ભારતીયકથાવિશ્વ-૩/જાતકની કથાઓ/ગુત્તિલ જાતક

From Ekatra Wiki
Revision as of 17:30, 12 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ગુત્તિલ જાતક

પ્રાચીન કાળમાં વારાણસી નગરીમાં બ્રહ્મદત્ત રાજા થઈ ગયા. તે સમયે બોધિસત્ત્વ ગંધર્વકુટુંબમાં જન્મ્યા. તેમનું નામ પડ્યું ગુત્તિલકુમાર. તેઓ મોટા થયા પછી ગંધર્વકળા(ગાયનવાદનકળા)માં એવા નિપુણ થયા કે સમગ્ર જંબુદ્વીપમાં ગુત્તિલ બધા જ સંગીતકારોથી ચઢિયાતા સાબિત થયા. તે પોતાની સ્ત્રીને સાચવવાને બદલે પોતાના આંધળા માતાપિતાનું ધ્યાન રાખતા હતા.

તે સમયે વારાણસીના વણિકજનો વ્યાપાર કરવા ઉજ્જૈન ગયા. ત્યાં તે વેળા ઉત્સવ યોજાયો. પછી તેઓ પૈસા ઉઘરાવી ફૂલમાળા, લેપન, ખાદ્યસામગ્રી લઈને એક સ્થળે ભેગા થયા. પછી કોઈને નાણાં આપીને ગાંધર્વને, બોલાવવા તૈયાર થયા. તે સમયે ઉજ્જૈનમાં મૂસિલ નામનો શ્રેષ્ઠ ગંધર્વ હતો. તેમણે તેને આમંત્ર્યો.

મૂસિલ વીણાવાદક હતો. તેણે વીણાનો તાર મેળવીને વાદન શરૂ કર્યું. ગુત્તિલ ગંધર્વથી ટેવાયેલા તે વણિકજનોને મુસિલનું વાદન ચટાઈના ખરબચડા સ્પર્શ જેવું લાગ્યું. કોઈ કશું ન બોલ્યું. પોતાનો રાજીપો પ્રગટ ન કર્યો. મુસિલે તેમના મોં પર આનંદની રેખા ન જોઈ એટલે વિચાર્યું, હું બહુ ઊંચા સૂરે વગાડું છું. તેણે મધ્યમ સૂરમાં વાદન કરવા માંડ્યું. તો પણ તેમના શ્રોતાઓ પર કશી અસર ન પડી. તેણે વિચાર્યું, લાગે છે કે આ લોકો કશું જાણતા નથી. એટલે તે પોતે સાવ અજ્ઞાની બનીને વીણાના તાર ઢીલા કરીને તેણે વાદન કર્યું. તો પણ તેઓ કશું ન બોલ્યા.

મૂસિલે કહ્યું, ‘અરે સાર્થવાહો, શું તમને મારું વીણાવાદન ન ગમ્યું?’

‘અરે તમે વીણા વગાડતા હતા? અમને તો એમ લાગ્યું કે તમે વીણાને મેળવી રહ્યા છો?’

‘શું તમે મારાથી ચઢિયાતા વીણાવાદકને જાણો છો? કે પછી તમારા અજ્ઞાનને કારણે પ્રસન્ન થયા ન હતા?’

‘વારાણસીમાં જેમણે ગુત્તિલગંધર્વનું વીણાવાદન સાંભળ્યું હોય તેમને તો તમારું વીણાવાદન સ્ત્રીઓ બાળકોને રીઝવતી હોય તેવું લાગે.’

‘એમ, તો તમે જે મારી પાછળ પૈસા વાપર્યા છે તે પાછા લઈ લો. મારે નથી જોઈતા. પણ હા, તમે જ્યારે વારાણસી જાઓ ત્યારે મને સાથે લઈ જજો.’

તેમણે હા પાડી, જતી વખતે તેઓ તેને સાથે લઈ ગયા. ‘આ રહ્યું ગુત્તિલનું ઘર.’ એમ ઘર દેખાડી તેઓ પોતપોતાને ઘેર ગયા.

