શાંત કોલાહલ

From Ekatra Wiki
Revision as of 22:33, 28 July 2022 by Shnehrashmi (talk | contribs) (Created page with " શિષ્ટ-પ્રશિષ્ટ સાહિત્યશ્રેણી ભારતના સર્વોચ્ચ ‘ભારતીય જ્ઞાનપીઠ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

શિષ્ટ-પ્રશિષ્ટ સાહિત્યશ્રેણી

ભારતના સર્વોચ્ચ ‘ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર’ દ્વારા સન્માનિત સર્જકની સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક પ્રાપ્ત કરનાર યશસ્વી કૃતિ

શાંત કોલાહલ રાજેન્દ્ર શાહ


આદર્શ પ્રકાશન પુસ્તક પ્રકાશક અને વિક્રેતા ‘સારસ્વત સદન’ ગાંધી માર્ગ, બાલા હનુમાન સામે, અમદવાદ ૩૮૦૦૦૧

  SHANT KOLAHAL. A collection of Gujarati poems by Rajendra Shah Pub. By Adarsh Prakashan, Ahmedabad 380001 2004


પ્રકાશક કૃષ્ણકાંત મદ્રાસી આદર્શ પ્રકાશન ગાંધી માર્ગ, અમદાવાદ ૩૮૦ ૦૦૧

પ્રથમ આવૃત્તિ : ૧૯૬૨ પુનર્મુદ્રણ : ૨૦૦૪

રાજેન્દ્ર શાહ

મૂલ્ય રૂ. ૭૫-૦૦

મુદ્રક મહાવિદેહ ફાઉન્ડેશન પાર્શ્વનાથ ચેમ્બર્સ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની બાજુમાં, ઇન્કમટેક્ષ, અમદાવાદ ૩૮૦ ૦૧૪





સહુ સ્વજનોને જેના કલકોલાહલમહીં નિત મન મુજ મુદિત પ્રશાન્ત

-રાજેન્દ્ર શાહ

  શિષ્ટ-પ્રશિષ્ટ સાહિત્યશ્રેણી ટી. એસ. એલિયટે એના ‘What is a Classic ?’ નિબંધમાં જણાવ્યું છે: “A classic can only occur when a civilization is mature, when a language and literature is mature, and it must be the work of mature mind.” જ્યારે સભ્યતા-સંસ્કૃતિમાં, ભાષા અને સાહિત્યમાં પરિપક્વતા આવે ત્યારે પ્રશિષ્ટ કૃતિ સિદ્ધ થાય છે. અને એવી કૃતિ અનિવાર્યતયા પરિપક્વ માનસનું સર્જન બની રહે છે. આવી કૃતિઓમાં ચિરન્તન સૌન્દર્યતત્ત્વ રહેલું હોય છે અને તેથી જ એ યુગે યુગે સાહિત્યરસિકોને આકર્ષતી રહેતી હોય છે તથા નવાં નવાં અર્થઘટનોને પ્રેરતી હોય છે. પોતાના સમયનાં યુગબળોને આવરી લઈને આવી કૃતિઓએ ઉચ્ચ જીવનમૂલ્યોની માવજત સહજતાથી જ કરી હોય છે. આદર્શ પ્રકાશને ગુજરાતી સાહિત્યની આ પ્રકારની કૃતિઓને પુનઃપ્રકાશિત કરવાની યોજનાના ભાગરૂપે ‘શિષ્ટ-પ્રશિષ્ટ સાહિત્યશ્રેણી’ શરૂ કરી છે. સાહિત્યરસિકો સમયે સમયે આવી કૃતિઓની માંગ કરતા હોય છે અને યુનિવર્સિટીઓની અભ્યાસસમિતિઓ પણ આવી કૃતિઓની ખોજમાં હોય છે. આ આવશ્યકતાને ધ્યાનમાં રાખીને આવી કૃતિઓ ગુજરાતી વાચકોને માટે સુલભ બનાવી આપવાનો અમારો ઉપક્રમ છે. ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર દ્વારા સન્માનિત ગુજરાતના મુર્ધન્ય સાહિત્યકાર શ્રી રાજેન્દ્ર શાહે ‘શાંત કોલાહલ’ કાવ્યસંગ્રહ આ શ્રેણીમાં પ્રગટ કરવાની અનુમતિ આપવા બદલ અમે તેમના આભારી છીએ. આ શ્રેણી આપના હાથમાં મૂકતાં આનંદની લાગણી અનુભવીએ છીએ. -પ્રકાશક

  બંધ હોઠે આ સંગ્રહનાં, કોક અપવાદ સિવાયનાં, બધાં કાવ્યો કુમાર, સંસ્કૃતિ, કવિલોક, કવિતા, વિશ્વમાનવ, ક્ષિતિજ, પ્યારા બાપુ, ગૃહમાધુરી ઈત્યાદી સામયિકોમાં અગાઉ પ્રસિદ્ધિ પામ્યાં છે એનો આ સ્થળે સાભાર ઉલ્લેખ કરું છું. પ્રૂફવાચન તથા સંદર્ભ તૈયાર કરવામાં મદદરૂપ થનાર શ્રી સુરેશ દલાલ તથા આવરણચિત્રના આલેખક શ્રી અમૃત ગોહેલના મિત્રઋણનો પણ મારે સ્વીકાર કરવો જ રહ્યો. ઓક્ટોબર ૧૯૬૨ -રાજેન્દ્ર શાહ


  અનુક્રમ રાજેન્દ્ર શાહ : આસ્તિકતા, સાત્વિકતા ને વેશ્વિકતાના કવિ : ચંદ્રકાંત શેઠ રાગિણી ૧ લલિત ૨ તોડી ૩ દેશી 4 મધુમાધવી ૫ આશાવરી ૬ કોશી ૭ સોહિણી ૮ ભૈરવી સ્વપ્ન લગની પુનર્મિલન તવ પ્રવેશે ત્રિમૂર્તિ ૧ કન્યા ૨ મુગ્ધા ૩ માતા સ્થાનાંતર ન વાત વ્યતીતની છલનિર્મલ મેડીને એકાન્ત સ્મરણ ગ્રીષ્માંત ઐકાન્તિક દિન ક્ષણને આધાર આગતને શ્વાનસંત્રી પ્રભાત ગગન ઘનથી ગોરંભાયું અચલ નયને સાયંસંવાદ ચૈત્રનું પ્રભાત અલસ ગ્રીષ્મ દાંપત્ય પડદો કાલ તડકો અને ખીસકોલી અસ્તોદય ફેરિયો અને ફક્કડ મારું ઘર ઓરડે અજવાળાં શાંત કોલાહલ કલ્પવલ્લી ખેતરમાં તળાવને તીર ઢળતી રાતે ૧ સંધ્યા ૨ પ્રથમ પ્રહરે ભતવારીનું ગીત શાન્તિ ધરુ વૈશાખી વંટોળ વનવાસીનાં ગીત ૧ નમીએ અગનફૂલ ૨ પ્રભાત ૩ બોલ 4 આવડ્યું એનો અરથ ૫ મહુડો ૬ તોરી વાત વેલાતી ૭ જૂઠી રીસ ૮ રે છેલ મોરા ૯ કેવડિયાનો કાંટો ૧૦ કાળવી કીકી ૧૧ વનમાં વાયરે ઘેરી ૧૨ ભીંજવી જાય વરાંસી ૧૩ શરત ૧૪ શિયાળુ સાંજ ૧૫ કુંજમાં ઘડી ગાળીએ ૧૬ રેણ ૧૭ એઈ વ્હાલીડા ૧૮ રૂપને મ્હોરે મલય પવન ફાગ ફાગણ લગન આછેરો અંતરાય આવ્યો પૂનમનો પોરો અનાદર કોણ તે આવ્યું કણી અબોલ હેત વિદાયતરી યાદ નિર્વાસિતનું ગાન વેદના જાગ, જાગ ફરી જુદ્ધ ભૂલીએ જુદાઈ ભાઈ હે અભિનવ-પથ-યાત્રિક પુણ્યભારતભૂમિ   રાજેન્દ્ર શાહની કૃતિઓ કાવ્યસંગ્રહ ધ્વનિ(૧૯૫૧, ૧૯૫૫, ૧૯૫૬, ૧૯૬૮, ૧૯૭૨, ૧૯૭૫, ૧૯૯૬) આંદોલન(૧૯૫૧) શ્રુતિ(૧૯૫૭) શાંત કોલાહલ(૧૯૬૨, ૨૦૦૪) ચિત્રણા(૧૯૬૭) ક્ષણ જે ચિરંતન(૧૯૬૮), વિષાદને સાદ (૧૯૬૮) મધ્યમા (૧૯૭૭) ઉદ્દગીતિ (૧૯૭૮) ઈક્ષણા (૧૯૭૯) પત્રલેખા(૧૯૮૧) પ્રસંગ સપ્તક (૧૯૮૨) કિંજલ્કિની (૧૯૮૩)વિભાવન (૧૯૮૩), દ્વાસુપર્ણા (૧૯૮૩) પંચપર્વા(૧૯૮૭), ચંદનભીની અનામિકા (૧૯૮૭) નીલાગ્જના (૧૯૮૯) આરણ્યક (૧૯૯૨) વિરહમાધુરી (૧૯૯૮), સ્મૃતિ-સંવેદના (૧૯૯૮) હા...હું સાક્ષી છું (૨૦૦૩) સંચયન-સંકલન નિરુદ્દેશે (ચયન કરેલા કાવ્યો - ૧૯૭૩) સંકલિત કવિતા (પ્રથમ ૧૬ સંગ્રહ સંકલિત ૧૯૮૩) રાજેન્દ્ર શાહનાં કાવ્યો : સં. ધીરુ પરીખ (૧૯૮૮, ૨૦૦૩) બાળકાવ્યો મોરપીંછ (૧૯૫૯, ૧૯૮૫, ૨૦૦૪) આંબે આવ્યા મોર (૧૯૮૫, ૧૯૮૮) રૂમઝુમ (૧૯૮૯) અમોને મળી પવનની પાંખ (૧૯૮૯)   રાજેન્દ્ર શાહ આસ્તિકતા, સાત્વિકતા ને વૈશ્વિકતાના કવિ


ચંદ્રકાન્ત શેઠ

૧.જ્ઞાનપીઠ પુરસ્કાર-વિજેતા કવિ

ગુજરાતી કાવ્યસાહિત્યનો ઈતિહાસ જાણે કવિબેલડીઓમાં આગળ વધતો હોય એવું આપણને લાગે ! મધ્યકાલીન કવિતાની વાત કરતાં નરસિંહ-મીરાં, અખો-પ્રેમાનંદ, શામળ-દયારામ જેવી કવિબેલડીઓનું સ્મરણ થાય છે તો અર્વાચીન કવિતાની વાત કરતાં દલપત-નર્મદ, મણીલાલ-બાળાશંકર, કાન્ત-કલાપી, ન્હાનાલાલ-બ.ક.ઠા, સુન્દરમ્-ઉમાશંકર, રાજેન્દ્ર શાહ-નિરંજન જેવી કવિબેલડીઓનું. આ ધારા આગળ વધારતાં ઉશનસ્-જયન્ત પાઠક, હરીન્દ્ર દવે-સુરેશ દલાલ, લાભશંકર-સિતાંશુ, ચિનુ-મનહર મોદી જેવી કવિબેલડીઓનુંયે સ્મરણ થાય ! રાજેન્દ્ર શાહ- નિરંજનનું કામ ગાંધીયુગ અને અનુગાંધીયુગના સંધિકાળે ઉઘડેલું પમાય છે. રાજેન્દ્ર શાહ ને નિરંજનને ગાંધીજી સ્પર્શ્યા છે, પરંતુ તેમની કવિતા ગાંધીજીની સીમારેખામાં બદ્ધ રહી નથી. ભાવનાપ્રીતિ ઉભયની છે; પરંતુ ભાવનાગ્રસ્તતા બેમાંથી કોઈનીયે નથી. રાજેન્દ્ર શાહ ને નિરંજન ભગત (૧૯૨૬) બંનેય વીસમી સદીનાં ફરજંદ. રાજેન્દ્ર શાહની ગતિ, ગામ-સીમથી નગર ભણીની છે; નિરંજન ભગત પૂરા નગરકવિ છે. પ્રકૃતિ ને સંસ્કૃતિની સાથેની નિસબત બંનેની મજબૂત. બંનેયનો માનવવિકૃતિઓ સામેનો મોરચો સંગીન. બંનેમાંથી એક રાજેન્દ્ર શાહ આજે જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પોંખાયા, ખરેખર તો આ કવિબેલડી જ પોંખાવી જોઈતી હતી જ્ઞાનપીઠ પુરસ્કાર માટે ! આમ તો સુન્દરમ્ કે દર્શક જેવા સાહિત્યકરો સુધી જ્ઞાનપીઠ ન પહોંચી શક્યો એમાંય મર્યાદા તો જ્ઞાનપીઠ પુરસ્કારની જ લેખાય. ખેર ! પણ ઉમાશંકર જોશી (૧૯૬૭) અને પન્નાલાલ પટેલ (૧૯૮૫) પછી રાજેન્દ્ર શાહ (૨૦૦૩) આ પુરસ્કાર-વિજેતાઓની હરોળમાં સામેલ થયા તેથી જ્ઞાનપીઠ પુરસ્કારનું ગૌરવતેજ વધ્યું છે એમ જ કહેવું જોઈએ. આ જ્ઞાનપીઠ પુરસ્કાર માટે રાજેન્દ્ર શાહને અભિનંદન આપવા સાથે જ્ઞાનપીઠ પુરસ્કારના નિર્ણાયકોનેય યોગ્ય નિર્ણય માટે અભિનંદન આપવાં જોઈએ. *** જ્ઞાનપીઠ પુરસ્કાર-વિજેતા રાજેન્દ્ર શાહ (જ. ૨૮-૧-૧૯૧૩, કપડવંજ, જિ.ખેડા) ગુજરાતના તો મૂર્ધન્ય કવિ છે જ, આખા ભારતમાંયે એમની કોટિના ઉત્કૃષ્ટ કવિઓ પ્રમાણમાં ઓછા જ હશે. રાજેન્દ્ર શાહની કવિતા ગુજરાતની અને એ રીતે ભારતીય કવિતાની મોંઘેરી મિરાતરૂપ લેખાય. ગુજરાતી સાહિત્યમાં ગાંધીયુગના ઉતરાર્ધમાં સૌંદર્યનિષ્ઠ કવિતાની જે ધારા આરંભાઈ તેના એ પ્રમુખ કવિ છે. ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિનું જે જીવાતુભૂત તત્ત્વ છે તેનો સમ્યગ્ આવિષ્કાર એમની કવિતામાં છે. દાર્શનિકતા અને સૌન્દર્યરાગિતાનું અનોખું રસાયણ એમાં છે. ‘નિરુદ્દેશે’ સંસારે મુગ્ધ અને મુક્ત ભ્રમણ કરતા આ કવિની શબ્દલીલામાંથી તત્ત્વદર્શનનો શમપ્રધાન પ્રસન્નતામૂલક ભાવ્રસ દ્રવતો-સ્રવતો આપણે જોઈ શકીએ છીએ. હતાશા કે નિરાશાને તો એમાંથી માઇલોનું છેટું છે. તેઓ તો આસ્તિકતા, સાત્ત્વિકતા અને વૈશ્વિકતાના કવિ છે. એમના અવાજમાં શ્રદ્ધા, સમતા અને સચ્ચાઈનો રણકો સંભળાય છે. તેઓ તો ક્ષણની ભીતર રહેલી શાશ્વતીના દ્રષ્ટા ને ઉદ્દગાતા છે. સંસારના કર્મ-કોલાહલને તળિયે રહેલી શાંતિના, જીવનસંઘર્ષના મૂળિયે રહેલી સંવાદિતાના તેઓ શોધક અને સાધક કવિ છે. તેમને જેમ વિશ્વની કેટલીક પ્રશિષ્ટ કવિતા સાથે તેમ વિશ્વની તત્ત્વજ્ઞાનની કેટલીક મીમાંસા સાથે; વેદાંત તંત્ર, યોગ જેવી સાધનાપ્રણાલીઓ સાથે પણ કામ પાડ્યું છે. સર્વ કવિઓના પ્રિય એવા પ્રણય, પ્રકૃતિ અને પરમાત્મા - આ ત્રણ વિષય-બિન્દુઓથી સર્જાતો ‘મંગલ ત્રિકોણ’ એમની કવિતામાં છે. એમની કવિતામાં સુષમા ને સુષુમણાનો રસાત્મક યોગ જોવા મળે છે. એમાં એકતારાનો રણકાર ને સાથે વિચિત્ર-વીણાનો ઝણકાર સંમીલિત છે. રાજેન્દ્ર શાહ હાથમાં ડફ લઇ, રાજસ્થાની લયલહેકા ને જબાનમાં ‘હો સાંવર થોરી અઁખિયનમૈં ઝોબનિયું ઝૂકે લાલ, નાગર સાઁવરિયો!’ અથવા ‘ઇંધણા વીણવા ગૈ’તી મોરી સૈયર !’ કે ‘કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે’ જેવા લોક-લય-ઢાળનાં ગીતો ગાય છે. તો એકતારો લઇ ‘હરિ તારા ઘટના મંદિરિયામાં બેસણાં હો જી!’ અથવા ‘કાયાને કોટડે બંધાણો, અલખ મારો, લાખેણા રંગમાં રંગાણો’ જેવાં ભજનો પણ લલકારે છે. વળી મન થય તો ‘નીરખું નિર્નિમેષ’ ‘બહુરિ કુટિલ તવ છલના’, ‘હે શ્રાવણ !’ જેવાં, રવીન્દ્ર-ગાન-છટાનું સ્મરણ કરાવે એવાં, ગીતોયે ગુંજે છે! ગુજરાતી ગીત કવિતાને રાજેન્દ્ર શાહે સાચા અર્થમાં સમૃદ્ધ કરી છે. ‘કોઈ સૂરનો સવાર’, ‘તને જોઈ જોઈ તોય તું અજાણી’, ‘સંગમાં રાજી રાજી’, ‘પીળી છે પાંદડી’, ‘આપણા બેના એક બન્યાં મન’, ‘આયો જી વૈશાખ લાલ’, ‘બેડલો છોડો’, ‘આપણે આવળ બાવળ બોરડી’, ‘આણી કોર શેલાર આપણું ગામ’, ‘લીમડી ઝૂકી લેલૂંબ’, ‘ખાટી રે આંબલીથી’, ‘ઝૂંક વાગી ગઈ’, ‘આવડ્યું એનો અરથ’, ‘શરત’, ‘ભૂલીએ જુદાઈ, ભાઈ!’ – જેવાં કેટકેટલાંય લય-ભાવવૈવિધ્યથી સભર અવનવાં કલ્પનોથી આકર્ષક ગીતોનો રમણીય કોશ તેમણે ગુજરાતને આપ્યો છે. શબ્દ ને સૂરની, શબ્દબ્રહ્મ ને નાદબ્રહ્મની જે સંપૃક્તિ એમનાં ઉત્તમ ગીતોમાં છે તે આ કવિની અને સાથે ગુજરાતી કવિતાનીયે રિદ્ધિસિદ્ધિ છે. રાજેન્દ્ર શાહે ગુજરાતી કવિતાને કેટલાંક ઉત્તમ સૉનેટો આપ્યાં છે. એમાં ‘આયુષ્યના અવશેષે’ જેવી ‘રેશમના પટ પર કિનખાબથી લખીને સામી ભીંત પર લટકાવવા જેવી’ (બ.ક.ઠાકોર) સૉનેટમાળા તો ખરી જ, ઉપરાંત ‘રહસ્યઘન અંધકાર’, ‘શિરીષ ફૂલ-શી’, ‘યોગહીણો વિયોગ’, ‘સુધામય રાગિણી’, ‘યામિનીને કિનારે’, ‘સ્પર્શું ન તોયે’, ‘રાગિણી’ (સૉનેટમાળા), ‘ત્રિમૂર્તિ’ (સૉનેટત્રય), ‘મારું ઘર’, ‘ઢળતી રાતે’ (સૉનેટદ્વય) ‘હેંમંતની એક રાતે’ જેવાં સૉનેટ-સૉનેટગુચ્છો પણ અત્રે સ્મરણીય છે. આ સૉનેટોમાં પ્રતીક-કલ્પનો વગેરેની તાજગી પણ આસ્વાદ્ય રહે છે. રાજેન્દ્ર શાહે ગુજરાતી છંદોબદ્ધ કાવ્યોના ક્ષેત્રને પણ એમની સર્જનાત્મક પ્રયોગલીલાથી આકર્ષક કર્યું છે. ‘આયુષ્યના અવશેષે’ જેવામાં બ.ક.ઠાકોરને ‘ઘરડા માણસનું મન જે લયમાં વિચારે તે લયનો છંદ’ ઊતર્યાનું લાગેલું; તો એ રીતે વસંતતિલકા, પૃથ્વી, અનુષ્ટુપ આદિ વિવિધ છંદોનું લયલાવણ્ય એમની કવિતામાં જે તે ભાવાનુભવને પોષક ને તેથી પ્રસન્નકર હોય છે. ‘વિજન અરણ્યે’માં અનુષ્ટુપની ગતિ સર્પના ગતિલાવણ્યને આ રીતે રેખાંકિત કરે છે : ‘રેખાળી ગતિમાં કેવું સરે સૌંદર્ય સર્પનું.’ રાજેન્દ્ર શાહના ‘શેષ અભિસાર’ કાવ્યમાં નાટ્યાત્મક રીતિમાં અનુષ્ટુપનો જે રીતે વિનિયોગ થયો છે તે આસ્વાદ્ય છે. ‘સ્પર્શનું વસ્ત્ર હો પરું’ કહેતાં મૃત્યુનું જે મનોરમ અને સૂક્ષ્મતમ ચિત્રાંકન થયું છે તે ચિત્તહારી છે. ‘આનંદ શો અમિત’માં વસંતતિલકાનું માધુર્ય જે રીતે દાંપત્યજીવનની –ગાર્હસ્થજીવનની ભાવમાધુરીમાં એકરસ થઈ પ્રસન્નતાની આભા પ્રગટ કરે છે તે માણવા - પ્ર-માણવા જેવું છે. તેઓ મધ્યાહ્નની અલસવેળનો અનુભવ છંદોલય દ્વારા, સમુચિત કલ્પનો દ્વારા સરસ રીતે ઉપસાવે છે: ‘મધ્યાહ્નની અલસ વેળ હતી પ્રશાન્ત, ધીરે ધીરે લસતી ગોકળગાય જેમ, ને શ્રાવણી જલનું વર્ષણ તોય કલાન્ત, ફોરાં ઝરે દ્રુમથી રહૈ રહી એક એક. જેવું વિલંબિત લયે મૃદુ મંદ ગાન, તેવું જ મારું સહજે ઉર સ્પંદમાન.’ (‘શ્રાવણી મધ્યાહ્ને’) દ્રુમથી ટપકતાં ફોરાં કાનથી પણ અહીં પ્રત્યક્ષ થઈ શકે છે ! રાજેન્દ્ર શાહે જે રીતે મનહર-વનવેલી જેવા સંખ્યામેળ પદ્યબંધોનો કાવ્યમાં વિનિયોગ કર્યો છે તે અપૂર્વ ને અનન્ય છે. ખાસ કરીને ‘શાંત કોલાહલ’માંનાં ‘છલનિર્મલ’, ‘મેડીને એકાન્ત’, ‘ક્ષણને આધાર’ જેવાં કાવ્યો આ સંદર્ભમાં જોવા જેવાં છે. રાજેન્દ્ર શાહ ‘ભૂલેશ્વરમાં એક રાત’, ‘મુંબઈમાં’, ‘મધ્યરાત્રિએ શહેર’ જેવામાં નગર જીવનની વિષમતા કે વિષમયતાના અલપઝલપ સંકેતો કરે છે, પરંતુ એમનું ચિત્ત વિસંવાદ કરતાં સંવાદના નિરૂપણમાં જ વધુ ઠરે છે અને ખીલે છે. ‘વિષાદને સાદ’ જેવામાંથી રાજેન્દ્ર શાહની પોતાના સમયમાં ને પોતાના સમય સાથે જીવવાની ક્ષમતા-શક્તિનો સારો પરિચય–પરચો મળે છે. ઘઉંમાં ચડ્યાં કાંઈ ધનેરું/ધનમાં ચડ્યાં એરું’-એ દર્શન એમની કવિદ્રષ્ટિથી અછતું રહેતું નથી; પરંતુ રાજેન્દ્ર શાહ જીવન-વ્યવહારનાં વમળો-વિવર્તોના જાણતલ છતાં જઈને ઠરે છે જીવનચેતનાના પ્રશાન્ત પટ પર. વીજ-વાદળ-ગર્જનો જાણવા છતાં એમનું ચિત્ત તો આકાશની નિર્લેપતા ને અવિકૃતતાનું જ સતત આરાધક રહેલું જોવા મળે છે. એમની આવી આરાધના આકસ્મિક નથી. એમના જન્મ–ઉછેર-સંસ્કાર-વિદ્યાજ્ઞાન સર્વના કારણે તે તરફ એમની ગતિ છે. પરિવારના વારસામાં જ શ્રીમન્ન્રૃસિંહાચાર્ય ને ઉપેન્દ્રાચાર્યજીના સંસ્કાર. એમનાં શીલ-ગુણે તેજસ્વી માતા લલિતાબહેન રાજેન્દ્ર શાહને ‘સિંહબાલ’રૂપે –‘નૃસિંહબાલ’રૂપે જોવાના આગ્રહી હતાં. તેથી તો ‘કલાપી’ની ઊર્મિલતાવાળી કવિતાથી તેમણે રાજેન્દ્ર શાહને વેગળા રાખેલા. રાજેન્દ્ર શાહની ગતિવિધિ પર, એમના તનમનના સ્વસ્થ વિકાસ પર એમની સતત નજર રહેતી. રાજેન્દ્ર શાહના ઘડતર-ઉછેરમાં એમની માતાનું ને એ રીતે ગુરુ ઉપેન્દ્રાચાર્યજીનું ઘણું મોટું પ્રદાન હતું. રાષ્ટ્રની મુક્તિ ને એ આધ્યાત્મિક મુક્તિ - બેય તરફ એમની અનવરુદ્ધ ગતિ હતી. તરુણ રાજેન્દ્ર શાહે રાષ્ટ્રધ્વજ હાથમાં ઝાલ્યો તો કપડવંજના ટાવર પરથી કૂદકો મારીનેય એની શાન સાચવી. જીવનમાં રાજેન્દ્ર શાહને અનેક પ્રકારે ચડતીપડતીના વારાફેરા આવ્યા, પણ રાજેન્દ્ર શાહ એ બધાંની પાર ઊતરી જે સ્વસ્થતા જાળવી શક્યા તેમાં એમનું સત્ત્વ-સ્વત્વ તો ખરું જ, તેમ એમના માતૃત્વશક્તિસભર ગૃહજીવનનું વાતાવરણ અને સર્વથા સમર્પિત ગૃહિણીનું શાંત ને સંગીત સહાય-સમર્થન પણ કારણભૂત હતાં. રાજેન્દ્ર શાહના શબ્દને જે સિંચન-પોષણ-સમર્થન મળ્યું તે આપણી ભારતીય સંસ્કાર-સંસ્કૃતિની આધ્યાત્મિક વિચાર-આચારની પરંપરામાંથી અને આપણી પ્રશિષ્ટ કાવ્યધારામાંથી. રાજેન્દ્ર શાહમાં અવધૂતી મિજાજ અને કવિમાં અનિવાર્ય એવી સૂક્ષ્મ પ્રકારની સચ્ચાઈ જે પ્રકારે કાર્યાન્વિત છે તેમણે એમના શબ્દને બળ,ગતિ ને દિશા આપ્યાં છે એમ કહેવું જોઈએ. રાજેન્દ્ર શાહની કવિતાનો સ્થાયી રસ છે શાન્ત - પણ સપ્ત રંગોને ઊંડળમાં સમાવતા શ્વેત રંગ જેવો શાન્ત! એમાં પ્રેમનાં વિવિધ સ્વરૂપોનો મોકળો ઉઘાડ છે પણ ક્યાંય હીણું કે અરુચિકર તત્ત્વ નથી. એમાં મસ્તી છે, મદ નથી. એમાં જીવનની નરવાઈ ને ગરવાઇની સતત ખેવના જોઈ શકાય છે. રાજેન્દ્ર શાહે કવિતામાં ન્હાનાલાલની જેમ ‘બ્રહ્મ’ શબ્દની શુકરટણા કરી નથી. પરંતુ એમાં બ્રહ્મભાવની આંતરસેર તો સરસ્વતીની સૂક્ષ્મ ધારા જેમ સતત અખંડ પ્રવહમાન જોવા મળે છે. એમનામાં ફેરિયો ને ફક્કડ બેયની ઉપસ્થિતિ અને બેયનો ભારે ફલદાયી સ્નેહસંવાદ છે. એની તો ખરી મજા છે! એ મજા તો નિરાંતે, સમાધિની રીતે માણવી જોઈએ. રાજેન્દ્ર શાહની કવિતામાં એક પ્રકારની શબ્દસમાધિ છે, જેનો સારમર્મ કેવળ બુદ્ધિ કે તર્કથી પૂરો ન પમાય, એના માટે સહૃદયતા સાથેની મુક્ત (અવિઘ્ના) ભાવસંવેદના અનિવાર્ય છે. શબ્દનો પૂરો મર્મ તો કેવળ આત્મચેતનાના શબ્દચેતના સાથેના નિર્બંધસંયોગે જ પમાય. રાજેન્દ્ર શાહે ‘રામ વૃંદાવની’ બની પાંચ શેરવાળી ગઝલરીતિના વિલક્ષણ પ્રયોગો પણ કર્યા (પંચપર્વા, ૧૯૮૩); અલબત્ત, પોતાના અલગારીપણાનો રંગ રહેવા દઈને, એમણે પ્રસંગકાવ્યો (પ્રસંગસપ્તક, ૧૯૮૨) ચિત્રકાવ્યો (ચિત્રણા, ૧૯૬૭), લઘુકાવ્યો વગેરેના વિલક્ષણ પ્રયોગો કર્યા છે. ‘ઈક્ષણા’ (૧૯૭૯)ના દશપદીના પ્રયોગોનું કાવ્યદ્રષ્ટિએ વિશેષ આકલન થાય તે અપેક્ષિત છે. ‘પત્રલેખા’ની અભિવ્યક્તિ-રીતિ તરફ પણ સહદયોનું ધ્યાન જવું જોઈએ. એમનાં ખાંયણા ને હાઈકુના પ્રયોગોયે રસપ્રદ છે, (વિભાવના, ૧૯૮૩), ‘ધ્વનિ’કાર - ‘આંદોલન’-કાર - ‘શ્રુતિ’-કાર રાજેન્દ્ર શાહનાં વિવિધ રૂપો એમની ‘સંકલિત કવિતા’ (૧૯૮૩)માં તેમ જ તે પછીના સંચયોમાં છે; જેનું દર્શન સહૃદયોને નવતારસ આપી શકે એમ છે. રાજેન્દ્ર શાહની કવિતામાં अहम्થી सोऽहम् પ્રતિની ગતિ છે. એમાં ગહનતામાં અવગાહન કરતાં કરતાં વ્યાપક રૂપે પોતાને પામવાની ઝંખના ઉત્કટ છે. એમની કવિતા વાગ્વિલાસરૂપ નથી; શબ્દ દ્વારા શબ્દની અંદર અને બહાર સંચરણ કરતાં પોતાનું પૂર્ણતયા આકલન-દર્શન કરવાની તીવ્ર આરતરૂપ એ છે. રાજેન્દ્ર શાહમાં પૂરતી અર્વાચીનતા અને આધુનિકતા છે પણ તે પોતાના સમયમાં જીવવા માટે કોઈ પણ કવિને અનિવાર્ય હોય એટલી; પરંતુ એમની કવિતામાં બુલંદ અવાજ છે આધ્યાત્મિક સનાતનતાનો. જ્યાં સભરતા ને શૂન્યતા એક્કાર લાગે છે; જ્યાં ‘નેતિ’ ‘નેતિ’ કહેતાં મૌનમાં સરવાની ફરજ પડે છે એ લક્ષ્યબિંદુતરફ – ‘અલક્ષ્ય’ તરફ ધસતી એમની શબ્દગતિ છે. એ આકર્ષે છે. કારણ કે એનો એમના ચરણ સાથે, આચરણ સાથે, વાગ્મયવિચરણ સાથે સાચુકલો તાલમેલ છે. તત્ત્વજ્ઞાન અને કવિતાનો સુમેળ સાધતી, એ ઉભયની સમૂળતા ને અસલિયત દાખવતી એમની કવિતા દ્વારા આપણે રાજેન્દ્ર શાહના વધુ અર્થપૂર્ણ ને ઊંડા પરિચય માટે સક્રિય થઈએ. ૧૯૨૯થી અજસ્ર ચાલતી એમની આજદિન પર્યંતની કાવ્યધારાનું પાન કરતાં આપણે આપણામાંના દૈવતને સમજવાનો - પામવા-માણવાનો ઉપક્રમ રચીએ એમાં જ સર્જક-અનુવાદક અને અધ્યાત્મસાધક એવા કવિ રાજેન્દ્ર શાહના કાવ્યપુરુષાર્થ ને જીવનપુરુષાર્થનીયે સાર્થકતા હશે.   ૨. રાજેન્દ્ર શાહની કાવ્યબાની

