ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો/નિયતિનું નાઈટમૅર


૬. નિયતિનું નાઈટમૅર

સરોજ પાઠક

સરોજ પાઠકની નવલકથા ‘નાઈટમૅર’ આ દાયકાની એક અદ્ભુત સુન્દર મનોવૈજ્ઞાનિક નવલકથા છે. એની સુન્દરતાનું રહસ્ય, લેખિકાએ બસો એકાણું પાનના વિશાળ પટ પર સાતત્યપૂર્ણ ખંત અને ચીવટથી માનવમનની ગલીકૂચીઓનાં અંધારાં-અજવાળાં ખોલતાં પરિમાણોની સંકુલતાઓની જે ડિઝાઈનો ગૂંથી છે, તે ગૂંથણીના કસબમાં છુપાયું છે. નિયતિના પ્રિયજન સાર્થને નહિ પણ એના મોટાભાઈ અનન્યને વિધિવત્ પરણ્યા પછી, નવલનો વિષય શરૂ થાય છે. સાર્થ અને અનન્ય અને નિયતિ ત્રણેને સાથે રહેવાનું છે; વચમાં પાર્ટિશનથી -અથવા પાર્ટિશન જેટલે જ દૂર- સાર્થ જીવી રહ્યો છે, નિયતિ-અનન્યની જોડે જ શ્વસી રહ્યો છે. આ સહવાસ અને તેમાં ઊભી થતી અસાધારણ-સાધારણ મનોયાતનાઓ, જિન્દગીનો વિલાઈ જતો સરળ સહજ ક્રમ-ઉપક્રમ અને એને પાછો પામવાના ફોગટ પ્રયાસો આદિની એક માનવીય tragedy કલાત્મક રીતે ઉપસાવી આપવાનું શ્રીમતી સરોજે સાહસ આદર્યું છે, અને તેમાં તેઓ પાર ઊતર્યાં છે. પ્રણયત્રિકોણની ચીલાચાલુ અને બાહ્ય પરિમાણોમાં પથરાતી સપાટ ઉપલક વાસ્તવિકતા નહિ પણ સાચા અર્થમાં inner lifeની પૂરી વાસ્તવિકતા અહીં શબ્દરૂપ પામી છે – અલબત્ત એનું ઊંડાણ ચેતના અવચેતના કે અચેતનાનાં ઊંડાણોનું નથી પણ માનવમનનું છે, ચૈતસિક સ્તર સુધીનું છે, ને તેથી રચના મનોવૈજ્ઞાનિક નવલકથા બની રહે છે. અને એયે જેવો તેવો પડકાર નથી...![1] નિયતિ નિદ્રાવસ્થામાં નહિ પણ જાગ્રતિમાં પૂરી સભાનતાથી નાઈટમેરને જીવી રહી છે. એ સહવાસમાંથી ફૂટેલી ન દમી શકાય તેવી મનોભીતિથી છળી ઊઠેલો અનન્ય એક સ્વપ્ન ગોઠવે છે, એનાથી એમ થઈ જાય છે- ‘એમ થઈ જવા’નું દર્દ એ જીવી રહ્યો છે. મૂંગો, મૂઢ કે કદાચ આઘાત-જડ થઈ ગયેલો સાર્થ લૂલા લા પ્રયાસોથી ટકી રહેલો જણાય છે. સ્ત્રી-પુરુષ સમ્બન્ધની ચૈતસિક જડો ઊખડી જતાં ઊભું થતું લપટાપણું આખી રચનામાં જુદે જુદે સૂરે ખખડે છે- એ ખખડાટમાં પરેશ-સોહિણી અને સોના-બાદલ પોતાનાં દર્દ વ્યથા રેડે છે. સીમા અંજુ અશેષા વગેરે ગૌણ પાત્રો એક તરફથી સાર્થના પાત્રની વિભાવના પૂરી કરી આપે છે તો બીજી તરફથી એ બધાં દૂર દૂરથી નિયતિની યાતનાને પ્રકાશિત કરે છે, સોહિણી તો (અને શ્વેતા પણ) પરાવર્તિત પણ કરે છે. પાત્રોની આ દીપ-દર્પણરૂપતા તેમનાં વર્તન અને તજ્જન્ય પ્રસંગ-ઘટના આદિને નિયત્રે છે. વૈયક્તિક ભાવ લાગણી કે વૃત્તિઓથી જાગતાં મનોવલણો અહીં રચનાને ‘મનોવૈજ્ઞાનિક’ વિશેષણની બળવાન ભૂમિકા પૂરી પાડે છે. ખરેખર તો આ કથા નિયતિની છે, અને પટન્તરે અનન્યની છે. સાર્થ આદિ બીજાં તમામ પાત્રો સરવાળે તો નિયતિના મનોવિશ્વને આકાર આપે છે. છતાં તે સૌનાં વલણ-વર્તન લેખિકાએ નિષ્ઠાભરી પ્રામાણિકતાથી નિરૂપ્યાં છે : મૌનમાં એમની ડૂબકીઓ, એમનાં મૂંગાપણાની સભરતાઓ, એમની વાચાળતાનું પોલાપણું, એમના શબ્દાર્થની અણીઓ તો ક્યારેક અનર્થની શૂન્યતાઓ, પેટમાં ઊઠતા આમળા, મોં પર આવી