ભારતીયકથાવિશ્વ−૪/હિતોપદેશની કથાઓ/કાદંબરી


કાદંબરી

અવન્તીમાં ઉજ્જયિની નામે નગરી છે. તેની શોભા અમરલોકથી પણ ચઢિયાતી છે. સકલ ત્રિભુવનનું તે એક આભૂષણ છે. કૃતયૃગની તે જન્મભૂમિ છે, ત્રણે ભુવનની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરનાર શ્રી મહાકાલેશ્વર મહાદેવે પોતાને વસવા યોગ્ય ઉત્પન્ન કરેલી જાણે તે બીજી પૃથ્વી છે. તેને ઘેરીને આવેલા સમુદ્ર જેવો રસાતલ જેવી ઊંડી એક પાણીની ખાઈનો ગોળ પરીઘ તેની આજુબાજુ ફરી વળેલો છે. શંકરની એ નિવાસ પર પ્રીતિ જોઈ, ગગનને સ્પર્શ કરતાં શિખરવાળો કૈલાસ પર્વત આવ્યો હોય એવો, ત્યાં ચારે બાજુથી ચૂનાથી ધોળેલો ફરતો કોટ છે… મૃદંગના ગંભીર સ્વરથી ગાજી રહેલાં ધારાગૃહ, જ્યાં ઝીણાં જલકણના વરસાદથી દુુદિર્ન થઈ રહ્યો છે અને પથરાયેલા રવિકિરણના સમૂહથી બનેલાં ઇન્દ્રધનુષોને લીધે જે રમણીય દેખાય છે, ત્યાં કળા કરી ઊભેલા, નૃત્યવ્યસની, મત્ત મયૂરોના શબ્દથી કોલાહલ થઈ રહે છે. વિકસિત કુવલયથી મનોહર લાગતાં, પ્રફુલ્લ કમલથી ધવલ થયેલાં અભ્યંતરવાળાં તથા અનિમેષ દર્શન વડે રમણીય દેખાતાં ઇન્દ્રલોચન જેવાં સહ સરોવરથી તે નગરી શોભી રહેલી છે… એવા પ્રકારની એ નગરીમાં નલ, નહુષ, યયાતિ, ધુંધુમાર, ભરત ભગીરથ અને દશરથ જેવો પ્રજાની પીડ હરનાર રાજા તારાપીડ હતો. શેષનાગના જેવો તે ક્ષમાના ભારથી ગુરુ થયેલો હતો. નર્મદાપ્રવાહની પેઠે તે મહાવંશમાંથી ઉત્પન્ન થયેલો હતો. ધર્મનો જાણે તે અવતાર હતો અને પુરુષોત્તમનો જાણે પ્રતિનિધિ હતો. … ઇન્દ્રને જેમ બૃહસ્પતિ, વૃષપર્વને જેમ શુક્ર, દશરથને જેમ વસિષ્ઠ, રામને જેમ વિશ્વામિત્ર, યુધિષ્ઠિરને જેમ ધૌમ્ય, ભીમને જેમ દમનક, તથા નલને જેમ સુમતિ તેમ તે રાજાને શુકનાસ નામે બ્રાહ્મણ પ્રધાન હતા. બાળપણથી જ તેમને રાજા પર અતિ પ્રેમ હતો. નીતિશાસ્ત્રના પ્રયોગમાં તે કુશલ હતા. ભુવન રાજ્યભાર રૂપી નૌકાના તે નાવિક હતા. મ્હોટાંમ્હોટાં કાર્યસંકટોમાં પણ તેમની બુદ્ધિ પાછી હઠતી ન હતી. ધૈર્યનું તે ધામ હતા. સ્થિતિનું સ્થાન હતા. સત્યના સિંધુ હતા. ગુણગણના ગુરુ હતા. સર્વઆચારના આચાર્ય હતા અને ધર્મના ધાતા હતા. તે રાજાએ ઐરાવતની સંૂઢ જેવા સ્થૂૂળ, રાજલક્ષ્મીને ક્રીડા રમવાના ઉશીકા જેવા, સકલ જગતને અભયપ્રદાન રૂપી યજ્ઞદીક્ષા આપવાના સ્તંભ જેવા, ઝગઝગતા ખડગનાં કિરણોમાં ઢંકાઈ ગયેલા, અને અખિલ શત્રુકુલનો પ્રલય સૂચવતા ધૂમકેતુ જેવા પોતાના ભુજદંડ વડે, સપ્તદ્વીપ રૂપી વલયવાળી વસુધાને બાળપણમાંથી જ વશ કરીને તે શુકનાસ નામના પોતાના મિત્ર જેવા મંત્રીને સર્વ રાજ્યભાર સોંપી, પ્રજાઓને સ્વસ્થ કરી હતી, તથા