સોરઠી સંતવાણી/ગુરુજીનું ધ્યાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગુરુજીનું ધ્યાન

નવધા ભગતિમાં નિરમળ રે’વું ને
શીખવો વચનુંનો વિશવાસ રે,
સતગુરુને પૂછીને પગલાં ભરવાં ને
થઈને રહેવું તેના દાસ રે.
ભાઈ રે! રંગરૂપમાં રમવું નહીં ને
કરવો ભજનુંનો અભિયાસ રે,
સતગુરુ સંગે એકાંતમાં રે’વું ને
તજી દેવી ફળની આશ રે — નવધા.
ભાઈ રે! દાતા ને ભોગતા હરિ એમ કે’વું ને
રાખવું નિરમળ જ્ઞાન રે,
સતગુરુ ચરણમાં શીશ નમાવવું રે
ધરવું ગુરુજીનું ધ્યાન રે — નવધા.
ભાઈ રે! અભ્યાસીને એવી રીતે રે’વું ને
જાણવો વચનનો મરમ રે,
ગંગાસતી એમ બોલિયાં ને
છોડી દેવાં અશુદ્ધ કરમ રે — નવધા.

[ગંગાસતી]