સોરઠી સંતવાણી/મન નો ડગે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મન નો ડગે

મેરુ રે ડગે ને જેનાં મન નો ડગે
મરને ભાંગી રે પડે ભરમાંડ રે;
વિપદ પડે પણ વણસે નહીં,
ઇ તો હરિજનનાં પરમાણ રે. — મેરુ રે.
ભાઈ રે! હરખ ને શોકની ના’વે જેને હેડકી ને
શીશ તો કર્યાં કુરબાન રે,
સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે,
જેણે મેલ્યાં અંતરનાં માન રે. — મેરુ રે.
ભાઈ રે! નિત્ય રે’વું સતસંગમાં ને
જેને આઠે પો’ર આનંદ રે,
સંકલપ વિકલપ એકે નહીં ઉરમાં,
જેણે તોડી નાખ્યો માયા કેરો ફંદ રે. — મેરુ રે.
ભાઈ રે! ભગતિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ!
રાખજો વચનુંમાં વીશવાસ રે,
ગંગાસતી એમ બોલિયાં
તમે થાજો સતગુરુજીનાં દાસ રે. — મેરુ રે.

[ગંગાસતી]