યોગેશ જોષીની કવિતા/માને શ્રાદ્ધમાં ભેળવતી વેળા...

From Ekatra Wiki
Revision as of 00:06, 20 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
માને શ્રાદ્ધમાં ભેળવતી વેળા...

(‘મા ગઈ એ પછી...’ કાવ્યગુચ્છમાંથી)

માને
શ્રાદ્ધમાં ભેળવવાની
વિધિ શરૂ થઈ...

સ્થાપન, પિંડ વગેરે તૈયાર થયા;
પછી દેવોનું પૂજન થયું
ત્યારબાદ
જનોઈ અપસવ્ય કરી;
તર્પણવિધિ શરૂ થઈ...

માનું નામ દઈને
શુદ્ધ ઉચ્ચારો સાથે
ગોરમહારાજે
સ૨સ તર્પણ કરાવ્યું;
પછી
પિતાનું નામ દઈને,
પછી
દાદીમાનું નામ દઈને,
પછી
દાદાનું નામ દઈને
કરાવ્યું તર્પણ....
પછી
ગોરમહારાજે
દાદીમાનાં સાસુનું નામ પૂછ્યું
પણ
કોઈનેય
યાદ ના’વ્યું એમનું નામ...
(પિતાજીને તો
સાતેક પેઢી સુધીનાં નામ
યાદ હતાં;
પણ અમને...)
નામ યાદ ના આવ્યું
આથી
ગોરમહારાજે
નામના બદલે
‘ગંગા, જમુના, સરસ્વતી....’
બોલાવીને
તર્પણ કરાવ્યું...
વિધિ
પત્યા પછી થયું –
બસ,
બે-ત્રણ પેઢી પછી
માનુંય નામ સુધ્ધાં
યાદ નહીં આવે
કોઈનેય...?!

કદાચ
યાદગીરી પૂરતા
માળિયે રાખેલા
જૂના કોઈ
તાંબા-પિત્તળના વાસણ પર
માનું નામ
કો ત રે લું
હોય તો હોય......

બસ,
બે-ત્રણ પેઢી પછી
શું
મા પણ
ગંગા....
જમુના...
સરસ્વતી...?!