સોરઠી સંતવાણી/છેલ્લી શિખામણ

Revision as of 11:29, 28 April 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


છેલ્લી શિખામણ

સ્થિરતાએ રહેજો ને વચનુમાં ચાલજો ને
રાખજો રૂડી રીત રે,
અજાણ્યા સાથે વાત નવ કરજો રે
જેનું મન સદા વિપરીત રે —
ભાઈ રે આગળ ઘણા મહાત્મા થઈ ગયા ને
તેણે કુપાત્રનો કર્યો નિષેધ રે,
એક આત્મા જાણીને અજ્ઞાની પ્રબોધિયો ને
ઉપજાવે અંતરમાં ખેદ રે. — સ્થિરતાએ.
ભાઈ રે લિંગ વાસનામાં જેનું ચિત્ત લાગ્યું ને
આસક્ત છે વિષયમાંય રે,
એવાને ઉપદેશ કદી નવ કરવો ને
જેને લાગે નહીં લેશ ઉરમાંય રે. — સ્થિરતાએ.
ભાઈ રે ઉપાધિ થકી આપણે નિર્મળ રહેવું ને
ચૂકવો નહીં અભ્યાસ રે,
ગંગાસતી એમ બોલિયાં ને
ત્યાં રહે નહીં દુરજનનો વાસ રે. — સ્થિરતાએ.

[ગંગાસતી]