ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોવિંદરામ-૨


ગોવિંદરામ-૨ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : રાજારામના પુત્ર. નગીનાબાદના વતની અને જ્ઞાતિએ બાજ ખેડાવાળ બ્રાહ્મણ. ધર્મે વૈષ્ણવ હોવાનું સમજાય છે પરંતુ પોતાના ગુરુ તરીકે કલ્યાણ અને પ્રીતમનો નિર્દેશ કરે છે. એમનાં ‘મધુરાં’ નામક ૨૪ કડવાં અને ૫૯૫ કડીનું ‘હરિશ્ચંદ્ર-આખ્યાન’ (ર.ઈ.૧૮૦૦/સં. ૧૮૫૬, આસો સુદ ૭, ગુરુવાર; મુ.) હરિશ્ચંદ્રની પ્રસિદ્ધ કથાને પ્રાસાદિક રીતે આલેખે છે. તેને નામે ‘અરજીનાં પદો’ (ર.ઈ.૧૭૮૭) તથા ‘આઠવાર’ પણ નોંધાયેલ છે. કૃતિ : પ્રાકાસુધા:૪ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત:૩;  ૨. ગૂહાયાદી.[ચ.શે.]