ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનલાભ

Revision as of 11:43, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જિનલાભ [જ.ઈ.૧૭૨૮/સં. ૧૭૮૪, શ્રાવણ સુદ ૫ - અવ.ઈ.૧૭૭૮/સં. ૧૮૩૪, આસો સવદ ૧૦] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભક્તિસૂરિના શિષ્ય. જન્મ વાપેઉ ગામમાં. ગોત્ર બોહિત્થરા. બિકાનેરના વતની શાહ પચાયણદાસના પુત્ર. માતા પદ્માદેવી. પૂર્વાશ્રમનું નામ લાલચંદ્ર. ઈ.૧૭૪૦માં દીક્ષા. દીક્ષાનામ લક્ષ્મીલાભ. તેમની પદસ્થાપના ઈ.૧૭૪૮માં થઈ હતી. તેમણે ઘણી યાત્રાઓ અને પ્રતિષ્ઠાઓ કરી હતી. અવસાન ગૂઢામાં. વિવિધ દેશીઓમાં રચાયેલી એમની ૨ ચોવીશી(મુ.) મળે છે. તેમાં અવારનવાર શબ્દરચનાની ચમત્કૃતિનો આશ્રય લેવાયો છે. ઈ.૧૭૭૧/સં. ૧૮૨૭, વૈશાખ સુદ ૧૨ના રોજ સુરતમાં થયેલી શ્રી સહસ્રફણાપાર્શ્વનાથ આદિની પ્રતિષ્ઠા પ્રસંગે રચાયેલ ‘(સુરતમંડન) શ્રી સહસ્રફણાપાર્શ્વનાથ-સ્તવન’ (મુ.) ઉપરાંત ૨. ઈ.૧૭૭૨નો ‘સુરતપ્રતિષ્ઠાસ્તવન સંગ્રહ’ (* મુ.) પણ એમને નામે નોંધાયેલો છે. જો કે, આ સંગ્રહમાં એમનાં જ સ્તવનો હશે કે અન્ય મુનિઓનાં પણ, તે સ્પષ્ટ થતું નથી. આ ઉપરાંત, આ કવિએ ‘પાર્શ્વનાથ - સ્તવન’ (ર.ઈ.૧૭૬૨) વગેરે અનેક સ્તવનો, સ્તુતિઓ, ગીતો, હિંદી પદો તેમ જ ૬૩૦૦ ગ્રંથાગ્રની ‘આત્મપ્રબોધ બીજક સહિત’ (ર. ઈ.૧૭૭૭) એ કૃતિઓ રચેલ છે. કૃતિ : ૧. અરત્નસાર; ૨. અસ્તમંજૂષા; ૩. ચૈસ્તસંગ્રહ : ૧, ૨, ૩; ૪. જૈકાપ્રકાશ : ૧; ૫. જૈગૂસારત્નો : ૨ (+સં.). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’;  ૨. જૈગૂકવિઓ : ૩ (૧, ૨); ૩. જૈહાપ્રોસ્ટા; ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ચ.શે.]