કવિ રાજેન્દ્ર શાહની આકૃતિ, પ્રકૃતિ અને વાક્-કૃતિમાં આર્યત્વની એક વિલક્ષણ દીપ્તિ જોવા મળે છે. આ આર્યત્વ કોઈ જાતિગત બાબત નથી; સંસ્કારગત, શીલગત બાબત છે. આ આર્યત્વ તે માનવમનમાં અંતર્હિત જે ભદ્રતા શુચિતા ને રસિકતા, એના સંકેતરૂપ છે. મનુષ્યનું પ્રકૃતિ સાથેનું- સર્વ મનુષ્યો સાથેનું જે સ્નેહપ્રેરિત સંવાદપૂર્ણ સહજીવન, એનું જે સમર્પણ- ભાવપ્રેરિત યજ્ઞજીવન, એનું સમસ્ત વૈશ્વિક અને આંતરિક ચૈતસિક રહસ્યો માટેની અભીપ્સાથી પ્રેરિત યોગનિષ્ઠ આંતરજીવન અને સાંસારિક ધર્મપ્રેરિત દાંપત્યજીવન – આ સર્વ જીવન-રસે પ્રેરાયેલું ને પોષાયેલું કલાજીવન એ રાજેન્દ્ર શાહ માટે એક અધ્યાત્મજીવન છે, જેને એમના કવિજીવનના સ્પષ્ટ પર્યાયરૂપે પણ અવલોકી શકાય. રાજેન્દ્ર શાહની કાવ્યબાની આ અધ્યાત્મજીવનમાંથી સ્ફુરતી બાની છે એ આપણે યાદ રાખવું ઘટે. રાજેન્દ્ર શાહની કવિતા કોઈક રીતે ઉપર્યુક્ત આર્યત્વ સાથે આપણો અનુબંધ કરી આપે છે. આપણે એમની કાવ્યબાનીના પ્રભાવે અવારનવાર ગાયત્રીને જન્મ આપનાર વાતાવરણમાં પહોંચી જઈએ છીએ. એ વાતાવરણમાં હિરણ્યમય પાત્રે ઢંકાયેલા સત્યનાં દર્શન કરવાં મુશ્કેલ નથી. એ વાતાવરણમાં કોઈ વૈદિક ઋષિના ઋતમંત્રોનું શ્રવણ અશક્ય નથી. આપણી આધ્યાત્મિકતાના વરેણ્ય ભર્ગનું સાંનિધ્ય લીલામય રીતે એ વાતાવરણમાં આપણને સાંપડે છે. આપણે જોઈએ છીએ કે રાજેન્દ્ર શાહની કાવ્યબાનીના મૂલ સ્ત્રોત, એમના કવિતાસત્ત્વનો આદિમ કોષ એ આધ્યાત્મિકતામાં છે, જેનું ઉદ્દગાન વેદોમાં છે, જેનું રહસ્યદર્શન ઉપનિષદોમાં છે, જેનું વિવરણ ગીતાદિ ગ્રંથોમાં છે, જેનું લીલારૂપ ભાગવતાદિ પુરાણોમાં છે અને જેનું અનુભવપ્રમાણ સંતોની ભજનવાણીમાં છે. રાજેન્દ્ર શાહ એ આધ્યાત્મિકતાના સાહજિક વારસ છે. એમની કાવ્યબાની પણ એમની એ આધ્યાત્મિકતાની આનંદપ્રદ લીલાનુભૂતિનું જ વાગ્ગત રૂપાંતર છે. રાજેન્દ્ર શાહની કાવ્યબાનીમાં અવારનવાર આર્ષ સંસ્કારિતાની તેજોમય દીપ્તિ સાથે માનવમનની સ્નેહસિક્ત આદ્રતાનું પ્રસન્નકર રસાયણ સિદ્ધ થયેલું અનુભવાય છે. એમની બાની યંત્રયુગીન હવામાંયે યંત્રવાક્ ન થતાં મંત્રવાક્ થવા તરફ ઝોક દાખવતી લાગે છે. આ મંત્રવાક્ તે જ પરાવાણી એ વાણીની એવી ભૂમિકા છે જ્યાં શબ્દ અને મૌનની ભેદકતા ખરી પડે છે વિશ્વાભિમુખ ચેતનાનું કોઈક અનિર્વચનીય રૂપાંતર સિદ્ધ થાય છે. રાજેન્દ્ર શાહની કાવ્યબાનીનુ સાધયિતવ્ય એ રૂપાંતર છે. રાજેન્દ્ર શાહ એ માટે પૂરા સંનિષ્ઠ ને સજાગ છે. રાજેન્દ્ર શાહ માટે વાણી એ કેવળ ભૌતિક ઘટના નથી, એ આધ્યાત્મિક ઘટના છે. ‘રસમય અખિલાઈ’ સિદ્ધ કરવા માટે, ‘સાહચર્યના સાધન’ (વિષાદને સાદ, પૃ. ૨૧) રૂપે ભાષાને જોવાનો, વાણીને પામવાનો એમનો અભિગમ અનિવાર્યતા એમને આધ્યાત્મિકતાના પ્રદેશમાં લાવી દે છે. વાણી દ્વારા જ વાણીની પાર પહોંચવાની અભીપ્સા, ‘અરવ વાણી’નો મર્મ પામવાની અભિલાષા રાજેન્દ્ર શાહને કેવળ શબ્દના નહીં, શબ્દબ્રહ્મના ઉપાસક બનાવીને રહે છે. આવા ઉપાસકના શબ્દનો મર્મ પામવો એ કઠિન બાબત છે. સાંસ્કૃતિક, આધ્યાત્મિક, કલાકીય-એવાં એવાં અનેક પરિમાણોમાં વિસ્તરતી એમના શબ્દની સંકુલ અને ગહન ગતિને પામવા ઉત્કૃષ્ટ ભાવન અનિવાર્ય બને છે.

રાજેન્દ્ર શાહે કવિતાને ‘પ્રેમના છંદ’ રૂપે જોઈ છે. આ ‘પ્રેમ’ ઘણી મહાન અને વ્યાપક ઘટના છે. કવિતા દ્વારા-કવિતાની બાની દ્વારા ચેતોવિસ્તાર સાધતાં પોતાને સમગ્રમાં અને સમગ્રને પોતાનામાં પ્રત્યક્ષ કરવાની એમની મથામણ છે. આ મથામણનો એમને જરાય ત્રાસ કે થાક નથી; બલકે ઉત્સાહ ને આંનદ છે. એમની કવિતાએ સત્, ચિત્ત અને આનંદના ત્રિકુટાચલે આરોહી ભૂમાદર્શન દ્વારા આત્મસાક્ષાત્કારનું લક્ષ્ય સતત પોતાની સમક્ષ રાખ્યું છે. તેથી જ રાજેન્દ્ર શાહની કાવ્યબાનીમાં એમની અંતર્મુખ, આત્મરસિક, સર્વતોભદ્ર વ્યક્તિતાનો એક દ્યુતિમય, ગંભીર અને સમુદાર ચેત:સંદર્ભ પ્રગટ થાય છે. રાજેન્દ્ર શાહની કાવ્યબાનીમાં અત્રતત્ર રંગદર્શી ઉછાળ છતાં સ્વત્વના પરિચય-ખ્યાલે સ્થિર-શાંત-પ્રસન્ન એવી મનોવૃત્તિનું જ વર્ચસ્ એકંદરે તો અનુભવાય છે. રાજેન્દ્ર શાહની કાવ્યબાનીનો વિચાર કરતાં પહેલું જ ધ્યાન જાય એમના કાવ્યગ્રંથોનાં શીર્ષકો પર : ‘ધ્વનિ’, ‘આંદોલન’, ‘શ્રુતિ’, ‘ચિત્રણા’, ‘મધ્યમા’, ’ઉદ્દગીતિ’ ઈત્યાદી. આ શીર્ષકો પણ સ્પષ્ટતયા કવિની વાક્સભાનતાનાં દ્યોતક છે. કવિ બરોબર જાણે છે કાવ્યમાં નાદતત્ત્વ, વ્યંજનાતત્ત્વ ને લયતત્ત્વ આદિનું કેવું પ્રદાન છે તે. કવિતાના સંબંધમાં ચિત્રણ-ઈક્ષણ-દર્શનની ભૂમિકાઓ એમના ધ્યાન બહાર નથી. વૈખરી, મધ્યમા, પશ્યંતી ને પરાવાણીની જે સોપાનમાલા, તેનીયે તાત્ત્વિક અભિજ્ઞા એમને છે. તેથી જ તેમનો વાગભિગમ કાવ્યજ્ઞોને માટે પરમ રસનો વિષય બને છે. કવિનું પ્રથમ કાવ્ય ૧૯૩૩માં પ્રગટ થયું ત્યારથી તે આજ સુધી એમની કાવ્યસાધના અનવરત ચાલી છે. આ ગોળા દરમિયાન રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય ભૂમિકાએ અનેક ઘટનાઓ ઘટી છે અને રાજેન્દ્ર શાહ જેવા સંવેદનશીલ કવિએ એની અસરો પણ અનુભવી છે; આમ છતાં એમની કવિતા શાશ્વતી સાથેનું એનું અનુસંધાન જાળવી, એની જે સમતુલા છે, ધારણ છે તે ગુમાવ્યા વિના પોતાની રીતે જ ચાલવાનું પસંદ કરે છે. ક્યાંક આમતેમ થોડા વિક્ષેપો આવે છે અને એમની ધારણ ડગાવે છે; તેમ છતાં તેઓ એ ધારણ ગુમાવતા તો નથી જ એ હકીકત છે. આ વલણે રાજેન્દ્રશાહની કાવ્યબાનીને પ્રશિષ્ટતા અર્પી છે, સનાતનતાનું એક પરિમાણ બક્ષ્યું છે. કવિતા નાતે રાજેન્દ્ર શાહને કાવ્યના શબ્દ અને અર્થ ઉભયમાં ઊંડો રસ છે. જે કંઈપોતાની પ્રત્યક્ષ થાય એને સદ્-યોગે પોતાનું કરવું અને એમાં પોતાને મુક્તિ આપીને એનો અનિર્વચનીય સ્વાદ લેવો એ આધ્યાત્મિક વલણ શબ્દ પરત્વે એમને અત્યંત રસોપકારક થયેલું પ્રતીત થાય છે. સૌન્દર્યાનુભૂતિના સ્તરે, ભાવાત્મક ભૂમિકાએ એમનો શબ્દ ઉન્નતતા પામે છે, ગજું કાઢે છે અને અવનવીન રીતે અર્થસંદર્ભોની તરેહો રચી સહ્રદયને આહલાદક થાય છે. રાજેન્દ્ર શાહની કાવ્યબાનીના મૂળમાં આપણી ભારતીય - ગુજરાતી આધ્યાત્મરસિક કવિતાની એક જ્યોતિર્મય ભૂમિકા દ્રષ્ટિગોચર થાય છે. રાજેન્દ્ર શાહનાં ‘નિરુદ્દેશે’ ને ‘ગાયત્રી’ જેવાં કાવ્યો આપણી આધ્યાત્મિક, વેદોપનિષત્કાલીન કવિતાપરંપરાના વારસા વિના સર્જાવાં જ અશકય. ‘આયુષ્યના અવશેષે’નું સંવેદન ભારતીય માનસ જ પૂર્ણતયા પામી શકે. ‘નિરુદ્દેશે’નો અર્થ કવિને જે અભિપ્રેત છે તે આપણા આધ્યાત્મિક પરિવેશના અભિજ્ઞાન વિના સમજાવો જ મુશ્કેલ. રાજેન્દ્ર શાહની કવિતાના કેટલાક શબ્દોનો મર્મ તો યોગ, તંત્ર આદિની ભૂમિકા સમજનાર જ પકડી શકે; દા.ત., ‘તું મૃત્યુશાન્ત શવને શિવ શું કરંત!’ (‘ભૈરવી’, શાંત કોલાહલ, પૃ.૪૦) ‘તું અગ્નિબિંદુ ધરતી નભ કેરું છદ્મ!’ (‘ત્રિમૂર્તિ-માતા’, શાંત કોલાહલ, પૃ. ૫૩) ‘ગતિમય નિખિલ – નિરતિ પરિવાર - એક અતીન્દ્રિય સુન્નબિંદુ મહીં પામી રહે છે વિલય.’

‘અહીં તો સૂતું છે શવ અચેતન ગાત... (અબાધિત કાળ) અંગ અંગ મહીં એક રમી રહે સ્પંદ એવા ઇકાર સંપાત- (ગતિ ચાલ) - વિણ શાન્ત શાન્ત સૂતું અહીં શવ.’ (‘ખાલી ઘર’, ક્ષણ જે ચિરંતન, પૃ. ૫૪, ૫૬) અહીં, ‘શવ-શિવ’, ‘અગ્નિબિંદુ’ ‘સુન્નબિંદુ’, ‘ઇકાર સંપાત’ આદિ શબ્દોના મર્મની જાણકારી વિના કવિતાનો પૂરો ભાવ ગ્રહી શકાય નહીં. આવાં સ્થાનોનો મર્મ ગ્રહવા યોગ, તંત્ર આદિનું પરિશીલન આવશ્યક લેખાય. રાજેન્દ્ર શાહનું માત્ર ભાવવિશ્વથી જ નહીં, કાવ્યબાનીથીયે આપણી આધ્યાત્મિક પરંપરાની પ્રાચીન-અર્વાચીન કવિતા સાથેનું અનુસંધાન-સાતત્ય જળવાયેલું જોવા મળે છે કે- ‘તું રિક્ત થૈ સભર થા ત્યજીને તું પામ. ને શૂન્ય થૈ હૃદય હે ! તું પૂર્ણ માંહી રમ પૂર્ણથી હે પ્રપૂર્ણ !’ (‘હૃદય હે !’, ધ્વનિ, પૃ. ૨૧ [૧૯૯૬ ની આવૃત્તિ]) ત્યારે તેઓ ઉપનિષદના કવિનો જ પ્રતિઘોષ પાડતા જણાય છે. રાજેન્દ્ર શાહમાં સર્વ સાથે એકરૂપ થવાનો, સર્વમાં પોતાને ખોઈ દઈને પામવાનો સહજ આવેગ છે. તેઓ ‘ભીતરના અસીમના પ્રવાસી’ હોવાનું જણાવે જ છે. (ઈક્ષણા, પૃ. ૪૪) પોતાની સમગ્ર હસ્તીનો એક અર્થપૂર્ણ વૈશ્વિક સંદર્ભ હોવા બાબત એમને લેશ પણ શંકા નથી; ને તેથી એમની સમગ્ર કાવ્યબાની સત્-મૂલક છે; વિષાદ આદિના વિવર્તો છતાં આનંદમૂલક છે. તેમનો સત્-શ્રદ્ધાવેગ સર્વ વિરોધોને તળિયેની એકાકારતાનો-સંવાદિતાનો તાગ લે છે અને તેથી જ વિરોધાભાસ રચતી પરંતુ વધુમાં વધુ સચ્ચાઈને અભિલક્ષતી માર્મિક ઉક્તિઓમાં એ પોતાના આધ્યાત્મિક ભાવને પ્રગટ થવા દે છે: ‘હું જ રહું વિલસી સહું સંગ ને / હું જ રહું અવશેષે’ (ધ્વનિ, પૃ. ૧૬), ‘વિધુ નહિ છતાંયે શી જ્યોત્સ્ના છવાઈ રહી બધે. ‘(ધ્વનિ, પૃ. ૫૨), ‘પ્રેમને બંધન પ્રિય ! પ્રેમ કેરી મુક્તિ.’ (ધ્વનિ, પૃ. ૭૫) રાજેન્દ્ર શાહ દેખીતા વિરોધો પરસ્પરના પૂરક કે પર્યાયરૂપ પ્રતીત થાય એવી અનુભૂતિની અધિત્યકા પરથી શબ્દને પ્રયોજે છે અને તેથી શબ્દ નૂતન અર્થપરિમાણોની નિર્મિતિમાં સક્રિય થતો જણાય છે. રાજેન્દ્ર શાહ જેમ ઉપનિષદના કવિ-ઋષિ-દ્રષ્ટાની સંનિધિમાં તેમ કાલિદાસ, જયદેવ આદિ કવિઓની સંનિધિમાંયે સ્વાધિકારે સ્થાન પામે છે. એમણે શકુંતલાની ‘તપસ્વીની અપ્સરસી કલા’ રૂપે જે શબ્દચ્છવિ રચી છે તે કાલિદાસ સાથેના એમના સૌહાર્દ-સંબંધ વિના સંભવી ન શકે. તેઓ રવીન્દ્રનાથની ગુજરાતી આવૃત્તિ લાગે એવી ગીતપદાવલિ લઈને આપણી સમક્ષ અવારનવાર ઉપસ્થિત થતા હોય છે. કદાચ જે ગંગોત્રીમાંથી રવીન્દ્રનાથના સંસ્કારપિંડે પોષણ મેળવ્યું છે એ જ ગંગોત્રીમાંથી રાજેન્દ્ર શાહે પણ મેળવ્યું છે. ‘ધ્વનિ’, ‘આંદોલન’, ‘શ્રુતિ’ આદિ કાવ્યસંગ્રહોમાં રવીન્દ્રનાથીય કાવ્યબાનીની યાદ આપે એવાં અનેક ગીતો છે. આ ગીતોમાં સાંગીતિક સંવાદવાળી સંસ્કૃતમય પદાવલિની રૂમઝૂમક તુરત ધ્યાન ખેંચતી હોય છે. રાજેન્દ્ર શાહે જેમ સંસ્કૃત અને બંગાળી તેમ કેટલીક વ્રજ-હિન્દીની કવિતાનુંય રસપાન બરોબર કર્યું લાગે છે. એ પાને એમની કવિતામાં ‘મુસકાન’, ‘ભયો’, ‘બહાઈ’, ‘ઢૂંઢત’, ‘ભોર’, ‘પતઝર’, ‘બિરાના’ જેવા શબ્દો જ નહીં, ‘સુંદર! બહુરિ કુટિલ તવ છલના’ (ધ્વનિ, પૃ. ૧૨૬), ‘પ્રભુ મૈં પ્રેમ કિયો નવ જાનું’, ‘અજહૂં કે દિન /મૈં’ દુઃખીન તુમ સંગહીન...’, ‘હિય હરિ લિયો હરાય ‘ જેવી કેટલીક ચોટદાર ગીતરચનાઓ પણ આવેલ છે. એમની ‘હો સાંવર થોરી અઁખિયન મૈં’ ગીત કે ‘ફેરિયો અને ફક્કડ’ રચનામાં કાવ્યબાનીનો જે મિજાજ છે તે અત્યંત આસ્વાદ્ય છે. ‘દામ માગણો માગ’ કહેતા ફક્કડનું ફક્કડપણું ઉપસાવવામાં કવિની બાની પૂરી સફળ થઈ છે. કાકુ, ભાર, સૂરના ભાવાનુફૂળ આરોહ-અવરોહ, ટીખળ-કટાક્ષ-આ સર્વનો સમુચિત લાભ ઉઠાવી શકે એવું ઉત્કૃષ્ટ વાગવૈદગ્ધ્ય છે. એનું એક સુંદર નિદર્શન આ ‘ફેરિયો અને ફક્કડ’ કાવ્ય છે. કવિની બાની સંવાદકલાનું નૈપુણ્ય પણ અહીં પ્રભાવકપણે દાખવે છે. રાજેન્દ્ર શાહને તળપદી ગુજરાતી ભજનવાણીનોયે ઊંડો પરિચય છે. ‘કાયાને કોટડે બંધાણો’, ‘હરિ તારા ઘટના મંદિરિયામાં બેસણા હોજી’, ‘આપણા ઘડવૈયા ! બાંધવ આપણે’, ‘ખાટી રે આંબલીથી’, ‘અવળી રીત્યું’ જેવી કૃતિઓમાં ભજનવાણીના લહેકાઓ ને તેની સાથે સંપૃક્ત લય-ઢાળનો સુંદર વિનિયોગ થયો છે. ‘કાયાને કોટડે બંધાણો’ ગીતમાં ઉપાડની પંક્તિની પદાવલિ, ‘બંધાણો’, ‘રંગાણો’, ‘લ્હેરુંમાં’, ‘નજરુંનો ખેલ’ જેવી કાઠીયાવાડી લઢણ દેખાડતી પદાવલિ; ‘નિજ તે આનંદ કાજે’, ‘જાણ રે ભેદુએ જોયો’ આદિમાં ‘તે’ ‘રે’ ની ઉપસ્થિતિ- આ સર્વથી ભજનનું એક હવામાન બંધાય છે. ભાવ તો એમાં ભજનવાણીને અનુરૂપ છે જ. રાજેન્દ્ર શાહે આપણાં પરંપરાગત લોકગીતોની ચાલચલગત પણ બરોબર પામી લીધી છે. નરસિંહ, મીરાં કે દયારામ; કાન્ત કે નિરંજન –આ સર્વથી તેઓ અંતર રાખીને ચાલ્યા નથી, ને છતાં પોતાનો કવિમિજાજ, પોતાની કવિ તરીકેની અસલિયત, નિજી કાવ્યબાનીની વિલક્ષણતા સારી પેઠે સાચવી છે. ‘ઈંઘણાં વીણવા ગૈતી મોરી સૈયર’, ‘લીમડી ઝૂકી લેલૂંબ’, ‘કૂવાને કાંઠડે, ‘એલિ મોરલી’ જેવાં અનેક તેમજ ખારવાનાં અને વનવાસીનાં ગીતોમાં રાજેન્દ્ર શાહની કાવ્યબાનીનાં જૂજવા રૂપ અવલોકવા મળે છે.’ ખારવાનાં ગીતો’માં હલેસાની સાથે તાલ મિલાવતા સંક્ષિપ્ત લયમાં ‘થોડા થોડા હે એ ઈ ષા’ સાથે ‘વીસ્કી સોડા હે એ ઈ ષા’ પંક્તિ ગોઠવી દેતાં રાજેન્દ્ર શાહનું કવિત્વ જરાય ખમચાતું નથી. રાજેન્દ્ર શાહમાં દાંભિક વિધિનિષેધોનો ભોગ ન બનેલી એવી–નરવી-સર્ગશક્તિ છે ને તેને તેમની કાવ્યબાનીએ સચ્ચાઈનો રણકો બરાબર આપ્યો છે. રાજેન્દ્ર શાહ કવિ તરીકે જેમ સંશયાત્મા નથી તેમ દંભી નથી અને તે બાબત એમની કવિતાને અને એમની કાવ્યબાનીને સુગ્રથિતતા – સંશ્લિષ્ટતા (ઈન્ટિગ્રિટી) બક્ષે છે. રાજેન્દ્ર શાહનાં વનવાસીનાં ગીતો કેટલીક રીતે નંદલાલ બસુની ચિત્રકળાની યાદ આપે છે. નંદલાલે આપણા લોકજીવનનાં– તળપદ જીવનનાં ચિત્રો ઉઠાવતાં એમાં વાસ્તવિકતા સાથે કલામયતાનું સંમિશ્રણ કરી પોતાને એક આગવી શોભન-શૈલી નિપજાવી છે તેમ રાજેન્દ્ર શાહે વનવાસીનાં ગીતોમાં પોતાની એક આગવી નિરૂપણ-શૈલી નિપજાવી છે. આ ગીતોમાં વનવાસીનો ભાવ-મિજાજ ઉપસાવવામાં એમની કાવ્યબાનીની રસાત્મકતા પ્રગટ થાય છે. તેઓ વનવાસીના મનોવિશ્વને એના પ્રાકૃતિક સંનિવેશ સાથે નિરૂપતાં તળપદ જીવનનાં અનેક ઉપકરણોને ખપમાં લે છે. એમની અલંકાર અને કલ્પનલીલા, એમની વાગ્લીલા તળપદ ઉચ્ચારણના વળોટોથી મનોહર ઉઘાડ પામે છે; દા.ત., ‘લ્હેરિયાંને લોળ હેરણા લેતી નજરું પાછી નવ ઠેલાતી.’ (તોરી વાત વેલાતી’, શાંત કોલાહલ, પૃ. ૧૨૩) ‘કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે: મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.’ (‘કેવડિયાનો કાંટો’, શાં ત કોલાહલ, પૃ. ૧૨૭) ‘કાજળિયા અંધારથીયે કઈ કાળવી તારી કીકી!’ (‘કાળવી કીકી’, શાંત કોલાહલ, પૃ. ૧૨૮) ‘આબરુ જેવી આણજે થાપણ, ગઠરીની મેંય ગાંઠને છોડી, હાલ્યને વાલમ ! ખેલિયે આપણ, નીંદરું આવશે મોડી.’ (‘શિયાળુ સાંજ’, શાંત કોલાહલ, પૃ. ૧૩૨) ‘નેણ લુભામાણ રૂપને મ્હોરે રમતો રહે કાળ, સાવ ઝીણી તોય જીવને બાંધે કરોળિયાની જાળ. જવાની જોઈ ઘણી નખરાળ, એની તો એ જ ભળી રખવાળ. (‘રૂપને મ્હોરે’, શાંત કોલાહલ, પૃ. ૧૩૬) આવી વાગ્ભંગિમાઓ ને લય-હિલ્લોળો સાથે કામ પાડતાં કવિ પ્રસંગોપાત્ત, ‘જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ’ જેવું ‘પુણ્ય ભારતભૂમિ’નું સ્તોત્ર પણ ઉપાડી શકે છે. રાજેન્દ્ર શાહની કવિતા તળપદી વાણીની તાકાતથી સારી પેઠે અભિજ્ઞ છે અને એનો લાભ અનેક સ્થળે – ખાસ તો ગીતોમાં એમણે લીધો છે. સંમાર્જિત સંસ્કારદીપ્ત સૌષ્ઠવપૂર્ણ પ્રસન્ન પદાવલિમાં આલેખતાં રાગિણીચિત્રો, ને ‘ચિત્રણા’ માંનાં અંકિત દૃશ્ય ને છવિચિત્રોની પડછે ‘રૂપનો છાનો છણકો’ જોતી નજરે આલેખાયેલ શેલાર ગામની ગીતરચના જુઓ કે ‘ઉદ્દગીતિ’માં ઐડને કહેવાતી ‘મારી ઓહોમાં વાતને ઉડાવ નહૈ’ જેવી ગીતરચના જુઓ- રાજેન્દ્ર શાહનો એક જુદો જ મિજાજ અનુભવાય છે. રાજેન્દ્ર શાહમાં એમના વતનની પ્રકૃતિ-સૃષ્ટિની હવાનું જોમ સદ્દભાગ્યે, અવિકૃતપણે ટકેલું છે ને એમની કાવ્યબાનીને અનેકધા સહાયરૂપ થાય છે ‘પત્રલેખા’માંયે ‘ઉત્કંઠ’ આદિમાં એનાં પ્રમાણો મળશે. રાજેન્દ્ર શાહની ખાસ તો છંદોબદ્ધ કવિતામાં અનેક ગીતોમાં સંસ્કૃતમયતાનો આભાસ રચતી પદાવલિનું બાહુલ્ય વરતાય છે. ક્યારેક એમ લાગે કે એમના શ્રીમુખેથી જાણે કે જયદેવ કે રવીન્દ્રનાથનો વાગરસ સ્ત્રવે છે! એમની કાવ્યબાની એમની આવા તબક્કે સંસ્કૃતની સહચરી કે અનુચરી-શીયે લાગે છે. રાજેન્દ્ર શાહની કાવ્યબાનીમાં સંસ્કૃતમયતાનો આભાસ છતાં ભદ્રંભદ્રીયતા એમાં નથી જ. એમની કાવ્યબાનીમાં લાગતી સંસ્કૃતમયતા કયાં તત્વોને આભારી છે તેય જોવું ઘટે. સંભવ છે કે જે પ્રકારના અનુભવવસ્તુ સાથે, વિચારભાવ સાથે તેઓ કામ પાડે છે, જે પ્રકારના આધ્યાત્મિક અભિગમ સાથે એમની નિસબત છે તે આ પ્રકારની પદાવલિની સંરચનામાં મુખ્ય કારણ છે; દા.ત., ‘હું જ રહું વિલસી સહુ સંગ ને હું જ રહું અવશેષે...’માં ‘વિલસી’, ‘સંગ’, ‘અવશેષે’- એ સંસ્કૃતોદ્ભવ પદોને ખસેડી શકાય એમ નથી. ‘સંગ’ને બદલે ‘સાથ’ ‘અવશેષે’ના બદલે ‘બાકીમાં’ અથવા ‘બચતમાં’ મૂકી શકાશે નહીં. જે ભાવવિચાર અહીં અભિવ્યક્ત થાય છે એની આ સાવ સ્વાભાવિક પદાવલિ છે. અલબત, આવી ભૂમિકા સર્વત્ર પ્રવર્તતી હોતી નથી. ‘સ્થાણુ’ ‘સલભ’, ‘મહીન’, ‘આસીન’, ‘દેહલી’, ‘પેલવ’, ‘સાનુ’ જેવાં સ્પષ્ટતયા સંસ્કૃતમાં જ વાપરવા યોગ્ય પદોને ગુજરાતીમાં વાપરવાનું સાહસ કવિ કરે છે ને તેથી પ્રત્યાયનના પ્રશ્નોય ખડા કરે છે. રાજેન્દ્ર શાહની કવિતામાં એવાં અનેક સ્થાનો બતાવી શકાય એમ છે જ્યાં એમને સંસ્કૃતોદ્ભવ પદાવલિ – સંસ્કૃત તત્સમ પદાવલિ ઉપયોગી નહીં, બલકે અનિવાર્ય થઈ પડી હોય ને તેથી કાવ્યોપકારક પણ લાગતી હોય. કેટલીક સંસ્કૃતમય પદાવલિ એમના વાગ્લયના સ્વાભાવિક અંશરૂપે પ્રતીત થાય છે. આમ છતાં એવી પદાવલિનો અતિઉપયોગ કાવ્યમાં એકવિધતા લાવી રસક્ષતિ કરે છે. એમની કાવ્યબાનીમાં ‘ડ્યન’, ‘કર્ષણ’, નિલયન’, ‘સંગોપન’ જેવાં ‘અન’-અંતવાળાં ભાવવાચક નામો; ‘અરવ’, ‘નિખિલ’, ‘સભર’, ‘સકલ’, જેવાં અને ‘અશું’, ‘કશું’, ‘જશું’ જેવાં સર્વનામો; ‘નિજ’, ‘તવ’, મદીય’, ‘ત્વદીય’ જેવાં સાર્વનામિક વિશેષણો; ‘અર્પન્ત’, ‘ધરંત’, ‘લસંત’ જેવાં તથા ‘લીધ’, ‘દીધ’, ‘દીઠ’ જેવાં ક્રિયારૂપો; ‘હિ’, ’ઇહ’, ‘કીંતુ’ જેવાં અવ્યયો – આ સર્વનો અતિઉપયોગ એમની કાવ્યબાનીની તાજગી ઘટાડે છે; આમ છતાં એક સુજ્ઞ ને સાચા કવિ હોવાથી કાવ્યમાં કેટલુંક પ્રયોગદાસત્વ આવી જતું હોવા છતાં કાવ્યબાનીનો નવોન્મેષ લુપ્ત ન થાય એ માટે તેઓ સાવધાન હોય છે જ. રાજેન્દ્ર શાહ ‘મેં કીધ’, ‘મેં દીઠ’ જેવા કે ‘ખાલીને આવેશ’, ‘માધુર્યને પાશ’, ‘અંચલને સંચાર’ જેવા પદગુચ્છોના વિનિયોગમાં, કેટલાક પદવિન્યાસમાં ક્રિયાપદને વચ્ચે મુકવું- એ પ્રકારની ગતિવિધિમાંયે વ્યાકરણગત લઢણોનું પણ પ્રયોગદાસત્વ દાખવે છે, પરંતુ આવી સ્થિતિ એમની એક ટેવરૂપે લેખી, એ ટેવ છતાં જે કંઈ શબ્દથી હાંસલ કરે છે તેનો અંદાજ લગાવીએ તો નિરાશ થવાને બદલે પ્રસન્ન થવાનું જ રહે. કેટલીક વાર એમની કાવ્યબાનીમાંથી ‘પ્રશાન્ત નિમજ્જન’, ‘શાન્ત વૈભવ’, ‘ગુંજનશીલ વૈભવ’, ‘સ્નિગ્ધ અરુણાઈ ‘, ‘નમણું છલ’, ‘વેદનાનો વળ’ જેવા જેમ અનેકાનેક ઉન્મેષવંતા પદગુચ્છો તેમ ‘તુષારસુકોમલ’, ‘સ્વપ્નશીતલ’, ‘અંધકારઆવિલ’ જેવા અનેક વિલક્ષણ સમાસો એમની કાવ્યબાનીમાંથી પ્રગટી આવે છે; જે એમના કવિકર્મની લાક્ષણિક મુદ્રા ઉપસાવવામાં સહાયક થાય છે. રાજેન્દ્ર શાહની કવિતા ‘ઘોઘી’, ‘ઠાર’, ‘નિઝુમ’, ‘દોદુલ’ જેવા શબ્દો કે ‘ઓર્ફિયસ મતિ’ ને ‘જેટ પંખી’ જેવા પદગુચ્છોનોય યથાશક્ય લાભ લે છે જ. એમની સંસ્કૃતદીપ્ત કાવ્યબાનીનોય એક સ્વાદ છે. કૃષિજીવનનું જ એક રમણીય ચિત્ર એમની કાવ્યબાનીમાં કેવુંક ઉતરે છે તેનો સુરેખ ખ્યાલ ‘આનંદ શો અમિત’ (ધ્વનિ, પૃ. ૬૧-૬૨) કાવ્યમાંથી આપણને લાઘે છે. ‘ગુંજરતો આનંદ’, ‘શ્રમિણ સૂર્ય’, ‘ઘૂઘરમાં વાજતી પશુ કેરી મૈત્રી’, ગોઠડીના કારણેય મધુરો ‘મધ્યાહ્ન ભાત’- આ સર્વથી કૃષિકારનું જે રીતે શુચિમધુર ગાર્હસ્થજીવન-દાંપત્યજીવન આકૃત થાય છે તે તેમની કાવ્યબાનીની વિશેષતા તો દાખવે છે, સાથે તેની મર્યાદા પણ. આ મર્યાદા એટલે દોષ- એમ અત્રે અભિપ્રેત નથી. રાજેન્દ્ર શાહની કાવ્યબાનીનો ચમત્કાર ‘આયુષ્યના અવશેષે’, ‘શેષ અભિસાર’, ‘શિરીષ ફૂલ શી ‘, ‘શ્રાવણી મધ્યાહ્ને’ બરોબર અનુભવાય છે. અતીન્દ્રીયતાનું આકર્ષણ છતાં રાજેન્દ્ર શાહની બાનીમાં ઇન્દ્રિયરાગનીયે પ્રતિષ્ઠા છે જ. એમનાં આંખ-કાન સારી પેઠે સતેજ છે. ‘આયુષ્યના અવશેષે’માં પ્રારંભાં સીમનું વાતાવરણ નિરૂપવામાં એમની કાવ્યબાની કેવી તો કાર્યસાધક નીવડી છે! સૂક્ષ્મ સંવેદનશીલતા, ઉત્કટ કલ્પનાશીલતા અને ભાવ-સમાહિત ચેતસ્ વિના કાવ્યબાની આ કોટિનું ઉન્નયન સાધી ન શકે. ‘ ભર્યું ઘર હતું તેના સૂના રજોમય પ્રાંગણે

