સોરઠી સંતવાણી/મરજીવા થઈને


મરજીવા થઈને

અસળ વચન કોઈ દી સળે નહીં રે
તે તો અહોકાળ ગાળે ભલે વનમાં,
સતગુરુ સાનમાં પરિપૂરણ સમજ્યા,
તેને અહંભાવ આવે નહીં મનમાં —
ભાઈ રે! શરીર પડે પણ વચન ચૂકે નહીં
ગુરુજીના વેચ્યા તે તો વેચાય;
બ્રહ્માદિક આવીને મરને લિયે પરીક્ષા
પણ બીજો બોધ નો ઠેરાય. — અસલ.
ભાઈ રે! મરજીવા થૈને કાયમ રમવું, પાનબાઈ!
વચન પાળવું સાંગોપાંગ,
ત્રિવિધના તાપમાં જગત બળે છે
તેનો નૈ લાગે તમને ડાગ. — અસલ.
ભાઈ રે! જીવનમુક્તની દશા પ્રગટશે,
હાણ ને લાભ મટી જોને જાય,
આશા ને તૃષ્ણા એકે નહીં ઉરમાં — 
પરમ ભક્ત તે કહેવાય. — અસલ.
ભાઈ રે! દૃઢતા રાખો તો તમે એવી રીતે રાખજો
જેથી રીઝે નકળંક રાય,
ગંગાસતી એમ બોલિયાં
તેને નહીં માયા કેરી છાંય. — અસલ.

[ગંગાસતી]