ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કર્મસિંહ-૨-કરમસી


કર્મસિંહ-૨/કરમસી/ [ઇ. ૧૬૭૪માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. જયચંદ્રસૂરિની પરંપરામાં પ્રમોદચંદ્રના શિષ્ય. ‘જૈન રાસ સંગ્રહ’ એમનું નામ મહોપાધ્યાય કર્મચંદ્રગણિ આપે છે પણ એને માટે કૃતિમાં કશો આધાર નથી. એમની દુહા, સોરઠા અને દેશીબદ્ધ ૨૯ ઢાળ અને ૫૫૫ કડીની ‘રોહિણી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૪/સં. ૧૭૩૦, કારતક સુદ ૧૦, રવિવાર; મુ.) વિવિધ પ્રકારની ગેય દેશીઓના વિનિયોગને કારણે તેમ જ પ્રસંગોપાત્ત પરંપરાગત અલંકારોનો આશ્રય લેતાં નગર, સ્વયંવરમંડપ, લગ્નોત્સવ, નારીસૌંદર્ય, આભૂષણો વગેરેનાં વીગતવાર વર્ણોનોને લીધે નોંધપાત્ર બને છે. કવિની ભાષામાં રાજસ્થાનીની છાંટ વર્તાય છે. કૃતિ : જૈન રાસ સંગ્રહ : ૧, સં. સાગરચંદ્રજી, ઈ.૧૯૩૦ (+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨); ૨. ટ્રેઝર્સ ઑવ જૈન ભંડારઝ, સં. ઉમાકાંત પી. શાહ, ઈ.૧૯૭૮.[ક.શે.]