અનુક્રમ/ભટ્ટ નાયકનો ભાવનાવ્યાપાર
સંસ્કૃત રસમીમાંસામાં રસનિષ્પત્તિ વિષેના ભટ્ટ નાયકના મતનું સ્થાન ઘણું મહત્ત્વનું છે. રસની અલૌકિકતા એ પહેલી વાર વ્યવસ્થિત રીતે સ્ફુટ કરે છે અને શબ્દથી રસ સુધીની મનોયાત્રા અવાંતરક્રમો તારવી આપે છે. ‘સાધારણીકરણ’નો ખ્યાલ પણ એ પહેલી વાર પ્રસ્તુત કરે છે. અભિનવગુપ્તના મત ઉપર એનો ઘણોબધો પ્રભાવ પડેલો જણાય છે – એ ધ્વનિવાદી નથી અને અભિનવગુપ્ત એના મતનું કેટલું ખંડન કરે છે તે છતાં. રસનિષ્પત્તિમાં ભટ્ટ નાયકે ત્રણ વ્યાપારો કલ્પ્યા છે – અભિધા, ભાવના (કે ભાવકત્વ) અને ભોગ. (ત્રણ વ્યાપારોની આ કલ્પના જ અભિનવગુપ્તના પ્રહારોનો એક મુખ્ય વિષય બની છે.) આમાંથી ભાવના કે ભાવકત્વવ્યાપારના સ્વરૂપ, સ્થાન અને કાર્ય વિષે કંઈક દૃષ્ટિભેદ અને ક્યારેક ગૂંચવાડો પણ પ્રવર્તતો જણાય છે. એથી એ વિષે થોડી તપાસ અને ચર્ચા અહીં કરવા ધારી છે. અભિનવગુપ્ત ‘અભિનવભારતી’માં ભટ્ટ નાયકનો મત રજૂ કરે છે તેમાં ભાવકત્વવ્યાપારને લગતો ભાગ આ પ્રમાણે છે : “તેથી કાવ્યમાં દોષાભાવ-ગુણાલંકારમય હોવાના લક્ષણવાળા, તેમ જ નાટકમાં ચતુર્વિધ અભિનયરૂપ, પોતાનામાં ભરેલા ગાઢ મોહનું નિવારણ કરનાર, વિભાવાદિના સાધારણીકરણરૂપ, અભિધા ઉપરાંતના બીજા અંશ ભાવકત્વવ્યાપારથી ભાવિત થયેલો રસ...ભોગવ્યાપારથી... ભોગવાય છે.”[1] આમાંથી પ્રાથમિક રીતે આપણે આટલા મુદ્દાઓ તારવી શકીએ છીએઃ ૧. ભાવકત્વ એ કાવ્યનાટકનો અભિધા ઉપરાંતનો એક બીજો વ્યાપાર છે. ૨. કાવ્યમાં એ દોષાભાવ-ગુણાલંકારરૂપ છે અને નાટકમાં એ ચતુર્વિધ અભિનયરૂપ છે. ૩. એ વિભાવાદિના સાધારણીકરણરૂપ છે અને ગાઢ મોહનું નિવારણ કરનાર છે. ૪. એનાથી રસ ભાવિત થાય છે. ૫. ભોગવ્યાપારથી થતો રસનો ભોગ એ આ રસભાવના પછીનો ક્રમ છે. પણ ઊંડું વિચારતાં આમાંથી કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. જેમ કે, રસભોગથી ભિન્ન એવી રસભાવના એટલે ખરેખર શું? એનો અને સાધારણીકરણનો સંબંધ કઈ જાતનો? દોષાભાવ-ગુણાલંકાર અને ચતુર્વિધ અભિનય સાથે એને શો સંબંધ? ભાવના કે ભાવકત્વ એ યોગ્ય સંજ્ઞા છે? – વગેરે. આપણે આ વિષે વિચારીએ.