મૂસિલે બોધિસત્ત્વના ઘરમાં દાખલ થઈ ત્યાં ભીંતે ટીંગાડેલી બોધિસત્ત્વની ખૂબ જ સરસ વીણા ઉતારી વગાડવા માંડી. બોધિસત્ત્વના માતાપિતા આંધળા હતા એટલે મૂસિલ તેમની નજરે ન પડ્યો. તેમને લાગ્યું કે વીણા પર ઉંદરો ફરી રહ્યા છે. એટલે તેઓ બોલી પડ્યા, ‘અરે અરે આ ઉંદરો વીણા ખાઈ રહ્યા છે.’

તે વેળા મૂસિલે વીણા યથાસ્થાને મૂકી ગુત્તિલના માતાપિતાને પ્રણામ કર્યા. તેમણે પૂછ્યું, ‘ક્યાંથી આવ્યા છો?’

‘ઉજ્જૈનથી આચાર્ય પાસે વીણાવાદન શીખવા આવ્યો છું.’

‘ભલે.’

‘આચાર્ય ક્યાં છે?’

‘તે બહાર ગયો છે. આવી જશે.’

એટલે મૂસિલ ત્યાં રાહ જોતો બેઠો. બોધિસત્ત્વ આવ્યા, તેમણે ખબરઅંતર પૂછ્યા, એટલે પછી મૂસિલે પોતાના આવવાનું કારણ કહ્યું. બોધિસત્ત્વ અંગવિદ્યાના નિષ્ણાત હતા. આ સજ્જન નથી એવું તેમને લાગ્યું. એટલે આચાર્યે તેને ના પાડી. ‘ભાઈ, આ વિદ્યા તારા માટે નથી.’

મૂસિલે બોધિસત્ત્વના માતાપિતાના ચરણ પકડ્યા. પોતાની સેવાથી તેમને રીઝવીને કહ્યું, ‘મારે સંગીત શીખવું છે.’ બોધિસત્ત્વના માતાપિતાએ વારંવાર ભલામણ કરી એટલે તેઓ માબાપને ના પાડી શક્યા નહીં, અને મૂસિલને સંગીતવિદ્યા શીખવાડી.

તે બોધિસત્ત્વની સાથે દરરોજ રાજદરબાર જતો હતો. રાજાએ તેને જોઈને પૂછ્યું, ‘આચાર્ય, આ કોણ છે?’

‘મહારાજ, આ મારો શિષ્ય છે.’

મૂસિલ ધીમે ધીમે રાજાનો વિશ્વાસપાત્ર બની ગયો. બોધિસત્ત્વે કશું પણ છુપાવ્યા વિના પોતાની બધી વિદ્યા તેને શીખવાડી, પછી કહ્યું, ‘ભાઈ, બધું જ શીખવાડ્યું.’ મૂસિલે વિચાર્યું મેં સંગીત શીખી લીધું. વારાણસી નગરી તો આખા જંબુદ્વીપમાં શ્રેષ્ઠ છે. આચાર્ય પણ હવે વૃદ્ધ થઈ ગયા છે. મારે અહીં જ રહેવું જોઈએ. તેણે આચાર્યને કહ્યું, ‘આચાર્ય, હું પણ રાજસેવા કરીશ.’ આચાર્યે કહ્યું, ‘ભલે ભાઈ, હું રાજાને કહીશ.’

તેમણે રાજાને જઈને કહ્યું, ‘મહારાજ, મારો શિષ્ય પણ તમારી સેવા કરવા માંગે છે. તેને જે આપવું હોય તે આપજો.’

રાજાએ કહ્યું, ‘તમને જેટલા મળે છે તેનાથી અડધા તેને આપીશું.’ તેમણે મૂસિલને વાત કરી. મૂસિલે કહ્યું, ‘મને તમારા જેટલું જ વેતન મળશે તો જ હું સેવા કરીશ, નહીં મળે તો સેવા નહીં કરું.’

‘કેમ?’

‘શું તમે જેટલું જાણો છો તે બધું હું નથી જાણતો?’

‘હા, જાણે છે.’

‘તો પછી મને અડધું વેતન શા માટે?’

