્તિભાવપૂર્વક બેસતો તે આજે રહ્યો નથી. આપણે એ સ્વીકારવું જ રહ્યું કે વિદ્યાથી આજે બદલાયા છે. આપણે એને નવી દૃષ્ટિથી જોવાનો રહે છે. એને ભાવિક શ્રોતાજન માનીને વાણીની અમૃતધારા વહાવ્યે જવાનું આજે ચાલે એમ નથી. આપણી ઊઁચી વ્યાસપીઠ પરથી ઊતરીને એમની વચ્ચે જઈને વાર્તાલાપ કરવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. વર્ગમાં અનેક પ્રકારના પ્રયોગો અજમાવી જોવાની આવશ્યકતા ઊભી થઈ છે—એ પ્રયોગો મોટે ભાગે નિષ્ફળ જવા નિર્માયા છે એમ જાણવા છતાં. આવી પરિસ્થિતિથી વ્યાકુળ બનીને આપણામાંના કેટલાક વિદ્યાર્થીઓના મારચામાં ભળી ગયા, કેટલાકોએ જુદી જુદી માગણીઓના નારા ગજાવીને અધ્યાપકાના સરઘસમાં શરણું શોધ્યું, વર્ષાં શિક્ષક-શિષ્ય વિનાના ખાલી ખાલી લાગવા માંડયા. કેટલાકને આ બધાંથી ઊઠ્યાં સ્ટ્રંગ થવા લાગ્યા, કેટલાંકનાં ચિત્ત પશ્ચાત્તાપથી ચણચણી ઊઠ્યાં. આપણી વિદગ્ધતાનું કવચ પહેરીને આપણે બેસી રહ્યા. એનો દોષ કાળબળના પર ઢોળી દીધો તે કહી દીધું : ‘આજે કોઈનામાં આન્તરિક પ્રતીતિનુ બળ રહ્યું નથી, આજે જેઓ આવેગના ચક્રવાતમાં ફસાયા છે તેમની ગતિનો અંધ આવર્તની ઉત્કટતા આપણને ભયભીત કરી મૂકે છે.’’ વિદ્યાક્ષેત્રમાં પડેલાઓ, ધીમે ધીમે સર્વત્ર પ્રસરી રહેલા રાજકારણને પહોંચી વળવામાં, બહુ જ કાચા અને અદક્ષ મુસદ્દી પુરવાર થયા એટલું જ નહીં પણ શિક્ષણ કેવું હોવું જેઈએ એ પરત્વે પણ એઓ ભારે અજ્ઞાની પુરવાર થયા. કચવાતા અંતરાત્માનું જ જ માત્ર શસ્ત્ર લઈને આપણે સુધારાનો જંગ ખેલી ન શકીએ કે ક્રાન્તિ લાવી ન શકીએ. અત્યાર સુધી આપણે સાહિત્યના સમાજ સાથેના સંબંધ વિશે, શિક્ષણના વિદ્યાર્થી સાથેના સંબંધ વિશે કે રાજકારણના વધતા વર્ચસ્ની સમસ્યા વિશે જે કાંઈ વિચારતા રહ્યા છીએ તે ભેાળપણ અને સીધોસાદો સરળતાનો માર્ગ સ્વીકારનારું લાગે છે. સાહિત્યનો અભ્યાસ આપણા રાજકારણને માનવતાવાદને અનુકૂળ પરિપ્રેક્ષ્યમાં મૂકી આપે કે આપણા નૈતિક ઉચ્ચ ગ્રાહને આધાર આપતી પીઠિકા રચી આપે એવું માનવું જાણે હવે અઘરું થઈ પડ્યું છે. આપણી સંવેદનાને નવો ઘાટ આપવા માટે અને આપણાં વર્તનમાં એના ઋતનો પ્રભાવ પાડવાને સાહિત્ય સમર્થ છે કે કેમ એ વિશે જાણે આપણે શંકામાં પડી ગયા છીએ. સાહિત્યને નિમિત્ત બનાવીને રોટલો રળવાનું ચાલુ છે, પણ એની સાથેનો આપણો ચેતનાનો સબંધ જાણે છૂટતો જાય છે. વર્ગમાં દાખલ થયેલા રાજકારણને પહોંચી વળવું, વિદ્યાર્થીઓના નાના નાના જૂથ પર સાહિત્યની શામક અસર પહોંચાડવી કે ચેતનાના ઉત્કર્ષ સાધવો આ પૈકીનું કશું આપણે આજે કરવા નીકળ્યા નથી. આગલી પેઢીનું જે વાતાવરણ હતું તે સ્થાપવાનો પ્રયત્ન પણ કદાચ ખતરનાક નીવડે, આપણે પાછલે પગે ચાલીને ભવિષ્યની દિશામાં આગળ વધી શકીએ નહીં. આથી અધ્યાપન પ્રવૃત્તિના સ્વરૂપ વિશે તીવ્રતાથી પુનઃવિચારણા કરવાનો સમય આવી લાગ્યો છે. આ આપણે કરવાનું છે એવા સમાજમાં રહીને જે સાહિત્યિક આલોચનાની પ્રવૃત્તિને તુચ્છ કે મુશ્કેલીભરી બનાંવી દેવા ઇચ્છે છે. આ બધુ સામયિકો પ્રકાશકો અને વિદ્યાપીઠો દ્વારા થઈ રહ્યું છે. એ બધાં સાથે આપણામાંના ઘણા સંકળાયેલા હોઈને અપરાધબોધમાંથી બચી શકતા નથી. આપણા આજના સાંસ્કૃતિક સંદર્ભમાં આ પ્રશ્નને મૂકીને તપાસવાનો રહેશે. લોકશાહીએ આમજનતાને પ્રાધાન્ય આપ્યું છે. આજે સર્વક્ષેત્રોમાં સમાનતાનો આગ્રહ રાખવામાં આવે છે. કોઈ એકનો સુચિન્તિત પ્રામાણિક અધિકૃત અભિપ્રાય નહીં, પણ બહુમતીનું મંતવ્ય જ સ્વીકાર્યું અને એવો પ્રજાનો મિજાજ છે. ત્યારે ગુણવત્તાના ઉત્કર્ષને પસંદગીનાં ધોરણ તરીકે સ્વીકારવા પરત્વે ઉદાસીનતા વધતી જાય છે. વિદ્યાપીઠોમાં કે સાક્ષરમંડળોમાં જે જૂથનું વર્ચસ્ હોય છે તે સંસ્થાઓની કાર્યવહીમાં બહુમતીનો પ્રબંધ કરીને પોતાના ધારેલા નિર્ણય લેવડાવી શકે છે. આથી આવી સંસ્થાઓએ આપેલી માન્યતાને ઝાઝો અર્થ રહ્યો નથી. તેમ છતાં, આવી માન્યતા જ આ ક્ષેત્રનો ચલણી સિક્કો છે. આ ઉપરાંત નવી પેઢીમાં પણ આગલી પેઢીના સંકુચિત અસહિષ્ણુ વર્તનની પ્રતિક્રિયારૂપે પ્રભંજકવૃત્તિ જન્મી છે. થોડાક વાચાળ અને આક્રમકવૃત્તિ ધરાવનારાઓનું જૂથ આગલી પેઢીએ સ્થાપેલાં ધોરણોની વિડમ્બના કરીને એકબીજાને સ્વીકૃતિ અને માન્યતા આપવા ઉદ્યત થાય છે. કેટલીક વાર માત્ર વિવેચનપ્રવૃત્તિ જ નહીં પણ સર્જનપ્રવૃત્તિ સુધ્ધાં નિરર્થક જ નહીં પણ વિતથ છે એવી ધાણાઓ થાય છે. એમાં ગંભીરતાથી પ્રવ્રુત્ત થનારાઓની હાંસી ઉડાવવામાં આવે છે. જે જીર્ણ હતું તેનો નિમ- પણે નાશ કરવા માટે આમ કરવું જરૂરી હતું એમ કેટલાક માને છે. આવી પરિસ્થિતિ સામે પુણ્યપ્રકોપ પ્રકટ કરીને કાલયેષ્ઠો પોતાનો ધર્મ બજાવી ચૂક્યાનો સંતોષ માને છે. Literary motivationનું સ્થાન ધણાં અસાહિત્યિક તત્ત્તાએ લઈ લીધું છે. મેથ્યુ આર્નોલ્ડ પાસે વિવેચકના કર્તવ્યની દીક્ષા લેનારાઓમાં પણ એણે જેનો આગ્રહ રાખ્યો હતો તે ‘disinterestedness’ તે સ્થાને પોતાના અભિગ્રહોને વસ્તુલક્ષી ધોરણો રૂપે ઠસાવવાને અભિનવેશ દેખાય છે. આવાં વાતાવરણ વચ્ચે આપણા સાહિત્યનો વિદ્યાર્થી વર્ગમાં આવીને બેસે છે. મૂંઝાયેલી મતિથી એ પણ આ સમસ્ત પ્રવૃત્તિ પરત્વે ક્રમશઃ વધુ ને વધુ ઉદાસીન બનતો જાય તે આપણને આશ્ચર્ય ન થવું જોઈએ. સાહિત્ય અને એનાં વિવેચનની પ્રવૃત્તિ પરત્વેની સમાજની, અને વિદ્યાસમાજની પણ, આ ઉદાસીનતાની (અને કેટલીક વાર રોષની) વૃત્તિનું કારણ કેટલાકને મતે એ છે કે આજના માનવસંદર્ભથી એ પ્રવૃત્તિ કાંઈક વેગળી પડી ગઈ છે; એમાં આજની અપેક્ષાએ પ્રસ્તુત એવું ઘણું ઓછું છે. Relevanceનો મુદ્દો જ ઘણાના હાથમાં મોટું શસ્ત્ર છે. આજની અપેક્ષા શી છે? આજની આવશ્યકતા શી છે? એકબાજુથી આપણે એમ માનીએ છીએ કે સર્જક પોતાની સંવેદન-પટુતાથી, તાટસ્થ્યપૂર્વકના તાદાત્મ્યથી, અન્યને જે ગોચર નથી તેને પ્રત્યક્ષ બનાવે છે. પણ કેવળ વર્તમાનમાં જ પૂરાઇ રહેવાનું એને માટે આવશ્યક નથી. એ આગળ પાછળ જોઈ શકે છે માટે તો દ્રષ્ટા છે. પોતાના સમયનાં જીવન વિશેનું આ સૂક્ષ્મ છતાં પ્રત્યક્ષ આલેખન સમાજ પોતાને જે રૂપે રજૂ થયેલો જોવા ઇચ્છે છે તેની જોડે મળતુ આવતું નહીં હોય એમ બને. વર્તમાન ક્ષણની સંક્ષુબ્ધતામાં જે મહત્ત્વનાં નવાં પ્રસ્થાન જેવું લાગે તે ઉચિત પરિપ્રેક્ષ્યમાં જોતાં ઇતિહાસની એક ગૌણ વિગત જ બની રહે. જેની તરફ આજે કોઈની ખાસ નજર પણ નહીં પડી હાય, જેનામાં આજે કોઈનું ધ્યાન ખેંચવા જેટલી ઉત્કટતા કે ઉગ્રતા નહીં હોય તે ભવિષ્યને ઘાટ આપનારુ સમર્થ બળ પુરવાર થાય એમ પણ બને. આથી સમાજ જેને વર્તમાન સંદર્ભો પરત્વે પ્રસ્તુત લેખે તેની લક્ષ્મણરેખામાં જ રહીને સર્જકને કે વિવેચકને પ્રવૃત્ત થવાનું આપણે કહીશું? આજે ભલે આપણી પાસે કાળબળ સામે ટકી રહે એવી સમર્થ કૃતિ નહીં. હોય, આજે ભલે વર્તમાન સંદર્ભમાં રહેલાં વિરોધે અને સંકુલતાઓને ગાળીગાળીને સરલ સુબોધ રૂપમાં, પ્રવર્તમાન સામાજિક મૂલ્યા સાથે સુસંગત રીતે, રજૂ કરનારની જ બોલબાલા હોય. તેથી કરીને સાચાં સાહિત્યનાં કાલજયી તત્ત્વનું આપણે પણ ઉત્થાપન કરીએ એ જરૂરી છે ખરું? વહેવારમાં તો આ પ્રશ્ન એથીય વધુ ઉત્કટ સ્વરૂપ ધારણ કરે છે. પ્રસ્તુત એટલે કોને પ્રસ્તુત? નવલકથાના સ્વરૂપનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીને એ સ્વરૂપ પશ્ચિમમાં વિકસ્યું છે અને આજે પણ નવા પ્રયાગાથી સમૃદ્ધ થતું રહ્યું છે માટે, પશ્ચિમની કોઈ કૃતિ (દોસ્તોયેવ્સ્કીની ક્રાઈમ ઍન્ડ પનિશમેન્ટ’ કે આલ્બેર કેમ્યૂની ‘આઉટસાઈડર’)નો અભ્યાસ કરાવવાનું ઠરાવીએ; પણુ અધ્યાપકોમાંના કેટલાક જો એમ કહે કે અમે ગુજરાતી સાહિત્યના વિદ્યાથીઓ છીએ. રશિયન કે ફ્રેન્ચ ભાષામાંથી અનૂદિત થઈને આવેલી કૃતિનો અભ્યાસ અમે કરીએ એટલું અંગ્રેજીનું જ્ઞાન અમારી પાસે નથી.’ તો આપણે શો નિર્ણય લઈશું? મેં એક અધ્યાપક તરીકે જોયું છે કે આવી કૃતિઓનો અભ્યાસ કરાવવાનો આપણો હેતુ બર આવતો નથી. આવી કૃતિઓને પહોંચી વળવા જેટલી સજ્જતા આપણા કેટલાક અધ્યાપકોમાં નથી અને વિદ્યાર્થી એને તો પ્રશ્નપત્રોમાં પૂરતા વિકલ્પો મળતા હોય છે. એનો લાભ લઈને આવી કૃતિઓને એ સહેલાઈથી બાદ કરી નાખે છે. પરીક્ષા એ શું વાંચીને સફળ થવું એના કરતાં શું વાંચ્યા વિના સફળ થવું એની કળા છે. આથી પણ વધારે સંકુચિત અને અસહિષ્ણુ વૃત્તિ ધરાવનારા આવી કૃતિઓના અભ્યાસના આગ્રહ પાછળ પશ્ચિમપરસ્તી જોઈને એને ભાંડશે. નોર્થોપફાયના શબ્દોમાં કહીએ તો આ myth of concern ઊભી કરનારાઓની જેહાદ છે. આ ષ્ટિએ relevanceનો વિચાર કરીએ તો એનાં શાં પરિણામ આવે? નાથ્રોપ ફ્રાય કહે છે ઃ ‘...this kind of relevance relates the subject to the student: the slithering downward way of mindless education, not the flinty uphill path of relating the student to the subject which is the way of genuine education. આની સામે ફ્રાય myth of freedom ને મૂકે છે. કોઈ પણ વિષયમાં પહેલેથી જ અન્તર્ગતરૂપે આ relevanceનું લક્ષણ રહેલું હોતું નથી. પ્રવર્તમાન સંદર્ભનાં સર્વસાધારણ લક્ષણોનું તારણ કાઢીને એને પ્રસ્તુત એવી રચના કોઈ કરતું નથી. એ જ રીતે કોઈ કૃતિને આજની અપેક્ષાનાં તૈયાર કોષ્ટકનાં ખાનાંમાં મૂકીને કોઈ માપતું નથી. સાહિત્યના વિદ્યાર્થી પોતાને શું પ્રસ્તુત છે તેનો તારસ્વરે દુરાગ્રહ રાખવાને બદલે સાહિત્યકૃતિ સાથેના પોતાના સંબંધની શોધ કરવાના ઉદ્યમ કરે તે જ ઇષ્ટ છે. આજે પ્રવર્તતા વૈફલવ્ય વચ્ચે રહીને આવી પ્રવૃત્તિ સમર્પિતભાવે કરવી તેનું ઐતિહાસિક દૃષ્ટિએ ઘણું મૂલ્ય છે, કારણ કે સંસ્કૃતિનું સંવર્ધન તે શિક્ષિત માનવીઓની જ જવાબદારી છે. પણ આજે તો ‘સંસ્કૃતિના સંરક્ષકો'ની નૈતિક શ્રેષ્ઠતા અસંદિગ્ધરૂપે સ્થાપવી તે જોહુકમીભયું વર્તન આચરવા જેવું ગણાય. આ વલણની સામે આજે રોલથી પૂછવામાં આવે છે : આપણા કહેવાતા અમર સાહિત્યનો ખરેખર કશો પ્રભાવ છે ખરો? જો એવો કશો પ્રભાવ હોત તો આજે જે બર્બરતા દેખાય છે તે આવી હોત? ઉત્તમ કાવ્ય વાંચીને ખીજી જ ક્ષણે ઠંડે કલેજે વ્યવસાયમાં ગેરરીતિ આચરનારા અધ્યાપકો નથી? આજે સમાજમાં વિના કારણની હિંસા પ્રવર્તી રહી છે, આપણા ગરીબ દેશને ન પાષાય એવો સંપત્તિનો જે નાશ થઈ રહ્યો છે તેનો પ્રતિકાર કરનારું કયું બળ આપણે ઊભું કરી શકયા છીએ? આપણી વિદ્યાપીઠેામાં પ્રેમાનંદ અને આનંદશંકરની પ્રતિમા પણ આ નવી બર્બરતાનો ભોગ નથી બની? આની સામે આપણે ગંભીર મુખમુદ્રા રાખીને objective sadness’ કેળવીએ કે ‘historical relativism’ જેવી સંજ્ઞા બચાવ માટે વાપરીને છૂટી જઈ શકીએ? સાહિત્ય જેવી કલાઓના વિકાસને આધારરૂપ વર્ગ ઓજની સમાજરચનામાંથી લુપ્ત થઈ ગયા છે? જેને High Culture કહીએ છીએ તે હવે સંભવિત નથી? સાહિત્ય સૌજન્યને પોષે છે એવી ભ્રાંતિ આપણે ક્યારથી સેવતા થયા? સાહિત્યનું એ પ્રયોજન છે ખરું? સાહિત્યના ક્ષેત્રના વિદગ્ધો સાહિત્ય અને નીતિ વચ્ચેના ગજગ્રાહથી તા કત્યાં સુપરિચિત નથી? આજના સમયમાં એવું શું વિશિષ્ટ છે કે સાહિત્યના રાજકારણ અને સમાજ સાથેના સંબંધોની ફેરતપાસ કરવાનું જરૂરી બની રહે? જ્યૉર્જ સ્ટેઈનરે અભાષિક એવી નવી સંસ્કૃતિના ઉદ્ગમની વાત કરી છે. એના આધાર સ્તંભો સંગીત અને ગણિત છે. આપણે ગમે તે રીતે આખો મુદ્દો રજૂ કરીએ, પણ જ્યાં સુધી કોઈપણ પ્રકારના Higher pusuitsની આવશ્યકતા આપણે સ્વીકારીએ છીએ ત્યાં સુધી માનવીની આ નિર્માણશક્તિ અને સંસ્કૃતિ વચ્ચેના સબંધની ચર્ચાને આપણે ટાળી શકીશું નહીં. વિવેચકોએ શું કરવું એ વિશે કોઈ ધર્માચાર્યની અદાથી આદેશ આપવાનો આ સમય નથી. છતાં સાહિત્યનું મૂલ્ય આજના સમાજમાં સ્થાપવાનો પુરુષાર્થ તો એણે કરવાનો જ છે એ વિશે. કોઈ અસંમત નહીં થાય. લોકશાહીના સિદ્ધાંતનું સર્વ ક્ષેત્રોમાં થતું આરોપણ, પ્રવર્તમાન સામાજિક સંદર્ભ સાથેની સાહિત્યની પ્રસ્તુતતાનો આગ્રહ, પરંપરાગત ઉત્કર્ષના ધોરણો પરત્વેની ડામાડોળ પરિસ્થિતિ અને ‘High culture 'નાં મૂલ્યે! વિશે ઊભી થયેલી સંદેહવૃત્તિ—આ બધાંને કારણે જે