જતી હંસી તો ક્યારેક છવાઈ જતી મ્લાનિ, સમક્ષ મંડાયેલી છતાં અંતરમાં પાછી શોષાઈ જતી નજરો, દામ્પત્ય અને સ્ત્રી-પુરુષ સમ્બન્ધમાં ઊભી કરાતી તો ક્યારેક આપોઆપ ઊભી થતી ગૂંચો, ન છુપાવી શકાતી સ્વસ્થતા, મનથી થતાં પાપ અને ચોરીઓ, સાદા આછા કે આઘાતક નિર્ણયોને કિનારે આવતાં પહેલાંની દરેક છોળમાં, દરેક ડૂબકીમાં, સૌ પોતપોતાની જિદ્ર અને આગ્રહો-માન્યતાઓથી પિડાય કે સુખભાવે આનંદે તે અનુભૂતિઓ, વિચારતન્ત્ર પરથી ઊઠી જતા કાબૂ તો વગર કારણે આવતા દાબ, કલ્પનાચિત્રોની સુન્દરતાઓ અને વાસ્તવચિત્રોની બિહામણી છાયાઓ : ટૂંકમાં, બધું બતાવે છે કે જિન્દગી કોઈ સ્વપ્ન નથી, દુઃસ્વપ્ન છે, ભૂતાવળ છે; અહંકાર જેના કેન્દ્રમાં છે તે ચિત્તની, મનની આ દુનિયાઓમાં એ તીવ્રતાથી જિવાય છે -જિવાતાં જિવાતાં એ બાહાલગી વર્તનરૂપે ફેલાય છે. સરોજ પાઠકે બહુ સશક્ત ભાવે, માનવીનાં psychological manifestationsને ઓળખી, action-reaction અને reflex-actionની અહીં ટૅક્નિક-સુન્દર ચિત્રણાઓ ખડી કરી છે. મન વચન અને વર્તનની પળેપળે disturb થતી સંવાદિતાઓની ડિઝાઈન લેખિકાએ અહીં flash-back, interior monologe કે dialogue આદિ નિરૂપણ-પદ્ધતિઓને સહારે ગૂંથી છે. એ સમગ્ર ગૂંથણી ખણ્ડિત મનોવિશ્વોનું ધબકતું, જીવવાળું, collage છે કેમ કે નિરૂપણ chronicleનું નથી, psycho-chronicleનું છે. સાર્થ જેવા કોઈકના પ્રેમે ભૂતકાળમાં સ્ફુટ કરી આપેલી અહંકાર અને જાતશ્રદ્ધાની કૂંપળ પ્રત્યે રતિ, અને તેની રક્ષાનો મરણિયો પ્રયાસ, તે નિયતિના ચરિત્રનું મર્મગત હાર્દ છે. નિયતિનો આ પ્રેમપ્રેરિત આત્મરતિભાવ, એ ઝનૂને નથી ચડતી એટલા માટે આસ્વાદ્ય બને છે, બલકે તેથી જ એના એ અંતરતમની સુકુમારતા સચવાય છે. પણ એ રતિને દબાવી મનના ધર્મો સંજોગો બદલતા રહે છે- સમાજે આપેલા વર અને ઘરમાં ગોઠવાઈ જવાનું ને બધું સમુંસુતર કરી મૂકવાનું. ઘણા પ્રયત્ન પછી પણ બનતું નથી, વળી સાર્થનો સહ-વાસ ઘણાં સુકાન બદલાવે છે, નિયતિ છેવટે મનોસ્વાસ્થ્ય અને હળવાશ ગુમાવે છે; પેલી નિયતિ પોતાનામાંથી આકાર લેતી બીજી નિયતિને દમી શકતી નથી. એના વિકસનને રોકી શકતી નથી, ઓશિયાળા બની ગયેલા, લઘુ લાગતા અનન્યની પ્રતિમાનું સાર્થ દર્શન કરે તેમાં નિયતિને નાનમ લાગે છે, હાર લાગે છે; અને તેથી બધા પ્રયાસોથી એ અનન્યની બની રહેવા મથે છે. એની મૂળ આત્મરતિના ભાગરૂપે આ ઉમેરાય છે. સાર્થની ઉપસ્થિતિમાં આવો એક સન્નિષ્ઠ પ્રયાસ આરંભાય છે -જેમાં જે બન્યું છે તેનું સુખ છે શાંતિ છે એમ બતાવવાની કોશિશો મુખરિત થઈ છે. એ પુરુષાર્થની નિષ્ઠા ક્યારેક અભિનયનની દિશામાં પણ પછી તો વિકસે છે. નિયતિ સહિષ્ણુ નથી અને અનુદાર છે તેથી સાર્થ પ્રત્યે ઈર્ષ્યા રોગ ધૂંધવાટ અનુભવતી તૂટતી રહે છે. આ તરફ અનન્યનું submission કંઈક ક્ષમાભાવવાળું, ઉદાર, સહી લેનારું ને કંઈક અંશે guiltથી પ્રેરિત છે. નમ્રતા અને લઘુતા, ઉદારતા અને કાયરતાની સીમારેખા પર એ શરૂમાં ભમતો જણાય છે. પતિપદે હોવા છતાં અનધિકાર