બોધિસત્ત્વે રાજાને કહ્યું, રાજાએ ઉત્તર આપ્યો, ‘જો તે તમારા જેટલી વિદ્યાનું પ્રમાણ આપે તો તેને એટલું વેતન આપીશું.’ બોધિસત્ત્વે રાજાની વાત તેને કરી. તે બોલ્યો, ‘ભલે પ્રમાણ આપીશ.’

રાજાને વાત પહોંચાડી. રાજાએ કહ્યું, ‘પ્રમાણ આપો ત્યારે.’

તેને પૂછ્યું, ‘ક્યારે સ્પર્ધા થશે?’

મૂસિલે કહ્યું, ‘મહારાજ, આજથી સાતમા દિવસે.’

રાજાએ મૂસિલને બોલાવીને પૂછ્યું, ‘શું તું ખરેખર આચાર્ય સાથે સ્પર્ધા કરવા માંગે છે?’

‘હા, મહારાજ. સાચેસાચ.’

‘આચાર્ય સાથે સ્પર્ધા યોગ્ય નથી. આમ ન કર.’

‘મહારાજ, આજથી સાતમા દિવસે મારી અને આચાર્યની સ્પર્ધા થશે. એકબીજાની આવડત બધા જાણશે.’

રાજાએ તેની વાત માની લીધી અને જાહેર કર્યું , ‘આજથી સાતમા દિવસે આચાર્ય ગુત્તિલ અને તેમના શિષ્ય મૂસિલ રાજદરબારમાં એકબીજાની સાથે સ્પર્ધા કરીને પોતાની આવડત પ્રદર્શિત કરશે. નગરજનોને આ સ્પર્ધા જોવા આમંત્રણ.’

બોધિસત્ત્વ વિચારવા લાગ્યા, ‘આ મૂસિલ હજુ તો યુવાન છે, ઉંમર નાની છે. હું ઘરડો થઈ ગયો છું. શક્તિ ઓછી થઈ ગઈ છે. શિષ્ય હારી જશે તો એમાં મારી કશી વિશેષતા નહીં ગણાય. પરંતુ જો શિષ્ય જીતી ગયો તો લાજી મરીશ, એના કરતાં તો વનમાં જઈને મૃત્યુ પામવું સારું. તેઓ વનમાં જતા પણ મૃત્યુના ભયથી પાછા આવતા રહેતા. આમ ને આમ છ દિવસ વીતી ગયા. ઘાસના તણખલા દબાઈ ગયા અને ત્યાં પગદંડી બની ગઈ. તે વેળા ઇન્દ્રનું આસન ડોલવા લાગ્યું. ઇન્દ્રે ધ્યાન ધરીને જોયું તો જણાયું કે ગુત્તિલ ગંધર્વ શિષ્યના ભયથી વનમાં ભારે દુઃખ ભોગવી રહ્યા છે. ‘મારે એમની મદદ કરવી જોઈએ.’ એમ વિચારી તરત જ બોધિસત્ત્વ આગળ આવીને ઊભા રહ્યા.

‘આચાર્ય, વનમાં કેમ આવ્યા?’

‘તમે કોણ?’

‘હું ઇન્દ્ર.’

બોધિસત્ત્વે કહ્યું, ‘ઇન્દ્રદેવ, હું શિષ્યના ભયથી વનમાં દાખલ થયો છું. મેં મૂસિલ નામના શિષ્યને સાત તારવાળી સુમધુર રમણીક વીણા હું જેટલી જાણતો હતો તે બધી શીખવાડી. હવે તે મને મંચ ઉપર પડકારી રહ્યો છું. હે ઇન્દ્ર, મને શરણમાં લો.’

આચાર્યની વાત સાંભળીને ઇન્દ્રે કહ્યું, ‘ગભરાઓ નહીં. હું તમને ઉગારીશ. હું તમને શરણ આપીશ. હે મિત્ર, હું શરણદાતા છું. આચાર્યની પૂજા કરવાને પાત્ર છું. શિષ્ય સ્પર્ધામાં નહીં જીતે. આચાર્ય જ શિષ્યને પરાજિત કરશે.’

