કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૩૦. છેલ્લી પૂજા


૩૦. છેલ્લી પૂજા

પ્રહ્લાદ પારેખ

અજાતશત્રુના પૂરે રાજઆજ્ઞા ફરી વળી,
‘‘બુદ્ધનો સ્તૂપ કો પૂજે, મોતની તો સજા ઠરી.’’

સંધ્યા તણા આર્ત વિલાપ કેરી
છાયા ઢળે છે જગ શોક-ઘેરી.
વિલાપ કેરા પડઘા સમા આ
ડંકા પડે મંદિર-આરતીના.

ત્યારે ધરીને કર આરતીની
સામગ્રી, કો સુંદરી આવતી’તી :
તેણે સુણી શું નવ રાજઆજ્ઞા ?
સુણી છતાં વા કરતી અવજ્ઞા ?

ધીમાં જેવાં મૃદુલ પગલાં આભ ચંદા ધરે છે,
ને એના એ મધુર અઘરે સ્મિત જેવું વહે છે,
ઓષ્ઠે તેવું અવિરત વહે સ્મિત, ને પાય તેવા
દેતી, આવે સ્તૂપની કરવા શ્રીમતી આજ સેવા.

નાચી રહી છે નવશિખ આરતી,
નાચંત તેની શતરશ્મિ આંખડી;
કરે ધરેલી ફૂલમાળ કેરી
નાચી રહી સર્વ પ્રફુલ્લ પાંખડી.

ભક્તિભારે નયન નમણાં સ્તૂપ પાસે ઢળે છે;
પ્રેમાશ્રુ સતત વહતાં, સ્તૂપ તેથી ધુએ છે;
છાની જાણે હૃદય તણી, કો સાથ, ગોષ્ઠી કરે છે;
ઓષ્ઠો તેના મધુર ફરકે, મંદ તેવું લવે છે.

છેલ્લી હતી એ નવશિખ આરતી,
ને સ્તૂપકંઠે ફૂલમાળ છેલ્લી;
વાતો હતી અંતિમ સર્વ આજની,
ને આખરી એ પળ જિંદગી તણી.

બુદ્ધના સ્તૂપની પૂજા કરંતી જોઈ સુંદરી,
પુરના રક્ષકો કેરી પ્રકોપે આંખ પ્રજ્વળી.

‘‘તેણે સુણી શું નવ રાજઆજ્ઞા ?
સુણી છતાં વા કરતી અવજ્ઞા ?’’
કરે ધરી એ નિજ ખડ્ગ આવતો,
આજ્ઞા-અવજ્ઞા નીરખી જળી જતો.

કંપી રહે છે નવશિખ આરતી,
ને ધ્રૂજતી સૌ ફૂલમાળ-પાંખડી;
નભે બધા તારક થરથરે છે;
નિસર્ગ જાણે ડૂસકું ભરે છે.

‘‘ઉલ્લંઘી રાજઆજ્ઞાને કોણ તું સ્તૂપ ‘પૂજતી ?’’
જગાડી સુંદરી, પૂછ્યું; કોપે વાણી ય ધ્રૂજતી.
‘‘બુદ્ધના પાયની દાસી’’, – સુણંતાં અસિ ઊછળે;
નમેલા સુંદરી કેરા આવીને એ પડે ગળે.

શી આરતી વા ફૂલમાળ ત્યાં એ,
જ્યાં પ્રાણ કેરી થઈ પુષ્પમાળ !
ને કાય કેરી થઈ ભવ્ય આરતી,
– શિખા સહસ્ર થઈ રક્તધારની !
(બારી બહાર, પૃ. ૧૩૦-૧૩૧)