અનુભવતો અનન્ય ઓશિયાળો અને હ્રસ્વ થતો જાય છે એ નિયતિના અહંને છંછેડનારું નીવડે છે. માટે જ એમાં બીજી નિયતિ જન્મે છે- જે સાર્થ-અભિમુખ, મિત્ર-અભિમુખ અને છેલ્લે સમાજાભિમુખ છે, જે પોતાની પ્રાપ્તિને સમ્યક્ અને સભર ઠરાવવા મથે છે. લાલ ગાલ બતાવવાનો નિયતિનો આ પરિશ્રમ કથામાં ઘણે સ્થળે જુદાં જુદાં પરાવર્તન પામ્યો છે. લેખિકા કહે છે, ‘નિયતિએ પોતાની દૃષ્ટિએ, પોતાને ગમતી એક પતિની મૂર્તિ કંડારી હતી. એ એની સામે ઊભેલા એના પતિ અનન્ય કરતાં જુદો, અનોખો આકાર હતો. અનન્ય જેવો હતો તેવો, ગમે તેટલો સંપૂર્ણ, સુંદર કે સારો પતિ હોય તોય નિયતિને તે જાણે અધૂરો લાગ્યો હોય એમ, તેણે પોતાના મિત્રવર્તુળ પાસે, જાણે સ્વગત એકરાર કરતી હોય કે હાથમાં ચિત્ર બનાવવા પીંછી ને રંગો લઈને કૅન્વાસ સામે ઊભી હોય તેમ, અનન્યની મૂર્તિ રોજ રોજ પોતાને મનગમતી રેખાઓથી મનગમતી રીતે બનાવી હતી. જ્યારે સભાનતાથી તે જીવતા પોતાના પતિ અનન્ય પાસે ઊભી રહેતી ત્યારે દુઃખના- કોઈ વિચિત્ર દુ:ખના સણકાથી છળી ઊઠતી પણ હવે, એનામાં નવી નિયતિ જુદું જ મથી રહે છે. ‘પતિ સિવાય- પતિના સુખ સિવાય, પતિના પ્રેમ સિવાય, પતિની ખુશી સિવાય નિયતિને હવે કશો વિચાર આવતો જ નથી. એ માત્ર અન્યે જ નહીં, સાર્થે પણ જાણી લેવું જોઈએ. પોતે સાર્થને પામીને ક્યારેક સુખી થઈ શકી હોત તે કરતાંય કોટિગણી તે સુખી છે એમ એ પોતાની જાતને, ઓશિયાળા ઘર બહાર ફરી રહેલા અનન્યને અને ખાસ તો સાર્થને જણાવવા માગતી હતી.[2] જાતને કે અન્યને સુખી છું’ એમ બતાવવાની જરૂરતમાં વરતાતી કરુણતા પાર્ટી પ્રસંગમાં વધારે ઘેરી બને છે- અનન્ય હાજર રહેતો નથી અને ઑફિસમિત્રોની હાજરીમાં સાર્થ ‘પતિ’ ગણાઈ જાય એવો અકસ્માત સરજાય છે. લેખિકાએ આખો પ્રસંગ કંઈક કૃતકતાથી નિરૂપ્યો છે છતાં નિયતિના બીજા વ્યક્તિત્વજન્મ માટે તે મહત્ત્વનો ટુકડો બની જાય છે, એની આત્મરતિના એક નવોન્મેષ માટે આવશ્યક ભૂમિકા બની જાય છે. અનન્ય સાર્થ સાથે અર્થ વગરની વાતો કરી કશાક અનાગત ભયને ધકેલ્યા કરે છે, એના સહવાસમાં એ સ્વસ્થ નથી તો નિયતિને વિશે પણ ફડક ખાઈ ગયેલો, ‘કંઈક બની જશે'-થી ભીત છે : ‘કોઈ પણ પ્રકારની, વાસ્તવિક નજરે જોઈ શકાય, આંગળીથી ચીંધી શકાય એવી આફત ન હોવા છતાં અનન્યની ભીતિ દિનરાત તેને હંફાવ્યા કરતી હતી.[3] બદલાયેલી નિયતિના વહાલની ‘ભીંસ’ એને અકળાવે છે, એના લોહિયાળ વહાલ’થી રઘવાઈને અનન્ય મિત્ર બાદલની બેન સોનામાં આશરો શોધે છે. સાર્થને માટે સોના એ તો એક મનફાવતું બહાનું છે, એમ સમજીને પણ અનન્ય એ આશા-સંકલ્પને મૂર્ત કરવા સજ્જ થાય છે, અશેષાની સરખામણીએ વધારે શાન્ત એવા સ્વભાવની સોના જ આ ઘરમાં શાન્તિ લાવી શકશે એવી એને ઊંડે ઊંડે ખાતરી પણ છે. આમ સોના સાથેનો અનન્યનો ભાવસંબંધ ખૂબ સંકુલ અને એટલો જ માર્મિક છે, એ, એનામાં ડૂબી જઈને બધું ભૂલી જાય એમ ઈચ્છે છે. ત્રણ માસની બદલી માગ્યા પછી દૂરના એ નિવાસમાં બાદલ-સોના પણ હોય એમ સ્વપ્ન ગોઠવાતું ચાલે છે. અનન્યના ભીરુ અને વિહ્વળ વ્યક્તિત્વમાંથી આવી બધી ઠગારી આશા-ઝંખનાઓનું, સાચું ન પડવાનું હોય તેવું, કલ્પનાવૃક્ષ વિસ્તરે છે ખરું, પણ નિયતિની દૃષ્ટિ-વેધકતા કલ્પવાથી ભૂંસાઈ જાય છે, મિત્ર બાદલ સાથે છેતરપિંડી કર્યાની ગુનાવૃત્તિથી ચેરાઈ જાય છે. અનન્યની કરુણતાઓની વચમાં પડેલી ઓગળ્યા વિનાની એની નીતિવૃત્તિ એના ચરિત્રની મહાનતાની નિશાની છે, એટલે જ કદાચ, અંતે એ નિયતિને પામી શકે છે. અશેષાનું નક્કી કરી આપશે નિયતિ, એમ નિયતિને સાર્થની બાબતમાં સક્રિય થતી પણ અનન્ય ખમી શકતો નથી. બધા સંમિશ્ર ભાવો અને વૃત્તિઓના સરવાળા જેવું એક સમયે સંબોધન નીકળી જાય છે – ‘નિન્ની!' લેખિકાએ આ ક્ષણને ઘણે લાંબે સુધી ઝુલાવ્યા કરી છે. એ ભાવશબલિત ઉદ્ગારની ક્ષણ કથાઆલેખનમાં જુદે જુદે સ્થળે તૂટક અર્થસંપત્તિ વ્યક્ત કરતી અંતે એક સશકત અર્થવલય આંકી આપે છે; ત્યાં મુકામ થંભાવીને લેખિકાએ ભૂત-ભાવિનાં વસ્તુ-વર્તુળો તોડી એના પ્રત્યેક છેડાને ‘નિન્ની’માં, એ વર્તમાન ક્ષણમાં, સંકોર્યા છે. અનન્યે ગોઠવેલું છળસ્વપ્ન એ એણે મનમાં બેસાડી લીધેલી, નિયતિ-સાર્થના ઘરમાં સરજાયેલી પરિસ્થિતિ સઘળી વ્યાકુળતાઓ, વિહ્વળતાઓ અને ભયાન્વિતતાઓને ગળે ઊતાર્યાનો, મુક્ત થયાનો, પોકળ સંતોષ છે. પુરુષ કયાંક સહજ સરળ હળવાશનું ઘર બાંધે ને એમાં ભરાઈ જાય એવી દર-વૃત્તિમાં એનું પલાયન વરતાતું હોય તોપણ અનન્યે એ વાંછ્યું છે – નિયતિના વહાલથી મુક્ત થઈને એ સોના- બાદલના સહવાસનું સુખ -ને છેવટે સોનાના સહવાસનું સુખ-ઝંખે છે. છળસ્વપ્નમાંથી એ દીવાસ્વપ્નમાં સરકે છે તે ક્ષણો- સોના બદલીને સ્થળે જવાની હા પાડી દેનો આનન્દ અનન્યને શિરે ઝઝૂમે છે, આખું આલેખ ખૂબ ટેક્નિકલ[4] છે અને એમાં જ નવલનું સૌન્દર્ય છે. બાદલ પૂછે છે સોનાને ઉત્તર માટે : ‘સોના!'-અને અનન્યના ચિત્તમાં પડઘાય છે એ જ પેલો ભાવુકતાની ઘડીઓમાં ઉચ્ચારેલો ધ્વનિ, ‘નિન્ની!’ એ ધ્વનિમાં દુઃસ્વપ્ન પછીની વિવશ મનોસ્થિતિ હતી, માગણનો યાચનાભાવ હતો, તો એમાં કશુંક કહી નાખીને બધું હળવુંફૂલ કરી નાખવાની નાની સરખી તમન્ના પણ હતી... અને એ અહીં પડઘાય છે! શિરે ઝઝૂમતા એ આનંદ-ફળને ઝૂંટવવા કરતો અનન્ય વિમાસે છે : સોના શું કહેશે? તે હા કહેશે? અકસ્માતની, ચમત્કારની, સુખની ને દુઃખની વેદના લગભગ સરખી થઈ ગઈ હતી. જવાબ મળતો નથી ને બાદલ પાન લેવા જાય છે. સોના-અનન્ય પાંચ મિનિટ માટે એકલાં પડે છે. એ પાંચ મિનિટમાં પણ અનન્યને ભયાનક અનિષ્ટની જ આશંકા થયા કરે છે, જાણે સોના કહ્યા કરે છે : ‘શા માટે તમે તમારી સાર્થ સાથેની વાતથી અમને બેયને છેતરો છો? શા માટે આત્મીયતાની મધલાળમાં મને લપટાવીને નિરુદ્દેશ ભટકાવવાની નેમ રાખો છો?? અનન્યનો આ ચિત્ત-સંવાદ આગળ વધે છે : ‘નિયતિની જેમ જ અનન્યને બાઝી પડે તો? હું તમને ચાહું છું તેથી હું સુખી છું. મારે કશું વધારે ન જોઈએ.’ ‘આવું કંઈ બોલી પડે તો?’