	લઘુક ગઠડી મૂકી આયુષ્યના અવશેષની.’

‘મુખથી ઉઘડ્યા તાળાં, દ્વારે કર્યું જરી ક્રંદન,’

‘પુર ઘરસમું હેતે મ્હોર્યું હતું પરસાળમાં.’

‘અવ અહીં ઝૂલે ખાલી સીકું, વિના દધિ ઝૂરતું.’

‘બીન મૂક થયું તોયે એની સુણી રહું ઝંકૃતિ, વિવિધ સમયે છેડ્યા તે સૌ મળે સ્વર વૃંદમાં.’ (આયુષ્યના અવશેષે’, ધ્વનિ.પૃ. ૧૭ , ૧૮, ૧૯) ‘તત્ત્વને આશ્રયે જાણે પ્રકૃતિ રમણે ચડી !’ * ‘અંગથી સ્પર્શનું તારું રેશમી વસ્ત્ર હો પરું.’ (‘શેષ અભિસાર’, ધ્વનિ, પૃ. ૨૪, ૨૫) ‘માધ્યાહનની અલસ વેળ હતી પ્રશાન્ત, ધીરે ધીરે લસતી ગોકળગાય જેમ.’

‘ભારો ઉતારી શિરથી પથને વિસામે, નાનેરું ગામ શ્રમથી વિરમ્યું લગાર.’

‘કંકાસિની પણ પ્રસૂન વડે પ્રફુલ્લ.’

‘ ત્યાં પંક માંહી મહિષીધણ સુસ્ત બેઠું, દાદૂર જેની પીઠ્યે રમતાં નિરાંતે.’

‘નાનું તળાવ નિજમાં પરિતૃપ્ત પ્રજ્ઞ.’ (શ્રાવણી માધ્યાહને’, ધ્વનિ, પૃ. ૯૪, ૯૫,) તું ઓસને સલિલ નિર્મલ કંજલક્ષ્મી (‘રાગીણી’, શાંત કોલાહલ, પૃ. ૧) ‘આ મધ્યરાત્રિ મહીં સંસૃતિ શાંત પોઢી નિદ્રાળુ ઓઢી ફૂલકોમલ અંધકાર :’ (‘સોહિણી’, શાંત કોલાહલ, પૃ. ૭)

‘કલશ પર સોહંતી આભા સવારની સ્વર્ણિમ : કમલ ઊઘડે એનું સંધે સુગંધિત ગુંજન.’ (‘શાન્તી ‘, શાંત કોલાહલ, પૃ. ૧૧૫) ઉપરનાં ઉદાહરણોનું સૂક્ષ્મ વિશ્વલેષણ કરતાં રાજેન્દ્ર શાહની શબ્દપસંદગી, એમની કલ્પનગતિ, એમની સૌંદર્યદ્રષ્ટિ, એમની ભાવાનુરૂપ ચિત્રાંકનશક્તિ વગેરેનું સંકુલ રૂપ સરસ રીતે પામી શકાય એમ છે. રાજેન્દ્ર શાહનાં વૃતબદ્ધ સોનેટોમાં તેમ જ વનવેલીના લયવાળાં છંદોબદ્ધ કાવ્યોમાંયે પદાવલિ અવારનવાર એક સંઘટક-તત્ત્વરૂપેય પ્રતીત થાય છે. છંદને રેલાઈ જતો અટકાવવામાં, ભાવને સ્નાયુબદ્ધ સુશ્લિષ્ટતાએ આકૃત કરવામાં રાજેન્દ્ર શાહની કાવ્યબાનીનો વિધેયાત્મક ફાળો હોય છે. સૉનેટોની સુઘડતા, સુશ્લિષ્ટતા ને સચોટતામાં એમની પરિષ્કૃત કાવ્યબાનીનું પ્રદાન દેખીતી રીતે જ ધ્યાનપાત્ર બને છે. વનવેલીમાં તો એમની કાવ્યબાનીના વિશિષ્ઠ પદાન્વય ને પ્રાસરચના-વિધાન પણ સ્વતંત્ર અધ્યયનનો વિષય બને એમ છે. રાજેન્દ્ર શાહ ‘તવ સૂર’ (ક્ષણ જે ચિરંતન, પૃ. ૪૮) જેવી જાણે પ્રત્યયરહિતા સંસ્કૃત ભાષાની કૃતિ ન હોય એવી લાગણી પેદા કરતી રચનાઓ આપે છે, પરંતુ સદ્દભાગ્યે, એવી રચનાઓ ઓછી છે, ને એવી રચનાઓ એમની કવિકીર્તિના આધારસ્તંભરૂપ નથી એ પણ સ્પષ્ટ જ છે. રાજેન્દ્ર શાહની કવિતામાં એકની એક વાત વળી વળીને વાગોળાતી હોય, એનું પિષ્ટપેષણ થતું હોય એમ લાગે છે. એમનાં સંખ્યાબંધ કાવ્યોનું એકીબેઠકે પઠન આ ભાવ પેદા કરે છે. અમુક પ્રકારના અતિપ્રયોગે લપટા પડી ગયેલા શબ્દો, ભાવો કે ખ્યાલોની કવિએ ધારી હોય એવી અસર ભાવક પર ન થાય; આમ છતાં રાજેન્દ્ર શાહના વિપુલ કાવ્યરાશિમાંથી જે કંઈ આવી મર્યાદા છતાં ઊગરે છે તે ઓછું આહ્લાદક નથી. રાજેન્દ્ર શાહ વળી વળી પોતાનામાં પાછા વળતા, ‘નિજમાં નિમગ્ન’ એવા કવિ છે. વિવિધ ભાવસંદર્ભોનું નિરૂપણ કરતાં છેવટે તેઓ પોતાના કેન્દ્ર પર આવી જ ઠરે છે. એવું થાય છે ત્યારે જ તેમનામાં સ્વસ્થતાનો ભાવ પ્રગટે છે. રાજેન્દ્ર શાહે સમગ્ર દ્વારા પોતાનો પરિચય પામવાના ઉપક્રમમાં કાવ્યબાનીનો આશ્રય લીધો છે. તેમની સૌંદર્યલુબ્ધ દ્રષ્ટિ અનેક પુષ્પોનું મધુ ગ્રહી છેવટે તો આત્મમધુના પાનમાં જ સાર્થકતા પામે છે. તેમણે માટીના અને આકાશનાં, તેજ અને તિમિરનાં, વાદળ અને વાયુનાં, પથ્થર અને પાણીનાં- એમ અનેકાનેક પ્રાકૃતિક રૂપોનો પરિચય મેળવી જીવન ને સર્જનહારની સર્જનકળાની સભરતાનો આકંઠ અનુભવ કરતાં ઉલ્લાસ ને ધન્યતાની દીપ્તિ પોતાની બાનીમાં અનાયાસ જ પ્રગટ થવા દીધી છે. ‘નેણ ખોલ્યા વિણ કેદથી ઊંચી આવતી જોઉં જાર:’ (ઉદ્દગીતિ, પૃ. ૧૦), ‘વીતેલ વેળની રેખ ન રાખી કુટિલ કાલ સમીરે.’ (ઉદ્દગીતિ, પૃ. ૭૮) જેવી પંક્તિઓથી સૂક્ષ્મ સંવેદનશીલતાનો વેધક ખ્યાલ આપતી કવિની સર્જકતા જ છેવટે તો એમની બાનીનું સર્વોપરી આકર્ષણ બની રહે છે. કવિની સર્જકતા ‘ધ્વનિ’ પછીયે પૂરી સક્રિયતાથી ચાલે છે. અને કાવ્યના ઇતિહાસમાં નોંધવાં ઘટે એવા અનેકાનેક ભલે નાનાં પણ વિસ્મયો સર્જતી રહી છે. એમનાં દશપદી કાવ્યો, એમનાં ચિત્રકાવ્યો, દૈનંદિની-કાવ્યો, સ્વપ્ન-કાવ્યો વગેરેની નોંધ ગુજરાતી કવિતાના ઈતિહાસકારે લેવી જોઈશે અને એ નોંધ લેતાં એમની કાવ્યબાનીની જે નવી તરેહો પ્રગટે છે તેય બતાવવી જોઈશે; અલબત્ત, આ તરેહોમાં કોઈ મોટા ક્રાંતિકારી વિવર્તો જોવા મળતા નથી; આમ છતાં કવિનો ગતિ-વિકાસ અસ્ખલિત છે એટલું સ્પષ્ટ છે. ‘વિષાદને સાદ’માં કવિ વિષાદની વાત કરતાયે આનંદની જ અભીપ્સાને વ્યંજિત કરે છે. ગરીબાઈ, સંકુચિતતા, શોષણખોરી, સત્તાભૂખ, યુદ્ધખોરી –આ સર્વનું બેહૂદાપણું એમને અકળાવે છે ને એ અકળામણ ‘ઘઉંમાં ચઢ્યાં કાંઈ ધનેરું’- એ રીતે; ભસ્માસુર, હિરણ્યકશિપુ, પૂતના આદિ પૌરાણિક પાત્રો- ઘટનાઓના સંદર્ભથી, વિશિષ્ટ અર્થઘટન દ્વારા તેમ જ કટાક્ષ-વક્રતા દ્વારા તીક્ષણ રીતે અભિવ્યક્ત થાય છે. આમ છતાં કવિની ભદ્રતા કે સમતા જોખમાતી હોય એવું એમની કાવ્યબાની દર્શાવતી નથી; એમની કાવ્યબાનીમાં જે એક આત્માનુભવે પ્રેરિત ગરિમાનો સ્પર્શ છે તે લેપાતો નથી. વિપરીત વહેણમાંયે એમની કાવ્યબાની જે રીતે આત્મપ્રતિષ્ઠા જાળવે છે તે ઉલ્લેખનીય છે. રાજેન્દ્ર શાહની બાની ‘ચિત્રણા’ ‘મધ્યમા’ની કાવ્યરચનાઓમાં આંખ અને કાનના વિશિષ્ટ સહકારભાવે આગળ વધે છે. ‘પારિજાત’માં ‘કેસરધવલ તેજમ્હોરતું પ્રભાત’ જોવા માટે અને ‘ધંતૂરાનાં જૃંભિત અસ્થિધવલ ફૂલ’ ને ઓળખવા માટે ભાવકે કવિમન સુધી પહોંચવું જ પડે. રાજેન્દ્ર શાહનાં શબ્દચિત્રો અનિવાર્યતયા એમનાં સંવેદનચિત્રો છે. એમની કાવ્યબાનીમાં સપાટીનાં રૂપ નહીં મનમાં સંકુલ-નિગૂઢ રૂપોના સંચારો જોવા મળે છે. કુ. નર્મરા, શકુંતલા તથા સીતાની શબ્દચ્છવિઓમાં રાજેન્દ્ર શાહની કાવ્યબાનીનું સામર્થ્ય જોઈ શકાશે. ‘મધ્યમા’માં દૈનંદિની’ તેમ જ ‘નિદ્રિત નયને’ ના બે કાવ્યસંપુટોમાં કવિ વાસ્તવિકતા અને સ્વપ્નમયતાનાં પરિમાણોમાં પોતાના કાવ્યાનુભવને પ્રગટ કરે છે. અહીં એમની બાની સંકુલ કલ્પનલીલામાંથી કંઇક અરૂઢ એવી અર્થલીલા નિષ્પન્ન કરે છે. એનુંયે ઊંડું આકલન કરવા જેવું છે. રાજેન્દ્ર શાહની ગીતબાનીના વિકાસરૂપે ‘ઉદ્દગીતિ’ અવલોકવા જેવો કાવ્યગ્રંથ છે. એક બાજુ એમની વૃતબદ્ધ બાનીના એક નવા આવિષ્કારરૂપે ‘ઈક્ષણા’, તો ગઝલબાનીના આવિષ્કારરૂપે ‘પંચપર્વા’ ધ્યાનાર્હ છે. એક કવિ વૃતબદ્ધ કવિતા ને ગીતકવિતામાં દ્દઢઆસનબદ્ધ હોય તે જ્યારે ગઝલની લીલામાં ઝુકાવે ત્યારે તેની તે ચેષ્ટાયે રસપ્રદ તો લાગે જ. રાજેન્દ્ર શાહની ગઝલ રાજેન્દ્ર શાહની જ છે એમ કહેવું પડે એવું એનું બાનીનું પોત છે. એમની ગઝલના અવાજમાંયે અનાહત નાદ તો ઊતરે જ. આમ તો રાજેન્દ્ર શાહની સમસ્ત કાવ્યબાનીમાં એ નાદનું તત્ત્વ અનુસ્યૂત છે. કવિ રાજેન્દ્ર શાહના અવાજમાં શાશ્વતીનો અવાજ ભળ્યો જ છે. તેની તો મજા છે, તેનું તો મૂલ્ય છે. રાજેન્દ્ર શાહની કવિતાનો સ્થાયી ભાવ આત્મભાવ છે. એમની કવિતાને સૌથી વધુ આત્મલક્ષી ભૂમિકા પર વિલસવાનું ગમ્યું છે; પરંતુ રાજેન્દ્ર શાહમાંના સર્જકે પરલક્ષી ભૂમિકાએ પણ કવિતાને ચલાવવાનાં સાહસો કર્યાં છે. ‘પ્રસંગસપ્તક’ એવાં સાહસોની જ એક ‘અરુણકથા’ છે. એમની કાવ્યબાનીમાં નાટ્યબાની થવાની ક્ષમતા કેટલી એ મહત્વનો પ્રશ્ન છે. જેમ ઉમાશંકરનું તેમ જ રાજેન્દ્ર શાહના આ ‘પ્રસંગસપ્તક’ની કાવ્યબાનીનું નાટ્યદ્રષ્ટિએ બારીક અન્વેષણ કરવા જેવું છે. ખાસ તો ત્રીજા અવાજની રીતે, નાટ્યપદ્યની અપેક્ષાના સંદર્ભમાં. રાજેન્દ્ર શાહની સર્જકતાને હજુ ઓટ નથી આવી એ એમનું કવિ તરીકેનું વીર્યત્વ પ્રગટ કરે છે. રાજેન્દ્ર શાહે ‘પત્રલેખા’, ‘કિંજલ્કિની’, ‘વિભાવન’ અને ‘દ્વા સુપર્ણા’ આપણને આપ્યા છે. એમનો કવિકંઠ હજુ કાવ્યબાર્ન ની વિવિધ તરેહો નિપજાવવામાં સક્રિય છે. આ સક્રિયતા ‘મીઠા વગરના માણસ’ માટે ‘અલૂણ’ વાપરે, પ્રાસ માટે થઈને ‘માણેક’નું ‘માણિક’ કરે, ક્યારેક ‘જલતુષાર’ કે ‘વાદળી જલભીની’ જેવા શબ્દાળુતાનો વહેમ જન્માવે એવા ઉક્તિપ્રયોગો કરી બેસે એવું બંને, પણ એ સક્રિયતા જ શીમળામાં ‘ભિખ્ખુ’ ને દર્શાવી શકે છે. ‘સાબરનાં નીતરેલ નીર’માં ‘ઝાંઝવાનાં પાણી’યે દેખાડી શકે છે. એ સક્રિયતાએ જ ‘કાંટાળિયા અંધારની ડાળે રતૂમડો અંકોર’ ફૂટે છે અને ‘આયખા કેરા ઓઢણે મીઠી યાદ ભરી’ શકાય છે. આપણે રાજેન્દ્ર શાહની કાવ્યબાનીગત સક્રિયતાને રસપૂર્વક બિરદાવીએ અને એક કાવ્ય જેવું ‘આયુષ્યના અવશેષ’ માટે સર્જ્યું એવું અન્ય કાવ્ય આયુષ્યના પ્રારંભ માટેય સર્જે એમ વાંછીએ.   ૩. શાંત કોલાહલ

‘ધ્વનિ’ના કવિ તરીકે રાજેન્દ્ર શાહને સૌ કોઈ ઓળખે છે. ‘શાંત કોલાહલ’નો કવિ પેલા ‘ધ્વનિ’નો કવિ છે એવી પ્રતીતિ સંગ્રહમાંનાં કાવ્યો જોતાં સહેજમાં થઈ આવે છે. રાજેન્દ્ર શાહની કવિતાનાં કેટલાંક લાક્ષણિક તત્ત્વો, જે પ્રથમવાર ‘ધ્વનિ’માં દેખાયાં તે, અહીં પણ જોવા મળે છે. રાજેન્દ્ર શાહ અંતમુર્ખ કવિ છે. એમની કવિતાસૃષ્ટિ અહંના નાભિકેન્દ્રમાંથી કોઈ પદ્મની જેમ વિકસી છે. કવિ જીવનની વિવિધ અનુભૂતિઓ દ્વારા પોતાના સાચા સ્વરૂપને અવગત કરવા માગે છે. આમ ‘સ્વ’માં ‘સર્વ’નાં દર્શન કરવાની ઉત્કટ મનીષા એમનાં કાવ્યોમાં જોઈ શકાય છે. આ જ કારણે રાજેન્દ્ર શાહની કવિતામાં કોઈ સાંપ્રદાયિક અભિનિવેશ જોવા મળતો નથી. વિષયવૈવિધ્યના અભાવનું કારણ પણ એમની આ અંતર્મુખ મનોવૃત્તિનું પડેલું છે. રાજેન્દ્ર શાહને પાર્થિવ સ્વરૂપોનું આકર્ષણ કેવળ તે પાર્થિવ છે એટલા માટે નથી, પણ એ પાર્થિવ સ્વરૂપો પરમ ચૈતન્યના પ્રકાશને વહે છે તે માટે છે. રાજેન્દ્ર શાહની કવિતાનો વિકાસ અનુભૂતિનાં બાહ્ય-સ્થૂળ આવરણોને ભેદીને એના અંતસ્તલ સુધી પહોંચવાની એમની તીવ્ર મથામણમાં જોઈ શકાય છે. એમનો તત્ત્વરસ જ સૌંદર્યનિષ્ઠારૂપે કવિતામાં પરિણત થયો છે તેમની કવિતામાં ક્યાંય અવસાદ કે હતાશાનો ધ્વનિ મળતો નથી, કેમ કે તેમને પરમ તત્ત્વની ત્રિકાલાબાધિત સત્તામાં સંપૂર્ણ શ્રદ્ધા છે. ‘શાંત કોલાહલ’ શીર્ષક રાજેન્દ્ર શાહના કવિ માનસનો અણસાર આપી રહે છે. દેખીતા સંઘર્ષો તળે કવિ પરમ સંવાદિતાના તત્ત્વને જ કામ કરતું જુએ છે. કવિની દ્રષ્ટિ ઝીણી અને ઊંડી છે. તેઓ સાંપ્રત સંગ મોકળે મન રમવાની વાત કરે છે. કવિ વિશ્વના લખ રૂપોને પરમ રસપૂર્વક માણે છે. કવિને મન તો આ સૃષ્ટિ પર ‘અનંત ઓચ્છવ’ જ છે. પ્રત્યેક પળે કવિ ‘ચિરંતનને ઉષ્માભર્યા અભિનવ રૂપને સૌન્દર્ય’ પ્રગટ થતું અનુભવે છે. કવિને માટે કોઈને પણ ઉપેક્ષી કે તુચ્છકારી શકાય એવું રહ્યું નથી. આગતને તેઓ ઉમળકાથી આવકારવા સજ્જ થાય છે. કરાલ કે કોમળ બધા જ પ્રકારનાં સ્વરૂપોમાં કવિ એક અને અદ્વિતીય એવા પરમ તત્ત્વને-મહાકાલને ક્રીડતો જુએ છે. રાજેન્દ્ર શાહ પ્રકૃતિએ સ્વસ્થ કવિ છે. એટલે જ એમનાં કાવ્યોમાં પરમ તત્ત્વના અનુસંધાનમાં માનવ્યનું પણ સમ્યગ દર્શન શક્ય બન્યું છે. રાજેન્દ્ર શાહ સ્નેહમાં જીવનનું સારસર્વસ્વ જુએ છે. એમણે સ્નેહનું ઊલટથી ગાન કર્યું છે. એમણે મુગ્ધાવસ્થાના પ્રેમનું તરલમસ્ત રીતે નિરૂપણ કર્યું છે. એમનાં ગીતોમાં આ પ્રેમનો કસૂંબી રંગ રમણે ચડે છે; પણ રાજેન્દ્ર શાહને મન પ્રણય તે માત્ર બે ઘડીનો ખેલ નથી. સંસારનું કલ્યાણકેન્દ્ર તેઓ નિત્ય વિકાસશીલ દાંપત્યપ્રેમમાં જુએ છે. એમનો પ્રણયાનુભવ તત્ત્વાનુભવનું જ અવાંતર રૂપ બની રહે છે. દાંપત્યજીવનમાં વિસંવાદિતાના તનિક અંશને પણ ચલાવી લેવા તેઓ તૈયાર નથી. ‘છલનિર્મલ’માં તેઓ કહે છે : “આ માલિન્ય કેરા સ્પર્શ થકી હવે નહીં નહીં પ્રિય, તવ કરું અવમાન.” (પૃ.૬૦) આ કવિ ગૃહસ્થાઆશ્રમનો મહિમા પણ ‘મારું ઘર’, ‘ઓરડે અજવાળાં’, ‘શાંતિ’ જેવાં કાવ્યો દ્વારા નિર્દેશે છે. ‘મારું ઘર’ની નીચેની પંક્તિઓ ધ્યાનપાત્ર છે : “તે મારું કાળ-જૂનું ભવન; નિખિલ આ કેન્દ્રથી વિસ્તરેલું : એની સર્વત્ર. જ્યાં જ્યાં ગતિ મુજ ત્યહિં, રેલાય છાયા અદીઠ. ક્ષેત્રે સંકલ્પ કેરાં અગણિત કંઈ જે બીજ વેરેલ તેનું કૉળેલું સ્વપ્ન જાણે અનિમિષ દ્દગ માંડી નિહાળે વ્યતીત!” (પૃ. ૧૦૩) કવિનું ઘર ચાલ દિવાલો વચ્ચે પુરાયેલું નથી. કવિનું ઘર તો અવકાશ-મોકળું છે. એમાં બંધન નહી, પણ મુક્તિ છે. ‘શાંતિ’માં ઘરના સાયંકાલના વાતાવરણનું રમણીય ચિત્ર મળે છે : “ઘર મહીં સહુ નાનાં મોટાં મળે; નિજ ક્ષેત્રનો શ્રમ સકલ આંહી ભૂલાતો પરસ્પર હૂંફમાં, શિશુની કલવાણી : ગૌરીને ગળે લય પ્રેમનો પ્રગટી અઘરે આવી આછો રમે કંઈ ક્ષોભમાં.” (પૃ. ૧૧૨) રાજેન્દ્ર શાહની કવિત્વશક્તિનો ઉન્મેષ અહીં જોઈ શકાય છે. ગોપકાવ્યોમાં વાતાવરણનો મધુર અમલ ચઢાવનાર આ કવિ અહીં પણ પ્રસન્નતાની હવા જમાવી શક્યા છે. રાજેન્દ્ર શાહની આરંભની રાગિણી-વિષયક સૉનેટમાળા અને વનવાસીનાં ગીતો આ સંગ્રહનું વિશિષ્ટ પાસું છે. એમની ચિત્રનિર્માણશક્તિનો હૃદ્ય પરિચય અહીં મળે છે. સ્વચ્છ રેખાઓમાં જીવનસંગીતના આધારે રાગસંગીતને શબ્દચિત્રોમાં સાકાર કરવામાં કવિ સફળ થયા છે. એમની કમનીય, મંજુલ પદાવલિનું સામર્થ્ય પણ એમાં જોઈ શકાશે. સૉનેટની સુઘડતા પણ કવિએ જાળવી છે. વનવાસીનાં ગીતોમાં વનવાસીનાં જીવન-પ્રકૃતિને કેન્દ્રમાં રાખી પ્રધાનત: પ્રેમ-વીરતાનું મુગ્ધ-મુક્ત ગાન કવિએ છેડ્યું છે. પ્રકૃતિનાં અવનવાં રૂપોની સાથે વનવાસીના મનનું તાદાત્મ્ય કવિએ ઉપસાવ્યું છે. તળપદી બોલીની લઢણોનો પણ વિવેકપુરસ્સર અહીં ઉપયોગ થયો છે. આ કાવ્યોમાં ગીતોના પ્રલંબ લય હિલ્લોલમાં વક્તવ્યને છૂટું લહેરાતું મૂકી દેવાની રાજેન્દ્ર શાહની રીતિ ઉલ્લેખનીય છે. રાજેન્દ્ર શાહ દેશનાં કેટલાંક અનિષ્ટોનો કવિતામાં પડઘો પાડે છે. આમાં એમની સ્વદેશદાઝ - આગળ વધીને કહેવું હોય તો સત્યદાઝ - તરી આવે છે. તેઓ તત્ત્વપૂત દ્રષ્ટિથી જ અનિષ્ટોના પ્રેરક વેતાલનું નિવારણ થઈ શકશે એમ માને છે; એ વિના પોતાનો કે દેશનો ઉદ્ધાર નહિ થાય એ વિશે તેમને દૃઢ પ્રતીતિ છે. રાજેન્દ્ર શાહની કવિતામાં ક્યારેક તત્ત્વભાર વરતાય છે; તેમ છતાં એમની કવિતા એકંદરે ‘તત્ત્વનું ટૂંપણું’ થવામાંથી બચી છે. જેમ કોઈ અભ્ર પોતાની રસશક્તિથી સૂર્યના કિરણની આંતરસુષમાને સપ્તરંગમાં પ્રગટ કરે છે તેમ રાજેન્દ્ર શાહે જીવનની આંતરસુષમાને અવનવા પ્રકાશરંગો દ્વારા કવિતામાં પ્રગટ કરી બતાવી છે. ‘લાવણ્ય ભીતરનું દાખવતી લલામ’ એવી એમની કાવ્યસૃષ્ટિ છે. રાજેન્દ્ર શાહની દ્રષ્ટિનો વ્યાપ બૃહત્ છે; તેમણે જીવનનું ખંડદર્શન અભિમત નથી. પ્રત્યેક પળને મહાકાલના સંદર્ભમાં મૂલવવાનું એ પસંદ કરે છે. આ કારણે રાજેન્દ્ર શાહની કાવ્યસૃષ્ટિ ભિન્ન રુચિવાળા ને છતાં સુરુચિવાળા સર્વ વાચકોને આંનદપ્રદ થઈ પડે છે. રાજેન્દ્ર શાહના ચારેય સંગ્રહો સાથે લેતાં એમાં He repeats himself જેવી પરિસ્થિતિ કેટલેક અંશે જણાવાનો સંભવ રહે છે, પણ એકંદરે જોતાં કવિ પોતાની રૂઢ થઈ ગયેલી રીતિમાંથી બહાર નીકળી જવા સર્ચિત છે. આધુનિક કવિતાનાં કેટલાંક ચલનવલનોનું પ્રતિબિંબ ‘શ્વાનસંગી’, ‘ક્ષણને આધાર’, ‘મેડીને એકાન્ત’, ‘સ્મરણ’ વગેરે કાવ્યોમાં ઝીલી બતાવ્યું છે. અભિવ્યક્તિ અંગેની સભાનતા ભાવપ્રતીકો અને છંદોલયની બાબતમાં તો ખાસ જોઈ શકાય છે. આવાં કાવ્યોમાં ક્યારેક કવિનો કસબ જ આગળ પડી આવતો જોઈ શકાય છે. રાજેન્દ્ર શાહ ભાષારીતિમાં ટાગોરનું અનુકરણ કરે છે એમ કહેવા કરતાં એમના કવિમાનસના ઘડતરમાં ટાગોરનું પ્રદાન મહત્વનું છે એમ કહેવું ઉચિત છે. સંસ્કૃત તત્સમ શબ્દોનો ભાર ક્યારેક કવિતાની પ્રફુલ્લ ગતિને મંથર કે સ્ખલિત કરી દે છે; તેમ છતાં સમગ્રતયા અવલોકતાં કાન્ત, ઉમાશંકરની જેમ આ કવિની સૌષ્ઠવપ્રિયતા એમની એક વિશેષતા લેખાશે. આ સંગ્રહમાં કવિની વિકાસોન્મુખતા અપષ્ટ જણાય છે, જોકે દરેક કવિની પોતાની એક લાક્ષણિક ચાલ હોય છે અને એમાંથી છૂટવું મુશ્કેલ હોય છે. રાજેન્દ્ર શાહને એ મુશ્કેલી છે જ. એમનું કવિ તરીકેનું સ્નિગ્ધગંભીર વ્યક્તિત્વ આસ્વાદ્ય છે, છતાં એમનાં કેટલાંક પ્રણયગીતોમાં અને ‘ફેરિયો અને ફક્કડ’ જેવા કાવ્યમાં ક્યાંય ચમકતી હળવાશ વધુ પ્રમાણમાં માણવા મળે એવી અપેક્ષા રહે છે. એકંદરે એમની કવિતા ધ્યાનસ્થ પ્રસન્ન યોગિનીના જેવી છે. ભાવકને ક્યારેક એવું થાય કે જરા ધ્યાનભંગ થાય, અસ્વસ્થ થાય અને એની ધીર ચાલ અને ગંભીર મુદ્રા બદલે!   રાગિણી

૧ લલિત

રે ધન્ય, આ નયન ધન્ય તને લહીને ! તું ઓસને સલિલ નિર્મલ કંજલક્ષ્મી, તું ભાસ્વતી ગગનની અરુણા યશસ્વી, મારે નિકેતન તને લહી ધન્ય, ધન્ય !

તારા પ્રસન્ન ઉરનો ટહુકંત છંદ ઝીલી રહેલ દ્રુમકોકિલ, દિગદિગંતે એની કશી ધ્વનિત જાગ્રતિ !- ફૂલગંધે પોઢેલ વાયુ અવ તો લહરે રમંત !

તેં એવું અંજન કશું નયને ધર્યું કે જે ન્યાળુ તે સકલ સુંદર વ્હાલસોયું ! ને પ્રાણનેય પણ સ્પંદન ! તાલપ્રોયું અસ્તિત્વ મારું લહું નૃત્યતણા હિલોળે !

તારા મૃણાલવદને ઝૂક્યું વ્યોમ નીલ સંમોહને, લલિત હે ! અનુરાગશીલ.


૨ તોડી

તારી, પ્રિયે ! છવિ મનોહર, મુગ્ધ ન્યાળું : પ્રાચી ગુલાલમય જ્યાં રવિરશ્મિ રાગે કાસારની જલની લ્હેર કિનાર સાથે ખેલે ત્યહીં તું ઘટ સંગ સુહાય ચારુ.

એ સ્વપ્ન-સૃષ્ટિ-લીન દ્રષ્ટિ, ઉદાર વક્ષ ! હે તન્વિ ! તેજનમણી સરપદ્મિની હે ! તારું ઊડે વસન શ્વેત જરા જરા તે ન્યાળુ તથૈવ મુજ રે’ અણતૃપ્ત ચક્ષ.

ને તારું જ્યાં દ્રવતું પંચમ સૂર ગાન, એકાન્ત શૂન્યરવ તે કશું લોલ બોલે, વિશ્રંભથી વનવિહંગ કુરંગ જોને સાન્નિધ્ય – નિર્મલ – સુધાનું કરંત પાન !

લજ્જા ઢળેલ દ્રગથી ઉર દીધ જોડી ; હે રાગિણી પ્રિય ! તું યૌવનરમ્ય તોડી.


૩ દેશી

મેં તો તને નિરખી યૌવનને ઉઘાડ, એકાન્ત પંથ ગિરિનિર્ઝરની સમીપ; ઘેરી ઘટાથી ઢળતાં જ્યહીં આમ્ર, નીપ,- ત્યાં ટ્હૌકતી (મદિર ઊર્મિની આવી બાઢ) !

તું જેની તેની સહ કોટિ કરંત લાડ, હો મંજરી અગર કંકર કે વિહંગ: આલિંગતી નિખિલનાં સહુ અંગ અંગ; રે તું હવા શી વહી જાય, ન કોઈ આડ !

તું શ્યામ, વર્ણ તવ અંચલનો વસંતી : ભૂલે દ્રગો પલક, શીતલ એવી આગ ! ને પાશ જેમ વીંટળાઈ વળે પરાગ તારો, તું વન્ય રણકાર થકી હસંતી !

એ આપણું મિલન મંગલ, મુગ્ધ દેશી ! તું યે ઉશીર ખડની કુટિરે પ્રવેશી !


૪ મધુમાધવી

ઝૂક્યો જરાક રવિ પશ્ચિમને પ્રદેશ, ને દીર્ઘ છાંય તરુની થઈ વાટિકામાં; તારો સખીગણની સંગ ત્યહીં પ્રવેશ, કિલ્લોલતી મૃદુ કટાક્ષથી સામસામા.

ને ત્યાં કદંબ થકી ટ્હૌકત નીલકંઠ, એને ધરે તું કરમાં કણ ધાન્યકેરા; વિશ્રંભથી ચુગત એ પણ મંદ મંદ, તારે શિરે કુસુમની વરસંત મેહા.

આનંદથી સભર અંતરકેરી હોંશે તું ખેલતી હીંચતી વા દ્રુમને હિંડોળે; રેલાય ગાન રમણાતણું ધન્ય તોષે, જેની લહેરથી હવા ચડતી હિલોળે !

બંદેજ પીમળ મહીં મધુમાધવીની ! લાવણ્યમૂર્તિ નીરખું તુજમાં રતિની !


૫ આશાવરી

ગોધુલિવેળ ક્ષિતિ પશ્ચિમની જ્વલંત : તારે વિલોલ દ્રગ ઈપ્સિત કામનાનું અંજાય સ્વપ્ન રમણીય, રહે ન છાનું પ્રત્યેક અંગતણી ભંગિથી જે સ્ફુરંત.

વાજે શિવાલયની ઝાલર આ પ્રશાન્ત : ને પંછિ ખેતરથી નંદિત જાય નીડે. તું બાજઠે જલભર્યો કરવો મૂકીને ગૂંથે પ્રસૂન જઈ બેઠી ગવાક્ષપ્રાન્ત.

ઝાંખો ક્ષણેક્ષણ થતો પથ, દીપતેજે તારો વધુ ઝળહળંત વિલાસખંડ, જાણે સુણાય પ્રિયની પગલી, - હસંત લાવણ્ય તારું શગઉજ્જવલ, પૂર્ણ હેતે.

તારી પલેપલ પ્રસન્ન વધે પિયાસા : હે પ્રેયસી ! રમણની નહિ દૂર આસા !


૬ કોશી

અંધાર સૌમ્ય ઉડુતેજ થકી મહીન, ને મંદ મંદ પવને હળવો વિલોલ; તું આવતી નિકટ હૈ પ્રિય, પૂર્ણકામ, ધારે, પ્રસન્નમુખ, શ્વેત ધરી નિચોલ.

તારો સુકોમલ મળે કરસ્પર્શ ભાલે, રહેતી ન કલાન્તિ કંઈ શીતલ એવું પાન; ને બનીને સ્વર વિલંબિત ચારુ, તારું ત્યાં આત્મલીન ઉરનું રણકંત ગાન !

લેલીન સૃષ્ટિ દ્રગની મનની ય એમ, કોઈ વ્યતીત નહિ, કોઈ રહે ન યાદ; જેને નહીં ઉગમ વા શમવાનું એવો આનંદનો પરમ કેવલ બિંદુ નાદ !

કલ્યાણી હે ! તરસ તેં મુજ પૂર્ણ તોષી !

હે શાન્ત, સ્નિગ્ધ, અનુરાગિણી રમ્ય કોશી !


૭ સોહિણી

આ મધ્યરાત્રિમહિં સંસૃતિ શાંત પોઢી નિદ્રાળુ ઓઢી ફૂલકોમલ અંધકાર : ત્યાં ઇન્દુએ ક્ષિતિજડાળથી દ્રષ્ટિ માંડી આછી કલાની પણ શી નમણી અપાર !

તું એક ઝીણું ધરી અંચલ મુકત કેશે તારે પલંગ ઉપધાન અઢેલી સ્હેજ રેલંત આર્દ્ર ઉરનો સ્વર; સન્નિવેશે કોનું સુણાય પગલું?- ઉભરાય હેજ !

તારું દુકૂલ ઉડતું સિત કૌમુદીમાં લાવણ્ય ભીતરનું દાખવતું લલામ : રે અંગકંપ લહી નેત્ર ઢળંત ધીમાં ને તું પ્રસન્નમન, સંવૃત, પૂર્ણકામ !

ન્યાળી તને દયિતસંયુત, સોહિણી હે ! ચંદ્રે દીધું સુરતચુંબન રોહિણીને !


૮ ભૈરવી

નિંદ્રા મહીં-તિમિરશીતલ કંદરામાં- રાત્રિતણે ચરમ આ સમયે સુમંદ રેલાય તારું મહિમન્ સ્તવને સકંપ હૈયું, મને ધરતું જાગ્રતિની હવામાં.

તારી અહીં જલતી નિશ્ચલ એક જ્યોતિ, અંજાય એની દ્રગમાંહિ પ્રશાન્ત દીપ્તિ ! અંધારઆવરણ ઓસરી જાય, સૃષ્ટિ આભાથી ઉજ્જવળ વિલક્ષણ રૂપ સ્હોતી !

ઉત્ફુલ્લ પદ્મતણી હ્યાં પમરે સુગંધ, માધુર્ય જેનું અનુપ્રાણિત અંગઅંગે; ને રોમહર્ષમય કંપનના તરંગે શી ચિન્મયી પરમ શક્તિ રહી સ્ફુરંત !

હે ભૈરવી ! હૃદયને દલ તું રમંત; તું મૃત્યુશાન્ત શવને શિવ શું કરંત !


સ્વપ્ન

જે સ્વપ્ન જોયું, અહીં જાગૃતિ સંગ એનું સંધાન પામું, પ્રિય હે, રમણીય કેવું !

હું એકલો કહીં મહાનદને કિનાર ઊભો વિલોકી રહું દૂરની અદ્રિકુંજ : કોઈ અગમ્ય લહું કર્ષણ દુર્નિવાર, આલાપ સાદ સુણું સંતત મંદમંદ.

ત્યાં નીરખું નિકટ આવી રહેલ નાવ વેગે, પ્રફુલ્લસઢ, તોરણ ને પતાકા કેરે અલંકરણ, વૈભવને પ્રભાવ, રે કિંતુ માનવની કોઈ મળે ન રેખા !

કો પૂર્વ નિર્ણયથી સન્મુખ આવી ઝૂકી, સંકેતથી રહી નિમંત્રણ દેતી, હૃદ્ય; આંનદની સહજ ઊર્મિની પ્રેરણાથી ત્યાં હું ય તૂતકની ઉપર જાઉં સદ્ય.

શી ત્યાં અદર્શ હિલચાલ થતી લહાય ! ઘેરો હવાની મહીં કો જયઘોષ ગાજે ! મોરો ફરે ત્વરિત ને દ્રુત વેગ ધાય છૂટેલ તીર સમ કેવળ લક્ષ્ય કાજે !

હિલ્લોળતા જલતરંગની કંદરાથી સંગીત કોઈ વહતું મધુમૂર્ચ્છનામાં : વિદ્યાધરીની મૃદુ અંગુલિના સુહાગી સ્પર્શે સકંપ બીન ઝંકૃત સંમુદામાં?!

એનું રહસ્ય ધરવા લહું નિર્નિમેષ ત્યાં, વારિ ક્યાંય નહિ, ઓઘપ્રકાશ કેરો : ને વીચિ વીચિ પર હીરકની વિશેષ રંગીન ઝાંય મહીં યે પણ સૂર પેલો !

માધુર્યમાંહિ મન લીન બન્યું સહેજે : ને શૂન્યની સ્થિતિ, ન જ્યાં ધ્વનિનું ય ભાન. ત્યારે જ લાધી ફરી જાગ્રતિ, નવ્ય દેશે હોડી થઈ સ્થિર, જ્યહીં વિરમેલ ગાન.

એ શૈલભૂમિ પર પાય ધરું અને જ્યાં પાછો વળી લહું, ન ક્યાંય જણાય નાવ ! હું કૈંક વિસ્મયથી દૂર વિલોકતો ત્યાં કો અટ્ટહાસ્ય ઊઠતું ભયને વિભાવ.

ક્યાંયે ન કોઈ દિસતું, રવહીન શાન્તિ વ્યાપી બધે, પણ હવા મહિં ભાર ભૂર. ના દ્રષ્ટિની શ્રવણનીય ન લેશ ભ્રાન્તિ, રે કોઈ ગોપન રહી રમતું અદૂર !

શેવાળનીલ તટભેખડ ઠેકી થોડે આગે જતાં નીરખું માનવ અસ્થિમુંડ વેરાયલાં અહીંતહીં બહુ જેની સોડે કો અભ્રશ્વેત વળી ન્યાળું હું ભસ્મપુંજ !

ક્યાં અદ્રિકુંજ તણી સુંદરતા અને ક્યાં એકાન્ત નિર્જન અહીં અવ રક્ત શ્યામ ! ચોમેર-કાશ તરું અંતરિયાળ-થી હ્યાં મંડાય ભૂખી શત આંખ અદીઠ આમ.

આછેરી કંપલહરી વહી રોમ રોમ, એને પ્રભાવ નવશક્તિથી સ્ફૂર્તિવંત : મારે જ તેમ સહુ ઉજ્જવલ ભૂમિ વ્યોમ ને હાથમાં નિયતિનો લહું ભાગ્યદંડ !

મેં ભાલમાહિં કીધ લેપન ભસ્મ કેરું : ને પ્રેત- અસ્થિ-અવશેષ પડેલ સર્વ એને ધરી દઈ વહેણનીમાંહિ, હેરું તો વાયુમંડલ કશું હળવું પ્રફુલ્લ !

હું મંદ મંદ ગિરિકાનનની દિશામાં ચાલું ત્યહીં નકુલ કો’ ખડપુંજમાંથી ડોકાઈ, બીજી ગમ વેલ છવાઈ તેમાં જાતો અનાકુલ પદે રમતો ત્વરાથી.

એના જવે અચલ મૌન બન્યું વિલોલ : ઉલ્લાસપૂર્ણ ટહુકે ઊડતાં વિહંગ : નાં કોઈ પૂર્વ-પરિભાવન-યાદ તો ય હાવાં અહીંનું સહું તે લહું અંતરંગ !

બ્હોળો કંઇક તટ પૂર્ણ થતાં જ ગાઢ આવ્યું અરણ્ય તરુગુંફથી દ્રષ્ટિરમ્ય. આછી સુગંધ સહ કો પ્રસરંત ગાન જેની ન કર્ણશ્રુતિ, જે પણ વૃતિગમ્ય.

એમાં પ્રવેશતણી ન્યાળી ન કોઈ કેડી મેં આમતેમ બહુ ખોજ કરી છતાં ય: એવી અડોઅડ વનસ્પતિ વિસ્તરેલી જે છેદી ભેદી કરીને જ ધરાય પાય.


મેં ચાર, છાતી ઊંચી, એડી નીચે દબાવી, ત્યાં તો કશી ખળભળે વન વ્યગ્ર થાતું ! ચિત્કાર સંગ શત વાનર આંહિં ત્યાંથી ડોકાય, ધાય, મુખ જેમનું ક્રોધરાતું !

મેં જ્યાં ધર્યો પગ ત્યહીં અટકું ઘડીક, નિસ્તબ્ધ ત્યાં સકલ વૃક્ષની ડાળ ડાળ : જે જ્યાં ત્યહીં જ સ્થિર એ કપિનું અનીક, એકાગ્ર, તત્પર ક્ષણે ભરવા જ ફાળ !

શાં નેત્ર નીલ ધુતિથી ચમકે બધાંનાં જે તીક્ષ્ણ તીર સમ વેધક(દર્શનીય) : ને બાજુમાં જ ફલ પક્વ લહું મઝાનાં જેની હતી રુચિ-સ્પૃહા ન મને જરીય.

આ બાજુ સંનિકટ કો થડને વીંટાયો કર્બૂર વાહસ પ્રલંબ પ્રચંડકાય. નિશ્ચેષ્ટ ને વળી કહીં કંઈ પત્રછાયો, સૂતેલ શો, દ્રગ છતાં ઊઘડે મીંચાય !

આંહી બધે જ અવરોધન કિંતુ પેલો ઊંડાણમાંથી અહીંનાં પ્રગટંત સૂર : હું વિઘ્નને અવગણી ધ્વનિ મેર નેત્રો માંડું : -ઘટાની મહીં દૂર પ્રકાશપુંજ.

આ તેજમાંથી લહું શ્વેત વિહંગ કોઈ આવે હવા પર સહેલતું આ દિશામાં. ક્યારેક સાદ- કલનાદ કરંત, જોઈ જાણે મને ઈજન દેતું પ્રસન્નતામાં.

ઝૂકી નજીક, ત્રણ ચક્ર લઇ વિશાળ, રે શાન્ત દ્રષ્ટિ-ઋજુ બોલ-તણા ઈશારે દેખાડતું ન પથ હોય શું એમ જાય. પાછું ફરી; હું સરું દોરવણી પ્રમાણે.

કેવો પ્રદેશ પદક્રાન્ત કરેલ એનો કોઈ ન બોધ; પણ હંસનું લુપ્ત લક્ષ્ય થાતાં, વળી નજર ભૂમિ ભણી, અહીં તો ખુલ્લો પહાડ ખડકાળ તથૈવ ભવ્ય.

એ શ્યામ શૈલ તણી ભેખડ ખીણ માંહે કૈ પદ્મરાગ, કહી તો વળી ઇન્દ્રનીલ જેવા વિભિન્ન બહુ વર્ણની ઝાંય સોહે, ત્યાં કો ગુહાલય તણા લહું રત્નકીલ.

ને એ જ તે સ્થલથી ઉદ્દભવતું સૂરીલું વીણાની સંગ મધુ કંઠનું રમ્ય ગાન; એની પરંપરિત લ્હેરની છોળ ઝીલું ને સંમુદામય સરું સ્વરને વિધાન.

હું જ્યાં કરું ઉપવને રમતાં પ્રવેશ, ત્યાં બેઉ બાજુ થકી ક્રુદ્ધ કરાલ વ્યાલ ફૂત્કારતા ગરલ કાલિયથી વિશેષ; રે ઘોર ઘોષથી ધ્રૂજંત દિગન્તરાલ.

જેવી સહેજ કરું દંડથી યુકત હસ્ત ઊંચો, ત્યહીં ઉભય શાન્ત વિનમ્ર ભાવે પાળેલ હોય પશુ તેમ લપાય; સ્વસ્થ સોપાનશ્રેણી ચડી જાઉં ગુહાની માંહે.

આછી ઢળેલ રજની મહીં શુક્ર તારા લાવણ્ય શુભ્ર વિકિરન્ત નિહાળું સામે : ને તેજકંપ થકી બે દલ પદ્મ કેરાં ખૂલે ન શું? પલક નેત્ર તણી વિરામે.

ખોળાનું બીન નિજ બાજુ વિશે ધરીને પયઁકથી ઊતરી સસ્મિત આવકાર દેતી, સમીપ મુજ આવતી, અન્ય એને નીલાંચલા અનુસરી રહી અષ્ટ નાર.

પત્યેક વાદ્ય અવ મૌન મહીં તથાપિ માધુર્યથી સભર ઝંકૃતિ સંભળાય ! ત્યાં સુંદરી અનુનયે શી વશિત્વવાળી સૌહાર્દઈંગિતથી ભીતર દોરી જાય !

આતિથ્ય કેવલ નહીં, પરિચાર ભિન્ન પામું હું આર્દ્ર ઉરની રતિપ્રેરણાનો. એ પાર્શ્વ માંહિ ઉપવિષ્ટ પછી, પ્રસન્ન રેલે અમી-ઘૂંટ પરસ્પર પૂર્ણતાનો.

એણે ઊંડા ઉમળકાથી અનામિકાની મુદ્રા મને દીધ સુશોભિત પંચરત્ને : ને કર્ણગોષ્ટ સમ મંદ વદંત વાણી એના રહસ્યની કંઇક સલજ્જ થૈને.

‘જેણે કરાંગુલિ વિષે ધરી મુદ્રિકા આ એને બધે ય સહેજે મળી જાય માર્ગ; આ ભૂમિ કે સલિલ, અગ્નિ, પ્રવાતમાં વા વ્યોમે અલભ્ય સ્થળ કો ન, સદા કૃતાર્થ.’

ઢાળી દઈ નયન ચંચલ એ અબોલ ઊભી ત્રિભંગમહિં સુંદર ત્યાં જ એના કૂણા મૃણાલકરને ગ્રહીને અમૂલ વીંટી પરોવી દીધ મેં લહી નંદહેલા !

સંસ્પર્શના બલ થકી ધરીને મને જ્યાં ધીરે પદે લઇ જતી નિજ ગર્ભ ગેહે રે ધન્ય એ પલ, હું જાગી નિહાળું છું ત્યાં તો આપણે જ અભિલગ્ન રહેલ નેહે !

આ સ્વપ્નનો સુખદ આસવ તેં જ પાયો, તારા સુકોમલ કરે કર આ ગ્રહાયો.


લગની

વિલસે અહીં મારી સન્મુખ દ્યુતિવર્ણે લખ રૂપ વિશ્વનાં; ક્લાગાનથી, ગંધસ્પર્શથી વળતાં ઘેરી મને હુલાસમાં.

ઉર તો અળગું રહી પણ સહુની મધ્યથી માર્ગ મેળવી, કહીં દૂર અજાણ દેશમાં પ્રિયની સન્નિધિમાં જતું સરી.

દ્રગને નહિ રૂપ, કર્ણને શ્રુતિ ના, સ્પર્શ નહીં, ન ચુંબન: સુખ કિંતુ લહાય સર્વનું જ્યહીં સાયુજ્ય વિષે વિલોપન. અહીં સંતત કાલમાં ગતિ લગની ત્યાં મન કેરી સંસ્થિતિ.


પુનર્મિલન

તું આમ પંથ પર જાય મળી અચિંત ! કૈં કેટલી ઋતુ વહી ગઈ, જેની સાથ તારી અકાય સ્મૃતિનો લય; મૂર્તિમંત શી આંહિ તું પ્રગટતી ફરી કિંતુ આજ !

ભેળાં મળે જલદઅંતર બે અને આ નેત્રે રમે તડિત રેલતી તેજ તેજ ! આનંદમંદ્રમય કોઈ પ્રસન્નતાને ગોરંભ ભૂમિઉર આર્દ્ર, ઝીલંત હેત !

ને પૂર્વના મિલનની વચલો પ્રલંબ જે કાલ, શૂન્ય સમ તે, જ્યાં અભેદ : રે એ જ મૌગ્ધ્ય, વળી એ જ ઉમંગ રંગ ને એ જ સન્નિધિ-સમાધિની માંહિ એક !

શી વાયુની લહર આવતી મંદ મંદ માટીની આ વહતી પ્રાણ વિષે સુગંધ !


તવ પ્રવેશે

અહીં નજરની સામે ઘેરી ઘટામય કુંજ ને પુલિનપટમાં મંદસ્ત્રોતા વહી રહી વાત્રક; જલલહરભીની વેળુમાં ઊગ્યાં કંઈ વેતસ, ત્યહીં નજીક કોઈ એકાકી નિહાળું વિહંગને, ઇહ વિવિધ વર્ણે સોહંતી વિશાળ નિસર્ગશ્રી, પ્રિય ! સહજ લાગે બારીથી મઢાયલ ચિત્ર શી.

પણ તવ પ્રવેશે એમાં આ કશું પરિવર્તન ! અવ અહીં રમે હિલ્લોલંતી હવા અવકાશનાં અમિત ગહનોને લ્હેર્યુંમાં ઉછાળતી; પ્રાણના સકલ કરણે સ્પર્શી રે’તાં મુદામય સ્પંદન ! વિહગ ટહુકે, એનો રેલે દિગન્ત પ્રતિધ્વનિ: રગરગ મહીં જાણે આરોહતી ગતિ સૂર્યની !

પ્રિય ! તવ પ્રવેશે ભૂમામાં સમસ્તની વ્યાપૃતિ; સરતી ક્ષણને આધારે હું લહું સ્થિર શાશ્વતી.


ત્રિમૂર્તિ

૧ કન્યા

કંકાવટી કર મહીં ધરીને ગલીની (તું) ગાયને કરતી ચંદ્રક ભાલદેશે, ને અક્ષતે વળી વધાવતી, કૈં અધીરી કો સ્વપ્નને નિરખતી તવ બાલવેશે.

તું ફૂલની કલિ હવાની લહેર સંગ ડોલી જતી, ઊઘડતી, ઝરતી પરાગ; ને તો ય, નિત્ય વ્રતનો તુજને ઉમંગ, તું ધારતી દલ વિશે તપ કેરી આગ.

એવી તને પ્રિય ! લહી કમનીય, સ્નિગ્ધ, તેજસ્વિની હૃદયનાં બલને પ્રભાવ, તું લાગતી’તી અતિ ચંચલ, વેગશીલ, સ્વાધીન કિંતુ સહુ કેવલ જ્યાં વિભાવ.

તું (ગૌરી જેવી શિવને) મુજને ગમી’તી; એકાન્ત મારું ભરી, ધ્યાન વિષે રમી’તી.


૨ મુગ્ધા

‘નહીં પ્રિય ! નહીં’ સુમંદ તવ બોલ પામ્યો યદા ધરી પ્રથમ અંગ સંગ સુકુમાર આશ્લેષમાં. ‘નહીં નહિ’ વદી વળી, ચિબુક તર્જનીથી ગ્રહી સુચારુ તવ ઓષ્ઠનું મધુર પાન કીધું તદા.

સલજ્જ તવ લોલ નેત્ર પર ઢાળીને પાંપણ, કપોલ પરને પ્રસન્ન અનુરાગ સોહામણું સરોજમુખ તારું બાજુ ભણી કૈંક ઝૂક્યું, પણ સમીપ સરી ગાત્રથી શિથિલ વીંટળાઈ રહી.