વળી ઇન્દ્રે કહ્યું, ‘તમે એક તાર તોડી નાંખી છ તારે વીણા વગાડજો. વીણામાંથી સહજ સૂર જ નીકળશે. મૂસિલ પણ તાર તોડી નાંખશે. તેની વીણામાંથી સ્વર નહીં નીકળે. તે જ ક્ષણે મૂસિલ હારી જશે. તેને પરાજિત થતો જાણી તમે બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો તાર પણ તોડી નાંખજો અને વીણા વગાડ્યે રાખજો. તાર વિના ખુંટામાંથી સ્વર નીકળશે. અને બાર યોજનવાળી વારાણસી નગરીમાં છવાઈ જશે.’ એટલું કહીને ઇન્દ્રે ગુત્તિલને ત્રણ ગુટિકા આપીને કહ્યું, ‘આખા નગરમાં જ્યારે વીણાનો રણકાર છવાઈ જાય ત્યારે આમાંથી એક ગુટિકા આકાશમાં ફંગોળજો. તમારી સામે ત્રણસો અપ્સરાઓ આકાશમાંથી ઊતરીને નૃત્ય કરવા માંડશે. તેમની સામે બીજી ગુટિકા ફેંકજો. બીજી ત્રણસો નીચે ઊતરીને વીણા આગળ નૃત્ય કરશે. પછી ત્રીજી ગુટિકા ફેંકજો. ફરી બીજી ત્રણસો ઊતરીને રંગમંડપમાં નૃત્ય કરશે. હું પણ તમારી પાસે આવીશ. જાઓ ગભરાઓ નહીં.’

બોધિસત્ત્વ નિયત સમયે પહોંચ્યા. રાજદરબારમાં મંડપ બનાવીને રાજસિંહાસન તૈયાર કર્યું. રાજા મહેલમાંથી ઊતરીને સુશોભિત મંડપમાં આસન પર બેઠા. દસ હજાર અલંકૃત સ્ત્રીઓ તથા મંત્રીઓ, બ્રાહ્મણો રાજાની ચોતરફ બેઠા. બધા નગરજનો એકઠા થયા. આંગણામાં ચક્રો, મંચ તૈયાર થઈ ગયા. બોધિસત્ત્વ સ્નાનશુદ્ધ થઈને, અંગે સુગંધિત દ્રવ્યનો લેપ કરીને, વિવિધ શ્રેષ્ઠ ભોજન આરોગીને હાથમાં વીણા લઈ તેમના માટે તૈયાર કરેલા આસન પર બેઠા. ઇન્દ્ર અદૃશ્યરૂપે ત્યાં આવીને ઊભા. માત્ર બોધિસત્ત્વ જ તેમને જોઈ શકતા હતા. મૂસિલ પણ પોતાના આસને બેઠો. પ્રજાજનો ચોતરફ ઊભા હતા. શરૂઆતમાં બંનેનું વીણાવાદન સરખેસરખું ઊતર્યું. પ્રજાએ બંનેના વાદન પર સંતોષ વ્યક્ત કર્યો અને હર્ષનાદ કર્યો.

ઇન્દ્રે આકાશમાં ઊભા રહીને બોધિસત્ત્વ જ સાંભળે એ રીતે કહ્યું, ‘એક તાર તોડી નાંખ.’ બોધિસત્ત્વે ભ્રમરતાર તોડી નાંખ્યો. તે તૂટ્યો છતાં તૂટવાની જગાએથી સૂર રેલાતો હતો. દેવગંધર્વ જેવો સ્વર નીકળતો હતો. મૂસિલે પણ તાર તોડી નાંખ્યો. એમાંથી સૂર ન નીકળ્યો. આચાર્યે બીજો, ત્રીજો અને એમ કરીને સાતે તાર તોડી નાંખ્યા. માત્ર દંડ વાદનથી નીકળેલો સૂર આખા નગરમાં છવાઈ ગયો. હજારો વસ્ત્રો ફેંકાયાં, ચારે બાજુ હર્ષનાદ થયો. બોધિસત્ત્વે એક ગુટિકા આકાશમાં ફંગોળી, ત્રણસો અપ્સરાઓ ઊતરીને નૃત્ય કરવા લાગી. અને એમ બીજી-ત્રીજી ગુટિકા ફેંકવાથી આગળ ઇન્દ્રે કહ્યું તેમ બધી અપ્સરાઓ નૃત્ય કરવા લાગી.