[5] અનન્ય મૂંઝાય છે. એવી કશી પ્રાપ્તિ માટે એ સજ્જ નથી થયેલો. લેખિકા કહે છે : અનન્ય મનમાં જ સવાલજવાબ કલ્પી લેતો હતો. અને વળી, ‘વિચારો, અભાન-સભાનાવસ્થા, સ્વગતોક્તિ, કેફિયત, ચર્ચા, દલીલ, મનમનામણાં, નિસાસા એ બધાં વચ્ચે રાતની શાંતિમાં અનન્ય ફંગોળાતો હતો.’[6] દરમ્યાન, બાદલ-સોના એના સ્ટેન્ડિ ઈન્વીટિશનને માન આપવાનાં હોય તેમ અનન્યને ઘરે પધારવાની હા પાડી દે છે, ને એ નાની સરખી બાબત અનન્ય વેઠી શકતો નથી- એના મનમાં એકોક્તિઓ અને કલ્પિત સંવાદોની હારમાળાઓ ચાલે છે, ચૌદમું પ્રકરણ એ સંદર્ભમાં મહત્ત્વનું છે. અનન્ય મનોમન વિમાસે છે કે સોનાની ઉપસ્થિતિથી નિયતિના ઘરમાં પોતાને શું થશે, સોનાને શું થશે, બાદલ પર એના કેવા પ્રત્યાઘાતો પડશે, પ્રતિભાવો એ બન્ને કેવા આપશે, એ નિયતિ હાજર હશે તો એ શું કલ્પી કલ્પીને, કેવું વર્તતી હશે, સાર્થની હાજરી પણ કેવી હશે- એ વિમાસણમાં કલ્પિત સુખોથી હરખાતો ને કલ્પિત દુઃખોથી દુભાતો અનન્ય, વારંવાર જાતને સ્પષ્ટ કરતાં કરતાં ગૂંચવાતો જ રહે છે, મર્મસ્થાનો પર અટકી, લપસી, જાતને સંભાળી શકતો નથી. માનવમનની ઘણી તરાહો લેખિકાએ અહીં ખપમાં લીધી છે ને અનન્યને પામવા આ આંતર –એકોક્તિઓ ને આંતર-પેંતરાઓનો લયસંવાદ સમજવો પણ જરૂરી બની જાય છે, સોના-બાદલ જ ન આવે તો કેમ એમ પણ એ વિચારે છે! પણ નિયતિ હાજર ન હોય આ પ્રસંગે એ વિચારકણ એના ચિત્તમાં ઘણો ખખડે છે અને અનન્ય લગભગ ક્રૂર એવા વિચાર પાસે આવીને ખડો થઈ જાય છે, ‘નિયતિ એકદમ ગેરહાજર હોય- સદાને માટે.’[7] અનન્ય નિયતિને ગેરહાજર રાખવાનાં સ્વાભાવિક પ્રતીતિકર કારણોની શોધમાં, અથવા તો નિયતિ અમુક કારણે જાતે જ હાજર નથી એવું સાહજિક રીતે દેખાય તેનાં પ્રતીતિકર કારણોની શોધમાં, ડૂબી જાય છે. પણ છેવટે મનની બધી યંત્રસામગ્રી બંધ પડી જાય એવું બન્યું : ‘સાર્થ આવ્યો નહોતો અને સોના-બાદલ પણ આવ્યાં નહોતાં... છ વાગી ગયા હતા ને નિયતિ આવી પહોંચી હતી.’[8] મનમાં ઘટનાને સંકુલતાના ક્રમે ભજવાવીને લેખિકાએ નવલની ઉપલક વાસ્તવિકતાને આમ તો કેટલીયે વાર ચૈતસિક વાસ્તવમાં રૂપાન્તરી છે. છે તે પતિનું સુખ છે એવા પ્રદર્શનની વૃત્તિ-પ્રવૃત્તિની અને તેમાં રહેલાં અનન્ય પ્રત્યેનાં જે કંઈ પણ સ્વરૂપનાં દયા-માયા છે તેની અત્યાર સુધીની ચણેલી દીવાલ તૂટવાની ઘડી આવી ગઈ : નિયતિ ડરે છે : હવે અનન્ય રજા પર ઊતરશે એટલે તે સાર્થ સાથે એકલી!... તેને ખુદને પણ પોતાનો ભય લાગ્યો હતો કે અત્યાર સુધી સંચિત કરેલી શક્તિ, ઊભી કરેલી એક પ્રકારની દૃઢ શિસ્ત અને આમન્યા તૂટી પડવાની ક્ષણો વાવાઝોડા માફક નજદીક આવતી હતી.’[9] સાર્થ સામે મોરચારૂપે જમાવેલા-જામેલા egoનું આવરણ ભેદાય તે નિયતિ સહી શકે એમ નથી, એ અનન્યને પગે પડીને પણ યાચવા ઈચ્છે છે : ‘મને સાથે લઈ જાઓ! હું એકલી ગૂંગળાઈ જઈશ.’