વનાંચલ/કૃતિ-પરિચય

Revision as of 15:54, 6 February 2024 by Shnehrashmi (talk | contribs) (Created page with "{{SetTitle}} <br> {{Heading|કૃતિ-પરિચય|વનાંચલ}} {{Poem2Open}} ‘વનાંચલ’ જયન્ત પાઠકની વતનવિચ્છેદની સ્મૃતિકથા છે. ગુજરાતી સાહિત્યની એ અપૂર્વ સંસ્મરણકથા છે. શિશુવયના આનંદપર્વનાં વિષાદમધુર સંસ્મરણો રૂપે વતનપ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કૃતિ-પરિચય

વનાંચલ

‘વનાંચલ’ જયન્ત પાઠકની વતનવિચ્છેદની સ્મૃતિકથા છે. ગુજરાતી સાહિત્યની એ અપૂર્વ સંસ્મરણકથા છે. શિશુવયના આનંદપર્વનાં વિષાદમધુર સંસ્મરણો રૂપે વતનપ્રીતિનો પ્રબળ ઉદ્રેક એમાં પ્રગટ્યો છે. પૂર્વ પંચમહાલની નિબિડ પ્રકૃતિ, ત્યાંનું જનજીવન, વન્ય પ્રકૃતિ પર થઈ રહેલું નગર સંસ્કૃતિનું આક્રમણ, લેખકના શિશુવયના સાથીઓ — આ સૌ સાથેના બાળક બચુના નિર્મળ હૃદયસંધાનની આ ભાવાર્દ્ર કથા છે. જે ધરતીમાં પોતે જન્મ્યા-ઊછર્યા તેનું જ એક અભિન્ન અંગ હોવાની અનુભૂતિ અને એ રીતે પોતાની વાત મૂકવાની રીતિથી ‘વનાંચલ’ અન્ય આત્મકથાઓથી જુદું તરી આવે છે. આટલી નિબિડ વન-વતનપ્રીતિ ગુજરાતી સાહિત્યમાં અદ્યાપિ પ્રગટી નથી. કૃતિ અનેક અર્થમાં અનન્ય છે. એનું કાવ્યમય ગદ્ય, ઝીણી-મોટી ઘટના-મનોઘટનાઓથી સભર સ્મૃતિના અંકોડા સાથે ગૂંથાતું રહેતું ધૂલિધૂસર ગ્રામજીવનનું સૂત્ર, ઊઘડતો જતો વન્ય સૃષ્ટિનો લીલામય રૂપરાશિ અને એ સકળમાં એકાકાર વિસ્મય છલકતા સંવેદનપટુ બાળક બચુની નિર્દોષ-નિર્મળ પ્રતિમા — આ તમામ એક અવિસ્મરણીય વિસ્મયજનક આબોહવા વચ્ચે ભાવકને મૂકી આપે છે અને તેની ચેતનાને અસલ ધરતીની સોડમથી તરબતર કરે છે.

—દક્ષા વ્યાસ