તે વખતે રાજાએ પ્રજાને ઇશારો કર્યો. પ્રજાજનો વિફર્યા, ‘તું આચાર્યની સામે પડીને એમની બરોબરીનો થવા માગે છે? તારી આવડત પણ નથી જોતો?’ એમ કહી મૂસિલને બીવડાવ્યો, હાથમાં પથરા, દંડા લઈને એને માર્યો અને એના પગ પકડીને ઉકરડે ફંગોળ્યો. રાજાએ આનંદિત થઈને બોધિસત્ત્વને ખૂબ જ ધન આપ્યું, નગરજનોએ પણ ધન આપ્યું.

ઇન્દ્રે તેની વિદાય લેતાં કહ્યું, ‘પંડિત, હજાર અશ્વોવાળો રથ લઈને માતલિ આવશે. તું સહ અશ્વોવાળા શ્રેષ્ઠ વૈજ્યન્ત રથ પર ચઢીને દેવલોક આવજે.’ ઇન્દ્ર સ્વર્ગમાં ગયા એટલે પાંડુકંબલ-શિલાતલ પર બેઠા. દેવકન્યાઓએ તેમને પૂછ્યું, ‘મહારાજ, ક્યાં ગયા હતા?’ ઇન્દ્રે તેમને બધી વાત માંડીને કરી. બોધિસત્ત્વના સદાચાર અને બુદ્ધિની પ્રશંસા કરી. દેવકન્યાઓએ કહ્યું, ‘મહારાજ, અમારે આચાર્યને જોવા છે. તેમને અહીં લઈ આવો.’

ઇન્દ્રે માતલિને બોલાવીને કહ્યું, ‘માતલિ, દેવકન્યાઓ ગુત્તિલ ગંધર્વનાં દર્શન કરવા માંગે છે. તેમને વૈજયન્ત રથ પર બેસાડીને લઈ આવ.’ માતલિ ‘ભલે’ કહીને બોધિસત્ત્વને લઈ આવ્યો. ઇન્દ્રે તેમના ખબરઅંતર પૂછ્યા.

‘આચાર્ય, દેવકન્યાઓ તમારું વાદન સાંભળવા માંગે છે.’

‘મહારાજ, અમે ગંધર્વો અમારી કળા વડે જ ગુજરાન ચલાવીએ છીએ. પુરસ્કાર મળશે તો ગાઈશ.’

‘વગાડો. હું તમને પુરસ્કાર આપીશ.’

‘મારે વિશેષ પુરસ્કારની જરૂર નથી. આ દેવકન્યાઓ પોતાનાં સુકૃત કહે. પછી હું વગાડીશ.’

દેવકન્યાઓએ કહ્યું, ‘આચાર્ય, અમે અમારાં સુકૃત પછી કહીશું. તમે વાદન કરો.’

બોધિસત્ત્વે સાત દિવસ વીણાવાદન સંભળાવ્યું. તે દિવ્ય વાદન કરતાંય વધુ ચઢિયાતું નીકળ્યું. સાતમા દિવસે દેવકન્યાઓનાં સુકૃત પૂછ્યાં.

કાશ્યપ બુદ્ધના સમયમાં એક ભિક્ષુને ઉત્તમ વસ્ત્રનું દાન કરીને ઇન્દ્રની પરિચારિકા બનેલી, હજારો દેવકન્યાઓથી ઘેરાયેલી એક ઉત્તમ દેવકન્યાને પૂછ્યું, ‘તું પૂર્વ જન્મમાં કયું કર્મ કરીને અહીં આવી?’