વાતાવરણ ઊભું થયું છે તેમાં આજના સાહિત્યકારો, વિવેચકો અને સાહિત્યના અધ્યાપકે પ્રવૃત્ત થવાનું છે. આપણને રુચે કે નહીં. રુચે પણ સાહિત્યમાં સર્જન, અધ્યયન અને અધ્યાપનમાં પ્રવૃત્ત રહેનારા તરીકે આપણી એક જુદા વર્ગ તરીકે સમાજમાં ગણના થવાની જ. એથી આપણને ઘોડુ' અળગાપણું વેઠવાનું આવવાનું જ. અહીં જે લોકો સાહિત્યને કેવળ રોટલા રળવાના સાધન તરીકે જ જુએ છે તેમની વાત કરતો નથી. જેઓ નિષ્ઠાથી સાહિત્યનું અનુશીલન કરતા રહે છે તેમને માટે આ પરિસ્થિતિ ઊભી થાય છે. પ્રજાને જે અર્થમાં રાજકારણ સાથે કે સામાજિક મૂલ્યો સાથે લાગેવળગે છે તે અર્થમાં સાહિત્ય સાથે લાગતું વળગતું નથી. અમુક બૌદ્ધિકોનો એ કેળવેલો શોખ છે, અને એને વિશેની વિવેચનપ્રવૃત્તિમાં જેઓ વિદગ્ધ રસિકો છે કે સાહિત્યવિલાસી છે તેમને જ કશી લેવાદેવા છે. આથી સાહિત્યનો પ્રશ્ન સમાજજીવનનાં મુખ્ય વહેણ સાથે સંબંધ નહીં રાખનારા, ગૌણ પ્રશ્ન જ બની રહે છે. સાહિત્યની ચર્ચામાં જુદા જુદા બે પ્રકારનાં ધોરણોની સેળભેળ થઈ જતી લાગે છે. ‘સરસ્વતીચન્દ્ર'માં રજૂ થયેલા જીવનાદર્શ સાથે પોતાના આદર્શનો પ્રાસ બેસાડીને એનો આહ્લાદ પ્રકટ કરનારા એક બાજુ છે, તો બીજી બાજુ સૈકાજૂની પ્રતોમાંથી પ્રજાના ભૂતકાળના સાંસ્કૃતિક જીવનની કે ભાષાકીય માહિતી ચીવટ અને ઝીણવટથી પશુશ્રમ કરીને શોધનારા પંડિતો છે. પણ સમાજના મોટા ભાગને આ પ્રવૃત્તિમાં રસ નથી. તેમ છતાં જીવનના ઊંચા આદર્શો પ્રત્યેના આદરને કારણે અને વિદ્વાન સર્વત્ર પૂજ્યતે વાળી ચાલી આવતી ભાવનાને કારણે આ બંને પ્રકારના વિદ્રાનાને તો સમાજ, એમની પ્રવૃત્તિમાં ઝાઝો રસ લીધા વિના, દૂર રહીને સત્કારે છે. એમને માટે શિક્ષણસંસ્થાઓનાં કે બીજી સાંસ્કૃતિક સંસ્થાઓનાં અનુદાનો સુલભ બની રહે છે. વિદ્યાપીઠમાં પણ એમનુ ગૌરવ છે. આવું સદ્ભાગ્ય બીજા પ્રકારના સાહિત્યસેવકોને પ્રાપ્ત થતું નથી. એમને પરમ્પરાપ્રાપ્ત જીવનમૂલ્યો કે શ્રદ્ધા દોહરાવવામાં રસ નથી, કારણ કે એ મૂલ્યો માટેની શોધની પ્રક્રિયા હજી ચાલુ છે. સમાજમાં જે મૂલ્યો ચલણી છે તેનાથી ઉફરા જઈને પણ એઓ આ શોધનું સાહસ કરતા હોય છે. એઓ પ્રયોગશીલ છે, માટે એમનો કશી સિદ્ધિ પ્રાપ્ત કર્યાનો દાવો નથી. જીવનના અમુક ખડને જ અનુકૂળતાપૂર્વક સારવી લઈને ઉદ્વેગનો ભોગ બન્યા વિના કે બુદ્ધિભેદ ઊભા કર્યાનું પાપ વહોર્યા વિના સંપૂર્ણપણે નિરુપદ્રવી બનીને સાહિત્યયક્ષેત્રમાં પ્રવૃત્ત થવાનો માર્ગ એમણે સ્વીકાર્યો નથી. જીવનની સમગ્રતાને બને તેટલે અંશે તાગવાનો એમનો પુરુષાર્થ હોય છે. આ કારણે પરપ્રત્યયનેય પ્રતીતિના રાજમાર્ગે થઈને એઓ સમાજસમ્મત લક્ષ્ય તરફ હંમેશાં જતા નથી. એમને સંદેહ, સંક્ષોભ, વિરતિ, વૈકલવય—આ બધાંનો પણ સામનો કરવો પડે છે. પણ એમને મન આ મૂલ્યબોધ માટેની અનિવાર્ય પ્રક્રિયા છે. આ પ્રક્રિયા- માંથી તિતિક્ષાપૂર્વક, ધૈર્યપૂર્વક પસાર થવાનું હોય છે. શિષ્ટ સમાજની માન્યતા પ્રાપ્ત ન થાય એટલું જ નહીં, પણ એનો પુણ્યપ્રકોપ વહોરી લેવો પડે; ગુપ્ત અને સૂક્ષ્મ રીતે ચાલતી Censorshipના એમને ભોગ બનવું પડે. આને પરિણામે આપણી યુગચેતનાને સાહિત્યની પદ્ધતિએ રૂપ આપવા મથનારા આ વર્ગ, પ્રતિકૂળ સાંસ્કારિક આબોહવાને કારણે, દઢમૂળ થઈ શકે નહીં. આખરે તે એક ઘણી મોટી ક્ષતિ છે. સમાજના મોટા વર્ગની જરૂરિયાતને પહોંચી વળવા, જરૂરી પુરવઠા પૂરો પાડવા, સાહિત્યના ક્ષેત્રમાં એક બીજો ઉદ્યમ મોટા પાયા પર ચાલતો હોય છે. આ ઉદ્યમના પરિણામે નીપજતી કૃતિઓ સમાજનો આમવર્ગ માણે છે. એમાં કશી રસકીય સિદ્ધિના દંભ હોતો નથી. ઉચ્ચભ્ર વિદગ્ધો ભલે એની ઉપેક્ષા કરે, વિદ્યાપીઠોના અભ્યાસક્રમોની પ્રશિષ્ટ કૃતિમાં ભલે એ સ્થાન ન પામે. એનો ઝાઝો રંજ પણ હોતો નથી. સાર્વજનિક પુસ્તકાલયો એનાથી ભરેલાં હોય છે. એ આમજનતાની સર્વધારણ વૃત્તિએ અને વાસનાઓને પંપાળે છે, થાબડે છે; એની શ્રદ્ધાને આંચકા આપતી નથી. વ્યભિચારનાં કે બળાત્કારનાં ઉત્તેજક વર્ણનો કરીનેય આખરે