ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કર્મસિંહ-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કર્મસિંહ-૩ [ઈ.૧૭૦૬માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. રાજચંદ્રસૂરિની પરંપરામાં ધર્મસિંહના શિષ્ય. ‘જૈન રાસ સંગ્રહ’ એમનું નામ વાચક કર્મચંદ્રગણિ આપે છે પરંતુ કૃતિમાં એને માટે કોઈ આધાર નથી. એમની દુહા, ચોપાઈ તથા દેશીબદ્ધ ૯ ઢાળની ‘મોહચરિત્રગર્ભિત-અઢારનાતરાં-ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૬, સ્વલિખિત પ્રત; લે.ઈ.૧૭૦૬/સં. ૧૭૬૨, માગશર વદ ૫, ગુરુવાર; મુ.) ૪ ઢાળમાં કુબેરદત્ત-કુબેરદત્તાનું વૃત્તાંત વર્ણવે છે, જેમાં મોહવશતાથી અને વિધિવૈચિત્ર્યથી ૧૮ પ્રકારના સગાઈ-સંબંધો ઊભા થાય છે. બાકીની ૫ ઢાળમાં મોહરાજાના સુભેટો અને સાથીઓના નિર્દેશ સાથે એનો પ્રતાપ વર્ણવી એમાંથી છૂટવાના માર્ગો બતાવ્યા છે. કૃતિ : જૈન રાસ સંગ્રહ:૧; સં. સાગરચંદ્રજી, ઈ.૧૯૩૦ (+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ: ૩(૨). [ક.શે.]