[10] અનન્યે રચેલા કિલ્લામાં આના પ્રતિભાવ તરીકે એક મોટું ગાબડું પડે છે. પણ નિયતિની આત્મરતિને, સોહિણી પાસે હળવાશના અભિનયમાં ધક્કો આપે તેવું એક નવું રોમેન્ટિસિઝમ પ્રાપ્ત થાય છે. આત્મવંચના અને સાચુકલા પુરુષાર્થનાં વિરોધાભાસી, સંમિશ્ર લક્ષણો નિયતિમાં સતત જણાય છે. સરવાળે જાતને છેતરવાનો આનન્દ એની હળવાશનો પર્યાય બની જશે કે શું એવી આશંકા થાય છે. સોહિણીને, અનન્યની ગેરહાજરીથી ઊભી થનારી એકલતા, વિયોગનું રોમાંચક દુઃખ વગેરે વર્ણવી, સેન્ડઑફની ભરપૂર તૈયારીઓમાં પડી જતી નિયતિ કરુણ-સુન્દર લાગે છે. પણ સંભાળી લીધેલો આ ઘા નવે રૂપે પાછો વધારે આક્રમક થઈને આવે છે. શ્વેતાના નાટક-રિહર્સલની ઘટના આ બાબતમાં ઘણી નિર્ણાયક બની છે. અને આમેય ‘પોતાનું આંતરિક સૌંદર્ય’ જળવાતું નથી, અનન્યનું સ્પષ્ટ થતું જતું વલણ પણ પોતાને દમનારું છે વગેરે દુ:ખભાવો નિયતિને સતાવતા હતા. આમ સ્વસ્થતા અને હળવાશનો અભિનય પોતાનામાં કશોક હ્રાસ સરજે છે એવી સભાનતા નિયતિમાં હતી જ. પરેશના વ્યક્તિત્વ-દર્પણમાં જાતને જોઈ એના વિચારજોમની ઠેસ ખાઈ પ્રકાશિત થઈ, નિયતિ સામાન્ય ઘરની ગૃહિણીને પોસાય તેવા પરિવર્તનને માર્ગે પળે છે. લેખિકાએ ‘સામાન્ય’ની ભૂમિકા ધરીને આખી ગૂંચને પોતે નિશ્ચિત કરેલા નવલ-અન્તની પૂર્વતૈયારી કરી છે એ આયાસ પરખાઈ આવે એવો નથી; કેમકે નિયતિ સામે પરેશ જેવું એકદમ જીવંત ચરિત્ર મૂકીને, ઘણાં અવાતરો રચીને, બધું સ્વાભાવિક બનાવવાનો એમણે એટલો જ પ્રશસ્ય પ્રયાસ કર્યો છે. સેન્ડઑફ આપવાના કે બધું હળવું કરવાના પ્રયત્નોમાં મુખરિત થઈ ઊઠેલી નિયતિ હ્રાસને આમ અનુભવે છે : ‘મનથી અનન્ય પરત્વેની તેની પરાધીનતા જાણે સંકેલાતી જતી હતી. કોઈ કસીને બાંધેલી ગાંઠ ધીમે ધીમે છૂટતી જતી હતી. ગાંઠ છૂટતી નહોતી, કોઈ અણીદાર ધારદાર અસ્ત્રા વડે છેદાતી હતી. ધીમો- ખાસ કાન માંડીને સાંભળો તો જ સંભળાય એવો વહેરવાનો અવાજ સંભળાયા કરતો હતો. નિયતિએ જાણે એ ધક્કો સહી લીધો હતો. અનન્યે સામે ચાલીને મુક્તિ માગી હતી... પણ કોને ખબર હતી કે એ એની મુક્તિ હતી કે પોતાની? જાણે હવે કશું કરવાનું બાકી રહ્યું નહોતું.'[11] અંતે, પોતાના જ ઘરમાં નિયતિ નિર્વાસનની વેદના વેઠે છે. પરેશે ઘણી સૂચક વાતો કરી અને શ્વેતાનું નાટક-રિહર્સલ પણ ઘણું સૂચક નીવડ્યું. સોહિણીની પરેશ પ્રત્યેની છેતરામણી પણ પ્રગટી. લેખિકા કહે છે : ‘નિયતિ પરેશની વાતો અને નાટકના સિક્વન્સીસ ભૂલી જવા માગતી હતી. તે એટલું જ જબરદસ્તી કરીને યાદ રાખવા માગતી હતી કે જીવન એ કંઈ નાટક નથી. પોતે એક સાવ સામાન્ય સ્ત્રી છે.’[12] આ વિચારરાહે એ સાર્થ પ્રત્યેની પોતાની જિદ્દ પાસે આવીને ઊભી રહે છે : ‘ક્યાંય દેખીતી હાયલાય ન હોય તો, પોતાના જીવનમાં આ શો ઉત્પાત છે? સાર્થની વાતની આ તે કેવી જિદ્દ હતી મનમાં?... અચાનક તેને ભાન થયું હતું કે અનન્યનો હાથ તેના હાથમાંથી છૂટી રહ્યો હતો. જેને એ પોતાનો જ માનતી હતી તે કોઈ વિધિવશ ચૂકથી એના હાથમાંથી સરી ગયો હતો. એ તેને રોકી શકતી નહોતી. અને કંઈક એને મળતો આ બીજી વારનો આઘાત હતો. પોતાનું કશું ઈચ્છેલું ટકી શકયું નહોતું... નાટકના એક જ પાત્રમાં દ્વિવિધ રીતે તેને પોતાનું સ્વરૂપ દેખાતું હતું. સ્ત્રી ઊઠીને રેપ કરે તો? પરેશ દાંત કચકચાવીને જે કંઈ બોલ્યો હતો તે, તે ભૂલી જવા માગતી હતી. પોતાની વિવશતા નિયતિને વેધકતાથી તાદૃશ થાય છે : ‘અનન્ય પાસે જવાનો રસ્તો પોતે જાતે ઊઠીને બંધ કરી દીધો હતો. અને સાર્થ...? કોઈ સ્ત્રી અકળાઈ જાય તો ય રેપ કરી શકતી નથી.’