સામાજિક નીતિને સમ્મત એવું નિર્વહણ લાવી દઈને એ, બધાં પાપના સ્વાદ ચખાડ્યા છતાં, પુણ્યપ્રકોપના ભોગ બનતાં ઊગરી જાય છે. મૂલ્યબોધની પ્રક્રિયા એને માટે અપ્રસ્તુત છે. મનોર જનનાં થોડાંક ઉપજાવી કાઢેલાં સૂત્રોને જ એ અનુસરે છે. પુનરાવર્તન પકડાઈ ન જાય એવી ચાતુરી વાપરવી એ જ એનો કસબ છે. આ પ્રકારનું સાહિત્ય જેમ જેમ પ્રસરતું જાય છે તેમ તેમ સાચાં કલાતત્ત્વવાળું સાહિત્ય પશ્ચાદ્ભૂમાં સરતું જાય છે. પછી એ થોડા specialistનું ક્ષેત્ર બની રહે છે. આથી આવા સાહિત્યમાં રહેલું પ્રભાવક તત્ત્વ સમાજમાં ક્રિયાશીલ બનતું નથી. કેટલાક આ બે અંતિમો વચ્ચેનો વહેવારુ મધ્યમમાર્ગ સ્વીકારે છે. શિષ્ટ સમાજને રુચે એવું, પ્રયાગશીલતાના થોડા દેખાડાવાળુ અને જીવન વિશે ગંભીર પર્યેપણા કર્યાનો ભાસ થતો હોય એ પ્રકારનું સાહિત્ય તેઓ રચે છે. આપણા જમાનાની નવી પ્રશિષ્ટ’ કૃતિઓ આ પ્રકારમાંથી જ આપણા કાલજ્યેષ્ઠોને પ્રાપ્ત થાય છે. આવી રચના પાછળ ચતુર બુદ્ધિ કામ કરતી હોય છે. આથી એમાં અમુક પ્રકારનું બુદ્ધિચાપલ્ય નર્મરૂપે ચમક્યા કરે છે. આવા પ્રકારની કૃતિઓમાં મૂલ્યબોધની પ્રક્રિયા રસના પરિપાષની પ્રક્રિયા સાથે સમાન્તર ચાલતી નથી. રસનિષ્પત્તિ દ્વારા જ મૂલ્યનિષ્પત્તિ થાય એવું સંયોજન એમાં સર્વથા હોતુ નથી. આવી કૃતિઓ ‘myth of concern'ની અપેક્ષાને સંતોષે છે. નાથોધ ફ્રાય કહે છે તેમ “The myth of concern exits to hold society together, so far as words can do this. For it, truth or reality are not directly connected with reasoning or evidence, but are socially established. What is true, for concern, is what society does and believes in response to.authority, and a belief, so far as belief is verbalized, is a statement of willingness to participate in a myth of concern. આમાંથી એ ફલિત થાય છે કે આ પ્રકારનું સાહિત્ય પરંપરાનું વિરોધી હોઈ શકે નહિ, એને લેખક સમાજના કેન્દ્રથી દૂર જતા નથી, એ પરંપરાનું વહન કરે છે અને પરંપરાપ્રાપ્ત મૂલ્યોને સક્રાન્ત કરતો રહે છે. સત્યને અધિકૃત કે પ્રમાણભૂત બનાવનાર તત્ત્વ તે આવી કશી authority નહીં પણ બોદલેરે જેને કલામાં સિદ્ધ થતાં correspondence રૂપે વર્ણવ્યું છે તે છે. એમાં બાહ્ય જાગતિક ઘટનાનું શબ્દોના વિન્યાસ સાથેનું અવિનાભાવિ એવું સામ્રાજ્ય સ્થપાતું હોય છે. દરેક સમાજમાં પરંપરા સાથેની તત્સમવૃત્તિ અને નવા આવિષ્કારને માટેની સાહસવૃત્તિ વચ્ચે સંઘર્ષ ચાલ્યા કરતો હોય છે. આ પરત્વે સાહિત્યનું અધ્યાપન કરનાર અને એ નિમિત્તે ઊછરતી પ્રજામાં રસકીય રુચિ કેળવીને એ દ્વારા એને મૂલ્યબોધની પ્રાપ્તિના સાહસની દિશામાં અભિમુખ કરનાર જો આ બે વૃત્તિ પૈકીની એક તરફ ઝૂકવાનું વલણ અખત્યાર કરે તો આખરે એ આપણા સાંસ્કૃતિક જીવનની એક મોટી ઊણપમાં પરિણમે. કવિ ઉદ્ગાતા મટી ગયો અને કાવ્યની મૌખિક પરંપરાને સ્થાને લિપિબદ્ધતા આવી ત્યારથી કવિતા સામાજિક સંપત્તિ મટીને વધુ ને વધુ વ્યક્તિગત થતી ગઈ. એ સાથે કવિ પણ કેન્દ્રમાંથી દૂર ને દૂર સરતો ગયો. કાવ્ય દ્વારા વ્યાપક સામાજિક આદર્શો અને વલણો પ્રકટ કરવાની પ્રવૃત્તિ ક્ષીણ થતી ચાલી. આથી સમાજને સંગઠિત કરીને એકરૂપે રાખનાર વિચારા અને પ્રતીકો યોજનાર માત્ર કવિએ રહ્યા નહીં. એ કાર્ય કર્મઠ માનવીઓએ ઉપાડી લીધું. ઘણુંખરું સાહિત્યના ક્ષેત્રની બહાર રહીને પોતાની સૂત્રાત્મક સચોટ વાગ્છટાથી એમણે આ કા પોતાના હાથમાં લઈ લીધું. રોમેન્ટિક વલણવાળા સર્જકોએ સમાજનાં અમાનુષી બળો સામે વિદ્રોહ પોકારીને માનવમૂલ્યોની સ્થાપના કરવાનો પ્રયત્ન ચાલુ રાખ્યા, પણ એમાંય સંસ્કૃતિને ભેદીને પ્રાકૃત ચેતના તરફ જવાનાં વલણો દેખાયાં. આપણે ત્યાં મેથ્યુ આર્નોલ્ડના વિવેચનની માનવ્યલક્ષી વિભાવનાની દીક્ષા લેનારા નથી એમ નથી. એવો વિવેચક પ્રયોગલક્ષી કે ઉછાંછળા કવિ કરતાં ઊંચી કોટિનો લેખાય છે (અલબત્ત, સામાજિક