સોરઠી સંતવાણી/તાર લાગ્યો

Revision as of 10:45, 28 April 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


તાર લાગ્યો

હેઠાં ઊતરીને પાયે લાગ્યાં ને
ઘણો કીધો છે ઉપકાર રે,
અમાપક બુદ્ધિ થઈ ગઈ છે મારી ને
લાગ્યો અકર્તા પુરુષમાં તાર રે —
ભાઈ રે! અખંડ અમર અવિનાશી ભાળ્યા ને
વસ્તુ છે અગમ અપાર રે;
દયા કરીને મુજને દરસાવ્યા ને
અનામ એક નિરધાર રે. — હેઠાં.
ભાઈ રે! સમજીને વાસના સમાઈ ગઈ ને
અનુપમ છે એક રૂપ રે,
આતમાને ભિન્ન નવ જાણો ને
એ તો છે શુદ્ધ નિરંજન ભૂપ રે. — હેઠાં.
ભાઈ રે! સરવેની સાથે મિત્રતા રાખજો ને
નહીં પ્રીતિ નહીં વેર રે,
ગંગાસતી એમ બોલિયાં ને
એવું સમજીને કરવી લેર રે. — હેઠાં.

[ગંગાસતી]