નકાર તવ નૂરી; જેની પર વ્હાલ આરૂઢ થૈ અનંગ સમ, પુષ્પને શર વીંધી ગયું અંતર મદીય; નહિ ઘાવ, દંશ ત્યહીં સર્પનો....જે મીણો ચડ્યો; વિવશ હું તથૈવ સુખની લહી મૂર્છના.

વિભિન્ન તનનું ન દ્વૈત જ્યહીં નિત્યનું કર્ષણ ! સ્મરું :- પુન: તે તવ સ્વરૂપનું કરું દર્શન.


૩ માતા

આ ભિન્નતા ઉભય અંગની ! - એથી કિંતુ સાયુજ્યની અતુલ શી સુખ-ભુક્તિ-મુક્તિ ! રે ભેદ-ભંગમય ક્રીડનમાં સ્ફૂરંતું બ્રહ્માંડ આ સ-કલ (શી ગતિશીલ યુક્તિ !)

તું તો સખી ! સલિલ નિર્મલ કૈં તરંગે લોલાયમાન, વિકસ્યું જ્યહીં ફુલ્લ પદ્મ : જેને સુકોમલ દલે ઉરને ઉમંગે તું અગ્નિબિંદુ ધરતી નભકેરું છદ્મ !

તારે ઉછંગ રમતું શિશુ દંતહીન એને અમીમય કરાવતી સ્તન્યપાન રોમાંચવીચિમહીં જ્યાં તવ ચિત્ત લીન, ઉલ્લાસનું દ્રવતું અસ્ફુટ ત્યાંથી ગાન.

એને વિલોલ દ્રગ તારી અમીટ દ્રષ્ટિ, મન્વંતરોની નિરખે પ્રભવંત સૃષ્ટિ.


સ્થાનાંતર

પ્રિય ! રંગ તો એનો જ એ છે લાલ. જે ભાલને ચંદ્રક હતો અવતીર્ણ તે બે હોઠ પર અવ; રંગ તો એનો જ એ છે લાલ!

બે દલ કમલ જે યોગીની- સૌ ચરમ સિદ્ધિની- શાન્તિથી ઉજ્જવલ, અમલ જ્યાં આવરણથી મુક્ત થૈને મન રમે વિરમે અચંચલ. રંગ તો એનો ય છે પ્રિય ! લાલ આ બે હોઠ પર રંગ તો એનો જ એ છે લાલ.

ત્યાં અખંડિત એક તે અવ બે મહીં નંદિત હવે વાચાળ: અગ્નિ કેરી લખ લખ ઝાળ હસતી સકલનો કરવા કવલ ધસતી કશી પ્રેમાળ !

ભુક્તિ... ના નહીં તૃપ્તિ નવા ઉન્મેષમાં નખરાળ.

હે પ્રિય ! તું ય તે લેતી નવો કંઈ તાગ... તારું કમલ નહિ અવ આગ જેવું વ્હાલ : રંગ તો એનો જ એ છે લાલ.


ન વાત વ્યતીતની

(૧)

વહ્યું જેહ વ્યતીતની સહ પ્રિય, તેની નહિ માંડવી કથા; ફરીને ધરવી ન દુ:સહ સ્મૃતિના સ્પર્શથી મર્મની વ્યથા.

ભર નિંદરમાં ભયાવહ લહ્યું જે સ્વપ્ન કરાલ રાતનું, અહી જાગૃતિને વિષે અવ અનુસંધાન ન કોઈ વાતનું.

ગત જે, લય પૂર્વને ભવ : અહીં ઉન્મેષ નવીન જન્મનો. દ્યુતિ આંહિ વરેણ્ય ને રવ ખગનો રમ્ય, પરાગ પદ્મનો.

પરિતર્પણ શાન્ત છે સ્વધા: પ્રિય, ગાવી નવ યજ્ઞની ઋચા.

(૨)

ગતની ભણી નેણ માંડતાં અટકંતી ગતિ ખિન્ન આપણી; પણ સન્મુખ પૂંઠ વાળતાં વહી જાતી ક્ષણ વ્યર્થ આજની.

કલમુંજલ ગાનરમ્ય તે રતિને ક્રીડન શર્વરી સરી, અલિગુંજન, પદ્મગંધ ને અરુણાની અહીં ઉલ્લસે તરી.

સુખ અસ્ત થયેલ તેહની સ્મૃતિનું યે નવ હોય બંધન; ઊઘડે ભવિતવ્ય જે અહીં વિલસંતું સુખને જ સ્પંદન.

રમવું પ્રિય મોકળે મન ટહુકી સાંપ્રત સંગ કેવલ.


છલનિર્મલ

૧. ઉન્મના

પશ્ચિમ-ક્ષિતિજ-તરુંકુંજને નિલય રવિ લીન. નભને વાદળ હિંગળોક રંગ મહીં મંદ મંદ ભળે રાત્રિની પ્રશાન્ત છાયા શ્યામ અંધકાર. મિલનઆતુર પ્રિયજનતણી, સખી, અવ મધુમય વેળ ત્યારે બારસાખને અઢેલી કોણ અંતરીક્ષમહીં માંડીને નયન શૂન્ય સમ નિજને એકાન્ત આમ બેઠી છો ઉન્મન? કહીં છો તું? પ્રિય ! કહીં? કહીં? અહીં સ્વરને હિંડોળે ‘થવા મૌનસર મહીં ક્રીડંત વાણીનાં ઝીલ્યાં તરલ તુફાન : ‘ધીર તવ ચરણને કાજ ચિત્ત રહે છે અધીર’ એ શબ્દતરંગ તણી છોળ હજી વાગી રહે શ્રવણને તીર. હે ગભીર ! આવી અવધીરણાથી સાવ હું અજાણ. પલક વિહીન બેઉ પાંપણની ધારે મૃદુ વહી જાય કંપ દ્રષ્ટિમહીં તોય નહીં બિંબ નહીં રૂપ, નહીં રંગ. કહીં છો તું? પ્રિય, કહીં? કોને અવધાન? વ્યતીતની સ્મૃતિથી વિષણ્ણ? આજને આંગણ અતીતનો અહાલેક તારી કને માંગી રહે કંઈ ભીખ? જાણે ઓછું કાંઈ નહીં તારી સર્વ રિદ્ધિ માગે હૃદય ને મન ! એવું તો નહીં વા પ્રિય ! અનાગતને ઓછાયે લહી રહી ભય? અતીવ દૂરનું લગોલગ શું નિકટ અણુ જેવડું તે ચંડ–મહાકાય તારી કલ્પનાની દ્રગને જ નય? તને આગત કેરો ન જાણે કોઈ પરિચય! નીમવૃક્ષ નીડ મહીં કિલ્લોલ કરંત શુકસારિકાનું ગાન વાતાયન થકી આવે ઘરની મોઝાર વળી વળી લળી અડી જાય તને તો ય રે તું કેવળ અજાણ! કહીં છો તું? પ્રિય, કહીં? કહીં રે ઉન્મન?


૨. નિવેદન

ભૂલ યદી હોય, ક્ષમાની તો અધિકારિણી હું; ભૂલ નહીં છલના કેવલ: સરલ હૃદય તવ, ખલ મન મારું, અમી તવ, મારું કુટિલ ગરલ. નહીં પ્રિય, અવ આલિંગન નહીં, નહીં આવ અધરનાં મધુમય પાન. આ માલિન્ય કેરા સ્પર્શ થકી હવે નહીં નહીં પ્રિય, તવ કરું અવમાન. મિલનને મુગ્ધ અવસરે પરિચય દીધ તે હું નહીં નહીં : મુખનું કલંક પ્રસાધનને આધાર ગુપ્ત રાખીને હું રહી. બહુ દિન થકી મને ધરું તો ય કહી જે ન શકી તે સકલ કથા આજે કહું, પ્રિય, અબોલ વ્યથાની ઝાળ દહે પલેપલ. આપણી પ્રથમ ઓળખાણ કોલેજના દાદરની મધ્ય પરથારના બે ચરણને સ્થાન. તમારું ઉપર આવવું ને ઉતરતી હું ત્યાં નેણને મિલન

હૃદયની અંધકારમય ગુહામહીં જાણે પ્રવેશ્યું કિરણ. નવોદિત દિન. સુષુપ્તિનો લવ નહીં ભાર, સ્વચ્છ હવા, સ્ફૂર્તિમંત અંગ અંગ: બહાર તો નિખિલને અવકાશ, અંતરે તો ત્યહીં સુણી રહું, રોમહર્ષ સહ, સુમધુર બીન. અજાણ્યા ઉલ્લાસે મન રહે વિચંચલ કંઠમાંહી ગાન, ગતિમહીં લાવણ્યની ભંગિ, નયને સ્વપન કેવળ તમારું ધરે ધ્યાન. એમ જાય દિન એક વેળ પણ નિત્ય દ્રગે ન્યાળવાને રહું કેટલી અધીર ! વિલસંત એ જ ભાવ તમારે નયન. સત્રાંતનું વન પર્યટન અભિસાર કાજે મને કેડી મળી ગઈ જાણે અતીવ સરલ.

વિહાર-તળાવ-તીર કુંજ મહીં આપણો મુકામ. સકલના સમૂહની મધ્ય કને સરી આવ્યાં પૂછ્યું નહીં નામ. પ્રસન્ન નેત્રને હેલે તમે મને દીધ એક ફૂલ; કંઇક મેં ધરી હતી દ્રાક્ષ, હથેલીથી તમે લીધ, પામી પ્રથમ હું સ્પર્શ અણમૂલ. મિત્રગણનાં તુફાન, વ્યંગ્ય, હાસ્ય, ખેલકૂદ સહુયની મધ્ય એકસૂત્ર આપણાં બે મન.

મધ્યાહ્ન ભોજન પછી કોઈ અહીં કોઈ તહીં ભેરુટોળીમહીં કરે ભ્રમણ, વિરામ. કોઈ ને કોઈ તે મિષે અવરને ટાળી રહ્યાં આપણે એકલ. અશોક તરુની મુકુલિત પર તવ રમંત અંગુલિ ભૂમિ પર આસીન હું ઝીણી સળી થકી ધૂળમહીં દોરી રહી’તી આકાર. મૌનમહીં જાય વહી ક્ષણ પછી ક્ષણ. કોઈ રે અજાણ આવેગથી કિંતુ ક્ષણે ક્ષણે ઉર મારું અધિક વિહ્વલ.

સહસા મેં કીધ: “જશું આપણે ય કુંજમહીં કહીં દૂર દૂર ?” મંદ મલકંત તવ મુખ પર છાઈ રહ્યું અલૌકિક નૂર. ‘સહુની સમીપ અહીં આપણું એકાન્ત.’ વાણી તવ સુગભીર શાન્ત. શતશત ફ્ણાને ઉછાળ અંગ અંગમહીં ધસી રહ્યું પ્રચંડ જે પૂર વિશાળ સાગરે ભળી જાણે બની રહ્યું એક રૂપ, એક સૂર. અદૂરે કાસાર જલ પર ઝૂકી રહેલ ગુલ્મની છાંયડીમાં થડને અઢેલી મૂળનું આસન કીધ તમે સન્મુખ શિલાએ મુજ સ્થાન. કિનારને સ્પર્શ કરી જતી વિચિમહીં મુજ ભીંજાય ચરણ; અલકલટને વળી વળી વ્યસ્ત કરી વહી જાય સમીરણ. અવકાશ જાણે સ્વયં અરવ શબ્દથી કાનમહીં કંઈ કહે એમ મંદ મંદ ફરકંત હોઠ થકી તવ વેણ ઝરી રહે: ‘હૃદયની સરલ રતિની સુષમાની દલેદલ તવ મ્હોરેલ વસંત, વાયુની લહર સંગ અનંતે ફેલાય એનો શુચિ પરિમલ; અંતરે હું લહું એનો અકલ અમલ.’ પ્રશાન્ત ઓજસે અભિભૂત હું ય ઝંખી રહી હતી તવ હાથ -મધુકર સ્પર્શ. કંઇક સોલ્લાસે, કંઈ હૃદયને ભાર, આમ હું યે વદી ગઈ: ‘આ સંસારે કુલના સ્વજનહીન એકલના શૂન્ય મનોવને આજ વાજી રહી વેણુ આજ હું રાધાનું ઉર જાણું, જાણું કેમ ઘેલી હશે ગોકુળની ધેનુ. ઝાઝા નહીં બોલ, ભરી આવેલ નયન. પરિણયતણી ધન્ય ઘડી વૃક્ષઘટા મહીં ડાળે ડાળે કીરનાં કવન. વાસરમંદિરે તવ આલિંગન કેરી શુભ ક્ષણે ધર્યો ગર્વ વિજયનું પર્વ ! મન મહીં થતું મને કેટલાં રહસ્ય સંગોપને ધરી સૃષ્ટિ રમી રહી સહુ કને ! કંઇક ઉઘાડ અને કૈંક આવરણ વશીકરણનું ધારે બહુ બલ. લાધી ગઈ જેને સ્વભાવ સહજ કલા આ સંસારસુખમાં ન એને કોઈ મણા! કલા નહીં કેવલ વિભ્રમ... આપણ બન્નેનું એક ઓઢણ બની રે’ એમ ગણી વણી લીધ જે વસન એ જ તે અંતરપટ સમ. એકાન્તે આ ઉરસ્થલે મૂકી તવ શીર્ષ અભેદને ભાવ, સ્નેહની સમાધિ મહીં તમે બની રહો લીન: શાન્ત નીમીલિત તવ નેણ આંનદ ગંભીર તવ મુખ, સોહી રહે આભાથી ઉજ્જવલ. શિરાએ શિરાએ મુજ પૂર્ણિમાની નિશીથિની વીળનો આવેગ ચહે તવ ગહન આશ્લેષ : ત્યારે અરે ત્યારે જ તે આટલી સમીપ છતાં દૂર અતિ દૂર લહું મને. મંદિરના શુચિ ગર્ભગૃહે નિવેશિત છતાં અભાગિની હજી ય અસ્પૃશ્ય ! અસહ્ય છે ઇહ અવસ્થિતિ હૃદયને પલે પલ દહી રહી આગ વીંધી રહી તીક્ષ્ણતમ દ્રઢ શૂલ. સત્યને મેં રાખ્યું અપિહિત તવ સંસર્ગનાં રશ્મિ થકી આજે હવે એનું હઠી જાય આવરણ. અવિહિત યોગના લાંછન ફલ રૂપ હું છું વિધવા નારીની એક સૂતા: ઘર ગામ છોડી તીર્થ સ્થલે નિલયને દિન ગાળી રહી જનેતા એકલ જાણું નહીં કોણ, કહીં પિતા...

એકદા પુષ્પિત યૌવન તથા આદિમ સમયે જન્મતણી ઇહ કથા કહી’તી મિત્રને એક, મુગ્ધ ઉરના વિશ્રંભ થકી.

સાહચર્ય શૂન્યતામાં જેનું પરિણામ ભવ કૈતવનો જેને કારણે પ્રભવ.

જે કંઈ પ્રચ્છન્ન રાખ્યું હૃદયની મહીં આજ લગી સર્વ કરું સમર્પણ: ભય નહીં, છલ નહીં, વિજયનો ગર્વ નહીં અવ અકિંચન. જાણું પ્રિય, સુકોમલ મર્મસ્થલે પ્રચંડ હું મૂકી રહી ભાર, તો ય તે અપાર કરુણાથી તવ નેત્ર ઝરે અમીની જ ધાર. જવા દો, જવા દો, નાથ. નહીં અધિકાર મારો અહીં લવ લેશ પરિતાપની પાવનકારી આગ મહીં મને થવા દો નિ:શેષ.

૩. આવ અહીં

રાત્રિના સધન અંધકાર મહીં નહીં કોઈ કેડી, નહીં દિશ. કહીં જશે, પ્રિય ! કહીં? આપણી એકાન્ત કુટિરની મહીં ઝળહળે અવિચલ દીપ આવ અહીં, આવ અહીં.

વ્યતીત-સ્વપ્નની ભયાવહ સ્મૃતિની ગુહામાં પ્રિય, નહીં કીજિયે પ્રવેશ અહીંનાં પ્રશાન્ત અજવાળે નિ:સંશય આવ નયનને નવીન ઉન્મેષ.

ગત જે પૂર્વને ભય લયમાન અવ નહીં એની કોઈ કથા, નહીં વ્યથા... કેવળ વિસ્મૃતિ આવ હે, આનંદ કેરી શ્રુતિને મધુર સૂર ટહુકંત અભિનવ ઋચા.

અનલગંગાને જલ સ્નાન કરી નીતરંત ઊભી તીર પર તુષારબિંદુથી તવ દ્રગ છલ છલ મહીન અંચલનું એ આવરણ નહીં હે મૃણાલ મનોહર ! અરવ લાવણ્ય તારું વિમલ વિરલ. કર મહીં દીજે તવ મૃદુ કરતલ આવ અહીં આવ અહીં હૃદયને સ્થલ. મેડીને એકાન્ત

નિદ્રિત પ્રાંગણ-તરુપર્ણ અંધકાર ગહિર કરંત ઝિલ્લિરવ મહીં શેરી અવ શાન્ત. મેડીને એકાન્ત ગોખ મહીં લઘુ એક દીપ વિકિરંત મંદ મંદ તેજ :

આછેરાં સાધન તો ય તેજછાયા તણા ભૂમિ-ભીંત પર વિચિત્ર કંઈ અંકાય આકાર આમ તો સઘન તો ય હવાને હલન એની લયલોલ કાય, સ્વપ્નમયી સૃષ્ટિનાં રહસ્યમય પાત્ર કેરી પ્રગટંત ઝાંય.... બારીને ગગન- કાચથી મઢેલ છત મહીં જાણે- શગનાં અગણ્ય પ્રતિબિંબ જાગામીઠીને તરંગ કરે જાગરણ.

નેત્ર મહીં કોઈ મધુગુંજનનું અંજાય અંજન

સોપાનશ્રેણીએ વાજે ઝીણી ઝીણી નેપુરકિંકિણી શિરનો સકલ ભાર ચરણે લહાય પણ સમુત્સુક મન સંગ સરલ સ્વભાવે તાલ દેઈ રહે ચાલ

પલને હિલ્લોળે શ્વેત સેજની પાંગઠે સરી આવે સંસારિણી. અહીં સ્પર્શને ગહને શબ્દ પામે વિલોપન નિત્યને મિલન વ્રીડાનું ન આવરણ- પ્રગલ્ભ મુગ્ધતા.

તેજતિમિરના શાન્ત સાયુજયની આભા મહીં મલકંત લહું એનું મુખ લહું એને તન ઊંડી રતિના આવેગ કેરી લહર-ભંગિમા.

પરસ્પર થકી બેઉ દિનભર દૂર. સીમને ખેતર, જનપદને બજાર નિત્ય સાધને વા અસાધને વહું કર્મભાર ઋતુની ટાઢક, ઝાળ, ઝડીને ઝીલંત. ઘરને સંસાર ધર્મે એનું યે તે જીવન જટિલ. ઉભયની સમસ્યા સમાન. શ્રાન્ત ભાલે કૈંક એનું અંકાય લાંછન ભીનાં તે ચુંબન તણી માર્જનીથી કિંતુ સહજ શોધન. ધડકંત ઉર તણી હૂંફ મહીં અંગ અંગ પ્રાણ, મન જીવિતવ્ય પ્રફુલ્લ પ્રસન્ન.

દ્રગે દ્રગે આંહી ઉદ્દીપન ગોખનો દીપક કૃતકૃત્ય જલતી જ્યોતિનું અવ સ્નેહ મહીં થાય નિમજ્જન અંધકાર નહીં અહીં દ્વયનો વિલય.


સ્મરણ

મેઘને ગોરંભ છાયું અષાઢગગન. જલની ઝર્મરભીનો ભમે ધુમ્રશ્યામ સમીરણ : અડૂકદડૂક ભરે અહીં તહીં ફાળ, તરુતરુ કેરી જાય ઝુલવીને ડાળ, પાંદની પડાળે લપાઈને વિહંગમ બેઠાં મીંચી નિજ આંખ ડયનને કાજ એની ખોલી દિયે પાંખ; ધરિત્રીના ધૂળનો ય બદલાય રંગ, ઝૂકી ઝૂકી ઝીલી વહી રહે એની ગંધ.

એકાન્ત ઘરની ઓસરીના હિંદોલપે ઝૂલી રહું મંદ મંદ; પગને અંગુઠે માત્ર અડી ભૂમિઅંગ. નયને લહાય એની નયને જ છવિ નહિવત્ છાયા એની વિકલ્પ વિહીન મનમહીં. સહસા પ્રાંગણથી જે દૂર તે સકલ પામે લય નીહાર-નિહારિકાને ઉર : કોઈનો યે રહે નહિ પરિચય. અતીત લોકથી ત્યહીં આવે મૃદુ ગાન અરવ બોલની મધુરિમા લહે અતીન્દ્રિય કાન. કોણ તે અતિથી આવે આજ મારે ભવને તેજને તોખાર આવે કોણ તે સવાર? વ્હાલી એવી વાતની વધાઈ દીધી પવને ઊજળી રેણુ જો ઊડે નભની મોઝાર. ચિર પરિચિત લય, લયનો લહેકો, સૂર, શબ્દ... કરે હૃદય વિવશ !

ભાવને ઉછાળ, હે લોકાન્તરવાસી ! તને ઢૂંઢે મુજ આતુર નયન : ક્યાંય નહી રેખ, વર્ણ; માત્ર સીમાશૂન્ય આ ગગન. અતીવ આકુલ મુજ પ્રાણ આવેગથી જાય ધસી એક સૂક્ષ્મ સૂરને સંધાન. અનંતનાં અગોચર નિરીહ ગહન... શી ભર્ત્સના ! પરિશ્રાન્ત પ્રાણ : પામે સહજ મૂર્ચ્છના. વાંકી આ કેડીની આડે રૂખડાં હજાર તો યે નજરું મંડાય રે જઈ અણદીઠ તીર, પુરાણી પિછાણને અણસાર લિયે આળખી ને હેતની છોળ્યુંમાં ભીંજે ઝીણેરું મલીર! શિરને કુંતલ પ્રિયની અંગુલિ રમે એમ રમી રહે શ્રવણમાં સૂર : અહીં કહીંથી જ એનો ઊગમ અદૂર. કંઇક પાંપણ કેરી જવનિકા ખસે અને બકુલતરુની છાંય મહીં આનંદવિભોર તને લહી નીલનિકુંજના એકાન્તમાં ગીતને ગુંજન ગૂંથતી બે સેર તણો એક ફૂલહાર મહીં મહીં શોભનને ગુચ્છ સુકુમાર. એ મધુ ગંધનો રાગ ઝીલી વેણું મહીં મેં ય રેલ્યો વનેવન, આપણા હૃદયને કંપન નિખિલનો લયલોલિત પવન ! નયને નિવારી દૂરતા સમૂળગી ને અળગું તે વસિયું છે આજ મારે ઉર: આદિનાં બિંદુમાં આવી શમિયાં, સંસાર કેરા સઘળા ઘેઘૂર સૂર, પચરંગ પૂર.

નયને નયન... પછી કાંઈ ન લહાય એવાં આપણે બે જણ. એક જગનું અવર ત્યહીં વિલોપન છેક. નહીં દેશ, નહીં કાલ હૃદયને એક માત્ર તાલ અનાહત છંદ...

ત્યહીં પ્રશાન્ત આનંદ! સહસ્ત્ર વર્ષની નિદ્રા કેરું જાણે સરે આવરણ... કમલની શત શત પાંખડી ખૂલે ને ઝીલું તેજનાં ઝરણ. ફરીને હું નીરખું નિખિલ : વરસી ગયેલ ઘન; ઊજળાં પ્રકાશ, તરુપાન, નભનીલ. ઘરની ઓસરી એની એ જ ઝૂલણે હું ઝૂલું સ્હેજ સ્હેજ... સૂનું તો ય લાગે, સૂનું, પ્રિયની વિદાય... ક્ષણને આંગણ આવી ગયું રે અતીત એની જલમાં ન પગલી જણાય.


ગ્રીષ્માંત

અપરાહ્ન આતપ્ત કુટીર થકી આમ્રઘટાતલે મૂકી આરામખુરશી આસીન હું ઉદાસીન મને. ગ્રંથકથા તણું રહ્યું અધૂરું શ્રવણ :

	અચ્છોદ સરસિજલ તૃપ્ત  સુપ્ત રાજપુત્ર

શ્રાન્ત ભાલે મુગ્ધ વનપરી, મંદ વાયુની લહર જેમ, લળી લળી સુકોમલ સ્પર્શ તણી શાન્તિ લહે ગુપ્ત અનુસંધાનને સૂત્ર નેત્રને ફલક રમી રહે ચલચિત્ર :

સહસા કુમારની જાગ્રતિ મધુક્ષોભ મિલન ને પરિણતિ. કથા અહીં પૂર્ણ.

શૂન્ય નયન અતંદ્ર નભ મહીં નિરાધાર આનંત્યમાં લીન : અર્ધ નિમીલને યદિ ન્યાળે ધરાતલ મરીચિકાજલ કેરે આછેરે તરંગ જાણે અચંચલ મીન. રવ-મર્મર-વિહીન અસીમ એકાન્ત; મહાકાલ ગતિહીન કલાન્ત. શ્વેત ચારેગમ શ્વેત અગન અગન નીલ પર્ણપુંજ થકી ફરકંત નહીં વાયુ નહીં રે વ્યજન.

આ નિદાઘ મહીં મધ્યદિને ઉર્વીથકી અંતરીક્ષે ભમરાળ ભ્રમણમાં ડંમર જે દોડે નિત્ય પાગલ ઉન્મન -દગ્ધ અંતરમાં ધરી રહી કોઈ અદમ્ય ઝંખન - નહીં એ ય દ્રષ્ટિ મહીં ક્યાંય... તરુચ્યુત પિંગલ પત્ર કે છિન્ન ધૂલિકણે સ્વપ્ન એનું શયિત માર્ચ્છિત. કવ કોણ ઇન્દ્રવન કેરી અપ્સરાનો પ્રહર્ષણ મળે સ્નિગ્ધ સંજીવનસ્પર્શ અમીવર્ષણની તુષ્ટિ પરિચ્છન્ન મર્મ....

સહસા બખોલનીડ થકી ઊડી આવી ચકયુગ્મ પૂર્વ ભણી પ્રલંબાતી છાયા મહીં ક્રીડન આનંદરત કરે ધૂલિસ્નાન (અંગ નહીં મ્લાન) પાંખ પાંખની પ્રમત ઝાપટને રવ રજનો ગોરંભ ક્ષુદ્ર

કિંતુ લાગે ચિત્તને હિલ્લોળ કાળને પ્રવાહ દૂર દૂર અતીતને પ્રાન્ત વહ્યે જાય સ્મૃતિ-ઉડુપિની :

દુર્દાન્ત યૌવન : પરિચય નહીં તેની અદમ્ય પિપાસા થકી વિહ્વલ અંતરે જનાલયે ઘનારણ્યે નિરંતર પરિભ્રમણ ઉદ્યત. કોઈ ક્લસૂર મધુગંધ છન્ન લાવણ્યની સ્વપ્નમયી છાયાનું અંજન કરે આકર્ષણ -અશ્વખુરા થકી વિદ્ધ ધરિત્રી આ મૃણ્મય અશ્મર નહીં તો ય સિદ્ધિ અગોચર સ્થાન પરાભવ માને નહીં અભિમાન પ્રદીપ્ત અગ્નિનું આજ્ય બને જીવિતવ્ય ક્ષણે ક્ષણે ક્ષીણ લયમાન ત્યહીં અર્ચિપુંજ થકી પ્રભવંત અનન્ય સુંદર પ્રતિભાન શાન્તિ... ઋતુક્રાંતિ.. ‘શી મધુર તંદ્રા મહીં મગ્ન? કને કોણ આવી ઊભું એથી અણજાણ?’ ઊઘડતી આંખ લહે સ્વપ્ન જાગ્રત એકાકાર. કટિ પર ધરી લઘુ કુંભ, અંગને ત્રિભંગ, મંદ મંદ સ્મિત ઝરી મંજુલભાષિણી કહે, ‘લિયો શીત જલ’ એ જ તે સમય સ્વેદસિક્ત તરસવિહ્વલ કોઈ શ્વાન ઢુંઢે અહીં આવી ઢળ્યા પાણીનું પલ્વલ નહીં ક્યાંય.... કુંભ થકી ભરી દીધ પ્રાંગણની ઠીબ સદ્ય એને પાન અમીની નજરે ઉભયને જરા લહી રહી પશુ કરી જાય છે પ્રયાણ. અચિંત વાયુની વાગે છોળ દૂરની વૃષ્ટિનો મળે જ્વરહર સુશીતલ સ્પર્શ સિકત ધૂલિના પ્રથમ ક્ષોભનો રેલાય પરિમલ અવ અંતરીક્ષ મહીં વિહંગવિહાર બર્હીકંઠનો પ્રસન્ન ટુહૂકાર દિગન્ત ગાજે છે દુંદુભિથી ઘન ઘન ઘેરાય ગગન... ઝીણેરી ઝર્મર થકી સ્તિમિત નયન.



ઐકાન્તિક દિન

જુવારજલ તરંગહિલ્લોળે ઘુર ઘુર કરી હારોહાર આવે વારવાર પુલિને ઉચ્છલ.

ઉન્મત કિલ્લોલ અંગથી ઉછાળી જાય ઊંઘ-આવરણ ! બોલે: ‘ખોલ, દ્રગ ખોલ!’ અરુણ કિરણે નીલ ગગન અમલ સોહે જલ, થલ તરુપર્ણ, તૃણ, ધૂલિકણ; વનકુંજમહીં કહીં અણદીઠ ગાય બુલબુલ નવ જાગૃતિનું, નવ ખેલનાનું કંઠભર ગાન અહીં લોઢને હિંદોલ રમે ગલ.

વળી વળી ભીને વાન વાયરાની લહરી કરંત મૃદુ સ્પર્શ -સુકુમાર શિશુ તણા જાણે કોટિ લાડ-

અમથાં યે જાણે અડપલાં : પારિજાતની મધુર ગંધની સંગાથ ધરી લાવે મ્હેરામણ કેરો લવણ પ્રસાદ : તારનાં તુફાન તો ય રમે લળી લળી !

સહુનો આવે છે ઓરો સાદ ત્યારે મન મારું બની રહે નિજ માંહિ લીન એવી કોની આવે યાદ? અગોચર કુહેલિકા મહીં લયમાન નિખિલનું સર્વ કોઈનો યે કોઈ નહીં જાણે પરિચય -વૃન્ત વિશ્લથ પર્ણ- ઝળુંબે આછેરો ઘેરો એનો અવસાદ, ધૂંધળો વિષાદ !