ભાવના કે ભાવકત્વવ્યાપાર વિષે પ્રવર્તતો ગૂંચવાડો કે દૃષ્ટિભેદ, જ્યારે એને માટે કોઈ પર્યાયશબ્દ યોજવામાં આવે છે ત્યારે જણાઈ આવે છે. નીચે ભાવકત્વવ્યાપારને માટે ભાષાંતરરૂપે કે સમજૂતીરૂપે યોજાયેલા પર્યાયોની સૂચિ આપવામાં આવી છે તે જુઓ : ૧. ટી. આર. ચિંતામણિ : idealisation[2] (આદર્શીકરણ કે ભાવનામયીકરણ) ૨. સુશીલકુમાર દે : generalisations[3] (સાધારણીકરણ) ૩. ગંગનાથ ઝા : a presentative potency[4] (આવિષ્કરણવ્યાપાર) ૪. વિષ્ણુપદ ભટ્ટાચાર્ય : સાધારણીકૃતિ – universalization[5] ૫. કૃષ્ણચૈતન્યઃ power of generalization[6] (સાધારણીકરણ વ્યાપાર) ૬. નોલી : power of revelation[7] (પ્રકટીકરણવ્યાપાર); power of effectuation[8] (નિષ્પત્તિવ્યાપાર). ૭. મેસન અને પટવર્ધન : universalization[9] (સાર્વત્રિક રૂપ આપવાનો વ્યાપાર); generalisation[10] (સાધારણીકરણ). ૮. ડૉ. રાઘવન્ : context-limited contemplation[11] (સંદર્ભનિયત પરામર્શ), imaginative and sympathetic communion[12] (કલ્પનાત્મક અને સમભાવાત્મક હૃદયસંવાદ); imaginative activity of aesthetic contemplation[13] (રસપરામર્શનો કલ્પનાત્મક વ્યાપાર). ૯. રામનારાયણ પાઠક : કલ્પનાવ્યાપાર[14] ૧૦. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી : સાધારણીકરણને ભાવનાનો વ્યાપાર કહી તેને કલ્પનાવ્યાપારમાં સમાવે છે.[15] ૧૧. નગેન્દ્ર : કલ્પના કા વિષય હોના[16] (કલ્પનાગત થવું તે) જોઈ શકાશે કે કેટલેક ઠેકાણે ભાવકત્વવ્યાપાર અને સાધારણીકરણને અભિન્ન ગણી લેવામાં આવ્યા છે.
ભાવકત્વવ્યાપારનું ખરું સ્વરૂપ સમજવા માટે આપણે એને ચાર સંદર્ભમાં તપાસવો જોઈએ : (૧) કાવ્યનાટકનું ઉપાદાન (શબ્દાર્થ) અને ભાવકત્વવ્યાપાર (૨) સાધારણીકરણ અને ભાવકત્વવ્યાપાર (૩) રસ અને ભાવકત્વવ્યાપાર તથા (૪) સામાજિક અને ભાવકત્વવ્યાપાર. પહેલાં કાવ્યના શબ્દાર્થ અને ભાવકત્વવ્યાપાર વચ્ચેનો સંબંધ તપાસીએ. એ અંગેની નોંધપાત્ર હકીકત એ છે કે ભટ્ટ નાયકની દૃષ્ટિએ ભાવકત્વ એ કાવ્યાત્મક શબ્દનો એક અંશભૂત વ્યાપાર છેઃ “કાવ્યાત્મક શબ્દ એના ત્રણ અંશભૂત વ્યાપારોને કારણે અન્ય શબ્દોથી જુદો પડે છે. એમાં વાચ્યાર્થવિષયક અભિધાવ્યાપાર, રસાદિવિષયક ભાવકત્વવ્યાપાર અને સહૃદયવિષયક ભોજકત્વવ્યાપાર એ ત્રણ અંશભૂત વ્યાપારો છે.