સર્વ શત્રુઓના પ્રશમન થકી તેની સઘળી ચિતા દૂર થઈ હતી; તેથી બીજું કંઈ કર્તવ્ય શેષ રહેલું છે એમ તેને લાગ્યું નહિ… આ પ્રમાણે પ્રધાનને રાજ્યભાર સોંપીને તે રાજા યૌવનસુખનો અનુભવ લેવામાં કાલ નિર્ગમન કરતા. બહુ વર્ષ થયાં ત્યારે તે બીજાં પણ ઘણાંખરાં સાંસારિક સુખનો પૂર્ણ ઉપભોગ કરી રહ્યા, પરંતુ પુત્ર-મુખ-દર્શન રૂપી એક સુખ તેને મળ્યું નહિ… શંભુના જટાકલાપને જેવી ચંદ્રક્લા, વિષ્ણુના વક્ષ:સ્થલને જેવી કૌસ્તુભ પ્રભા, બલદેવને જેવી વનમાલા, સાગરને જેવી ભરતી, દિગ્ગજને જેવી મદલેખા, વૃક્ષને જેવી લતા, ચૈત્ર માસને કુસુમોદ્ગતિ, ચંદ્રને જેવી ચંદ્રિકા, સરોવરને જેવી કમલિની, આકાશને જેવી તારાઓની અને શેષનાગને જેવી ફણામણિની જ્યોતિ, તેવી તે રાજાને — ત્રિભુવનને વિસ્મય પમાડનારી, સ્ત્રી-વિલાસની જનની જેવી, સકલ અંત:પુરમાં પ્રધાનપદ પામેલી વિલાસવતી નામે રાજ્ઞી, આભૂષણ હતી. એક દિવસ રાજા જ્યારે રાણીને મહેલ જઈ ચઢ્યો ત્યારે તેણે એને એક નાની સુઘટિત શય્યા ઉપર બેઠે બેઠે રુદન કરતી જોઈ. એની આસપાસ ભરાયેલા દાસીમંડપની દૃષ્ટિ ચિંતાથી જડ બની ગઈ હતી તથા શોકથી સર્વ ચૂપ થઈ બેઠાં હતાં…ચોધાર આંસુ પડવાથી એનું વસ્ત્ર પલળી ગયું હતું; સર્વ અલંકાર એણે ઉતારી નાખ્યા હતા, રાજાને જોઈ ઊઠીને એણે સત્કાર કર્યો કે તરત જ નૃપતિએ એેને એ જ શય્યા ઉપર બેસાડી, અને પોતે પણ ત્યાં જ બેઠો. પરંતુ અશ્રુપાતનું કંઈ કારણ નહિ જાણવાથી તે જરા ગભરાટમાં પડ્યો, અને પોતાને હાથે જ એના ગાલ ઉપરથી આંસુ લ્હોઈ નાખતે નાખતે કહેવા લાગ્યો કે દેવી, અંત:કરણના પ્રબલ શોકભારથી મંદ અને નિ:શબ્દ રુદન તું શા સારુ કરે છે?… …આવું કહેવા પણ જ્યારે વિલાસવતીએ કંઈ પ્રતિવચન ન દીધું ત્યારે, વધારે વધારે આંસુ પડવાનું કારણ રાજા તેની દાસીઓને પૂછવા લાગ્યો. એટલે મકરિકા નામની તેની તાંબૂલવાહિનીએ રાજાને પ્રત્યુત્તર આપ્યો કે કોઈ મહાગ્રહથી પીડાતી હોઉં એમ નરેન્દ્રનો સમાગમ મ્હારે નિષ્ફલ થાય છે એ રીતની ચિંતા દેવીને થયા કરે છે. અને ઘણા કાળથી એ સંતાપ ભોગવે છે…રાણીજી પ્રથમ પણ શયન, સ્નાન; ભોજન, ભૂષણ-પરિગ્રહ આદિ ઉચિત દિવસ-વ્યાપારમાં પરિજનના અતિશય પ્રયત્નથી બળાત્કારે ચિત્ત પરોવતાં અને શોકાતુર જેવાં રહેતાં; પરંતુ આપના હૃદયને પીડાતી અટકાવવાને જરાયે વિકાર દર્શાવતાં નહિ. પણ આજ ચતુર્દશી છે તેથી ભગવાન મહાકાલેશ્વરનું પૂજન કરવા સારુ એ ગયાં હતાં ત્યાં મહાભારત કહેવાતું હતું, અને તેમાં એમણે સાંભળ્યું કે અપુત્ર જનને સ્વર્ગલોકની પ્રાપ્તિ નથી; પુ નામે નરકમાંથી તારે તે પુત્ર કહેવાય — એટલું સાંભળીને ઘેર આવ્યા પછી, દાસીઓ નમી નમીને પ્રાર્થના કરે છે તો પણ, નથી એ ભોજન કરતાં, નથી શણગાર સજતાં ને નથી ઉત્તર આપતાં… ભૂપતિએ તેના બોલી રહ્યા પછી જરા વાર શાન્ત રહી દીર્ઘ અને ઉષ્ણ નિ:શ્વાસ નાખીને કહ્યું કે દેવી! આમાં આપણાથી શું થાય એમ છે? જે વસ્તુ દૈવને અધીન છે, તેને સારુ અતિ રુદન કર્યેથી શું થવાનું?