દૃષ્ટિએ વ્યક્તિગત દૃષ્ટિએ નહીં.) તે એ સમાજનો પ્રવક્તા હોય છે માટે. કવિએ અનુસરવાનાં સમાજસમ્મત ધોરણોને એ ઉચ્ચારે છે, એ સમાજના વરેણ્ય વર્ગનો પ્રતિનિધિ હોય છે. શક્તિનો સમુચિત ઉપયોગ કરીને, વ્યક્તિત્વના શ્રેષ્ઠ અંશનો વિકાસ સાધીને એ સમાજમાં વિદગ્ધોનું એક નાનું મંડળ ઊભું કરે છે જે સમાજના આદર્શોની માવજત કરે છે. એ અંતિમોને ચાતરીને ચાલે છે; કોઈપણ પ્રકારની તરફદારીમાં સંડોવાવાનું એ ટાળે છે અને એ રીતે શુદ્ધ અને સર્વમાન્ય ધોરણો સ્થાપી આપવાનું એનું વલણ હોય છે. અમુક વર્ગની કે સ્વાર્થની મર્યાદામાં પૂરાઈ ન રહે એવાં સાહિત્યતત્ત્વને પારખવું, એનું અર્થઘટન કરી આપવું અને એની ઉચ્ચાવતાનો નિર્ણય ઉચ્ચારવા એ પાતાનું કર્તવ્ય છે એમ એ માને છે. આજના લોકશાહી સમાજમાં પોતાને વરેણ્ય માનનારા આ વર્ગનું સ્થાન ખરું? આવો વિવેચક આ રીતે આજે પોતાનું કર્તવ્ય બજાવી શકે? સાહિત્યને ચકાસવાનાં અને મૂલવવાનાં ધોરણો સંપડાવી આપનાર મધ્યસ્થોનો એ વર્ગ આજે લુપ્ત થઈ ગયેલાં લાગે છે. એને પરિણામે આજે કોઈપણ વિવેચક એ વર્ગના પ્રતિનિધિ તરીકે નહીં. પણ વ્યક્તિગત રીતે જ પ્રવૃત્ત થઈ શકે. આમ વિવેચક એક વાર મૂલ્યાંકનની કે નૈતિક ધોરણો જાળવવાની ઝંઝટમાંથી છૂટે પછી એણે કાવ્યની જુદી જુદી અભિવ્યક્તિની વિવિધતા પ્રત્યે સહિષ્ણુતા દાખવવી રહે, દરેક કવિના વ્યક્તિત્વનો આદર કરવાનો રહે. કોઈ ગંભીર વિવેચક ‘મને આ પ્રકારની કવિતા રુચતી નથી,’ એવું કહી નહીં શકે. વિવેચકનું કર્તવ્ય સાહિત્યને પ્રત્યક્ષ રીતે ગોચર થતા જ્ઞાનના પુદ્ગલ તરીકે જોઈને એનો પદ્ધતિસરનો અભ્યાસ કરવાનું છે. વિવેચક તરીકે એણે પોતાને એના કેવળ અંગત પ્રતિભાવોમાંથી મુક્ત કરવા જોઈએ. આર્નોલ્ડ પુરસ્કૃત ‘arbitrative disinteres- tedness' નિષ્ફળ ગઈ છે તો હવે સમાજના અમુક વર્ગની મર્યાદાઓને ઉલ્લંધી જઈ શકે એવી નવા પ્રકારની નિઃસ્પૃહતા એણે કેળવવાની રહેશે. એ વિવેચક કેવળ સાહિત્યને સમર્પિત હોવી જોઈએ. આર્નોલ્ડે કહેલું કે સાહિત્ય જીવનને એની અખંડતામાં જુએ છે. એ એની શ્રદ્ધા હતી, પણ વાસ્તવમાં એવું બને છે ખરું? આ સમગ્રતા માટે તો આપણે વિદ્યાની અન્ય શાખાઓ તરફ પણ, વિવેચક તરીકે, વળવું જોઇએ. આપણો વિષય કેવળ સાહિત્ય નથી પણ એમાં ધર્મ, દર્શન, રાજનીતિના સિદ્ધાંત, સમાજવિજ્ઞાનો અને પુરાણકલ્પનોનો પણ સમાવેશ થાય છે. સંકુચિતતા કે અતડાપણું ન કેળવવું જોઈએ, રાજકારણમાં જેને ‘દમન' કહે છે તેને આ ક્ષેત્રમાં સ્થાન નથી. આ ઉદારમતવાદી માનવ્યપરાયણ દૃષ્ટિકોણ છે. સહિષ્ણુતા એનું મુખ્ય લક્ષણ છે. પણ આ સહિષ્ણુતાને જો કશી સીમા નહીં હોય, જો આપણે એવી વ્યાપકતાનો આગ્રહ રાખીએ જે બધું જ સમાવી લે તો પછી એ ક્ષેત્રની આગવી વિશિષ્ટતાનો લોપ નહીં થઈ જાય? તો પછી એક પ્રકારની અર્થહીનતાને પ્રશ્રય આપવા જેવું નહીં થાય? સામસામો દાવો કરનારાં બળો વચ્ચેની લવાદીનું કામ કોને સોંપીશું? એને માટે શી સજ્જતા કેળવવી જોઈએ? આપણે આદર્શ તરફ વધારે ઝૂકીએ અને માનવવ્યવહારની વાસ્તવિકતાને ધ્યાનમાં ન લઈએ તો આવું બનવાનો સંભવ રહે. આપણાં આશયે અને પ્રવૃત્તિઓ બૌદ્ધિક આદર્શોથી, રહસ્યમય દૈવી શક્તિથી કે સંદર્ભનિરપેક્ષ કશી લાગણીથી જ પ્રેરાતાં હોય છે એવું નથી. એની પાછળ તો સંકુલ અને અવ્યવસ્થિત એવા માનવસંબંધોનાં માળખાંઓ રહ્યાં હોય છે. આપણાં લોભ, સત્તાલાલસા, રતિ, આત્મવંચના, મનોરુગ્ણતા, ચિત્તની અસંતુલિત અસ્વસ્થતા, ક્ષુધાવાસના, આશા, વિષાદ વગેરે આપણને પ્રવૃત્ત કરતાં હોય છે. કેવળ આદર્શો ભિમુખ થઈને વિચારીએ તો આજે જે સંઘર્ષ ઊભો થયો છે તેની કેટલીક વીગતો પ્રત્યે દુર્લક્ષ કરવા જેવું થાય. નિઃસ્પૃહતા અને સહિષ્ણુતાનું નામ લઈને વર્ચસ્ અમુક વર્ગનું જ રહે એવી યુક્તિઓ નથી યોજાતી? આવી નિઃસ્પૃહતાથી, માનવહિતથી નિરપેક્ષ દૃષ્ટિએ, વિજ્ઞાનનો વિકાસ થતાં કેવાં ખતરનાક પરિણામ આવ્યાં છે તેનાથી આપણે સુવિદિત છીએ. જ્ઞાનની એક શાખા તરીકે સાહિત્યનો અભ્યાસ એ વિશિષ્ટ સજ્જતા ધરાવનારનો અધિકાર છે, આવા અભ્યાસમાં જો વ્યક્તિગત વિશિષ્ટ પ્રતિભાવનો કાંકરો જ કાઢી નાખીએ તો એથી સાહિત્યને જ નુકશાન પહોંચશે. આમ નિઃસ્પૃહતા એક આદર્શ છે, માનવજીવનમાં સંપૂર્ણપણે શક્ય એવી સંભવિતતા નથી. વિદ્યાપીઠ સમુદાર દૃષ્ટિ અને માનવતાને ઉપકારક ગુણોની પોષક છે. ત્યાં આપણે કશા અનુચિત અભિનિવેશ કે આક્રોશ વિના, બહારનાં કશાં દબાણને વશ થયા વિના, બુદ્ધિપૂર્વક, પ્રયોગો કરીને તર્કશ્રદ્ધેય ભૂમિકા પર શિક્ષણુનું, માનવતાને ઉપકારક, કાર્ય કરી શકીએ. ત્યાં કુંઠિત થઈ જતી કલ્પનાને માટે નવી ક્ષિતિજો ઉઘાડી શકીએ. એ કોઈ ધાર્મિક સમ્પ્રદાય કે રાજકીય પક્ષના જેવી સંસ્થા નથી જેને વફાદારીને નામે સિદ્ધાંતજડ થવું પડે. વિદ્યાપીઠોને માટે હરકત ઊભી કરીને, બધા સામાજિક દોષોનું આરોપણ એના પર કરીને, જ્ઞાનની પ્રાપ્તિ અને એના પ્રસારને અનુકૂળ વાતાવરણને દૂષિત કરીને, આપણે સામાજિક ક્રાન્તિ કે રાજકીય ક્રાન્તિ લાવી શકીએ નહીં. જ્ઞાનપ્રાપ્તિ અને એના પ્રસારમાં પ્રવૃત્ત રહેનારો વર્ગ સમાજમાં પ્રતિષ્ઠા ભલે ન પામે, પણ એની આ પ્રવૃત્તિ પર અપરાધબેાધનો ઓછાયો પડવો ન જોઈએ. એને સમાજે ઊભા કરેલા નવા અસ્પૃશ્યોમાં ગણી લેવો ન જોઈએ. જ્ઞાનના ક્ષેત્રમાં જે તાટસ્થ્યની અપેક્ષા છે, જે અનાસક્તિની અપેક્ષા છે, તેને માટે હૃદયજડ બની જવું અનિવાર્ય નથી. આખરે વિદ્યાપીઠો પણ અમુક વિશિષ્ટ લક્ષ્યને સમર્પિત સંસ્થાઓ છે. એ અર્થમાં એ લક્ષ્યથી એ બંધાયેલી જ છે. આ લક્ષ્યા સમાજબાહ્ય કે સમાજવિરોધી નથી હોતો. પણ અમુક તબક્કે લક્ષ્યો વિશેની આપણી સમજ ધૂંધળી બની હાય, અને સિદ્ધ કરવાની પદ્ધતિ પરત્વે એકવાક્યતા ન હોય, ત્યારે વાતા- વરણમાં સંક્ષુબ્ધતા ફેલાઈ જાય છે. એવે વખતે વિશદ પારદર્શકતાની જાળવણી કરવાનું કામ વિદ્યાપીઠોનું છે. આજે આપણે આવા જ એક તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ. આવી પરિસ્થિતિમાં સમાજમાં કે રાજકારણમાં હાલપૂરતું વર્ચસ્ ધરાવનારા વર્ગની શેહમાં દબાઈ જઈને, સુરક્ષિતતાને ખાતર, જો આપણે, વ્યવહારકુશળતા અને મુત્સદ્દીગીરીને નામે, આપણાં લક્ષ્યને વિઘાતક એવાં સમાધાનો કરી લઈને એને ગમે તેવી કુશાગ્રબુદ્ધિથી ઇષ્ટ ઠરાવવાનો પ્રયત્ન કરીશું તો આપણાં એ સ્ખલનને આપણી પ્રશ્નનો સાંસ્કૃતિક ઇતિહાસ માફ કરવાનો નથી. આપણી સાહિત્યચર્ચા કાલનિરપેક્ષ દૃષ્ટિએ થાય તો જ એનું ગૌરવ જળવાય એવી માન્યતા પણ સાવ સાચી નથી. આથી, આજે આપણી વચ્ચે વિદ્યમાન પણ મનથી અને હૃદયથી આપણાથી આગળની પેઢી સાથે વધુ એકતા અનુભવનાર, કાલ-જ્યેષ્ઠોએ પરિવર્તનની પ્રક્રિયાને સમજીને અર્વાચીન માનવસંદર્ભ અને સંવેદનાને મૂર્ત કરવા મથનાર સાહિત્યને પણ, કેવળ એની સમકાલીનતાને ખાતર નહીં, પણ કલાતત્ત્વના ઉત્કર્ષને ધ્યાનમાં લઈને, વિદ્યાપીઠેશમાં પ્રવેશ કરાવવો જોઈએ. વિવેચક પોતાનાં સમકાલીન સર્જકને કે એની કૃતિને ન્યાય્ય ઠરાવવા બંધાયેલા નથી. એવી વકીલાત કે હિમાયત તે સાચા અર્થમાં વિવેચન નથી. પણ અર્વાચીન સંદર્ભમાંને પણ સમસ્યાઓને મૂર્ત કરી આપવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે તે સ્વીકારીને એના પ્રયત્નોની સમજપૂર્વકની આલોચના તો થવી જ જોઇએ. આજની સામાજિક અવસ્થામાં એવું બન્યું છે કે સર્જક દૂર ને દૂર ધકેલાતો ગયો છે. એ તુંડમિજાજી બનીને અલગારીપણું કેળવતો નથી, એને અલગારી થવાનું આવ્યું છે. આથી એનો અવાજ તે એક અંગત અવાજ છે. આ પરિસ્થિતિથી એ સભાન છે, માટે જ એ પોતે જ પોતાની આ પ્રવૃત્તિ વિશે પ્રશ્નો પોતાની રચનામાં જ ઉઠાવે છે. એ પોતાની જ વિડમ્બના પણ કરતો હોય છે. ભાષાના પ્રપંચ પરત્વે એ કેટલીકવાર ઉદાસ અને સપ્રશ્ન બનતો દેખાય છે. આજના સાહિત્યનું એક વિશિષ્ટ લક્ષણ એ છે કે એ સાહિત્યસ્વરૂપની રચના દ્વારા જ એ સ્વરૂપની અકાર્યકરતા પણ તપાસીને ચીંધી બતાવતો હોય છે. એની આ પ્રામાણિકતા, શોધવૃત્તિ અને નિષ્ઠાને જે આપણે mannerismમાં કે અળવીતરાપણામાં ખપાવી દઈશું. તો