સોરઠી સંતવાણી/સાધુની સંગત

Revision as of 07:26, 28 April 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સાધુની સંગત

શીલવંત સાધુને વારેવારે નમીએ, પાનબાઈ!
જેનાં બદલે નહીં વ્રતમાન રે
ચિત્તની વરતી જેની સદાય નિરમાળી
જેને મા’રાજ થયા મે’રબાન રે —
ભાઈ રે! શત્રુ ને મિત્ર રે એકે નહીં ઉરમાં
જેને પરમારથમાં પ્રીત રે,
મન ક્રમ વાણીએ વચનુંમાં ચાલે ને
રૂડી પાળે એવી રીત રે — શીલવંત.
ભાઈ રે! આઠે પો’ર મનમસ્ત થઈ રે’વે
જેને જાગી ગયો તુરિયાનો તાર રે
નામ ને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું ને
સદાય ભજનનો આહાર રે — શીલવંત.
ભાઈ રે સંગત્યું તમે જ્યારે એવાની કરશો ને
ત્યારે ઊતરશો ભવપાર રે
ગંગા સતી એમ બોલિયાં ને
જેને વચનુંની સાથે વેવાર રે — શીલવંત.

[ગંગાસતી]