આમ ને આમ જ વહી સવારની વેળ વણમેળ. લય સ્થિતિનો આખરે ઊતર્યો અમલ નિતાન્ત એકલતાની શૂલ તહીં વીંધી રહી ઉર પલેપલ. આ વાર મધ્યાહ-નિખાર દૂરની ક્ષિતિજે લુપ્ત સાગર-તરંગ-પરિવાર. હવાનું યે નહીં સંચલન વનવિહંગના ટુહૂકારનું યે અવ નહીં લવ આંદોલન. ક્યાંય નહીં ગલ શિલાને પથાર કોઈ કરચલું અહીંતહીં દેખાય કેવલ. અવિચલ આંહિ એક તાપ કણે કણે લહું મૂર્તિમંત જેમ બિંબ ઝીલે ખાપ.

અસીમ એકાન્ત મહીં ભમે મારું મન કોઈનો શોધે રે સંગ, પરિષ્વજન, વ્યજન; નિખિલ જણાય ખાલીખમ ભમી ભમી વ્યર્થ આખરે મુકામ ભણી આવે લથડતે ડગ શૂન્ય સમ.


ફરી સંધિકાળ સાગર ભરતીજલ અકુંઠીત આકર્ષણે કરી કોલાહલ આવે ઉરને ઉછાળ ભરી ફાળ. મૃદુલ આવેશમય આવે સમીરણ માલતી-કુસુમ-પરિમલથી વિકલ આલંબન ચહે ચહે જાણે આલિંગન. આરક્તક પ્રતીચીવદન શ્યામલ વાદળઅંચલની માંહી સૂર્ય અવ લુપ્ત : મિલનમૂર્ચ્છના તણી શાન્તિ, શાન્તિ ... ઊઘડતું જાણે સ્વર્લોકનું સદન ! વ્યોમઊંચી તરુડાળ થકી કોઈ ગાય છે તેતર -એકતારે ભાવિકનું રેલાય ભજન. ઘેરાય ઘેરાય અંધકાર શત શત તારક દ્યુતિનો તહીં થાય રે સંચાર. ચોમેરનું સર્વ એનું જ ને છતાંય રૂપ ધરે છે ઈતર ! સીમાઓનું જાણે સંકોચન : સકલની ભણી વહે અબાધિત પ્રીતિ મુજ મન પામી રહે પિંજરથી વિમોચન ! ત્યહીં તો નિદ્રાનું મળે નેત્રને ઈજન ! પાંપણમાં પ્રગટત ઋજુ ઋજુ ભાર; કર ધરી જાણે ગ્રહી જાય નિરાકારને આગાર.... સાગર, લહર, પેલી ગંધ, પેલું ગાન ગમતું ઘણું ય ઘણું કિંતુ અવ લેશ ના સમય પ્રહરઝાલર કેરા રણકાર સીમાન્તમાં શૂન્ય.... નહીં કંપતો પવન ઇહ લોક મેલી સરે અવર પ્રદેશ મારું મન.


ક્ષણને આધાર

કૉફીકપ કેરી આ વરાળ લયની લલિત ગતિ જેમ કરી ઊર્ધ્વ મહીં આરોહણ અંતરીક્ષ મહીં સદ્ય પામે તિરોધાન બારી બ્હાર શાખપ્રશાખાએ પ્રૌઢ ઉદ્યાનબકુલ પર્ણે પર્ણે પદઠેક લઇ પુષ્પગંધન મહીં કરી નિમજ્જન પ્રમત્ત સમીર લથડબથડ જાય વહી નિરંકુશ (ધીરી અડફેટે અડી લેઈ મુજ અંગ) અણદીઠ રહી ક્યાંક બોલે બુલબુલ (વિચંચલ પાંખ પર રમે ઋજુ ગાન) સમયનું લઘુ ઘૂંટ મહીં સ્વાદ્ય પાન.

નીલિમ ગગન માહિં નિમીલિત નેણ

ખળખળ વહે રમે ગિરિમંદાકિની અંજલિનું કીધ આચમન હૈમવતીને શીતલ સ્પર્શ અનુપમ કોઈ સ્પંદનું સ્ફુરણ. દ્રષ્ટિ મહીં કેદારશિખર (શૈલશ્યામ તનુ પર શ્વેત જટાજૂટ) સંમુદિત મન... સરુવન વીંધી જાય દૂર દૂર અધરાય કેડી એક તુષારઉજ્જવલ

એકાન્ત એકલ એને સંગ-સંનયન ગતિ કરે છે ચરણ. પદે પદે પૃથ્વી થકી પર જનપદ કુંજ સહુ બને બિંદુલીન અભ્રપુંજનું યે અવ નિમ્ન આવરણ ત્યહીં ધવલ તુહિન રંગ ધરે છે કષાય, ક્યહીં નીલ ઝાંય : તેજોમય શાન્ત-આત્મલીન-વર્ણ કેરું અપ્રતિમ પાર્વતી લાવણ્ય ! હૃદિરમ્ય.... ત્યહીં નિમેષ વિહીન નેત્ર થકી સરી જાય હિરણ્મય અપિધાન કેવલ પ્રકાશ ભાસમાન : નહીં અદ્રિ, નહીં કેડી, નહીં મુજ દેહ; અસ્તિ અરુ ભાતિ અસંદેહ. સહુ ઔર થકી શ્રુતિહીન કોઈ ધ્વનિ કોઈ આનંદગુંજન ! શિશુકોલાહલ કને આવી ઊભો સતુ કહે : ‘બાબા, જુઓ મારું માટીનું આ ઘર.’ અન્ય બાજુએ રાજેશ :’કાગળનું મારું આ વિમાન.’ મેજની ઓ પાર ઓષ્ઠ બંધ કરી ઊભો ત્રિલોચન નીરખી રહેલ નિજ લોહપત્તી કેરું અસ્ત્રયાન. અવશેષ કૉફી તણું પાન કરી રહું ત્યહીં વદંત રાજેશ : કહો બાબા, કિયું બેશ?’ એ જ પ્રશ્ન રમી રહે અન્ય બેઉ બાળકને વેશ. સહુને સ્વકીયનું મમત્વ. ‘નાનું તો ય ઘણું મને ગમતું આ ઘર.’ સતીશ પ્રસન્ન. પેલા ચંદ્રતારકના લોક મહીં લઇ જશે તારું આ વિમાન?’ હર્ષને આવેશ કહે રજુ : ‘બાબા, બાને ને બધાંને લેઈ આકાશગંગાને ઘાટ કરું ઉતરાણ.’ માર્ગ મહીં અકારણ આવે કંઈ વિઘ્ન મળે દસ્યુદલ મળી રહે ભીષણ દંગલ તે વેળ આ અસ્ત્ર થકી ભેદાય સમગ્ર અવરોધ થાય પરિત્રાણ....’ તેજ વિકિરંત ત્રિલોચન.

રસોઈઘરથી ત્યહીં ગૃહિણીનો આવે ટહુકાર નિરાધાર મેલીને વિવાદ નિજ વસ્તુ લેઈ સદા દોડી જાય બાળ.

ત્રણ થકી ભર્યું ભર્યું અત્રિનું આંગણ ! નિબિડ અરણ્ય મહીં એકાન્ત કુટીર ને હું લીન નિજને સ્વભાવ પરિચર્યા કરંત પ્રકૃતિ....

ત્યહીં અતીન્દ્રિય ને અકાલ રૂપ ધરી રમી રહે ગુણને ત્રિતાલ. અતીતે સાંપ્રતે ભવિતવ્યે વિવર્તને એ જ ગતિશીલ

ક્ષણક્ષણને આધાર આવિર્ભાવ પામે ચિરંતન ઉષ્માભર્યા અભિનવ રૂપને સૌંદર્ય.... વાતાયન થકી ત્યહીં સ્પર્શ કહી રહે બાલરવિનું કિરણ બકુલતરુની ડાળ પર ઝૂલી રહી ભર્યે સૂર બોલે ઝીણું બુલબુલ સુનીલ લાવણ્ય મહીં આનંદની રેલી લાલ ઝાંય હસી રહે સદ્યજાત કિસલય.


આગતને

આવ ભાઈ, તું યે અહીં આવ. ખાલી નહીં ખોલી અહીં વેલ ફલવતી, અહીં બહુ વનસ્પતિ નિબિડ છે વન અહીં પશુ, અહીં જન આમ તો ન ખાલી અહીં કાંઈ તો ય આવનાર બધાંયને કાજ, ભાઈ ભલી રહે ઠાંઈ.

સહુની યે જુદી જુદી ચાલ સાજ એક નહીં નહીં રાગ એક એક નહીં તાલ નિજ નિજ નાદે રમી રહે નિરંતર એને શ્રવણ ઝિલાય નહીં રવ કો અવર. અવ, ભૂલી ભય; ભલે નહીં પરિચય. આટલા આકાર, આટલા વિલોલ વર્ણ -મહીં એક નવું પર્ણ. આવકારની ન તને, લહું, લવ તથા મેળા મહીં કહીં એવો ભળી ગયો તું ય અવ તારી અવરથી નિરાળી ન કોઈ કથા !

શ્વાનસંત્રી

વ્યતીત રાત્રી ઠીક ઠીક શીતલ હવા હવે નિશ્ચલ અંધકાર પોઢી રહ્યો ભૂમિ અને ભરી નભ.

નિતાન્ત શાન્તિ ત્યહીં શ્વાન (મારી કને સૂતેલો) કણસે, ભસી રહે. અંધાર માહીં અણસાર કોઈ ના આકાશમાં તારક અર્ધનિદ્રિત.

ને શ્વાનનો સતત શોર આટલો ! વળી વળી હું નીરખું ગલી મહીં ને કોઈ ત્યાં, કોઈ દિશા મહીં ક્યહીં ! જરા કંઈ મર્મર શુષ્ક પર્ણની હવા હશે, પન્નગ વા વિહંગમ ‘થવા કશું યે નહિ ને છતાંય તે આ શ્વાનનો શોર !(ન હેતુહીન !)

સંચાર કૈં વાયુ તણી લહેરમાં બીજું કશું યે નહિ ત્યાં સમીપની કુટીરના દીપકનો અનાવૃત પ્રકાશ ઓળામય હોલવાય. ને વારું તો યે પણ શ્વાન માહરો હજીય તે ક્રુદ્ર હતાશ ક્રંદતો. એની કરીને અવહેલના ફરી નિશ્ચિત હું લીન બનું સુષુપ્તિમાં. સવારના કોમલ વાયુસ્પર્શથી જાગું, કને જોઉં સૂતેલ માહરો સાથી પણે દ્વાર કુટીરનું રહ્યું જૃંભાશું વિસ્ફારિત.... નિત્ય જેમ આવે નહીં સૂર પ્રભાતગીતના કર્મણ્યકિલ્લોલ ઝરંત કંઠના... સાશંક હું સાદ કરું ન ઉત્તર. અવાજથી હું નીરખું ફરી ફરી. ન કોઈ આ પિંજર મેલી આમ જ પ્રયાણ હંસે કીધ રાત્રિને વિષે.

હું શ્વાન બાજુ અવ શોચતો લહું એ તો અવજ્ઞા થકી મૂક ઘોરતો પર્યંકની પાંગઠની કને હજી.


પ્રભાત

સુકોમલ સવારના કિરણસ્પર્શથી સ્વર્ણિમ પ્રસન્ન ઇહ સૃષ્ટિ, ઓસ-જલ-ઝાલકે નિર્મલ: સમીર લહરે તરંગમય સ્ફૂર્તિ ઉત્સાહની.

અહીંની કંઈ શ્યામ ધૂલિ મહીં, વૃંદમાં, ચાસની અવાજ-કલ-ખેલના સુખદ, ને ત્યહીં ઘાસની કને શશક ભીરુ કૌતુકભર્યું રમે ચંચલ.

તળાવપથ આવજાવ : પનિહારીનાં અંચલ ઊડે નયનરમ્ય ઇન્દ્રધનુરંગમાં : ઉજ્જવલ ધરેલ ઘટ, નેપુરે લલિતબાજતી શિંજના.

પ્રકાશ તણું હોય તેમ ધણ ગામનું સીમનાં વિશાળ બીડગોચરે ધસત, ગોપબંસી તણા દિગંતભર વાય મુગ્ધકર સૂર નૈસર્ગિક.

અહીં તહીં પતંગ, ફૂલ ઊઘડેલ ભીને દલ : પ્રસન્ન મન ગીતગંધમય પંછિ શું પિચ્છલ.


ગગન ઘનથી ગોરંભાયું

ગગન ઘનથી ગોરંભાયું વિભોર અષાઢનું: લહર મહીં ના ઘેલી, વ્હીલી હવા જલશીતલ. દ્રુમથી નીકળી વ્યોમે માંડે વિહાર વિહંગમ, મયૂર ટહુકે, જાણે હૈયું દ્રવે અનુરાગનું. દડમજલની દોડાદોડી નહીં, નહીં ગર્જન : અવનિ તણી વાણીમાંયે ના અધૈર્યની મર્મર.

અહીં તહીં કુણી દુર્વાસોહે, ન તપ્ત મરીચિકા. સકલ તણી તૃષ્ણાને લાધી સુધા પરિતૃપ્તિની. જીવ કંઈ રમે છાયા માંહી લહાન શિલીંધ્રની, તરુપરણના તંબુ માંહી નંચિત પિપીલિકા. સરવર વિષે આછે આછે ઉઘાડ ખીલી કળી, ભ્રમરમનનાં ગાણાં સાથે સુગંધ રહી ઝરી.

પ્રિયમિલનની વેળાની આ બધે લહું રમ્યતા ! નત નયનની નીચે નેહે લસંત પ્રસન્નતા !


અચલ નયને

અચલ નયને ન્યાળુ છું આ ધરા, વન, વ્યોમ તે લ્ય સહજમાં પામી રે’તાં અશેષ બની, ત્યહીં અનહદ તણાં ઊંડાણોનો પ્રશાંત લહું નિધિ નહિવત શમે જે, વ્યાપે જ્યાં અરૂપની શૂન્યતા.

અહીં વિષયની કોઈ રેખા નહીં, નહિ રે છટા તરલ દ્યુતિના રંગોની યે, અહીં નહિ વૃત્તિનો ઉદય, મન નિર્વાણે પોઢ્યું, અભાવ ન ભાવનો, અરવ લયની લ્હેરંતી હ્યાં પરાત્પર સંમુદા.

સમયથલનું જેને સ્પર્શે ન લેશ નિયંત્રણ, અચલ નયને પામું હું તે ક્ષણો શી વિલક્ષણ !


સાયંસંવાદ

વિટુઈ વિટુઈ વિટ્ ટવીટ્ ટવીટ્ શાન્તિ શાન્તિ

સોનલ તરણિ ક્ષિતિજની પાર દ્રગ બ્હાર

પ્રતીચી પાંડુર લાલ

ઝરે એક તરુ પર્ણ

વાયુને કોમલ કરે સકલને અંક લઇ આલિંગત નિશિઅંધકાર


ચૈત્રનું પ્રભાત

શીતલ સવારનો સમીર

ઓસજલ સ્નપિત વસુંધરાને અંગ ઝીણું વાદળનું ચીર

કુંદની સુગંધ ભૃંગ રવ શ્રુતિ મંત્ર

અવધાન-નત-નેત્ર નત-કૈંક શિર

ત્યહીં વરેણ્ય ભર્ગની તર્જનીથી સૂર્ય ચિબુકને કરે મૃદુ સ્પર્શ

ક્પોલની સ્નિગ્ધ અરુણાઈ

કુંજમહીં વિહંગની વાજે શરણાઈ


અલસ ગ્રીષ્મ

ગ્રીષ્મ નભ નીલ

ઇતસ્તત: ક્રુંદ ધવલ અલસ બાદલ

અણવીંઝી પાંખને વિહાર એક વહે કૃષ્ણચીલ

મન મારું ચલ અચલ સકલ ઝીલનાર નિસ્તરંગ ઝીલ


દાંપત્ય

ઘુઉ...ર ઘુઉ...ર ઘુર ગળામાં ઘુંટાય સૂર

ક્યારની રમે છે આહિં ઝરુખે કપોત જોડ. પૂરાય કે જાગે એના ક્ષણે ક્ષણ કોડ ?

અંગ જાણે અષાઢ બાદલ ચાંચમૂળ શ્વેત લીલી ડોક લોચન ચરણ લાલ અને ક્યાંક શ્યામ રેખ

પાંખે પાંખ મળે મુખે મુખ અહીં તો બે અહીં ને ત્યાં જાય તો બે જાય એમની તે સંગ જાણે ઝૂલણે ઝૂલે છે છ યે ઋતુમંત કાલ

ઘુઉ...ર ઘુઉ...ર ઘુર ગળામાં ઘુંટાય સૂર તરસું છીપાય તેમ ઝાઝુ તલસંત ઉર


પડદો

કુટીરના બંધ દ્વાર વાતાયને જવનિકા જન વન વ્યોમ સહુ મેલી દીધ બ્હાર

અવ તો અવર કોઈ અહીં નહીં... એકલ હું - મુગ્ધ મારે છંદ ભંગ ફાવે તેમ છેડું બીનતાર

સમીરલહરને ય કશું કુતૂહલ ! અહીંથી કે તહીંથી એ ડોકાય તરલ સંગમહીં રવિતેજ ઝૂકી જાય સ્હેજ ‘ખલ’!

દ્રુમપુંજ થકી અટ્ટહાસ્ય-કોલાહલ શૈશવસરલ ચહુગમ ધ્વનિ એનો જાગે વારવાર અનિવાર

એકાન્ત ન શાન્ત નહિ સહ્ય ભૂર ભાર મૂક બીન આ રે વિંડબનારવ અવ એના કંઠ કેરો અનાવૃત પૂર્વ-પરિચય (અનાહૃત સકલનો સ્નિગ્ધ અભિનય)

સ્મૃતિ... સ્ફુરે સ્મિત જાગે પ્રીતિ...

ઉઘડે હૃદય શતદલ નહિ જવનિકા નહિ કુટિર દુવારને ય કોઈ કળ

પુનરપિ બ્હાર ચારિઔર સંગ મુજ વિશ્વ સમુદાર


કાલ

આજ રે સ્વપ્નમહીં દીઠ

એક પંથ એક અણજાણ અને એક તે હું એક દિશ ભણી એક ચાલ

સામેથી આવતો કાલ

કહે અણજાણ ઓ રે કાળુંઘોર મુખ ભૂંડુંભખ વિકરાળ

ને મેં જોયો લાલ બેઉ કરથકી વેરતો જે ગુલાલ ગુલાલ


તડકો અને ખીસકોલી

ગ્રીષ્મના માધ્યાહ્નનો તડકો ગલી રોકી રહ્યો ચોખૂણ કો નહિ આવતું જાતું અરે ટહુકાર માગણનો ય છેલ્લો ક્યારનો- ઢોળાયેલાં પાણી સમો- આ રૂદ્રની ઉતપ્ત શાન્તિની માંહિ ક્યાંય વિલુપ્ત....

નીરવ લૂ વહે કોઈ વિજેતાની કડક સત્તા સમી

અભિભૂત સર્વ નિવેશને પર્યંક તનના તાપને- વાતાયને ભીના કરી ઢાળેલ ખસના ચકથકી જે આવતી શીતલ સુગંધભરી હવાની લ્હેર, એના વ્યજનથી- શમવી રહે... જાણે ઘવાયેલા અહંને સ્મૃતિવિહોણી નિંદના એકાન્તમાં અજ્ઞાત દીધો વાસ... પણ

સહસા ત્યહીં ખેલાસહજ પડકાર શો જાણે હસન્મુખ નાની ખીસકોલી (ધરી બે ચરણમાંહી મગફળીનું ફોતરું ફોલે) રમે ઘર ટોલડે

અનિરુદ્ધ એના શોરનાં શર અડગ ને દ્રઢહોઠની આ રુદ્ર કાયાને કશાં વીંધી રહે સો સો સ્થલે વીંધાય મર્મ, અરે અડીખમના ય ધ્રુજે ચર્ણ

ઘરની છાંયડીએ પુન: પગલું માર્ગમાં મૂક્યું...

ઝરુખે બાળ કો ઝૂક્યું ભરીને અંતરીક્ષ સમસ્ત દ્રુમનું પંખી કો ટૌક્યું


અસ્તોદય

સાંજ મારી કોઈની અરુણા-ઉષા; અને મૌન કોઈનું છાંદસ-ગાન: નિશીથની વેળ એ જ કોઈને મધ્યાહ્ન.


ફેરિયો અને ફક્કડ

ફેરિયો

એજી મેરો અવલ હુઓજી કાચ અખળડખળ નહિ રેખ, આપનું રૂપ જુઓજી સાચ ! સાચ મેરો અવલ હુઓજી કાચ !

ફક્કડ

મેં હું ફક્કડલાલ માહરો અજબ રેશમી રાગ, મખમલરી મોજડિયાં, ધોતી મલમલ, કસબી પાગ, તાવ મૂછનો લાવ નિહારું, દામ માગણો માગ; માહરો અજબ રેશમી રાગ.


ફેરિયો

બડે બડે ભડ ગયે ગુમાની શાહ સિકંદર સાર. ગાંઠ ખુલી ગઠરી હૈ તેરી ? હૈ કિતનો કલદાર ?

ફક્કડ

નગદ બગદરી બાત છોડ મૈં જાત જોઉં આકાર, દેખ્યો ચાખ્યો નહિ, ન ઈનકી કોઈ મંડી બાજાર : જાત મેં પ્રથમ જોઉં આકાર.

ફેરિયો

અતલસ ઢાંકણ દૂર કિયો જી, કીજીયે કુછ દરિયાફ; નિરખત હરખ ભયોજી ઉનકો દામ હોઈગો માફ: અરે ક જી ગભરા આફુડો ? ક્યું ધડકન ? ક્યું હાંફ? સાચ મેરો અવલ હુઓજી કાચ !

ફક્કડ

ગલત ઠામ કુછ દિયોરી, પંજર પૂર્યો ઇધર હૈ બંદર ? આંખ ઉલાળે ચડી, અછાડ પછાડ પૂછનું લંગર ! ઠાલી નહીં ઠઠોરી, હમરો મિજાજ બારો પંદર ! પંજર પૂર્યો ઇધર હૈ બંદર !

ફેરિયો

મેરો અવલ હુઓજી કાચ ! અખળડખળ નહિ રેખ લેશ કોઈ રૂપ જુઓજી સાચ ! પલપલ મુખડું બદલ બદલ નખરાળ કરેજી નાચ ! સાચે મેરો અવલ હુઓજી કાચ !

ફક્કડ

ફિર મૈ દેખું : હાથ બાપ, મર ગયો, ફણીધર નાગ ! (દખ્ખણમેં ઉછળી મોજડિયાં, ઉત્તર ઉછળી પાગ ! સાવ શામળો ભર્યો અંગરો અજબ રેશમી રાગ !)

ફેરિયો

ચકળવકળ તેરી અખિયાં નિરલે અલક મલકરો ભરમ ; અપની આગળ રહે આવતો કિયો આપણો કરમ ! મરમી જાણે મરમ-

ફક્કડ

બંધ બસ બોલ ન આડુંચોડું, તેરો યહ બદમાસ કાચ, કણ કણ ટુકરો કર ફોડું: એક ઘાવ ને...

ફેરિયો

અરે કોણ આ ખડી પડ્યું ખંડિત થઈ ? હેમખેમ હૈ કાચ, સાન સુધ તેરી બિખર બિખર ગઈ ! ઉઠ, જાગ, મેરે ફક્કડ !તેરો રોગ જાય રીં રીં રટ ! અલાબલા તેરી અલગ હોઈસી, ઊઠ જાગ રી ઝટઝટ. રંગ રંગરો અંજન ઝરિયો, નિરમળ અવ હૈ નેણ; એક બાર અબ દેખ ફરી, મેરો સુન લે આખિર વેણ .

ફક્કડ

નીલ ગગન હૈ

ફેરિયો

ઔર


ફક્કડ

શ્વેત બદરી ઉત્તરમેં જાતી. દૂર ધુસર પર્વત, સરિતા કલ કલ જલમેં લહરાતી: કાનન હૈ, તરુ કુંજ,... કુંજમેં ઘટાદાર હૈ પીપર ડાલ ઉપર દો વિહંગ- એક જ ફલ ચુગનકો તત્પર !

ફેરિયો ઔર

ફક્કડ

ઔર નહિ કછુ... કાચ હૈ ઝલમલ એક ન એબ; સબકો રંગ રૂપ હૈ સુંદર, મુખ મેરો હૈ ગેબ ! ગાયબ તો મૈ ભયો...

ફેરિયો

એજી મેરો અવલ હુઓજી કાચ ! અખળડખળ નહિ રેખ આપનું રૂપ જુઓજી સાચ ! પલપલ મુખડું બદલ બદલ નખરાળ કરેજી નાચ ! સાચ મેરો અવલ હુઓજી કાચ !


મારું ઘર

ખુલ્લાં આ ખેતરોની ઉગમણી ગમ જે દૂર દેખાય કુંજ એમાં અશ્વત્થ-ટોચે ફરકત ધ્વજ ત્યાં બાજુમાં લાલ નેવે છાએલું, સ્વર્ણ તેજે અનુપમ સુષમાનો ધરી સાન્ધ્ય રંગ, જેની મેડીની બારી અહિં લગી નજરું ઢાળતી રે’ સનેહે

તે મારું કાળ-જૂનું ભવન; નિખિલ આ કેન્દ્રથી વિસ્તરેલું: એની સર્વત્ર, જ્યાં જ્યાં ગતિ મુજ ત્યહિં, રેલાય છાયા અદીઠ. ક્ષેત્રે સંકલ્પ કેરાં અગણિત કંઈ જે બીજ વેરેલ તેનું કૉળેલું સ્વપ્ન જાણે અનિમિષ દ્રગ માંડી નિહાળે વ્યતીત !

ને આંહી સૂર્ય, ઝંઝા, જલ, જીવ,વનના ફાલનો જે અનંત મેળો જામેલ તેના ઋતુ સમ રમતાં નિત્ય કોલાહલે ય એનો ગુંજંત ઝીલું અરવ શ્રુતિ તણો અંતરે શાન્તિમંત્ર, જેના આનંદછંદે મન મુજ અનુસંધાનમાં રે’ સદૈવ.

હાવાં ગોધૂલિ-વેળા : દ્રુત દ્રુત રવ-દોણી ધરે દૂધ-સેર; ચાલો એ ઘર, ઘેલા પવનની અડતી અંગને ઠંડી લ્હેર !


ઓરડે અજવાળાં

પ્રભાતનો સૂર્ય પથે મળેલ તે સૌ વૃક્ષ ને પર્ણ મહીં રમંત

હવા લઇ  સંગ  મહીં  હસંત

આવે અમારા ઘરમાં હે, ઓરડે.

કુટિર નાની અવકાશ-મોકળી બની રહે, ઉડ્ડ્યને વિહંગ કિલ્લોલતાં ત્યાં ઘર-વસ્તિ –વૃંદ (છાયાથી બ્હોળું)સહુ શું રહે ભળી : સોહંત શી ભૂમિની ચંદ્ર-ઓકળી !

અહીં વલોણે ઊછળંત ગોરસ : અમી થકી અંતર તૃપ્ત સર્વનાં : અહીં રચ્યો શાશ્વત યજ્ઞ, પર્વનાં ગવાય છે ગીત અહીં નિરંતર.


શાન્ત કોલાહલ

રમી રહ્યાં કોમલ રશ્મિ સૂર્યનાં આ ગુલ્મને આંગણ પારિજાતની સુગંધમીઠી ઝરી જ્યાં પ્રસન્નતાં. પણે ચણે ધૂલિથી ધાન્યના કણ ટોળે મળી કાબર, ચાષ કલ્બલ તે કેટલી ? ચંચલ કૈં ! અકારણ ઊડી જતાં ડાળ વિષે અને ફરી તુરંત ભેળાં વળી એ જ ધૂળમાં !

ને માર્ગથી ગૌચરની ભણી ધણ ધસંત હંભારવમાં બધાય તે અવાજ ઝાંખા ઘર, હાટ, ઘાટના...

આ વ્યોમનો ઝાકળ-ધૌત નિર્મલ ડ્હોળાય આખો અવકાશ રૂપ શું પ્રકાશનું એથી વિશેષ ઉજ્જવલ ! સુષુપ્તિનો જે અનુબોધ કર્મને કોલાહલે તે લહું શાન્તિ ગોચર !


કલ્પવલ્લી

લચી રહ્યું ખેતર પૂર્ણ મોલથી એ કલ્પવલ્લી મુજ ડાળડાખળી એની જતી પંથ કરી અહીં થકી તે સીમની પાછળ લોકલોકમાં. છું એની છાયમહીં આપ્તકામ હું.

મારે કમી ના નહિ લેશ અન્નની, કમી નહીં વલ્કલ કે દુકૂલની, કે રિદ્ધિનાં ’લંકરણોની...

પ્રાણની સ્પૃહાથી ઝાઝો ફલરાશિ આંગણે. અહીં ભર્યું આગત કેરું ભાજન.


ખેતરમાં

સ્ત્રી : તારે શિરે બીજની રેખ બંકિમ

     સોહાય, નંદી પણ તારી બાજુમાં;
     તારું કશું દર્શન આ શિવોત્તમ
     પ્રસન્ન  સાંજે  રણકંત શાન્તિમાં !

પુ. : કટી પરે ભાર ધરેલ ધાન્યનો :

    તું ભૂમિ કેરી તનયા, તપસ્વિની;
    ત્રિભંગથી સુંદર, ભાવ લાસ્યનો :
    તું  અન્નપૂર્ણાં સમ શક્તિ સર્વની. 


તળાવને તીર

મારે પદે વ્યોમ વિશાળ વિસ્તર્યું ગભીર કો સ્વપ્નમયી પ્રશાન્તિમાં સોહંત એવા લખ તારલે ભર્યું.

અંકાઈ જાણે લિપિ- યંત્ર આકૃતિ રહસ્યની વિસ્મયપૂર્ણ ધ્યાનથી વિલોકું ...અશ્રાવ્ય સુણી રહું શ્રુતિ !

અંધારની આડથી ઇન્દુએ ત્યહીં ડોકાઈને તેજતરંગને કર આ ચિત્ર મારું લૂછી નાંખ્યું તોરથી.

અંકાશ આંખુ સહસા ઊડી ગયું અનંત ઊંચે નિજ મૂલ સ્થાનમાં ! તળાવનું લાઘવ ! ...ક્ષુબ્ધ ચિત્તનું ! ત્યાં હંસને નેપુરબોલ કંજની સુગંધશીળી લહરે મુલાયમ સ્પર્શી જતી પ્રેમવિલોલ કામિની ! ને કૌમુદીઉજ્જવલ કાનને ત્યહીં આ વેણુને રંધ્ર હવા રમી રહી !


ઢળતી રાતે

૧. સંધ્યા

રવિકિરણની છેલ્લી રાતી લકીર ભળી જતી ક્ષિતિજ પરનાં આછાં ભૂરાં અચંચલ અભ્રમાં; ગગનઊજળી ઉર્વી : છાયા ન કો’ની નડે ક્યહીં, તરલ જીવની તૃષ્ણા જાણે શમી રહી શાન્તિમાં.