તે આપણી અસહિષ્ણુતા અને અનુદારતાનું જ દ્યોતક બની રહેશે. પોતાના વ્યાપમાં સમાવી લઈ નહીં શકાય એટલી બધી અરાજકતા અને અસંગતિએ સાથે આજના સર્જકને બાથ ભિડાવવાની આવી છે. આથી કોઈકવાર એમ એ પણ બન્યું હોય કે Cohesive formની આપણી શાસ્રપ્રાપ્ત અપેક્ષાઓ એણે ન સંતોષી હોય. છતાં કૃતિની અખંડતા જાળવવાના એણે યથાશક્ય પ્રયત્નો સર્જકની નિષ્ઠાથી કર્યા હોય તો આપણે એની નોંધ લેવી જોઈએ. એ આજના આપણા અનુભવોને રૂપ આપીને મૂર્ત કરી એને વિશેની આંતરિક સૂઝ વિકસાવવા મથતો હોય તો એને અસામાજિક શી રીતે કહી શકાય? સર્જકના સંઘર્ષની પ્રક્રિયાનો આલેખ પણ વિવેચકે આપવો જોઈએ, તો એને વિશેની કેટલીક બેજવાબદાર ગેરસમજો દૂર થાય. આપણે આપણા ભૂતકાળના શો ઉપયોગ કરીએ છીએ એ પણ તપાસવું જોઈએ. આપણે એને એવી રીતે વાપરીએ છીએ. ખરા કે જેથી આજની આપણી સંવેદનામાં એક નવું મહત્ત્વનું પરિમાણ ઉમેરાય? કે પછી આજના મૂલ્યહ્રાસના અને સંક્ષોભના જમાનામાં એને જ એક આધાર ગણીને માત્ર ટેકણલાકડી તરીકે વાપરીએ છીએ? એ ભૂતકાળ આપણી વણુસંતાષાયેલી અપેક્ષાઓએ ઊભું કરેલું કશુંક કપોલકલ્પિત તત્ત્વ તો નથી ને? આજે વાતાવરણમાં પ્રવર્તતી વિધ્વંસકતા, વિરતિ અને અરાજકતા જે સમસ્યા ઊભી કરે છે તે પરત્વે ભૂતકાળ પાસેથી આપણે કશી મદદ પામી શકીએ ખરા? આપણે જ ઇતિહાસની એક અપૂર્વ કટોકટીના સમયમાં જીવી રહ્યા છીએ એને કારણે ભૂતકાળ આપણે માટે સર્વથા અપ્રસ્તુત બની રહ્યો છે એમ કહેવામાં વાગ્છટા હશે પણ સત્ય નથી. આવી કટોકટીની ક્ષણે આપણે સાહિત્યરચના અને સાહિત્યચર્ચા કરીએ તે રોમ બળતું હોય ત્યારે ફીડલ વગાડવા જેવું છે એવો પણ આક્રેશ રહી રહીને ઊઠે છે. આજે સર્જન કરતાં સંહારનું પલ્લું નમી ગયું છે ત્યારે સ્મશાનમાં રજનીગંધાના છોડ રોપી આવીને સ્મશાનને ઉદ્યાન તરીકે ખપાવવાની ભ્રમણા આત્મદ્રોહી નહીં પણ યુગદ્રોહી છે એવું પણ કેટલાક રોષથી કહે છે. આજે પ્રવર્તમાન અમાનુષીપણા વચ્ચે ઊભા રહીને ઉદાર માનવતાવાદનું રટણ કર્યા કરવું એ વૃથા કાલક્ષેપ છે એમ પણ કેટલાક માને છે. પણ આટલેથી જ અટકવાનું નથી. એથી આગળ જઈને આપણે એ પ્રશ્ન પણ પૂછી શકીએ કે આ બર્બરતા, અમાનુષીપણું ફેલાવવામાં સાહિત્ય કેટલે અંશે જવાબદાર છે? આ બર્બરતાનું સુરમ્ય આચ્છાદન સાહિત્ય ઘણીવાર નથી બની રહ્યું? કહેવાતા માનવતાવાદીઓ જ આ. અમાનુષીપણામાં સંડોવાયા હોય તો એમણે માનવતાવાદને નામે મોટા મોટા દાવા કરવાનું છોડી દેવું જોઈએ. જો આજે દેખાતી બર્બરતા આકસ્મિક નથી તો એને જન્મ આપનારાં કયાં પરિબળો આપણી સંસ્કૃતિમાં રહેલાં છે? માનવતાનો નૈતિક આદર્શ અને આપણો માનવવ્યવહાર એ બે વચ્ચેના સંબંધની કોઈ સીધી કડી નથી. માનવવિદ્યાઓને આજે આ બર્બરતા અને અમાનુષીપણાં સામે ઝૂઝવાનું આવ્યું છે એટલું નક્કી. પણ એથી કરીને માનવીની સર્જકતાએ જે કાંઈ શ્રેષ્ઠ અને કાલજયી સિદ્ધ કર્યુ છે તેને પણ આપણે વખોડી કાઢી શકીએ નહીં. એ માટે એ. શ્રેષ્ઠ શું છે અને એ કયાં વિરોધી પરિબળો વચ્ચે શી રીતે નિષ્પન્ન થયું છે તે બતાવી આપવાનું રહે. સર્જન એ આખરે તો સાહસ છે. દૈવી પ્રેરણાથી અનુપ્રાણિત થઈને જ જો એ આપણે કરતા હોઈએ તો એની નીતિઅનીતિનો પ્રશ્ન ઊભો જ થાય નહીં. પણ આ સાહસ પૂર્વનિર્ણિત સફળતાના ગણિતને અનુસરીને થતું નથી. આથી એમાં સાચા કે ખોટા પડવાના. પ્રશ્નને મહત્ત્વ ન હોવું જોઈએ. જો આપણે આજે નારકી પરિસ્થિતિમાં મૂકાયા હોઈએ તો એનું ભાન પણુ સાહિત્ય જ કરાવશે, પણ તેથી એ નારકી પરિસ્થિતિમાં રાચે છે એમ કહેવું ઠીક નથી. આજે જે પ્રશ્નોની માંડણી જે રીતે થવી જોઈએ તે થતી નથી. ભૂતકાળમાંથી સમાધાન શોધી લેનારા માટે આ પ્રશ્ન પૂછવાનો ઉદ્યમ પણ એક પ્રકારની નાસ્તિકતા ઠરે છે. આજે આવા ઉચ્ચારિતઅનુચ્ચારિત અનેક વિધિનિષેધોને કારણે સાહિત્યના ક્ષેત્રમાં બંધિયારપણું અનુભવાય છે. આપણે આ નિમિત્તે થોડાક પ્રસંગોથી છંછેડાઈને અહીંથી જઈશું તે પણ આપણું આ મિલન, મારી દૃષ્ટિએ તો, સાર્થક ઠરશે. ૨૫મું સંમેલન