[13] ‘ફીસલના’ નિયતિ માટે ‘આકર્ષક’ નથી, કેમકે એ સામાન્ય ઘરની ગૃહિણી છે. હવે, નિયતિ પોતાના જીવનના પ્રસંગને કોઈ ચોક્કસ સ્વરૂપ આપીને હળવું બનાવી દેવા માગતી હતી.[14] અઢારમા પ્રકરણમાંનું અનન્યનું આનન્દનાં ડૂસકાં અને એવા જ મનોદ્રેકો તારવી આપતું આત્મ-વિશ્લેષણ પણ આવું જ મહત્ત્વનું છે. બદલી-મંજૂરી એ એક અનુકૂળ સિદ્ધિ, ને પછી સોના કેમ ના આવી- એ પ્રશ્નનો મનનાં ઊંડાણોમાં રહેલો અનુકૂળ અર્થભાવ શોધવા અનન્ય ડૂબતો જ જાય છે- ને ખૂબી તો એ છે એ એને જડે છે! લેખિકાએ સ્ત્રીત્વના એના અનુભવને સરસ રીતે મૂકી બતાવ્યો છે : પ્રથમ વાર મનની ભીનાશનો, એવી નરમ પાગલતાનો તેને અનુભવ થયો હતો. ગમે તે ઉંમરે આવી લાગણી બહાર આવી ઊછળી પડે તો શું કરવું એ તે કોને પૂછે?[15] અનન્યની આ પ્રાપ્તિ એના માનસિક પુરુષાર્થની પરિણામરૂપ- લગભગ સમગ્રરૂપ સમાપન જેવી છે. હા-શ!' એ ઉદ્ગારની આબોહવા ‘નિન્ની!’ એ ઉદ્ગારની આબોહવા જેવી જ, આમ કલાત્મક નીવડી છે. માનવ-મનને, ઓળખવાની લેખિકાની ગુંજાશનું આખું પ્રકરણ એક નોંધપાત્ર નિદર્શન છે. પણ હજાર પ્રયત્નોને અંતે ય અનન્યના અંતરમાં પેલી નીતિમત્તા, કુલીનતા, શાલિનતા- જે એના વ્યક્તિત્વમાં non-egoરૂપે અનુભવાય છે, જે ક્યારેક ભોળપણ અને મૂર્ખ રોતલવેડા કે કાયરતા-ભીરુતારૂપે જોવા મળે છે, નષ્ટ થતી નથી. સોના ગમે ત્યારે પરણવાની હતી. ને બાદલ સાથે બદલીને સ્થળે ત્રણ માસ માટે આવે એવા થોડા અમથા સુખની શી જરૂર હતી? એટલા ટુકડાની? શા માટે એટલી અમથી વાતની આટલી આસક્તિ... શા માટે માયા વધારી જીવને રિબાવવો?[16] ને અનન્ય બધું માંડી વાળે છે? ના. એની આસક્તિ અનેક દીવાસ્વપ્નોમાં છેવટ લગી ઝૂરે છે- પણ સોના મૃત્યુ જેવી રોગસ્થિતિ પામે છે, ને અંતે અનન્ય, અનન્ય પરીખને ત્યાં પાછો ફરે. કોઈ આગથી પાલવ બળી જાય એ પહેલાં, નિયતિ ગર્ભ ધારણ કરે એવું લેખિકાએ કેવી રીતે કર્યું તે પ્રશ્ન તો છે જ, છતાં, એ ‘સ્વયંસંચાલિત આગળો’[17] દેવાઈ જાય છે ને કથાના એક જાતના સમાપનની દિશા ખુલ્લી થાય છે. શ્વેતા-પરેશ-સોહિણી આદિની સમાન્તર ટ્રેજેડીનું સમાપન અહીં juxtapose થાય છે એટલું સારું છે, બાકી નવલનો બધો તંતુ સાંધી લેનારો લેખિકાનો ઉદ્યમ કષ્ટપૂર્ણ લાગે છે, અને ઉતાવળ થતી હોય તેમ બધું aesthetic comprehensiveness વિનાનું લાગે છે. સ્મલન-સંભવની તમામોતમામ જોગવાઈઓ પછી પણ, પાપસંભવના ઘણા પેંતરા પછી પણ અનન્ય-નિયતિ સાજે શરીરે અને સાજાં થયેલાં મને બહાર આવે તો તે આપણી નવલના સંદર્ભમાં નવું નથી, સ્વાભાવિક છે. માટે સમાપન નિર્વાહ્ય છે એમ નહીં, પણ એક સ્ત્રી-લેખિકાએ બહુ હિમ્મતપૂર્વક કોયડાને સ્પર્શી, એનો એક સહજ સ્વાભાવિક માર્ગ કાઢવાની જે સર્જનચાતુરી દાખવી છે, એટલા માટે નિર્વાહ્ય છે.

