અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલમુકુન્દ દવે/મનમેળ

Revision as of 21:13, 25 January 2022 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મનમેળ

બાલમુકુન્દ દવે

         કેવા રે મળેલા મનના મેળ?
હો રુદિયાના રાજા! કેવા રે મળેલા મનના મેળ?
         ચોકમાં ગૂંથાય જેવી ચાંદરણાંની જાળી,
         જેવી માંડવે વીંટાય નાગરવેલ :
હો રુદિયાની રાણી! એવા રે મળેલા મનના મેળ!
         તુંબું ને જંતરની વાણી
         કાંઠા ને સરિતાનાં પાણી
ગોધણની ઘંટડીએ જેવી સોહે સંધ્યાવેળ :
હો રુદિયાના રાજા! એવા રે મળેલા મનના મેળ!
         ધરતી ભીંજાય જેવી મેહુલાની ધારે,
         જેવાં બીજ રે ફણગાય ખાતરખેડ :
હો રુદિયાની રાણી! એવા રે મળેલા મનના મેળ!
                  સંગનો ઉમંગ માણી,
                  જિન્દગીને જીવી જાણી;
એક રે ક્યારામાં જેવાં ઝૂક્યાં ચંપો-કેળ :
હો રુદિયાના રાજા! એવા રે મળેલા મનના મેળ!
         જળમાં ઝિલાય જેવાં આભનાં ઊંડાણ,
         જેવા ક્ષિતિજે ઢોળાય દિશના ઘેર :
હો રુદિયાની રાણી! એવા રે મળેલા મનના મેળ!

(કુન્તલ, ૧૯૯૨, પૃ. ૭)




બાલમુકુન્દ દવે • કેવા રે મળેલા મનના મેળ? • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા • સ્વર: હર્ષદા રાવળ અને જનાર્દન રાવળ



બાલમુકુન્દ દવે • કેવા રે મળેલા મનના મેળ? • સ્વરનિયોજન: રાસબિહારી દેસાઇ • સ્વર: હિમાલી વ્યાસ નાયક અને સોનિક સુથાર