… ગુરુજન ઉપર દેવી! અધિક ભક્તિ રાખો; દેવતાઓની પૂજા દ્વિગુણિત કરો; ઋષિજનની સેવામાં આદર દર્શાવો…જ્યાં વિધાતાની આગળ કંઈ ઉપાય ચાલે એમ નથી ત્યાં હું શું કરું? માટે દેવી! આ સર્વ શોક મૂકી દો અને ધૈર્યમાં તથા ધર્મમાં બુુદ્ધિનું પ્રવર્તન કરો… ધર્મોપદેશ કરતાં વચનથી પુન: પુન: આશ્વાસન કરી, ઘણી વાર પછી ભૂમિપાલ ત્યાંથી પાછો ફર્યો… રાજાના ગયા પછી વિલાસવતીએ શોક મંદ પડવાથી, રીતિ પ્રમાણે, આભૂષણ પરિગ્રહ વગેરે યોગ્ય દિવસવ્યાપાર કર્યો, ત્યારથી દેવતાઓની આરાધનામાં, બ્રાહ્મણની પૂજામાં અને ગુરુજનની સેવામાં વધારે ને વધારે તેણે આદર દર્શાવવા માંડ્યો… પુત્રદર્શનની ઇચ્છાથી, દર્શને આવેલા બ્રાહ્મણો પાસે વેદપારાયણ કરાવતી, અહનિર્શ ચાલતી પવિત્ર કથાઓનું શ્રવણ કરતી, ગોરોચનાથી ભૂર્જપત્ર ઉપર લખેલા મંત્રવાળાં માદળિયાં પહેરતી, ઔષધિનાં રક્ષાસૂત્ર બાંધતી. એમ કરતાં કરતાં કેટલાક દિવસ પછી એક સમયે જ્યારે રાત્રિ ઘણી ખરી વીતી ગઈ હતી, તારાઓ થોડા થોડા અને ઝાંખા ઝાંખા દેખાતા હતા, અને આકાશ વૃદ્ધ પારાવતની પાંખ જેવું ધૂમ્ર થયું હતું ત્યારે રાજાએ સ્વપ્નમાં, હાથણીના મુખમાં જેમ મૃણાલ વલય તેમ, મહેલના શિખર પર સૂતેલી વિલાસવતીના મુખમાં સકલ કલાથી પરિપૂર્ણ ચંદ્રમંડલ પ્રવેશ કરતું જોયું. તેમાંથી જાગ્યો કે તરત જ તે ઊઠ્યો; હર્ષથી તેનાં લોચન વધારે પ્રફુલ્લ થઈને શયનગૃહને શ્વેત કરવા લાગ્યા; ઊઠીને તેણે શુકનાસને તે જ ક્ષણે બોલાવ્યા, અને સ્વપ્નની વાત તેમને કરી. હષિર્ત થઈને તેમણે પ્રત્યુત્તર આપ્યો કે દેવ! ઘણા કાળ પછી આજ આપણા અને પ્રજાના મનોરથ પરિપૂર્ણ થયા; હવે થોડા જ દિવસમાં મહારાજને નિ:સંશય પુત્ર-મુખ-કાલ નિરખવાનું સુખ મળશે. વળી આજ રાત્રે મને પણ સ્વપ્નમાં કોઈ ધોયેલાં શ્વેત વસ્ત્ર પહેરીને આવેલા, શાન્ત આકાર અને દિવ્ય આકૃતિના બ્રાહ્મણે દેવી મનોરમાના ખોળામાં મૂકેલું, વિકસિત, ચંદ્રકલા જેવા સ્વચ્છશત પત્રવાળું, ફરફરતાં હજારો કેશરથી ભરાઈ ગયેલું અને રસનાં ઝીણાં બંદુિ ટપકાવતું પુંડરીક દેખાયું છે… એમ તે કહેતો હતો તેવામાં જ રાજા તેનો હાથ ઝાલી અંદર ગયો, અને એ બંને સ્વપ્નો કહીને વિલાસવતીને તેણે આનંદ ઊપજાવ્યો… થોડા દિવસ પછી, સરસીમાં જેમ ચંદ્ર-પ્રતિબિંબ પ્રવેશ કરે તેમ વિલાસવતીમાં, દેવતાઓની કૃપાથી ગર્ભે પ્રવેશ કીધો. પારિજાતથી જેમ નન્દનવનની ઘટા, તથા કૌસ્તુભ મણિથી જેમ વિષ્ણુની છાતી, તેમ તે ગર્ભને લીધે રાણી વધારે વધારે શોભવા લાગી… તેના સર્વ પરિજનના પ્રધાનપદ પામેલી, સદા રાજકુલમાં વસવાથી ચતુર થયેલી, રાજાની પાસે સર્વદા રહેવાથી પ્રગલ્ભ બનેલી, અને સર્વમંગલ કાર્યમાં કુશલ, કુલવધના નામે એક વિખ્યાત વૃદ્ધ સ્ત્રી હતી. તેણે ત્યાર પછી એક શુભ દિવસે પ્રદોષ-સમયે જ્યારે ભૂપતિ અંદરના સભાખંડમાં બેઠેલો હતો…ત્યારે તેની પાસે જઈને કાનમાં ધીમેથી વિલાસવતીના ગર્ભનો વૃત્તાંત કહ્યો. તેનું આ અશ્રુત-પૂર્વ અને અસંભાવ્ય વચન સાંભળતાં જ જાણે અમૃતરસથી રાજાનાં અંગ પલળી ગયાં. તત્કાળ ઊભા થયેલા રોમાંકુરથી તેના શરીર પર કંટક વ્યાપી ગયા. આનંદરસથી તે વિહ્વલ બનવા લાગ્યો… એટલામાં તેની ચંચલ કીકીવાળી અને આનંદાશ્રુ બિન્દુથી ભીની થયેલી પાંપણવાળી દૃષ્ટિ શુકનાસના મુખ ઉપર પડી… શુકનાસને એ વૃત્તાંત વિદિત ન હતો તો પણ એ સમયને ઉચિત બીજું કંઈ અતિમહાન હર્ષનું કારણ જણાયું નહિ. તેથી શુકનાસ ચેતી ગયો, અને આસન ખસેડી, રાજાની છેક પાસે જઈ, ધીમે સ્વરે બોલ્યો, ‘મહારાજ! કેમ કંઈ સ્વપ્નદર્શનમાં સત્ય જણાય છે કે?… કહો કે આ શું બન્યું છે?’ એમ જ્યારે તે બોલી રહ્યો ત્યારે રાજાએ હસીને પ્રત્યુત્તર આપ્યો કે- ‘જે આણે કહ્યું તે જો સત્ય જ હોય તો તો સર્વ સ્વપ્નદર્શન સાચું પડ્યું (એમ કહેવાય) પણ મને એનો વિશ્વાસ પડતો નથી…મને એ જુઠ્ઠું કહેતી હોય એમ લાગે છે: માટે ચાલો એવું કહી તેણે સર્વ રાજલોકને વિદાય કરી, પોતાનાં અંગ ઉપરનાં સર્વ આભૂષણ ઉતારી કુલવર્ધનાને આપ્યા… પછી નરપતિ શુકનાસ સાથે ઊઠ્યો… અને તે આગળ ધરેલી — પવનથી હાલતી સ્થૂલ જ્યોતવાળી — પ્રદીપિકાઓના પ્રકાશથી ઓરડામાં ભરાઈ રહેલો અંધકાર દૂર કરતો કરતો અંત:પુરમાં આવી પહોંચ્યો. મણિપ્રદીપોએ જ્યાં તિમિર ટાળી મૂક્યું હતું એવા શયનગૃહમાં હિમાલયના શિલાતલ જેવા વિશાલ, અને ગર્ભવતી સ્ત્રીને ઉચિત એક શયન પર, ગોરોચનાથી ચિત્રેલા છેડાવાળાં, નવાં અને અતિશ્વેત બે વસ્ત્ર પહેરીને સૂતેલી વિલાસવતીને તેણે જોઈ. દાસીઓના ત્વરાથી પ્રસારેલા હાથને ટેકો દઈ, ડાબા ઢીંચણ પર હસ્તપલ્લવ મૂકી, હાલતા ભૂષણમણિના ઝણકાર સહિત જેવી વિલાસવતી ઊભી થતી હતી તેવું જ બહુ થયું, બહુ થયું, અતિ આદર જવા દ્યો, દેવી! મા ઊઠો — એમ કહી રાજા તે જ શયન પર બેઠો, અને સ્વચ્છ સુવર્ણના પાયાવાળા તથા ધવલ પ્રચ્છદવાળા, પાસે પડેલા બીજા શયન પર શુકનાસ પણ બેઠા. રાણીને પ્રફુલ્લ ગર્ભસહિત જોઈને હર્ષના ભાર વડે મંદ થયેલા મન વડે પરિહાસ કરતો કરતો રાજા બોલ્યો, ‘દેવી! શુકનાસ પૂછે છે કે કુલવર્ધના કહી ગઈ તે શું તેમ જ છે?’ એટલે વિલાસવતીના ગાલ ઉપર, અધર ઉપર, અને લોચન પર મંદ મંદ હાસ્ય પ્રકટ થયું, અને લજ્જા આવવાથી દંતકિરણના આકારમાં જાણે વસ્ત્ર વડે મુખ ઢાંકીને તેણે તરત જ નીચે જોયું. પણ જ્યારે રાજાએ પુન:પુન: પૂછ્યા કર્કહ્યું ત્યારે — મને શું કરવા વધારે વધારે શરમાવો છો? હું તો કંઈએ નથી જાણતી — એમ કહી, આંખની કીકી જરા વાંકી ફેરવી, મુખ નીચું રાખી, તેણે રાજાની તરફ જાણે ક્રોધયુકત દૃષ્ટિ નાખી. …… કેટલાક વખત પછી, ઇચ્છિત ગર્ભદોહનના સંપાદનથી હર્ષ પામેલી વિલાસવતીએ, પ્રસવકાલ પૂર્ણ થયેલી, એક શુભ દિવસે, અહનિર્શ ગળતા પાણીના ઘટીયંત્રથી તથા બહારથી આણેલી શંકુચ્છાયાથી કાળના અંશ માપનાર જ્યોતિષીઓએ ગ્રહણ કીધેલા લગ્નમાં, શુભ વેળાએ, મેઘમાલા જેમ મેઘ-જ્યોતિને જન્મ આપે તેમ, સકલલોકનાં હૃદયને આનંદકારી પુત્રને પ્રસવ્યો. તે જન્મ્યો કે તરત જ રાજકુલમાં, ત્વરાથી આમ તેમ દોડતા પરિજનોના સેંકડો ચરણ પડવાથી ધરાતલને ડોલાવતો, નગરને ગજવી મૂકતો ઉત્સવવૃદ્ધિનો ભારે ગરબડાટ મચી રહ્યો. નૃપતિનું હૃદય પુત્ર-મુખ-દર્શનરૂપી ઉત્સવને સારુ તલપી રહ્યું હતું તો પણ યોગ્ય દિવસ આવ્યો ત્યારે જ સૂતિકાગૃહમાં સર્વ પરિજનને દૂર કરી, શુકનાસની સાથે તે, જ્યોતિષીઓએ બતાવેલે શુભ મુહૂર્તે જઈ શક્યો… ત્યાં જલ અને અગ્નિનો સ્પર્શ કરીને રાજાએ પ્રવેશ કર્યો. પ્રવેશ કર્યો કે તરત જ રાજાએ, પ્રસવથી દૂબળી તથા ફીકી પડી ગયેલી વિલાસવતીના ઉત્સંગમાં પોઢેલા પ્રીતિજનક પુત્રને જોયો, તેની કાન્તિના સમુદયને લીધે ગર્ભગૃહના પ્રદીપોની પ્રભા ઝાંખી પડી ગઈ હતી. શેષ રહેલા ગર્ભરાગ વડે, ઉદય સમયના રક્ત રવિમંડલ જેવો, સંધ્યાકાળના રાતા ચંદ્રબિંબ જેવો, કલ્પવૃક્ષના કોમલ પલ્લવ જેવો, પ્રફુલ્લ કમલના સમૂહ જેવો, અને પૃથ્વી જોવા સારુ નીચે ઊતરેલા મંગલ જેવો તે શોભતો હતો…હજારો મનોરથે જેનું દર્શન પ્રાપ્ત થયું હતું તે તનયમુખને સ્પૃહાથી નિહાળી નિહાળીને રાજા આનંદ પામ્યો, અને પોતાને કૃતક્ૃત્ય માનવા લાગ્યો. સર્વ મનોરથ ફલિત થવાથી શુકનાસ, પ્રીતિથી વિસ્તાર પામતાં લોચન વડે એ પુત્રનાં અંગેઅંગ જોતો જોતો રાજાને ધીમે ધીમે કહેવા લાગ્યા: ‘જુઓ મહારાજ! ગર્ભપીડનથી હજી કુમારના અવયવની શોભા બરાબર સ્ફુટ તો થઈ નથી તથાપિ, આ સર્વ ચક્રવર્તીચિહ્ન એનું માહાત્મ્ય દર્શાવી આપે છે…’ એમ તે કહેતા હતા એટલામાં, દ્વાર પાસે ઊભેલા રાજલોકે ઝટ ખસીને જેને માર્ગ આપ્યો હતો, હર્ષથી જેના શરીર ઉપર રુવેરુવાં ઊભાં થયાં હતાં, અને લોચન જેનાં પ્રફુલ્લ થતાં હતાં એવા મંગલક નામના પુરુષે ત્વરાથી આવીને હસતે મુખે, રાજાને પ્રણામ કરી જણાવ્યું, ‘દેવ વૃદ્ધિ પામો! આપના શત્રુઓનો નાશ થાઓ. મહારાજ ઘણું જીવો! પૃથ્વીનો જય કરો! આપના પ્રસાદથી આર્ય શુકનાસની પણ જ્યેષ્ઠ બ્રાહ્મણ પત્ની નામે મનોરમાને, રેણુકાના પરશુરામ જેવો એક તનય પ્રસૂત થયો છે. હવે મહારાજની જેવી ઇચ્છા!’ નૃપતિએ અમૃતવૃષ્ટિતુલ્ય આ તેનાં વચન સાંભળ્યાં કે પ્રીતિથી તેનાં ચક્ષુ પ્રફુલ્લ થયાં અને તેણે પ્રત્યુત્તર આપ્યો, ‘અહો કલ્યાણપરંપરા. વિપત્તિ વિપત્તિને અને સંપત્તિ સંપત્તિને અનુસરે છે એ જનપ્રવાદ આજ સત્ય થયો. સર્વથા સુખદુઃખમાં સમતા દર્શાવીને વિધિએ પણ તમારી પેઠે અમને અનુવર્તન કીધું છે.’ એમ કહી, સત્વર આલિંગન દઈ, પ્રીતિથી પ્રફુલ્લ થયેલા મુખ વડે, હસતાં હસતાં પોતે જ શુકનાસનું ઉત્તરીય શિરપાવમાં લઈ લીધું. મનમાં આનંદ પામી, તે પુરુષને પણ તેના શુભ સમાચારને યોગ્ય અમૂલ્ય બક્ષિસ અપાવી પછી ઊઠીને એમ ને એમ જ તે શુકનાસને મંદિર જવા નીકળ્યો. તેની પાછળ નૃત્યક્રીડામાં આસક્ત હજારો નુપૂર વડે દિગંતરો ગાજી રહ્યા; વેગથી હાથ ઊંચો કરવાથી હાલતાં મણિવલયનો શબ્દ ત્યાં થઈ રહ્યો… એવી રીતે શુકનાસને મંદિર જઈ, રાજાએ બમણો ઉત્સવ કરાવ્યો.

ષષ્ઠીજાગરણ થઈ ગયા પછી જ્યારે દસમો વાસો થયો ત્યારે શુભ મુહૂર્તમાં કોટિ કોટિ ગાય અને સુવર્ણનું દાન કરીને, ‘સ્વપ્નમાં એની માતાના મુખ-કમલમાં મેં પરિપૂર્ણ ચંદ્રમંડલને પ્રવેશ કરતું જોયું હતું’ એમ વિચારી રાજાએ સ્વપ્નને જ અનુસરીને પુત્રનું નામ ચંદ્રાપીડ પાડ્યું. બીજે દિવસે શુકનાસે પણ બ્રાહ્મણને ઉચિત સર્વ ક્રિયા કરીને રાજાની અનુમતિ પ્રમાણે, પોતાના તનયનું વૈશંપાયન એવું વિપ્રજન યોગ્ય નામ પાડ્યું. પછી ચંદ્રાપીડને ચૂડાકરણ વગેરે બાલ્યક્રિયાઓ અનુક્રમે કરવામાં આવી અને એની બાલ્યાવસ્થા વીતી ગઈ. પછી તારાપીડ રાજાએ પુત્રનું મન ક્રીડામાં આસક્ત થતું અટકાવવા સારુ નગરીની બહાર ક્ષિપ્રા નદીને તીરે, અર્ધકોશ લાંબું, દેવગૃહ જેવું એક વિદ્યામંદિર બંધાવ્યું. રાજાની આવી નિયંત્રણામાં રહેલા ચંદ્રાપીડનું હૃદય અન્ય વિષયમાં ગ્રસ્ત ન હતું તેથી તેણે, પોતપોતાની કુશલતા દર્શાવનારા, તથા સુપાત્ર શિષ્ય મળ્યાથી ઉત્સાહથી ઉપદેશ કરતા આચાર્યો પાસેથી થોડા જ કાળમાં સર્વ વિદ્યાઓનો અભ્યાસ કરી લીધો. મણિદર્પણ જેવા અતિ નિર્મલ એ રાજપુત્રમાં સકલ કલાકલાપે પ્રવેશ કીધો; અને વ્યાકરણમાં, મીમાંસામાં, ધર્મશાસ્ત્રમાં… ભરતાદિનાં રચેલાં નૃત્યશાસ્ત્રમાં, નારદ વગેરેના સંગીતશાસ્ત્રમાં… પુસ્તકવ્યાપારમાં, મહાભારતમાં, પુરાણમાં, ઇતિહાસમાં, રામાયણમાં… અને એવી બીજી