[17] અન્ય શબ્દો માત્ર વાચ્યાર્થવિષયક અભિધાવ્યાપાર ધરાવે છે ત્યારે કાવ્યના શબ્દો, એ ઉપરાંત બે બીજા વ્યાપારો પણ ધરાવે છે. આ કાવ્યશબ્દની વિલક્ષણતા કે વિશિષ્ટતા છે. કાવ્યના શબ્દો આ બીજા વ્યાપારો ધરાવતા કેમ થાય છે ? તો, એનું કારણ એ છે કે એમાં દોષોનો અભાવ હોય છે અને એ ગુણાલંકારયુક્ત હોય છે, તથા જો નાટક હોય તો, એને ચતુર્વિધ અભિનયની મદદ મળેલી હોય છે. એટલે કે કાવ્યના શબ્દમાં રહેલા ગુણાલંકાર અને અદોષતાને કારણે તથા નાટકમાં ચતુર્વિધ અભિનયના બળને કારણે ભાવકત્વવ્યાપાર પ્રવર્તે છે. ભટ્ટ નાયક દોષાભાવ-ગુણાલંકારને અને અભિનયને ભાવકત્વવ્યાપારના લક્ષણરૂપે ગણાવે છે તે આ અર્થમાં જણાય છે. જેમ અભિધા સંકેતરૂપ છે એનો અર્થ એ કે અભિધા સંકેતને કારણે પ્રવર્તે છે, લક્ષણા મુખ્યાર્થબાધ-તદ્યોગ-રૂઢિ કે પ્રયોજનરૂપ છે તેનો અર્થ એ કે એ મુખ્યાર્થબાધ વગેરેને કારણે પ્રવર્તે છે તેમ ભાવકત્વ દોષાભાવ-ગુણાલંકાર કે અભિનયરૂપ છે એનો અર્થ એ છે કે એ દોષાભાવ વગેરેને કારણે પ્રવર્તે છે. ભાવકત્વવ્યાપારનો કાવ્યના શબ્દ સાથેનો આ સંબંધ અભ્યાસીઓના લક્ષમાં હંમેશાં સ્પષ્ટપણે રહેલો જણાતો નથી. એથી જ નોલીએ ‘અભિનવભારતી’માં અપાયેલા ભટ્ટ નાયકના મતના અનુવાદમાં ભાવત્વકવ્યાપારનું ‘a special power assumed by words in poetry and drama’[18] એમ શબ્દો વાપર્યા છે તે ધ્યાન ખેંચે છે. ડૉ. રાઘવને પણ કાવ્યની ઉક્તિનો એ વ્યાપાર હોવા પર સતત ભાર મૂક્યો છે : “Bhvakatva...is due to certain elements of beauty in expression s’abdarth...”[19] “a power in poetic and dramatic expression called Bhavana...”[20] “...the Bhavana s’akti for poetic expression and dramatic action”[21] “...a power in poetic expression called Bhavana”[22]
ભટ્ટ નાયકે ભાવકત્વવ્યાપારને ‘વિભાવાદિસાધારણીકરણાત્મા’ કહ્યો છે એટલે કે વિભાવાદિનું સાધારણીકરણ એ ભાવકત્વવ્યાપારનું આત્મભૂત તત્ત્વ છે. આથી કેટલાક અભ્યાસીઓ સાધારણીકરણ અને ભાવકત્વવ્યાપારને અભિન્ન માનવા લલચાયા છે. જેમ કે – ૧. દેશપાંડે : “કાવ્યગત શબ્દો મેં સ્થિત યહ સાધારણીકરણવ્યાપાર હી ભાવના હૈ.”[23] ૨. રામપ્રસાદ બક્ષી. : “નાયકનાયિકાની આવી સ્થલકાલવ્યક્તિઃ આદિની વિશિષ્ટતાઓથી રહિત, કેવળ કાન્ત અને કાન્તા એ પ્રકારની પ્રતીતિ થાય અને એવી પ્રતીતિ માટે સહૃદયની મનોભૂમિ પણ પોતાના વ્યક્તિત્વના વિસ્મરણથી તૈયાર બની રહે એ ઘટનાને ‘ભાવના’ અથવા ‘ભાવકત્વ’ એવું નામ ભટ્ટ નાયકે આપ્યું છે.”