‘હે દેવકન્યા, આ તારા કાન્તિયુક્ત વર્ણથી બધી દિશાઓ પ્રકાશિત થઈ ઊઠી છે. તો આ તારો વર્ણ શા કારણે છે! તું શા કારણે અહીં સમૃદ્ધિવાન છે? તે ભોગ તને પ્રિય છે તે શા કારણે? હે દેવી, હું તને પૂછું છું. તેં માનવી તરીકે કયું પુણ્યકાર્ય કર્યું? કયા કર્મ વડે તને આ ઉજ્જ્વળ પ્રતાપ પ્રાપ્ત થયો? તારો આ વર્ણ બધી દિશાઓને પ્રકાશિત કરે છે.’

‘ઉત્તમ વસ્ત્ર આપનારી નારી સ્ત્રીપુરુષોમાં શ્રેષ્ઠ હોય છે. એ જ રીતે પ્રિય રૂપ આપનારી નારી મૃત્યુ પછી દિવ્ય સ્થાન પ્રાપ્ત કરે છે. મારું વિમાન જુઓ. હું ઇચ્છિત રૂપ ધારણ કરનારી અપ્સરા છું. હું સહ અપ્સરાઓમાં શ્રેષ્ઠ છું. આ પુણ્યનું ફળ છે. એને કારણે મારો વર્ણ આવો છે. એનાથી હું સમૃદ્ધ છું. એટલે જ મનગમતો ભોગ પ્રાપ્ત કરી શકું છું. એનાથી જ મારો પ્રતાપ પ્રજ્વલિત છે. એને કારણે જ મારો વર્ણ બધી દિશાઓને પ્રકાશિત કરે છે. બીજી દેવકન્યાએ ભિક્ષુકને પૂજા માટે પુષ્પ આપ્યાં હતાં. એક બીજીએ ચૈત્યમાં પંચાગુલિ નિશાની કરવા સુગંધિત દ્રવ્ય આપ્યાં હતાં. બીજીએ મધુર ફળ આપ્યાં હતાં. બીજીએ ઉત્તમ રસ આપ્યો હતો. કોઈએ કાશ્યપ બુદ્ધના ચૈત્ય પર સુગંધિત પંચાંગુલિ ચિહ્ન કર્યું. એક બીજીએ રસ્તે ચાલતા ભિખ્ખુઓ અને ભિખ્ખુણીઓને ઘેર જઈ ધર્મબોધ કર્યો. બીજીએ નૌકામાં બેસીને ભોજન કરી રહેલા ભિક્ષુને પાણીમાં ઊભા રહીને પાણી આપ્યું. કોઈએ પોતાને મળેલા અન્નમાંથી પણ વહેંચીને ખાધું અને શીલવાન રહી. એ પુણ્યના બદલમાં દેવરાજ ઇન્દ્રની પરિચારિકા બની. આમ સાડત્રીસ દેવકન્યાઓએ જે જે કર્મ કરીને જન્મ લીધો તે બધું બોધિસત્ત્વને કહ્યું. આ સાંભળી બોધિસત્ત્વે કહ્યું, ‘મને બહુ લાભ થયો. મને ખાસ્સી પ્રાપ્તિ થઈ. મેં અહીં આવીને નાનાં નાનાં કાર્ય વડે થયેલી પ્રાપ્તિની વાત સાંભળી. હવે અહીંથી મનુષ્યલોકમાં જઈએ દાન વગેરે કર્મ કરીશ. આજે મેં ઇચ્છિત રૂપ ધારણ કરનારી અપ્સરાઓને જોઈ. તેમની પાસેથી ધર્મબોધ પામીને કુશળ કર્મ કરીશ. દાન, સમચર્યા, સંયમના પ્રતાપે હું જ્યાં જઈશ ત્યાં પછી મનુષ્ય વિચાર કરતા નથી.’

સાત દિવસ પછી દેવરાજે માતલિ સારથિને કહી બોધિસત્ત્વને રથમાં બેસાડી વારાણસી મોકલી આપ્યા. ત્યાં પહોંચીને પોતે જોયેલા દેવલોકની વાત કરી. ત્યાર પછી બધા લોકોએ ઉત્સાહથી પુણ્યકર્મ કરવાનું સ્વીકાર્યું.

(આવું જ એક જાતક ‘ઉપાહન જાતક’ છે.)