કેટલીક કલાઓમાં તેણે મોટી કુશળતા મેળવી. પ્રતિદિવસ અભ્યાસ કરતાં કરતાં તેનામાં ભીમસેનના જેવી, બાળપણમાં જ સર્વલોકને વિસ્મય પમાડતી મહાવીરતા દેખાઈ આવી. રમતમાં સહેજ જ જ્યારે તે હાથીઓનાં બચ્ચાનાં કર્ણપલ્લવ હાથ વડે પકડીને તેમને નમાવી દેતો હતો ત્યારે જાણે કામદેવને અવસર મળ્યો એટલે તે નવા સેવકની સમાન તેની પાસે આવવા લાગ્યો. લક્ષ્મીની સાથે તેની છાતી વિસ્તાર પામવા લાગી. બંધુજનોના મનોરથની સાથે એની જાંઘો ભરાવા લાગી. શત્રુઓની સાથે તેનો મધ્યભાગ ઓછો થવા માંડ્યો. દાનની સાથે તેનો નિતંબભાર વધવા લાગ્યો. પ્રતાપની સાથે રોમરાજિ ઊગવા લાગી. રિપુ સ્ત્રીઓના કેશની લટો સાથે તેના હાથ નીચે લટકવા લાગ્યા… ચંદ્રાપીડ આવી રીતે યૌવનાવસ્થામાં આવી પહોંચ્યો છે, સકલ કલાનું તેણે જ્ઞાન મેળવ્યું છે, અને અશેષ વિદ્યાનું તેણે અધ્યયન કર્કહ્યું છે એવું જ્યારે રાજાએ જાણ્યું ત્યારે આચાર્યોની અનુમતિથી તેને તેડાવવા સારુ બહાલક નામના સેનાપતિને બોલાવી, ભારે અશ્વબલ અને પાયદળ સાથે તેને એક શુભ દિવસે ત્યાં મોકલ્યો, વિદ્યાગૃહ પાસે તે આવી પહોંચ્યો કે દ્વારપાલો સાથે ખબર કહાવી તેણે અંદર પ્રવેશ કર્યો, અને ચૂડામણિ ભૂતલ સુધી નમાવી, મસ્તક વડે પ્રણામ કરી, રાજસમીપ જેમ બેસતો હોય તેમ વિનય સહિત પોતાની પદવીને યોગ્ય આસન ઉપર રાજપુત્રની અનુમતિથી તે બેઠો. પછી જરા વાર રહીને તેણે ચંદ્રાપીડ પાસે જઈ વિનયથી કહ્યું કે ‘કુમાર! મહારાજની એવી આજ્ઞા છે કે અમારા મનોરથ સર્વ પરિપૂર્ણ થયા છે, તમે શાસ્ત્રોનું અધ્યયન કર્કહ્યું છે, સર્વ કલાઓ શીખ્યા છો ને સકલ આયુધવિદ્યાઓમાં તમે મોટી પ્રતિષ્ઠા મેળવી છે માટે સર્વ આચાર્યોએ વિદ્યાગૃહમાંથી તમને નીસરવાને રજા આપી છે, શિક્ષા ગ્રહણ કરીને બંધનસ્થાનમાંથી બહાર નીકળેલા ગંધગજકુમાર જેવા, સકલકલા પરિપૂર્ણ પૂણિર્માના તરત ઊગેલા જેવા તમને ભલે સર્વ લોક જુએ અને ઘણા કાળથી દર્શનને સારુ ઉત્કંઠિત થયેલાં પોતાનાં લોચનને સફળ કરે. તમને જોવાને સર્વ અંત:પુર ઘણાં જ ઉત્સુક છે. વિદ્યાગૃહમાં વસતાં તમને આજ દશમું વર્ષ ચાલે છે, અને છઠ્ઠે વર્ષે તમે તેમાં પ્રવેશ કર્યો હતો. સર્વે માતાઓને દર્શન આપો, ગુુરુઓને અભિનંદન કરી, સ્વતંત્ર થઈ, રાજ્યસુખ તથા નવયૌવનના વિલાસ રુચિ પ્રમાણે અનુભવો. રાજલોકને સન્માન આપો. બ્રાહ્મણોનું પૂજન કરો. પ્રજાનું પાલન કરો અને બંધુવર્ગને આનંદ આપો. મહારાજે આપને મોકલેલો આ અખિલ ભુવનનો એક મણિ — વેગમાં પવન ગરુડ જેવો, ઇન્દ્રાયુધ નામનો અશ્વ દ્વાર પાસે ઊભેલો છે. ત્રણે ભુવનનું એ એક આશ્ચર્ય છે એમ જાણી પારસીઓના અધિપતિએ સમુદ્રતલમાંથી