સોરઠી બહારવટિયા ભાગ-2/ગાયોના નિસાપા

Revision as of 06:25, 21 October 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ગાયોના નિસાપા

“આમાં વંશ ક્યાંથી રે’?” બહારવટામાં વારંવાર ગામેગામની ગાયો તગડાય છે. એક દિવસ ત્રણસો-ચારસો ગાયોનું ધણ તગડીને બહારવટિયાએ નાંદીવેલા ડુંગરના ગાળામાં ઠાંસી દીધું. આડી મોટી વાડ્ય કરાવી લીધી. ત્યાં ગાયોને ચરતી મેલીને ભાણગાળેથી બીજે જ દિવસ ભાગી નીકળવું પડ્યું. ભાગતાં ભાગતાં ગીર વીંધીને બહાર નીકળ્યા. બીજા મુલકમાં ઊતરી ગયા. નાંદીવેલામાં ગાયો ઠાંસી છે એ વાતનું ઓસાણ પણ ન રહ્યું. એક વરસ વીત્યે બહારવટિયા પાછા ભાણગાળે આવ્યા. જોગીદાસને ત્રણસો ધેનુઓ સાંભરી આવી. ઠાંસામાં આવીને જુએ ત્યાં ત્રણસો ગાયોનાં ખોખાં (હાડપિંજર) પડેલાં. ઠાંસેલી ગાયો ખડ પાણી વિના રિબાઈને મરી ગઈ હતી. “બાપ ભાણ!” “હાં, આપા!” “અકેકાર થયો.” “હોય, આપા! બા’રવટાં છે.” “બહુ દી બા’રવટાં ખેડ્યાં. બાપ ભાઈ બહુ મરાવ્યા. કણબીઓનાં ઘીંસરાં કરવામાં કાંઈ બાકી નથી રાખી. અઢાર સો હત્યાયું લીધી. અને આ ગાય માતાજીયુંને તગડવામાં તો ત્રાસ જ નહોતો રાખ્યો. વાછરુંને માતાઉંથી વછોડાવીને અનોધા નિસાપા લીધા. આમાં વંશ ક્યાંથી રે’શે?” “આપા, ઈ બધું સંભારો છો શીદ?” “સમસમ્યું રે’તું નથી એટલે સંભારું છું. ઠીક સંભારું છું. આટલાં પાપનો પોટલો બાંધવા છતાંય ખુમાણોમાંથી કોઈ પડખામાં ન આવ્યો. સાવરિયા ગરાસ માંડી માંડીને ભાડાની ગાડીયું હાંકવા લાગ્યા. કાકાઓને પોતપોતાનાં છ-છ ગામનું ગળપણ વા’લું થયું. હવે આપણે ક્યાં સુધી રઝળશું? શો ફાયદો કાઢશું? ઝલાશું તો કૂતરાને મૉતે મરશું.” “તયીં, આપા! કેમ કરશું? તરવાર છોડશું?” “હા.” “તો હાલો, ભાવનગર.” “ના, હેમાળે.” “કાં?” “જોગીદાસની તેગ ભાવનગરના ધણીને પગે તો ન છૂટે. કૈલાસના ધણીને પગે છૂટશે.” “હેમાળો ગળવું ઠર્યું?” “હા. તે વગર આ પાપનો પાર નહિ આવે.” ભાણ, વજ્ર છાતીવાળો ભાણ, રોઈ પડ્યો. “આપા! આપા!” કહી ખોળે ઢળી પડ્યો. “રો મા, બાપ! મને રોક્ય મા. તું છોકરાંને ઓથ દેજે. ને હું મારા એકલાના નહિ, પણ આપણા સહુના મેલ ધોવા જાઉં છું. અને, ભાણ! જોજે હો, જેબલિયાણી માની ને ભાઈ હીપા-જસાની સાર-સંભાળમાં મોળું કે’વરાવતો નહિ હોં! બાપુનું ગામતરું છે.” જોગીદાસ હિમાલયે ગળવા ચાલ્યા : જાણે એક હિમાલય બીજા હિમાલયને મળવા ચાલ્યો. જોગીદાસ હેમાળે ગળવા ચાલ્યાની જાણ ભાવનગરમાં થઈ. મહારાજની સન્મુખ જ બહારવટિયાના દીકરા રમે છે. રાણીવાસમાં બહારવટિયાની રાણી બેઠી છે કે જેણે પંદર-પંદર વરસો થયાં, ધણીનું મોં જોયું નથી. અને જોગીદાસ હેમાળામાં ગળ્યે તો ભાવનગરના વંશ ઉપર બદનામીનો પાર નહિ રહે! મહારાજે બહારવટિયાને પાછો વાળવા માટે માણસો દોડાવ્યાં. ખુમાણ દાયરાને સંદેશો કહેવરાવ્યો કે “ઝટ આડા ફરીને આપાને પાછા વાળો, એને બોલે બહારવટું પાર પાડું.” ખુમાણોને સાન આવી. આપાની પાછળ ઘોડાં દોટાવી મૂક્યાં. ગુજરાતની પેલી બાજુના સીમાડા પરથી આપાને પાછા વાળ્યા. જોગીદાસ બોલ્યા : “ભાઈયું! હવે મડાને શા સારુઘરમાં લઈ જાવ છો?” માર્ગે જસદણમાં મુકામ કરેલ છે. ખુમાણ દાયરો ડેલીએ બેસીને કસુંબા કાઢે છે તે વખતે અંદરથી કહેણ આવ્યું કે “ગઢમાંથી આઈ સહુ ખુમાણભાઈઓનાં દુખણાં લેવા આવે છે.” “ભલે, પધારો! ખુમાણોનાં મોટાં ભાગ્ય!” ધરતી ન દુભાય તેવાં ધીરાં ડગલાં દેતાં વૃદ્ધ કાઠિયાણી ચોપાટમાં આવ્યાં. મોઢે એંશી-નેવું વરસની રેખાઓ અંકાઈ ગઈ છે : અંગ પર કાળું ઓઢણું છે : જોતાં જ જોગમાયા લાગે છે : મોંમાંથી ફૂલડાં ઝરે છે. એક પછી એક સહુની ઓળખાણ ચાલી. આઈ પૂછતાં જાય કે “આ કોણ?” ‘આ ફલાણા! ફલાણા!’ એમ જવાબ મળે છે અને આઈ દુખણાં લ્યે છે. એમ કરતાં કરતાં આઈ બીજે છેડે પહોંચ્યાં, આઘેથી પૂછ્યું, “આ કોણ?” ‘ઈ જોગીદાસ ખુમાણ?’ “આ પંડ્યે જ જોગીદાસ ખુમાણ!” આઈ એકીટશે જોઈ રહ્યાં. ઉગમણી દિશાએ બેસીને બહારવટિયો બેરખો ફેરવે છે. માથું નીચું ઢળ્યું છે. અંતરના ઊંડાણમાંથી ‘સૂરજ! સૂરજ!’ એવા ધ્વનિ ઊઠે છે, ધ્વનિ સંભળાતા નથી, માત્ર હોઠ જ જરી જરી ફફડે છે. કાઠિયાણીએ જાણે કે આબુથી ઊતરી આવેલા કોઈ જોગંદરને જોયો. “આપા!” દાયરામાંથી કોઈ બોલ્યું, “આપા! આઈ તમારાં દુખણાં લેવા આવ્યાં છે.” “ના, બાપ!” આઈ બોલી ઊઠ્યાં, “એનાં દુખણાં ન હોય, એ માનવી નથી, દેવ છે. લખમણજતિનો અવતાર છે. એને માથે હું હાથ ન અડાડું. એને તો પગે જ લાગીશ.” છેટે બેસીને ત્રણ વાર આઈએ બહારવટિયાની સામે પોતાના મલીરનો પાલવ ઢાળી માથું નમાવ્યું. જોગીદાસે તો સ્ત્રી દેખીને પોતાના મોં આડે ફાળિયું નાખ્યું હતું. પણ આભાસે આભાસે આઈનો ઓળો ત્રણ વાર નમતો દેખાયો. અને ત્રણેય વાર જોગીદાસે સામું શિર નમાવ્યું. છાતી પિગાળી નાખે એવો આ દેખાવ હતો. દાયરો આખો મૂંગો બની શ્વાસ પણ ડરતો ડરતો લેતો હતો. સહુને જાણે સમાધિ ચડી હતી. એમાં આઈએ ચૂપકીદી તોડી. આખા દાયરા ઉપર એની આંખ પથરાઈ. સહુનાં મોં નીરખી નીરખીને એણે વેણ કાઢ્યાં : “ખુમાણ ખોરડાના ભાઈયું! હું શું બોલું? તમે ખોરડું સળગાવી દીધું. તમે કટંબ-કુવાડા થયા, તમે જૂથ બાંધીને આ જતિપુરુષને પડખે ઝૂઝી ન શક્યા, માડી! તમને ઘરનો છાંયો વા’લો થઈ પડ્યો! ચીભડાંની ગાંસડી છૂટી પડે તેમ આખુંય આલાનું પેટ નોખું નોખું થઈ ગયું! અરે, તમે પોતપોતાની પાંચ-પાંચ ગામડી સાચવીને છાનામાના બેસી ગયા? આ દેવ-અવતારીને એકલો બહારવટે રઝળવા દીધો? તમે કાંડે ઝાલીને જોગીદાસને શત્રુને હાથે દોરી દીધો? પારકાએ આવીને ઠેઠ પેટમાં નો’ર પરોવી દીધા ત્યાં સુધીયે તમને કાળ ન ચડ્યો?” દડ! દડ! દડ! આઈની આંખોએ આંસુ વહેતાં મેલ્યાં. છેલ્લું વેણ કહ્યું : “બીજું તો શું બોલું? પણ કાઠીને વળી ગરાસ હોતો હશે? કાઠીના હાથમાં તો રામપાતર જ રહેશે. અને ભાઈ ભોજ ખુમાણ! કાઠી વંશના જે કટંબ-કુવાડા બન્યા હશે, તેનાં પાપ સૂરજ શૅ સાંખશે? નહિ સાંખે.” એટલું કહીને આઈ ઓરડે ચાલ્યાં ગયાં. આંહીં દાયરો થંભી જ રહ્યો. જોગીદાસના કાકા ભમોદરાવાળા ભોજ ખુમાણના મોં પરથી વિભૂતિ ઊડી ગઈ. આઈની વાણીમાં એણે ભવિષ્યના બોલ સાંભળ્યા. દાયરાના મન ઉપરથી ગમગીનીનો પડદો તોડવા માટે ચારણે મોટે સાદે દુહો લલકાર્યો કે —

અંગરેજે મલક ઊંટાકીયો, મયણ કેતોક માણ,
ત્રણે પરજું તોળિયું, (એમાં) ભારે જોગો ને ભાણ!

[અંગ્રેજોએ આવીને સોરઠ દેશ તોળી જોયો, આ ધરતી કેટલીક વજનદાર છે તપાસી જોયું. કાઠીઓની ત્રણે પરજોને તોળી જોઈ, એમાં ભાણ ને જોગીદાસ બે જણ વજનદાર નીકળ્યા.]