વિહગ દ્રુમને નીડે ઝૂકયું દિનાન્ત વિરામનો ચરમ ટહુકો રેલે : એવી બજે વળી ઝાલર. જનપદની શેરીના મારા નિકેતનનો ઝીણો હૃદયરતિનો આંહી સીમે સુણું મધુરો સ્વર.

નિબિડ હરિયાળીના ઊંચા હસન્મુખ મોલથી નજર આવ હું માંડું મારે જવાની દિશા ભણી : સરયુવતીને લ્હેકે આરોહતી ધૂણી ગોષ્ઠની નભ મહીં વિના ઝંકારે જ્યાં ધરે પદ શર્વરી.

ઘર તરફ જાતાં ધોરીને ઉમંગ ઉતાવળ : હળવું મન જ્યાં કાંધે એની ધુરા નહિ, ના હળ,


૨. પ્રથમ પ્રહરે

હળુ હળુ વિના ઝંકારે જ્યાં ધરે પદ શર્વરી ઉડુગણ તણાં આભે સોહી રહે કંઈ ઝુમ્મર ! પરિમલથી રોળાતી એની સુકોમલ પામરી અરવ ફરકે, અંધારામાં અનાવિલ સુંદર.

જનપદ તણી વાળું-વેળા વીતી ગઈ ને હવે લહર લહરે તંદ્રાળું કૈં અડે સહુને હવા : સુખદુઃખની વાતે તો કોઈ પુરાણકથામૃતે, ભજન તણી ધૂને વા કોઈ વળ્યાં રતિ-ઐક્યમાં.

ઇહ સકલ કર્મોની લીલાની યે શયને ઇતિ : શિથિલ તનને પંપાળે જ્યાં અતીન્દ્રિયનો કર શ્રમહર; નવોન્મેષે રે ત્યાં થતી મનની યુતિ સ્વપનમય કોઈ લોકે વા સુષુપ્તિમહીં વર.

અહીં જ રયિ-પ્રાણે સૌહાર્દે લીધું પરિરંભણ, શબ્દ મહીં ના આવે એવી અવસ્થિતિ નંદન.


ભતવારીનું ગીત

નાની રે પીલુડી ઝાઝા ઘેરની એની કંદરાની હેઠ એની છાંયડીની હેઠ ધોમ રે ધખ્યાની વેળા ગાળીએ.

દવ રે વરસે છે ખુલ્લા ખેતરે, વગડો સૂનો રે સુમસાન, પંછિગણનું ન ગાન, (ત્યારે) મોરલીમાં વેણ બે વજાડીએ.

મધ રે બપોરે માજમ ચાંદની, વીંઝણો વાતુંનો ઢળાય, નયને સોણલાં કળાય, કાળજે ટાઢક મીઠી માણીએ.


શન્તિ

૧ પ્રસન્ન

ધુસર નભની ધીરે ધીરે ઝરી ગઈ ગોરજ: નિથર તર અંધારું સોહી રહે લખ દીવડે. ઢળતી રજનીની છાયામાં બજી રહી ઝાલર અણુઅણુ મહીં ઘેરું ગુંજી અનંત મહીં શમે. અવ ન ટહુકો રેલે કોઈ વિહંગમ ચંચલ : અવ નહીં પરાયું કો ઘાટે-નદી જલ નિર્મલ.

ઘરમહીં સહુ નાનાં મોટા મળે; નિજ ક્ષેત્રનો શ્રમ સકલ આંહીં ભૂલાતો પરસ્પર હુંફમાં. શિશુની કલવાણી : ગૌરીને ગળે લય પ્રેમનો પ્રગટી અધરે આવી આછો રમે કંઈ ક્ષોભમાં, નયન મહીં લાધે તંદ્રાળું સુધામય અંજન; હૃદય ગહને એનું રેલાય નિઃસ્વન સ્પંદન.

મૃદુ લહરનો અંગે અંગે ફરે કુમળો કર : પરિમલતણી પાંખે પામું પ્રદેશ અવાન્તર.


૨ ભૈરવ

મધ્યરાત્રિનો અંધાર -ગ્રાહે ગ્રહ્યું આ ચરાચર- નિસ્તબ્ધ ઝાઝે ત્રમરોળ ઝિલ્લિના. ક્યહીંકથી ઉદ્ગમ પામી આગિયા અજંપની બે ક્ષણમાં વિલોપન પામે છતાંયે પ્રગટે ફરી ફરી. ચિત્કારતું ઘૂક દબાયલે પદે ધીરે ધરે કો છલચાલ પર્ણમાં કો ભીરુની કિંચિત દોડ દર્પનો ફુત્કાર ઘેરે જલ કો ડબૂકતું. અંધારાની તોય નિગૂઢ સ્તબ્ધતા !

નિદ્રા ઢળી પાંપણ એની જાગ્રતિ જાણે નહીં બંધન દેશકાલનાં. ઓળાતણા વેશમહીં અણગ્ય કૈ ભમી રહે ભૂખથી આર્ત વાસના. ભૂતાવળોની અહીં ભીડ શ્વાન કો અજાણને દે પડકાર સીમનાં શૃગાલનું ક્રંદન ઠારવાળી હવા નરી પોકળ તોય શૂન્યતા ! ભીડાય હાવાં મુખ ગ્રાહનું, અને સંસૃષ્ટિ ડૂબે પ્રલયે સુષુપ્તિના.


૩ બ્રાહ્મ

પ્રલય મહીં જે ડૂબેલી તે પુનર્ભવ પામતી નિખિલ જગતની કાયા કૉળી રહે અવકાશમાં. અણુઅણુની મૂર્છા –ત્યાં પ્રસ્પંદતી ચિતિની ગતિ, ગહનનિશિ-અંધારામાંથી સરંત ઉઘાડમાં. મકરમુખથી જાણે લાધ્યું સમંજસ મોચન, મૃદુ લહરને સ્પર્શે હાવાં પ્રજાગ્રત લોચન.

ઉદયપલની ખુલ્લે કંઠે છડી ભણી કુક્કુટે. અરવ પ્રહરે અનો વ્યાપે દિગન્તમહીં ધ્વનિ. ક્યહીંથી અવ રેલાતું ધીરું પ્રભાતનું ગાન જે ઘરઘરની ઘંટીના ઘોરે જતું લયમાં ભળી. સરવરતણી છોળે ભીનાં બને તટ પ્રાન્તર : ચપલ પનિહારીનાં બાજે ત્યહીં પદનેપુર.

કળશ પર સોહંતી આભા સવારની સ્વર્ણિમ : કમલ ઊઘડે એનું સુગંધિત ગુંજન.

ધરુ


છલોછલ ભરેલ ક્યારા મહીં ભાતના ધરુ ચોપી રહ્યાં બેઉ અમે લળી લળી. શેઢે ત્યહીં જાંબુની ડાળ-દોરડે હિંડોલતી ટ્હૌકતી વન્યપંખીણી સમી અમારી દુહિતા... અસીમ આ એકાન્ત એના થકી છે ભર્યું ભર્યું.

આવી- ઘડી શ્રાવણ કેરું અંબર ભરી- પળે વાદળ (તેજછાંયના તરંગને લોલ વહેણ) ખેતરે ઝીલાય એની જલતાપ ઝર્મર.

આમૂલ આણ્યાં અહીં નવ્ય ભૂમિમાં ચોપી રહ્યાં તે ધરું ! ના, ધરું નહીં.... રે ન્યાળું એમાં સુકુમાર કન્યકાતણું સમુત્ફૂલ્લ ગભીર આનન (વિદાયના મંગલ પર્વનું) અને એને હું ન્યાળું ત્યહીં શસ્ય ધારતી.


વૈશાખી વંટોળ

લૂમઝૂમ લચી રહી મારી આમ્રકુંજ. રખોપે હું રહું અહીં આખીયે મોસમ. શેઢા કને ખડની કુટીર અદૂરે પુરાણી એક વાવ. દૂર દૂર ક્ષિતિજની લગી જનપદ નહીં, સકલ વિજન. કેવલ પલ્લવપુંજ મહીં રમે કીર ને કોયલ એનો રહી રહી અહીં તહીં લહું કોલાહલ. બાકી નિતાન્ત નીરવ. વૈશાખી સૂર્યનાં ચંડશ્વેત કિરણોને ઝીલે નીલ વનરાઈ ઓળકોળાંબડે હલમલ એની પડે કંઈ ભાત; લીલાં ફળનેય લાગી લાલ શી ટશર ! આગથી એ બને જાણે આર્દ્ર ! બળતા બપોરતણી લૂને અહીં ડાળ ડાળ કરતી વ્યજન તપ તપફલ થકી પરિતૃપ્ત મન.

એકાએક ઝાંઝે ભર્યો વાયો વાવંટોળ આયો ભભૂતિયો ઘોર. કુટીરનું ખંડ છિન્ન છિન્ન ડમરી ડંમર થકી વીંઝી વ્યોમ મહીં એને વેરી દીધ ક્યાંય. વાવનાં ઊંડાણમહીં વાજે શત શંખ મૃદંગ શી વાજે વનભોંય. લપાઈને બેઠાં પગ બખોલને નીડ પાંપણમાં બંધ કરી રહી નિજ પીડ. ધરાને આધાર અડીખમ ઊભાં તરુ સહુ કાંપે થરથર ડાળે ડાળ થકી ખરે ફળ. જરી ઝંખવાણો નભ રૂદ્ર વેરાગીની કને નહીં ઉગ્ર. નહીં રે ખપ્પર એને નહીં કો આહાર તોય રણભૂમિ પર લખ લખ મુંડનો પથાર ! કોઈની સ્પૃહા ન જાણે સકલથી પર પલકમાં વળી બની રહે અગોચર.

અવશેષે એ જ આમ્રવન ફલરિક્ત રિક્ત આ જીવન. ખેતરને શેઢે બેસી અવકાશ મહીં ફરી પરોવું નજર નભ નહીં નીલ અવ ધૂસર ઇશાન :

પ્રાણને તડિત્ત ચમકાર લહું ખડ ખડની કુટીર ભૂમિ ભૂમિની ફસલ કીરગાન.


વનવાસીનાં ગીત


૧ નમીએ અગન ફૂલ

નમીએ અગનફૂલને હે ! નમીએ અગનફૂલ, ઓથમાં જેની ઉછરે આપણ વનવાસીનું ફૂલ.

સાંજ સવાર તે ઘરમાં ખીલે પકવે સકલ અંન; આંગણના રખવાળની રાતમાં આણ રમે જોજંન; રાનપશુનાં નેણમાં એનાં તેજની વાગે શૂલ. ઝાડવે છાનો વાસ, રે એની હૂંફ મળે ચોમેર, કાળના પ્હોળા મુખમાં, અભય ફરીએ રે ઠેર ઠેર; અરણીમાંથી એમ ઝરે, જેમ ગીત ઝરે ચંડૂલ.


૨ પ્રભાત

પાછલી રાતના ઝાકળમાં ઝંખવાય રે અગનફૂલ, ઉગમણે તેજ મ્હોરતું ને ટહુકાર કરે ચંડૂલ.

પ્હોર બે પ્હોરની નિંદરા એથી હોય ન ઝાઝો રાગ, બોરડી બાવળ વીણીએ સીસમ વીણીએ સૂકો સાગ; માલનો બેહદ ફાલ, રે કેવલ મ્હેનતનું કંઈ મૂલ: ઉગમણે તેજ મ્હોરતું ને ટહુકાર કરે ચંડૂલ.

આળપંપાળ ન રાખીએ ઝાઝી ધરતીને આધાર, મોકળે મને રાન વેરાનમાં માણીએ રે સંસાર, નવલે વ્હાણે આંગણે નવલ કમલ કેરી ઝૂલ- ઉગમણે તેજ મ્હોરતું ને ટહુકાર કરે ચંડૂલ.


૩ બોલ

વાગે રે વરણાગિયું લીધું હાથમાં વાસણ ઠાલું. બોલની હારે પાયલિયું રણકારે એને માનસરોવર માંહ્યલા ઓલા કમલનો કૉલ આલું.

હળવી જો’યે ચાલ- ન ભાંગે સાવ રે સૂકું પાન, વાયરાનો બોલ સાંભળે એવા સરવા જો’યે કાન; સાવજની યે સોડમાં સરી કરીએ અટકચાળું.

ભમરીને મધ ફૂલનું , હાથી હરણને ખડ ખેરું, ભોરિંગને ભલું મેડક, ને ન્હોરવાળાંને છાગ વછેરું; ભરેલ પેટનો ભય ન, ભૂખ્યો હોય તો ભૂંડો ભાલુ.

તારલિયાનાં તેજ ને વ્હેતાં વાંચીએ ઝરણપાણી, આછે ય તે અણસાર ઝાઝેરી વણબોલાયલ વાણી; રાનમાંજારનાં નેણથી વીંધાય રેણનું કાજળ કાળું.


૪ આવડ્યું એનો અરથ

કાંચળી જોઈને કાયર ભાગે ને મૌવર માંડે મરદ : સાત પાતાળનાં ભોયરાં ભેદીને આવતી નાગણ રાગનું એને ય દરદ...કાંચળી.

વાંસમાં ઘેરાય વાયરો, ન્યાંથી ઊપને મધુર વેણ, નેણ લુભામણ રૂપની રે તંઈ ડોલતી રમે ફેણ; આપણી સામે ચાલ જેવી, હોય આપણી તેવી મરડ...કાંચળી.

ઊજળો દા’ ડો હોય કાળો અંધાર ચારેગમ મોતની ડણક, આપણો યે ટંકાર બોલે ઈમ રાખીએ તાણી તીરની પણછ; દાવ ચૂક્યાનું કામ નહીં, અહીં આવડ્યું એનો અરથ...કાંચળી.


૫ મહુડો

પેલો મહુડો મ્હોરેલ અલબેલો ! એની સુગંધતણું કામણ કૂંડું રે કુણા કાળજાને લાગતો હેલો...જીરે

ઊંચા ગગનમાંનું મોઘું મંદાર આંહિ આવ્યું છે આપણી ભોમ : ઘેરી ઘટાનીમાંહિ ખેલંતા પીજીએ આપણે ઉમંગનો સોમ...જીરે

આને એંધાણીએ તે જાણીએજી કાળને અમરત ભરાય આલવાલ, વાવર્યાની હૈયામાં રાખીએજી હોંશ ઓણ ઝાઝેરો ઊછળે ફાલ...જીરે.

આભની અપસરા યે જોઈ લે કે આજ આંહિ મોરલી મૃદંગ કેમ વાજે ! કોઈનાં તે ઘેલાં નેપૂર અને કોઈનાં રમતાં લોચનિયાં લાજે...જીરે.


૬ તોરી વાત વેલાતી


છોરી ! તોરી વાત વેલાતી : આવડે ના તોય ઉકલે મરમ મનમાં એની મ્હેક ફેલાતી.

આંહિની ઘેલી ટહુકે મેનાં કોઈ રે ડાળે દૂર : અવર લોકની અપસરી તું સોડમાં સરે ભૂર ! લ્હેરીયાને લોળ હેરણાં લેતી નજરું પાછી નવ ઠેલાતી !

સ્હેલમાં આવી મળતું એનો હોય ન ઝાઝો શોર ! આમ રે આવાં રૂપનો, એલિ ! જોયલો ના કૈ તોર ! કાળજે લગન લાગતાં લાગી અળગી એને નવ મેલાતી.

જાગતી ચોગમ સીમ ને તોયે એકલ આપણ દોઉ; તીરની ઉપર તોય રે ઊંડાં જલમાં ડૂબ્યાં જોઉં : તડકે તપ્યું રાન ભલેને આંહિ તો પૂનમ રાત રેલાતી.


૭ જૂઠી રીસ


જૂઠી તે રીસને રાગે નેપુર તારાં રુમઝુમ રુમઝુમ વાગે; રૂપાળવી ! કામનાં હજાર કાંઈ બ્હાનાં કાઢીને આંહીં અમથી ન આવતી લાગે.

અમથી નજર વાળી લેતી ભલે ને રહે છણકાની રીત નહિ છાની, સાચા તે રૂપિયાની હોડ આ અમારી જંઈ ઓછો ન, સોળસોળ આની. કાચી તે આમ હોય ઝાઝી કઠિન હોય ખાટી યે કંઇક તો સવાદે.

મીઠાને હાથ અમે મારીએ ખટાઈ એને અમરત મીઠી તે કરી લઈએ, અવળાની સંગ અમે અવળે વ્હેવાર એલિ ! રાજીનાં રેડ બની રહીએ; આવડો ફૂંફાડો ન રાખીએ નકામ એને નાનો ગોવાળિયો ય નાથે.

૮. રે છેલ મોરા !

એલાં વ્હેતાં ઝરણને કોઈનો ન રંગ એનાં આનંદે ઊછળે પાણી. વાંકી તે વાટનાં ય કૂડાં એકાન્તને પોતાને ગીત રહે માણી.

રે છેલ મોરા ! આંખમાંહી અજવાળું આંજી લીજે ને કીજે પાણીનાં જોમભરી કાયા; હળવાં હવાથકી ય ખેલીયે, ન આપણે ઝાઝેરી રાખીએ માયા.

એલાં ઘેરાં અંધારતણાં ગંજથકી રાતડીએ ચારકોર આવરી લીધી; આવડો ય નાનો અંગાર ભલો, તેજ એનાં સીમસીમ જાય છે વીંધી.

રે છેલ મોરા ! આંખમાંહી અંજવાળું આંજી લીજે ને કીજે પાણીનાં જોમભરી કાયા; હળવાં હવાથકીય ખેલીયે, ન આપણે ઝાઝેરી રાખીયે માયા.

એલાં ઊંચાં ગગનમાંહી ઊડે ગરુડ એની પાંખનું પીછું ય નવ હાલે; જેની રે દાઢમાં ન ઝેરનો જમાવ એ જ તારલાની સંગ રમે તાલે.

રે છેલ મોરા ! આંખમાંહી અંજવાળું આંજ લીજે ને કીજે પાણીનાં જોમભરી કાયા; હળવાં હવાથકી ય ખેલીયે, ન આપણે ઝાઝેરી રાખીયે માયા.


૯ કેવડિયાનો કાંટો

કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે : મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.

બાવળિયાની શૂળ હોય તો ખણી કાઢીએ મૂળ, કેરથોરના કાંટા અમને કાંકરિયાળી ધૂળ; આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે, કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે .

તાવ હોય જો કડો ટાઢિયો કવાથ ફૂલડી ભરીએ, વાંતરિયો વળગાડ હોય તો ભુવો કરી મંતરીએ;

રૂંવેરૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે. કેવડીયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.


૧૦ કાળવી કીકી

કાજાળિયા અંધારથી યે કંઈ કાળવી તારી કીકી ! કોઈ જાદુઈ શગ બે જાણે રાનવેરાને રમતી રે મનગમતી રૂડી રાત-

-ની તે શી કીજિયે કૂડી વાત ? ફાગણના સૂરજની સારી રોશની લાગે ફીકી ! તારી કાળવી સોહે કીકી !

પાંપણને પલકાર શી ખેલે ! નૂરનાં તે કંઈ વ્હેણને રેલે !

કેમ રે મારે પામવો એનો તાગ ? ઢુંકડી લાગે શીતલ આઘી હોય તો ઊની આગ ! હાય રે સરળ સળગ્યાં મારાં નેણલાં એને જોઈને ટીકી ટીકી


૧૧ વનમાં વાયરે ઘેરી

વનમાં વાયરે ઘેરી’તી આજ મને વનમાં વાયરે ઘેરી; કિયા જનમનો વેરી તે આજ મને વનમાં વાયરે ઘેરી. એકલી પળી‘તી અલી ! સોણતળાવના પાણીની ભરવા હેલ, આલીલી લ્હેરની જોડે સવારના તડકે માંડ્યો ખેલ; ભોળાં લોચનિયે જોતી એ વાંકથી આવ્યો વંકાઈને લ્હેરી, ઘેલી હું ભાનમાં ન્હોતી ને આજ મને વનમાં વાયરે ઘેરી.

લાલ તો જાસૂદનું મારે અંબોડલે મૂકેલ ફૂલ જાય ઝૂકી, એને જરાક હાથ દેવા કરું તી’ ઓલ્યો અંચલ ઉરાડતો ઢૂંકી; કેમે શકાય નહિ ખાળી મિજાજનો એવો એ આકરો ઝેરી, સાથ સંગાથ વણ ભાળી ને આજ મને વનમાં વાયરે ઘેરી.

આડી ઉપાધિઓની યાદ રે ન આવતી ને ભૂલ્યા જેવું ન જાઉં ભૂલી; જાગામીઠીની મારી આંખને આવાસ એ તો શમણાંને દોર રહ્યો ઝૂલી; કિયા જનમનો વેરી તે આજ મને વનમાં વાયરે ઘેરી ! વનમાં વાયરે ઘેરી’તી આજ મને વનમાં વાયરે ઘેરી.


૧૨ ભીંજવી જાય વરાંસી

પેલે તીરે તારું ગામ વ્હાલીડા હું આ તીરની વનવાસી, વાંકડી રે એની ચાલથી બેઉને ભીંજવી જાય વરાંસી.

વાયુની લ્હેર શું જલતરંગનો એક હિલોળ રે ઊગ્યો; દોલતો દોલતો, વનરવે કંઈ બોલતો, બે તીર પૂગ્યો;

આંહિને આરે ટહુકતી કોયલ, ઓ મેર બાજતી બાંસી, વાંકડી રે એની ચાલથી બેઉને ભીંજવી જાય વરાંસી.

ઉગમણાં પેલાં આભમાં લાલ ગુલાલની રંગત લાગી, ઊઘડતાં દલમાં વનફૂલની મ્હેકતી કામના જાગી :

કોઈ ઉમંગ અજંપ ભર્યો; જલ પીજીએ તોય પિયાસી; વાંકડી રે એની ચાલથી બેઉને ભીંજવી જાય વરાંસી.

વારીએ તો ય ન રહે મન વાર્યું ને તો ય ન વ્હેણ વીંધાતાં, નેણ ભરી લીજીએ એકમેકથી આપણ આવતાં જાતાં,

આપણને નીરખી અહિંનું વક્તીતી કરે કંઈ હાંસી, વાંકડી રે એની ચાલથી બેઉને ભીંજવી જાય વરાંસી.


૧૩ શરત

પાતળી કેડી કેરકંટાળી અંટેવાળે આવતાં એખણ એરું, સાવજ કેરી ખાલની મને આલ મઝાની મોજડી એને હોંશથી રે કંઈ પ્હેરું. ગોફણના એક ઘાવથી ઉતાર નભનો તેજલ તારો, ભાલની મારી બિંદીએ મેલી અંજવાળું જનમારો; ઝરણાંનાં ઝાંઝરને તાલે રમતાં રે’તાં ચડવો મારે એક અવિચલ મેરુ. ઊગતા આ પરભાતનો રાતો- રંગ ને ઘૂમર ભૂરું, એકબીજાને તાંતણે વણી આણ પ્હોળે પટ પૂરું : આટલું મારું વેણ રૂડી જે રીતથી રાખે એ જ તે મારા આયખાનો ભડ ભેરુ : આટલી મારી પત રાખે તે પર ઓવારી જાઉં રે જીવન, પારવનું વ્હાલ વેરું.


૧૪. શિયાળુ સાંજ


શિયાળુ સાંજની વેળ છે થોડી : હાલ્યને વાલમ ! આંચને આધાર ખેલિયે આપણ, નિંદરું આવશે મોડી.

ચીતરી મેલી ચાસર, મ્હોરાં સોહ્ય છે રૂડે રંગ, ધોળિયો પાસો ઢાળિયે જો’ યે કોણ રે જીતે જંગ : આબરૂ જેવી આણજે થાપણ, ગઠરીની મેં ય ગાંઠને છોડી, હાલ્યને વાલમ ! ખેલિયે આપણ, નિંદરું આવશે મોડી.

નેણથી તો નેણ રીઝતાં ; ને કાન –વેણની એને ટેવ, વાત કીજે એલા કેમ રે ભેટ્યાં ભીલડી ને મા’દેવ : કોણ ભોળું કોણ ભોળવાયું, જે કાળજાં રહ્યાં વ્હાલથી જોડી ! હાસ્યને વાલમ ! ખેલિયે આપણ, નિંદરું આવશે મોડી. આપણી કને હોય તે બધું હોડમાં મૂકી દઈ, હાર કે જીત વધાવીએ આપણ એકબીજાનાં થઈ; અરધી રાતનું ઘેન ઘેરાતાં ઓઢશું ભેળાં એક પિછોડી : હાલ્યને વાલમ ! ખેલિયે આપણ, નિંદરું આવશે મોડી.


૧૫. કુંજમાં ઘડી ગાળીએ

તમરાં બોલે તાનમાં, કાજળ રાતનું રેઢું રાન, આવે ને અવસરિયે, વાલમ, કુંજમાં ઘડી ગાળીએ તો યે કોઈ ન ભાળે વાન.

ફોરતી ફોરમ રાતની રાણી, ઝરણાંને જલ ઝૂલતી વાણી, કોઈ હિલોળે દીધ રે આણી રોમની ઝીણી લ્હેરિયું, એનું ઓળખી લેવું ગાન.

ઉરને જેવી લાગતી લગન, આંખમાં એવી જાગતી અગન, આંહિ ધરા આંહિ એક છે ગગન, હાલ્ય, નિરાળા ભાવનું આપણ ભૂલીએ રે કૈં ભાન.


૧૬ રેણ

વાગોળની અસવાર બનીને ઊતરી આવે હંસની પાંખે આંહિંથી ઊડી જાય : જાગતાં જુએ કાંઈ ન ઓલાં ઉંઘનારા તે અવનવી કોઈ દુનિયા દેખે અમલ એવો પાય.

ખટમાટીની ઝૂંપડીને થલ નવલખો મ્હેલ, ગામને ગાંદર ધૂમતી સોનલ ઘુઘરીઆળી વ્હેલ; આંખની પલક લીજિયે રે તંઈ તેરસો જોજન જાય.

ઇંદરલોકની અપસરા ને પાતાળની નાગછોરી, નેણની સામે ફૂલ-મણિ-સીંગારમાં ખેલે હોરી; એકથી અવર લોકમાં ભમે આપણી તે આ કાય.

પાંપણને અંધાર-પછેડે ઝળકે જુદાં નૂર, ઝૂરીએ જેને કાજ તે આંહિ વળગે આપણ ઉર; પ્હોરને ઝૂલણ-ઢોલિયે તે ભવભવની લ્હેર્યું વાય.


૧૭ એઈ વ્હાલીડા

એઈ વ્હાલીડા ! સાંભળી લેજે સાદ, અંગ મારાંને વીંટળાયો છે નાગ, ઝેરની એનાં જીરવી જાય ન આગ, મોવરમાં ધર મંતરનો કોઈ રાગ,

નહિ તો એલા જિન્દગી લગી મેલજે મોરી યાદ... વ્હાલીડા સાંભળી લેજે સાદ...

સાંભળી લીજે સાદ ઓ સાજન ! પડઘો પાડે વન : એક વેળા આ આંખથી તુંને જોઈ લેવાનું મન.

આકળી મારી આંખ ભમે રે ચંતને ય ન્હૈ ચેન, મારણ એવી નિંદનું મુને આવતું ઘેરું ઘેન. રંગની વળી રોળ, અંધારે આથમી રહ્યો દન; એક વેળા આ આંખથી તુંને જોઈ લેવાનું મન.

વેણ ઝીલીને વાયરો વહી જાય છે ચારે કોર, પળની સરે પ્હોર, ન તોયે આવતો ઓરો મોર; માંહ્યલી રે મસ આગથી બળ્યું જાય છે આ જોવન; એક વેળા આ આંખથી તુંને જોઈ લેવાનું મન.


૧૮ રૂપને મ્હોરે

નેણ લુભામણ રૂપને મ્હોરે રમતો રહે કાળ, સાવ ઝીણી તોય જીવને બાંધે કરોળિયાની જાળ, જવાની જોઈ ઘણી નખરાળ, એની તો એ જ ભલી રખવાળ.

સુખડકેરી સોડમાં છાનો ગુંજતો એનો બોલ, માંહ્યલી સૂઝે અણધીઠની ઓળખી લેવી ઓલ, ફાવે તો ચડવી એની ડાળ...

પ્હાડના પાષાણ બંધની ભીતર પાથરેલી મલમલ, હરિયાળીનો હાવ ને હેઠળ પાતાળ ઘેરાં જલ; શેવાળે ભરવી તે શી ફાળ?....

કેટલા ધરે વેશ ને કરે કેટલાં નવાં છલ ! ચાલ જો લેતાં આવડી તો ભાઈ ખેલિયે પલે પલ. -તો સ્હેલી શેરની સા’વી યાળ...


મલય પવન

મલયનો વનવનમાં ભમે વાયરો પેલો : સઈ રે મોરી ! મારગે અંટેવાળ આવ્યો તે અંગને લગીર લાગિયો હેલો...

અહીં કે તહીં અડક્યો એવી અમથી રે અટકળ, ક્યાંય રે એની રેખ નહિ ને તોય ઝાઝી કળતર;

સઈ રે તમે ફાગણને રત રંગને રેલો, એકલડી મને અળગી મેલો...

મન મારું આ હાર ન માને જોઉં છું રે અવસર, લાગમાં આવી જાય ત્યાં લેવું અદકેરું વળતર; આગનો એને ભય નહિ ફૂલમ્હેકથી ઢળી જાય રે ઘેલો...

ફાગ

ફટાયા ફગવે રેલ્યો ફાગ ઉમડ ઘુમડ ઉમટી મારે ઘર ગોરંભે રાગ...

ડફની ઉપર દેય દેકારો કંઠને કામણ કાંઈ, આગમાં રોળ્યો વાયરો એની લાલ ને પીળી ઝાંઈ, જાય રે ઝૂલી કાય નેપુરે ઝણકી રહે જાગ...

રતનું ઈજન આવિયું ત્યાં ના કાળજું માને બંધ, પાંદડી કેરું પાંજરું મેલી મોકળી મ્હાલે ગંધ; મનમાં એવી વન કેસુડે સળગી સબળ આગ....

તાલની સામે તાલ, ને ઘેલા બોલની સામે બોલ, સરખાં મળી ઝીલીએ રે કૈં કેસરિયો અંઘોળ; પડખું ફરી જાય જો મોસમ, ફેર ન આવે લાગ....

ફાગણ

એ જી ફાગણ આવ્યો ફાંકડો કોઈ ફાગણ લ્યો, એનો વાંકડિયો છે લાંક રે કોઈ ફાગણ લ્યો.