ઉત્પન્ન થયેલું આ અયોનિજન્મ અશ્વરત્ન જે મને મળેલું છે તે મહારાજને બેસવા યોગ્ય છે એવો સંદેશો કહાવી એને દેવ પાસે મોકલ્યો હતો. એને જોઈને લક્ષણ જાણનારાઓએ કહ્યું છે, ‘દેવ, જે લક્ષણ ઇન્દ્રના અશ્વમાં હતાં એમ સંભળાય છે તે જ આમાં છે; આના જેવો અશ્વ કદી થયો નથી અને થવાનો પણ નથી, માટે આરોહણ કરીને એનો અનુગ્રહ કરો. વળી ક્ષત્રિય રાજકુળમાં ઉત્પન્ન થયેલા, વિનયી, શૂરા, રૂપવાન, ચતુર અને કુલક્રમાગત આ સહ રાજપુત્રો જેમને તમારી સાથે રહેવા મોકલ્યા છે તેઓ અશ્વ પર બેઠા બેઠા, તમને પ્રણામ કરવાની લાલસાથી બહાર તમારી વાટ જુએ છે.’ એટલું કહીને બહાલક શાન્ત પડ્યો કે ચંદ્રાપીડે, પિતાની આજ્ઞા માથે ચઢાવી, બહાર નીકળવાની ઇચ્છાથી નવા મેઘની ગર્જના જેવા ગંભીર સ્વરે આજ્ઞા કરી કે ઇન્દ્રાયુધને અંદર લાવો. આજ્ઞા થતાં જ તે મહાન અશ્વને તેણે અંદર આણેલો જોયો, અને બંને તરફથી ચોકઠાનાં કનકનાં કડાં પકડીને પગલે પગલે હાથમાં રાખવાનો પ્રયત્ન કરતા બે પુરુષો તેને દોરી લાવતા હતા, પ્રમાણમાં તે ઘણો મ્હોટો હતો તેથી હાથ ઊંચા કરેથી જ પુરુષો તેના પૃષ્ઠ ભાગને સ્પર્શ કરી શકતા હતા — સન્મુખ આવેલા અખિલ આકાશનું તે જાણે પાન કરતો હતો. ઉદરને કંપાવતો તથા પૃથ્વીની ગુફાઓને પૂરી નાખતો, અતિ કઠોર શબ્દ વારંવાર કરવાથી, ખોટા વેગનું મિથ્યાભિમાન રાખનાર ગરુડનો જાણે તે તિરસ્કાર કરતો હતો…

એવા અદૃષ્ટપૂર્વ, અખિલ ત્રિભુવન રાજ્યને યોગ્ય તથા અશેષ-લક્ષણ સંપન્ન મહાન અશ્વનો દેવલોકને જ ઉચિત આકાર જોઈને, ચંદ્રાપીડ અતિધીર પ્રકૃતિનો છતાં એના હૃદયમાં વિસ્મય ઉત્પન્ન થયો, અને મનમાં વિચાર આવ્યો કે વેગસહિત ફરીને વીંટળાતા વાસુકિ નાગથી ચલિત થયેલા મંદર પર્વત વડે જ્યારે પૂર્વે સમુદ્રજલનું દેવદાનવોએ મંથન કર્યું ત્યારે આ અશ્વરત્નને ન કાઢતાં એમણે શું રત્ન કાઢ્યું? મેરુ શિલાતલ જેવા વિશાળ, આના પૃષ્ઠ પર જ્યારે ઇન્દ્ર નથી બેઠો ત્યારે એને ત્રૈલોક્ય રાજ્યનું ફળ પણ શું મળ્યું?… દેવતાઈ આકૃતિઓ પણ મુનિશાપને લીધે પોતાના પૂર્વશરીરનો ત્યાગ કરીને, શાપવચનના બળથી ઉત્પન્ન થયેલાં આવાં બીજાં શરીર ધારણ કરી શકે છે; કેમ કે એવું સંભળાય છે કે પૂર્વે સ્થૂલશિરા નામના મહાતપસ્વી મુનિએ અખિલ ભુવનના અલંકાર રૂપ રંભા નામની અપ્સરાને શાપ દીધો હતો. તેથી તે દેવલોક ત્યજીને અશ્વહૃદયમાં પ્રવેશ કરી, અશ્વહૃદયા નામની થઈ, મર્ત્યલોકમાં મૃત્તિકાવતી નગરીમાં શતધન્વા નામે રાજાની સેવામાં ઘણા કાળ સુધી વસી હતી… એમ ચિંતન કરતો કરતો જ આરોહણ કરવાની ઇચ્છાથી એ આસન ઉપરથી ઊભો થયો પછી અશ્વની પાસે જઈને પોતાના મનમાં કહેવા લાગ્યો.