સ્પષ્ટરેખ વ્યક્તિત્વ ધરાવતાં પાત્રોની મનોવૃષ્ટિને નિરૂપતી આ રચનામાં લેખિકા ભાષા અંગે ખૂબ સરળ રહ્યાં છે – ભાષાનો ધોધ વહે છે છતાં શબ્દાળુતા આ રચનામાં એમની મર્યાદા નથી બની. સીધા વેધક અર્થો આપનારી ભાષા વ્યંજનાપૂર્ણ નથી છતાં, એ સીધાપણું ગૂંચોથી ગૂંચવાતી રહેતી એક સંકુલ સૃષ્ટિનું છે. હાસ્યમાં અને પછી ક્યારેક વિદૂષકવેડામાં જેની વેદના મહોર્યા કરે છે તે પરેશ આ દાયકાનું એક જીવંત ચરિત્ર છે, સાર્થ અને સોનાનાં બહુધા મૂક વ્યક્તિત્વમાં રિક્તતા નથી, અશબ્દ સભરતા છે; જે સમાજમાં પોતાનું માંસ રંધાયા કરે એવા જીવનને એક ખરાબ સ્વપ્નની જેમ ફગાવી દેવાના નિર્ણય પર આવતી સોહિણી પણ એવું જ એક બીજું જીવંત ચરિત્ર છે; આ સૌ અને મુખ્ય પાત્રોનાં મનના બધા જ mechanisms વર્ણવતી ભાષા ક્યારેક તો translation અને paraphraseની સીમા પર સરકી જતી હોય છે છતાં psychic realityથી દિશાઓનું ઉદ્ઘાટન થાય છે. ક્યારેક ઉપમામૂલક અને મોટેભાગે સંભાવનામૂલક ઈમેજરી એ સરોજ પાઠકનો શૈલીવિશેષ છે. અને collageની ઉક્ત ટેકનિકમાં એ વિશેષ, શબ્દાર્થની પમાતી ચમત્કૃતિઓનું બળ પૂરે છે. પરિવર્તનની ભૂમિકાએ મુકાયેલી નિયતિને એક સ્થળે આમ વર્ણવી છે : ‘નિયતિ વેરવિખેર થઈ જતી સારી સારી વાતોને નીચે બેસીને એકઠી કરતી હતી. બધાં પરિચિત સ્થાનોને મનમાં અડી આવતી હતી. બહારના હળવા પ્રસંગોની હવાથી જાણે ગભરાતા જીવને પંખો નાખી રહી હતી.[18] ખાલી ઘરમાં એકદમ એકલા પડી જવાથી લાગતા ડર વિશે વિચારતાં નિયતિ ટપકી પડે છે ત્યારે એ ક્ષણને આમ મૂર્ત કરી છે : ‘ખૂબ જ વાહનોના ધસારા વચ્ચેથી રસ્તો ઓળંગી ન શકવાને લીધે છૂંદાઈ જવાનો ડર નથી લાગતો એમ બતાવવા જાણે વચ્ચોવચ ઊભી રહી ગઈ હોય તેમ એ વિચાર કરતાં થોભી, ઘણી મોટરકારો તેની સાડીની પાટલીને, ઊડતા પાલવને આગળ-પાછળ હવાના ધસારાથી અડુંઅડું થઈને વેગબંધ નીકળી જતી હતી જાણે.’[19] આખી નવલમાં ક્ષણોની ધુમ્મસિયા આબોહવાઓ ઝૂમતી રહે છે, ને એમ થવું મનોવૈજ્ઞાનિક રચનામાં સાહજિક બલકે લાક્ષણિક રીતે અનિવાર્ય છે. પણ ક્યારેક ક્ષણો ખૂબ ચમકતી લાગે એવી સેન્દ્રિય હોય છે. ભૂતકાળની પથારીમાં આળોટતી નિયતિની આ ક્ષણ બહુ તાદૃશ બની છે : ‘અને એની બેનપણીએ પણ સાર્થના નામ સાથે કેવી કેવી રસિક ગમ્મતો ને વાતો કરી હતી? જીવંત દૃશ્ય પણ ભજવી બતાવ્યાં હતાં પતિ તરીકેની મૂર્તિ અને તે સાર્થની જ લગ્ન પહેલાં તેના મનમાં કંડારાઈ ગઈ હતી, બાકી... નિયતિ એ જ વિચારોમાં પડખું ફરી ગઈ. એ પડખું ફરી તે તરફ પાર્ટિશન હતું. બીજી તરફ અનન્ય સૂતો હતો પથારીમાં તે પાર્ટિશન પર હાથ ફેરવવા લાગી. આવાં તો ઘણાં નિદર્શનો ટાંકી શકાય. ‘નાઈટમૅર' આ દાયકાની એક ઉપેક્ષિત રચના હોય કે શું, એને વિશે વિવેચકો કશું જાણતા નથી.

***
  1. નાઈટમૅર, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૯, પૃ. ૩૭
  2. એજન, પૃ. ૩૮
  3. એજન, પૃ. ૩૭
  4. એજન, પૃ. ૧૦૬
  5. એજન, પૃ. ૧૧૯
  6. એજન. પૃ. ૧૨૪
  7. એજન, પૃ. ૧૫૯
  8. એજન, પૃ ૧૬પ
  9. એજન, પૃ ૧૨૯
  10. એજન ૫ ૧૩૧
  11. એજન, પૃ. ૧૮૦
  12. એજન, પૃ. ૨૦૪
  13. એજન, પૃ. ૨૦૬
  14. એજન, પૃ. ર૧૦
  15. એજન, પૃ. રર૧, જુઓ આગળ, તારણ : ‘રવિવારની તો ગેરહાજરીની ક્ષણો અનન્યની સૃષ્ટિમાં સૂક્ષ્મ હાજરી બની ગઈ.’ પૃ. રર૩
  16. એજન, પૃ. રર૮
  17. એજન, પૃ. ૨૫૪
  18. એજન, પૃ. ૨૪૧
  19. એજન, પૃ. ૨૦૯