એ જી આંબાની મ્હોરી મંજરી કોઈ ફાગણ લ્યો, એવાં સરવર સોહે કંજ રે કોઈ ફાગણ લ્યો.

એ જી દરિયા દિલનો વાયરો કોઈ ફાગણ લ્યો, એ તો અલમલ અડકી જાય રે કોઈ ફાગણ લ્યો.

એ જી જુગલ વાંસળી વાજતી કોઈ ફાગણ લ્યો, એને નહીં મલાજો લાજ રે કોઈ ફાગણ લ્યો . એ જી દિન કપરો કંઈ તાપનો કોઈ ફાગણ લ્યો, એની રાત ઢળે રળિયાત રે કોઈ ફાગણ લ્યો.

એ જી ઊડે કસુંબો આંખમાં કોઈ ફાગણ લ્યો, એને વન પોપટની પાંખ રે કોઈ ફાગણ લ્યો.

એ જી ગગન ગુલાબી વાદળાં કોઈ ફાગણ લ્યો, જોબનિયું કરતું સાદ રે કોઈ ફાગણ લ્યો.

એ જી ફાગણ આવ્યો ફાંકડો કોઈ ફાગણ લ્યો, એનો વાંકડિયો કંઈ લાંક રે કોઈ ફાગણ લ્યો.


લગન

લાગી રે લગન પિયા તેરી લાગી રે લગન.

રેણ રે ઝુમેલી બરિખન માસની રુમઝુમ રેલ્યો અંધકાર, ભીને રે અંચલ ભમતી રાનમાં ફૂલની ફોરમનો લઇ ભાર; વીજને તેજે તે પેખું પંથને ઉરમાં એક રે અગન.

તમરાં બોલે રે તરુવર પુંજમાં જલપે ઝરણાં હજાર, અડધી રાતે યે મનનો મોરલો મારો ગાય રે મલાર; આભ રે વીંટાયું અવની અંગને એવાં મિલને મગન.


આછેરો અંતરાય

સોળ કળાએ ચાંદની રેલે પૂનમ કેરો ચંદ, આથમણે બીજ મ્હોરતી એની ઓર છટા, ઓર છંદ. કામણ એવાં રૂપ આછા અંતરાયથી સોહાય, એ જી અંતરાયથી જોવાય. પલને તે પલકારે આપણ મનડું મોહાય.

બોલતું જે અહિં, ડોલતું ડોકાય સુદૂર તે બુલબુલ, વાયરે વહે ગંધ ને ઘેરાં જલમાં કમળ ફૂલ. કામણ એવાં રૂપ આછા અંતરાય થી સોહાય, એ જી અંતરાયથી જોવાય પલને તે પલકારે આપણ મનડું મોહાય.

નજરે નજર મળતી એમાં નહિ ઠેકો, નહિ તાલ, આછેરાં ઘુંઘટની આડે ઉછળે ઝાઝું વ્હાલ. કામણ એવાં રૂપ આછા અંતરાયથી સોહાય, પલને તે પલકારે આપણ મનડું મોહાય.


આવ્યો પૂનમનો પોરો

એઈ વ્હાલીડાએ દૂરથી દીધો સાદ કે વંનમાં વેળાની વાંસળી વાગી કે મંનમાં મેળાની મોહિની લાગી કે તંનમાં હેલાની તરસું જાગી કે રંગમાં હાલો જી રમીએ ઘેલાં ઘેલાં...

આસોની રાતનો રૂડો અંધાર ઓલી ચાંદનીએ ચીતર્યો ગોરો; લાખેણો સોહ્ય એના શીળા ઉજાસમાં વ્હાલાંના મુખનો મો’રો...કે

વાયરાને વાદ કાંઇ ઊડે ઉપરણો ને વાતી સુગંધ કાંઇ તાતી ! ઘેન રે ચડંત ઘેરું ઘેરું ને તોય આંખ જાગરણમાં હરખાતી...કે

આભમાં ન વાદળું એકે, ને અંગ અંગ ભીનાં ન કંચવો કોરો; આયખાના મહિનાનો આજ રે અનેરો મારે આવ્યો પૂનમનો પોરો...કે


અનાદર

જ્યારે આવેલ તું ઘર મારે; ત્યારે હાય હું ઘેલી ભાન ભૂલી’તી અંગના અલંકારે.... નૂપુરનો રણકાર સુણું કટિ-મેખલાની કિંકિણી,

તેજ વેરે કુંડલ ત્યાં રેખા દંતની ઝીણી ઝીણી; મ્હોરતાં મારાં રૂપની સાથે ખેલતી વારે વારે....

વાજી રહી જવ ગોરજ વેળની ઝાલર : હાય ત્યારે કળ્યું બારણે આવેલનો નહીં મેં કીધ આદર.

આંગણમાં તવ આવતી જતી નીરખી ચરણ પાંતી, ઊતરતે અંધાર હવાની રજથી જાય છવાતી; અવ કિયે સંકેત રે મારે નીસરવું અભિસારે ?....


કોણ તે આવ્યું ?

કો તે આવ્યું આ વળતી રાતના ઝાકળભીને રે અંધાર? આછે ને ટકોરે અડકી બારણે કોણે કીધ રે ટૌકાર? આંગણે આવીને જોઉં તો કોઈ ના !

આંહિની અવનિ આ પોઢી ઊંઘમાં આવ્યું-ગ્યુંથી અજાણ, કોઈને સંચાર ઘડી યે મૂક ના તમરાં એવાં એકતાન. ક્યાંય રે એંધાણી એની જોઈ ના ! બોલનો ગોરંભો હજી યે ગુંજતો ભળતો ઉર ને ધબકાર, વણ તે માણેલાં સુખની સોડમાં વ્રે’ની વેદના અપાર, સોણલાં ઝરતી આ આંખ્યું લોઈ ના. ઊંઘમાં હું, આવી ત્યારે અહીં કને,- જાગી જાઉં, ત્યાં છુપાય; ભોળાંની સંગાથ ભૂંડી ખેલના. હૈયું તો ય રે ઊભરાય, ઢળતી પાંપણે રે’વું સોઈ ના.


કણી

લોચનમાં ગઈ લાગતી કણી : આમથી લગીર આમ વાળું તહીં કારમી એની વાગતી અણી. પળનું યે પણ ચેન પડે નહીં ઊમટી આવે નીર : વ્હેણમાં યે નવ જાય વહી અવ કેમ રે ધારું ધીર ? અવળી નાની વાત, અલી ! પણ આજ મને અકળાવતી ઘણી.

હું ય ભૂલી, કંઈ એમ સૂઝ્યું- ને ઝૂલવી આંબાડાળ, પાંદડે કોઈ લપાયેલ કીરની રહી મને નહીં ભાળ, પાંખને તે ફરુકાવ, મીઠે ટહુકાર, આવ્યું કંઈ આંખની ભણી.

કમલદલનું મેલતી પોતું, છાલકને જલ ધોઉં, કોઈ સરે નહીં સાર, હારી હું એકલી બેઠી રોઉં; જીભને જાદુઈ ટેરવે અડી કોણ મારી પીડા જાય રે હણી ?


અબોલ હેત

જલની ઝીણી લ્હેરિયું માંહિ હેરિયે હાલે નાવ : એકલ દોકલ આપણે કેવલ ઉરને ભીને ભાવ. આથમણે નભ ઓસર્યો આખિર કિરણનો કલશોર, તારલે મઢી સુજની શ્યામલ ઓઢતી રે અંગોર; અરવ લાગે છોળ, જાણે મન બોલતું ઓરે આવ : એકલ દોકલ આપણે કેવલ ઉરને ભીને ભાવ.

ક્યાંકથી રે કોઈ ઉછળી ઘેરાં ગહને ડૂબે મીન, આવરતાં અંધારનું ધીમું રણકી રહે બીન; લયમાં એવાં લીન, -હિલોળે ખેલવું ન ભૂલ્યો હાવ, એકલ દોકલ આપણે કેવલ ઉરને ભીને ભાવ. જેમ રે અજાણ ઊઘડે કમલ ફૂલનાં દલે દલ, તેમ રે હોડી, હંસની ચાલે ચાલતી અચંચલ; ભવની મોંઘી પલ, રે અબોલ હેતનો લીધો લ્હાવ : એકલ દોકલ આપણે કેવલ ઉરને ભીને ભાવ.

વિદાયતરી

સઈ મોરી વિદાયતરી મિલનતીરથી વિરહને જલ જાય રે સરી એને સ્મરણને પાથેય તે સભર દીજિયે ભરી.

દૂરની ક્ષિતિજ પારને કોઈ દેશ જવું અણદીઠ; નિત નવું જગ વિલસે ને તો ય કોઈ નહીં મનમીત; એકલ આકુલ પ્રાણને આલંબન રહે ધરી...

કરુણ કોમલ ગાન, દિયો તવ અધર અમીપાન; જલની લહર લહરને દોલ ઉછળે જેની તાન.

નેણના સરલ ભાવથી ચરમ પલ કીજે મુખરાળ, (જેને) પાલમાં ભર્યા પવને સતત ગુંજતો રહે કાળ; અસહ રે સહુ વેદના દિયો સ્મિતમાં ઝરી...

યાદ

આભનાં વેરાન વનમાં ભમે એકલો અગન-મોર, આવરી લેતી યાદનાં રે તંઈ ગજરે વાદળ ઘોર ! કંઈ તો એની કાળવી છાયા, કંઈ રેલાતી રંગની માયા, નવલે રૂપે રમતી કાયા, સાવ રે સૂની સીમને ભરી વાયુ છે રે કલશોર ! આવરી લેતી યાદનાં રે તંઈ ગરજે વાદળ ઘોર !

એક વેળાનું આપણું મિલન : કાલની જૂની વાત; આજ એની અંકાય રે આછી પગલીની કંઈ ભાત ! આંખની આગળ આવતું રે દૂર, નજરે એનાં સાંભળું નેપુર, તાલમાં એના તરસે છે ઉર, પળને મારગ પ્રગટી રહે પાછળનાં દિનરાત ! આજ એની અંકાય રે આછી પગલીની કંઈ ભાત !

આગળ આગળ જાંઉં ને તોયે પાછળનું આ કેમ આગળ મારી આવતું હોંશે કરતું નવલ પ્રેમ? એકલાની આ ઊડતી ધૂળે વ્હેણ વહ્યાં જાય ઘોડલા પૂરે ; ભૂર ભરાયું ઉર તે ઝૂરે ! કોઈ હેલારો લાગતો ખેંચી જાય રે આગળ એમ. પછાળનું કંઈ આવતું, હોંશે કરતું નવલ પ્રેમ !


નિર્વાસિતનું ગાન

કાલ ઘરની દીવાલે હતી જિંદગી મૃત્યુની ચાદરે શ્વાસ લેતી, આજ અક્ષૌહિણી સૈન્ય સામે કુરુક્ષેત્રમાં એ જ પડકાર દેતી. સોય ઉભી રહે એટલીયે ધરા નહિ ન ભંડારની એક કોડી જીવથી થાય અળગી સગા બંધુને કાજ તે નીકળ્યાં સર્વ છોડી; જે ન આપદ કને હાઉ એનો લહીને નિરંતર ભયે વ્યસ્ત રે’તી; આજ અક્ષૌહિણી સૈન્ય સામે કુરુક્ષેત્રમાં એ જ પડકાર દેતી.

જન્મની ભૂમિમાંહી પરાયાં અમે ને અજાણ્યાં ધસે લાખ ટોળાં, હાથનો કોળિયો હાથમાં રે’ અને ઊઘડ્યાં મુખ રહી જાય પ્હોળાં. આગ આઘાત કેરી ઝડીથી લિયે જાગતાં નેણ કંઈ માર્ગ ખોળી, જે કલેજે હતું વહાલું રે એહની ઊડતી રાખમાં અંગ રોળી; કોઈ ઉલ્કા ધરાકંપ નહિ તોય તે છિન્નવિચ્છિન્ન પરિવાર વ્હોણાં, જન્મની ભૂમિમાંહી પરાયાં અમે ને અજાણ્યાં ધસે લાખ ટોળાં !

દૂરની ક્ષિતિજ વીંધી અવિશ્રાંત ભ્રમણે લ્હ્યાં જગતનાં કોટિ ધામ : સર્વને નેત્ર જાકાર જલતો, અમારે નહીં ક્યાંય ડેરા મુકામ : રે નહીં ઘર, નહીં ગોત્ર, કોઈ અમારે ન સંસ્કૃતિ, નહીં લોકસંઘ; કર્મ અવકર્મને કોઈ વિધિ બાધ નહિ રે ન સંસાર સંબંધ રંગ; નિધન ચોમેરથી નિબિડ ઘેરો લગાવી રહ્યું; નેત્ર નિદ્રા હરામ : પ્રાણને અશ્વ સંગ્રામમાં જિંદગી હોઠ ભીંસી રમે આઠ યામ.


વેદના ઉરની વિખંડખ વેદના સહવી કેવળ બંધ હોઠથી : જીવને બલ દેતી જે હવા નહીં વિશ્વાસથી એની હો ક્ષતિ.

નયને મુજ શ્વેત અગ્નિની શત જ્વાલા જલતી અહનિઁશ : ખલભીષણ કાલ રાત્રિની મહીં, તેજે નિજ શુક્ર સદ્રશ.

પરિવર્તનશીલ સર્વ કૈં નહિ છે શાશ્વત કોઈ શાસન : નહિ મૃત્યુ કહીં ય જાણી લૈ નવ સંક્રાન્તિનું હેરુ વાહન.


જાગ, જાગ


ઘોર તવ નિદ્રા દારુણ ઘોર... જાગ, જાગ રે માલિક, ભવને કોણ ભરાયું ચોર?

ઉત્તરની તવ બારી ઉઘાડી સાવ પડી નોધાર, અંધકારમાં ચાંપી ચાંપીને ચરણ ધરે કોઈ, હવા મહીં સંચાર, એમને અંગ ન હિમનો ઠાર; સોળ સૂજની હેઠળ તારો દેહ ટૂંટિયો, ભૂર ભમર પર ભાર, ઘોર તવ નિદ્રા દારુણ ઘોર! જાગ, જાગ અય કુંભકર્ણ, જો કોણ ભરાયું ચોર ?

સમીરને સુસવાટ થલેથલ વહંત અંબરવાણી : “જાગુરક જે અહોરાત્ર, જે સજ્જ, એહની કને ન ઢૂંકે હુણ કોઈ, રે હાનિ” આ શબ્દ પડે તવ શ્રવણમાંહિ ? કે સ્વપ્ન તણા કોલાહલમાં એ ક્યાંય જતા અટવાઈ? કરણ મહીં અતિભોગ તણી નહિ ક્લાન્તિ ? છલનામય અંધાર થકી ઉદ્દ્ભુત વા ભયની ભ્રાન્તિ ? જો કોણ ધરીને દર્પ તાહરી ભુવનમનોહર સદનસુંદરી તણા કપોલે કરે કામના સ્પર્શ? રે જાગ બંધવા ! પ્રાણ તણી તાકાતભર્યો હુંકાર હશે ત્યાં કો ન કરે નાદાની, જાગરુક જે અહોરાત્ર, જે સજ્જ, એહની કને ન ઢૂંકે હુણ કોઈ, રે હાનિ.

જો તુહિન ઉપર પ્રગટાવી એણે અગન તણી હુંફ,દીપ્તિ; તસ્કરનું મન લોભી, લૂંટની લેશ ન એને તૃપ્તિ. તવ પૌરુષને પ્રતિકાર વીજથી વીંધ રાત આ કાળી; એક પ્રહાર થકી ખલ, કામુક, કુટિલ સર્વ દે ઢાળી; જાગ ! પાલવે હવે ન પલની ખોટી, સાગરનાં જલ ડ્હોળનાર ઝંઝાને બલ તું ખૂંદ હિમાચલ-ચોટી. જાગરુક હો સજ્જ ! તાહરું અડગ રહે સિંહાસન, તારી ભૂમિમાં આણ તારી, તવ અમલ, સનાતન શાસન.


ફરી જુદ્ધ


ગુલામીની શૃંખલાને ભાંગી છે મેં ભાંગ્યાં છે મેં હાડ મારાં શોણિતને વહેણે વહી કેટલી યે વાર ઢળ્યો મોતને કિનાર ઝાવાં લેઈ તોય ઊઠી ઊઠી હરેક તે વેળ નવીન શહૂર થકી વીંઝી દીધ ઘાવ : ગુલામીની શૃંખલાને ભાંગી છે મેં ભાંગી નાખી સાવ.

અવકાશ મહીં ધરી ઉન્નત આ શિર કીધ : ‘હાશ.’ લીધ દીર્ઘ શ્વાસ.... જકડાઈ ગએલ તે અંગે લહી અખિલ વિશ્વની મોકળાશ. આંનદનો નાભિ-જયઘોષ દિગન્ત ગહને ધ્વનિ રહ્યો વાર વાર લયમાન આવર્તને ઊંડે ઊંડે હૃદયને લાધ્યો પરિતોષ... અનંતનાં ઊઘડયાં દુવાર,

પૂર્ણશાન્ત એકાન્તની છાયાકુંજ મહીં સરી સહુથી ય દૂર દૂર પર્ણની પથારી પર કીધ મેં શયન બંધ નયન તંદ્રાશિથિલ ત્યહીં તંગ મુજ મન પલનું ઉપલગાન રેલી વહી જાય કને કાલનિર્ઝરિણી. સમયથી સહજ અભાન

નિદ્રા તણા સુમધુર ઘેનમહીં કંઈ સળવળ તણી થઈ રહી જાણ : અણગમા તણી એક રેખાની હેલાએ માત્ર પડખું ફરંત. ક્યહીંક ભોંકાય ઝીણી શૂળ, ક્યહીં ષટ્પદ ગતિ, મર્મસ્પર્શ... સહસા જાગીને વિસ્ફારિત દ્રગે નીરખું ચોમેર : નથી કુંજ શત શત ખંડ મહીં અંગ મારાં સહુય વિશ્લથ ! (એક જ સંકલ્પ કેરી સિદ્ધિ કાજે એક હતો લોકસમુદાય સિદ્ધિને પ્રાંગણે એ જ સુંદ-ઉપસુંદ જેમ સામસામી પેંતરામાં માંડી રહે પાય.) શત શત ખંડ મહીં અખિલાઈ મારી છિન્ન છિન્ન ! અંગ મહીં કલિનો પ્રવેશ ? મલિન હવાનું કંઈ લહાય તુફાન... કાયહીન કોઈ મહારિપુ બલવાન ખલવેશ !

અબલ આવિલ પર એનું આક્રમણ અબલની ઓથે, આવ્યું તે સકલ ભરખંત.... સકલ અશેષ. ભીતર એ પુષ્ટ : રહે ખોળિયું તો કેવલ કંકાલ. ઓળખી મેં લીધ એની ચાલ પામરને જેહ કરી રહે છે પ્રમત્ત અનુરાગ બને જ્યહીં આગ નહીં જ્યાં ધરવ લાવણ્ય ન, ઘુરકંત જ્યહીં પશુ વન્ય. ફરી જુદ્ધ કાજ આવ્યો ઝીલું પડકાર પથતરુડાળ પર બેઠેલ પ્લવંગ તણો ચાળો નહીં અહીં છે પિશાચ.

પુરાણું ન ચાલે અહીં શસ્ત્ર ફંગોળ્યું ન વીંધે કોઈ અસ્ત્ર... જુદી અહીં ચાલ, જુદો વ્યૂહ. -અડક્યા વિનાનું રહે અંગ આ અખંડ થાય માંહ્યલા વેતાળ કેરું મોત. અખૂટ શક્તિનો એનો ક્યહીં સ્ત્રોત, જાણું જાણું ક્યહીં નબળાઈ છે નિગૂઢ.

અવ દેઈ દીધ આહવાન. ઘોર ગરજંત પશુ સંમુખ ધૂણે છે એની ખુન્નસની ભરી લાલ આંખ. જીવ પર આવી જઈ કેવલ અંધારમય કાળમુખ ધસી રહે વીંઝી એની દિશાઓની પાંખ....

આ...હા...આય આય. તેજની આ તાતી તેગ કેરો ઘાવ જોઉં કેમ ઝીલે તવ કાય. આઘાતે આઘાતે ચૂર ચૂર તારી તમોછાયા રહે નહીં ક્યાંય... આ...હા... આય આય.


ભૂલીએ જુદાઈ ભાઈ

આજ ગિરિસમંદર પાળની આપણે ભૂલીએ જુદાઈ, ભાઈ ! એક હવાને જ વાણે રહે તવ આપણો તંત વણાઈ.

ઊઘડતું પેલું ફૂલ સુગંધને વેરતું મોકળે મન, આભનાં કિરણ અંતરમાં રમે વીંધી દલેદલ વન; લેશ નહિ એને લેવું, ઉરે તો ય રે’તું ગગંન સમાઈ : ભૂલીએ જુદાઈ, ભાઈ !

સાંકડે મારગ વહેતી સરિત ને બંધ છૂટે ત્યહીં સિંધુ, અંતરિયાળ છવાય તે વાદળ નીરનાં કેવળ બિંદુ; પુકુર હોય તે પોઢે નિરંતર શેવાળનો પટ સ્હાઈ : ભૂલીએ જુદાઈ, ભાઈ !

દીઠ અદીઠ જે આપણું રૂપ તે આપણથી અણજાણ્યું, આ જગ આપણું બિંબ, ખૂલી જેની આંખ તેણે પરમાણ્યું; એક આકાશ, પ્રકાશ, વાયુ, જલ, ભૂમિની એક સગાઈ, ભૂલીએ જુદાઈ, ભાઈ !


હે અભિનવ-પથ-યાત્રિક

દુર્ગમ ગિરિવર શિખર જહીં નહિ ચરણ-ચિહ્ન નહિ કેડી, હે અભિનવ પથ યાત્રિક એ દિક પ્રથમ અડે તવ એડી.

શાલ-તરુ-મર્મર, ઘન ગર્જન શમવતી કેવલ શાન્તિ અરુણ કિરણની વિસલત સુંદર સ્મિતઉજ્જવળ દ્યુતિકાન્તિ.

અતુલ શક્તિમત યૌવન, નિર્ભય ડગ, અનિરુદ્ધ ઉમંગે, હે અભિનવપથ યાત્રિક ચલ ચલ મુક્તકંઠ નિજ સંગે.

રમતી સરલ તવ ચાલ સહે નહિ ભાર, પરિગ્રહ ઝોળી; અંગથકી ઉર મર્મ સ્પર્શતાં બંધન દે સહુ ખોલી.

ખુલ્લે મન, કર મહિં એકલ ધરી દ્રઢ સંકલ્પની યષ્ટિ, હે અભિનવ પથ યાત્રિક ચલ ચલ દૂર ન ઝંખન-સૃષ્ટિ.


પુણ્ય-ભારતભૂમિ

જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ, સાગર, અંબર, જયતુ જય જય ઋતુ-અધીશ્વર, જય વિધાતૃ, શિવંકર. જય ઉદયગિરિ પર ભર્ગ સુંદર ઉદિતસ્વર્ણિમ સૂર્ય હે, જય શાન્ત કૌમુદી ધવલ-યામિની વિધુ સુધારસ પૂર્ણ હૈ; જયતુ જય જય દિવ્યગણ, મુનિવર, દ્યુતિર્ધર, કિન્નર, જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ, સાગર, અંબર.

જહીં સત્ય, નિર્મલ, ચિત, ધર્મ નિ:શંક, નિરલસ કર્મ હે, જહીં હૃદય મનનો મેળ, સંગ નિઃસંગ, પ્રેમલ મર્મ હે; જયતુ જય જય સભર જીવન સ્થિતિ ગતિમય મંથર, જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ, સાગર, અંબર.

જય નિમ્ન ઉન્નત, ક્ષુદ્ર ઊર્જિત, એક સંહતિ, સર્વ હે, જય નિખિલ વ્યાપ્ત પ્રસન્નતામય નિત્યનૂતન પર્વ હે: જયતુ જય જય ગત અનાગત, ક્ષણ વિવર્ત નિરંતર, જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ, સાગર, અંબર.


સંદર્ભ રાગિણી : પૃષ્ઠ ૩૩

કોઈ પણ કલાનો સાક્ષાત્કાર એની સાથેના તાદાત્મ્ય સિવાય સધાતો નથી. ભારતીય સંગીતમાં પણ રાગરાગિણીના પ્રાકટ્ય માટે ગાયક કે વાદક પોતાના ચિત્તમાં તેના નાદમય સ્વરૂપનું ધ્યાન ધરે છે અને જે નાદમય છે તે આમ પિંડસ્થ, મૂર્તિમંત બને છે. રાગરાગિણીનાં આપણાં પ્રાચીન ચિત્રોમાં આલેખાયેલાં રાગનાં સ્વરૂપ એના રસભાવનાં દ્યોતક હોય છે. રાગિણીનાં કરેલાં આ શબ્દચિત્રોમાં, રસશાસ્ત્રમાં નિર્દીષ્ટ નાયકનાયિકાના મનોભાવોને નહિ, પરંતુ, આપણા ગાર્હસ્થ્ય જીવનને જ નજર સમક્ષ રાખ્યું છે. એનો ક્રમ એના ગાન સમય અનુસાર રાખવા યત્ન કર્યો છે. પણ જ્યાં તજજ્ઞોમાં મતભેદ પર્વતે છે ત્યાં યોગ્ય લાગ્યો તે સમયે લીધો છે. તદઅનુસાર દિનરાત્રિના જુદા જુદા પ્રહરોમાં ગૃહિણીનું જે નવ-અભિવન સ્વરૂપે દર્શન થાય છે એનું આ કાવ્યોમાં આલેખન છે.

લલિત : લલિત લલિત સુવરણ વરણ સુવરણભૂષણ વાસ મધુપ્રભાત ગૃહ્સોં નિકસી થાડી જીય પિય પાસ પીત દુકૂલ ધરે નવ ચંપક ફૂલ ગરે મિલે અમવા અશોકઈ સોનસે અંગની સોનેકે ભૂષણ પ્રાતવસંત પિકી ધુનિ ધોકઇ ઓઢી સુધા મધુરાધર માધવી પાયો સુધાધર છાંડી સુરોકઈ

           	ચાહતી હય સંગમ કો લલિતા ગૃહતૈં ચલી તાહી વિલોકઈ

(રાગ રત્નાગર) તોડી : કાદમ્બરી – રસ – વિપૂરિત –કાચ પાત્રમ્ વિન્યસ્ત વામ કર શોભિત ચારુવકત્રમ્ સ્વ્યેન નાયક પટાગ્ર દશામ્ (?) વ્હન્તીમ્ તોડી સદા મનસિ મે પરિચિન્તયામિ ! દેશી : ઉશીરાગાર નિવાસમ્ કુસુમ માલંચક રામ્ સુગૌરાંગીમ્ રુચિરામ્ વરાવૃતામ્ તામ્ દેશીમ્ ધ્યાયામિ યુવતિ-કર-સુસંગીમ્ નીલ વસન ગૌર સુતન સોવત પતિ પૈ ખડી આમ્રન તાન પાની અંજન ચાહ રમણકી ભારી રૂપરસિક ગાવન પીક પ્રિતમ મનમોહની જોવત મત રીઝત ચિત દેશી કહત રાગની.

મધુમાધવી : ગૃહીત મધુપાત્રકમ્ પટ સનાથ નાથાલિકામ્ જવાકુસુમ સમારુણાથ વિમલ ચારુ પીતામ્બરામ્ દ્વિતીય કરશીદત(?) પ્રકટ સંવરાદંવરામ સ્મરાનિ મધુમાવતીમ્ મનસિ મે સદા માનિનીમ્ Ragas & Raginis by : O.C.Gangoli ભૈરવી : એનું ધ્યાન સ્વરૂપ સદાશિવની પૂજારિણી તરીકેનું છે. એક પ્રાચીન ચિત્રમાં શવ, શિવના ઉપર નૃત્ય કરતી કાલિનું આલેખન પણ છે. ઈ=શક્તિ ‘શવ’ શબ્દના પહેલા અક્ષરમાં ‘ઈ’ ભળતાં શિવ થાય છે. શવમાં શક્તિનો સંપાત થતાં “શિવ” બને છે. शिवा श्त्क्या युक्तो यदि भवति शक्त: प्रमवितुं સૌન્દર્ય લહરી ત્રિમૂર્તિ : પૃષ્ઠ ૫૧ ૨ મુગ્ધા : પંક્તિ ૧૦, નૂરી : પોપટની જાતનું પંખી, કામદેવનું વાહન ૩ માતા : સલિલ...પદ્મ: According to hindu conception. the waters are female, they are maternal, procreative aspect of the absolute, and the Cosmic lotus is their generative organ. The Cosmic lotus is called ‘the highest form or aspect of Earth” Heinrich Zimmer

    (Myths and Symbols in Indian Art and Civilization)

અગ્નિબિંદુ The fiery lingam is s form of the Axis Mundi, and can be equated with the shaft of light or lightning (Vajra) that penetrates and fertilizes the yoni, the alter, the earth, the Mother of the Fire, - for light is the progenitive power’

અગ્નિબિંદુને અનુલક્ષીને શ્રી યંત્ર વિષે...The downward tringle is a female symbol corresponding to the yoni, it is called ‘Shakti’ The upward pointing triangle is the male, the lingam, and is called, the Fire(Vahni). Vahni is synonymous with Tejas, fiery energy, solar heat, kingly splendor, the threatening power of the ascetic, the bodily hear of the warm blooded organism, the life force condensed in the male seed. - Heinrich Zimmmer


સ્થાનાંતર : પૃષ્ઠ ૫૪ ભાલ-ભ્રૂમધ્ય પર જ્યાં ચંદ્રક થાય છે તે સ્થાપન આજ્ઞાચક્રનું છે. ષડ્ચક્ર વિવરણમાં આજ્ઞાચક્રને બે દલનું શ્વેત પદ્મ કહ્યું છે. તેની ઉપર સહસ્રાર ને માર્ગે રક્તબિંદુનું સ્થાન છે. એ જ સ્થાને બહાર ભાલ પર ચંદ્રક કરવામાં આવે છે. પૃષ્ઠ ૭૨ પંક્તિ ૨૩ સ્મૃતિ-ઉડુપિની : સ્મૃતિ રૂપી નાવ. ઢળતી રાતે : પૃષ્ઠ ૧૦૯ ૨ પ્રથમ પ્રહરે : રયિપ્રાણ : રયિ=સ્થૂલ ભૂતસમુદાય, matter શક્તિ, પ્રકૃતિ एतत्सतत्सर्वे यन्मुर्ते चामुर्ते च...रयि- प्रश्नोपनिषद) મૂર્ત: પૃથ્વી, જલ, તેજ; અમૂર્ત=વાયુ, આકાશ). પ્રાણ=જીવન શક્તિ, ચેતના, પુરુષ. રયિપ્રાણ=પ્રકૃતિ અને પુરુષ.

  • * * *