[24] ૩. મેસન અને પટવર્ધન “Bhavana is the same as sadharanikaran”[25] આપણે આગળ જોયું છે તેમ અંગ્રેજીમાં તો કેટલીક વાર ભાવક ત્વવ્યાપાર માટેનો પર્યાય જ ‘idealisation’ ‘universalisation’ કે ‘generalisation’ મૂકી દેવામાં આવ્યો છે. પણ ભાવકત્વવ્યાપાર અને સાધારણીકરણ એક હોવા સંભવ છે ખરો? ડૉ. પ્રેમસ્વરૂપ ગુપ્ત ભાવકત્વ અને સાધારણીકરણ સાવ પર્યાયવાચી હોવાની ના પાડે છે.[26] રામનારાયણ પાઠક ભટ્ટ નાયકે ભાવકત્વ અને સાધારણીકરણને એક કહ્યો છે એમ નોંધે છે પણ સમજાવે છે કે “ભાવકત્વ એ જ સાધારણીકરણ એમ કહેવામાં ભાવકત્વનો અર્થ કોઈ રીતે આવતો નથી, અને ભાવકત્વવ્યાપારને લીધે સાધારણીકરણ થાય છે. એમ કહેવામાં બન્ને શબ્દોને પોતપોતાનો સંપૂર્ણ અર્થ મળે છે.”[27] ઉપરાંત, અભ્યાસીઓએ સાધારણીકરણને ભાવકત્વવ્યાપારના એક ‘કાર્ય’ તરીકે પણ દર્શાવેલ છે, જેમ કે, — ૧. નોલી : “The specific task of this power... is generalization or universalization of the things presented or described.”[28] ૨. મેસન અને પટવર્ધન : “This function of universalisation (bhavakatva)...is in fact...responsible for making the vibhavas etc, universal”[29] ખરો મુદ્દો આ છે. જો ભાવકત્વવ્યાપાર દ્વારા ભટ્ટ નાયકને સાધારણીકરણનો વ્યાપાર જ અભિપ્રેત હોય તો એ જુદી સંજ્ઞા વાપરે શા માટે? વસ્તુતઃ ભટ્ટ નાયકે ભાવકત્વવ્યાપારનાં, પરસ્પર સંકળાયેલાં છતાં, બે કાર્યો વર્ણવ્યાં છે : ૧. સંવિતમાં વ્યાપેલો નિબિડ મોહ દૂર કરવો (અને શુદ્ધ સત્ત્વોદ્રેકની અવસ્થા નિપજાવવી) ૨. વિભાવાદિને સાધારણ સ્વરૂપે ઉદ્ભાસિત કરવા. એટલે ભટ્ટ નાયકની દૃષ્ટિએ ઉક્તિવૈશિષ્ટ્યથી ભાવકત્વવ્યાપાર જન્મે છે અને ભાવકત્વવ્યાપારથી મોહનિવારણ અને સાધારણીકરણ થાય છે. ભાવકત્વવ્યાપારથી થાય છે એમ ન કહેવું હોય તો ભાવકત્વવ્યાપારમાં થાય છે એમ પણ કહી શકાય. એટલે કે એ ભાવકત્વવ્યાપારના ઘટક અંશો છે, એમાં અંતર્ગત પ્રક્રિયાઓ છે. પણ એ રીતે પણ ભાવકત્વવ્યાપાર અને સાધારણીકરણને પર્યાયરૂપ તો ન જ ગણી શકાય. ભાવકત્વવ્યાપારની અંતર્ગત આ બે મુખ્ય પ્રક્રિયાઓ, છતાં એ ઉપરાંત પણ બીજું ઘણું ભાવકત્વવ્યાપારમાં અભિપ્રેત હોઈ શકે.
ભટ્ટ નાયકે અભિધાને વાચ્યાર્થવિષયક અને ભાવનાને રસવિષયક વ્યાપાર કહ્યા છે. આનો અર્થ એ છે કે જેમ અભિધા વાચ્યાર્થને અનુલક્ષે છે – પ્રગટ કરે છે તેમ ભાવના રસને અનુલક્ષે છે – પ્રગટ કરે છે. એટલે આ રીતના સંબંધો ગોઠવાયા : શબ્દ —> અભિધા —> વાચ્યાર્થ ગુણાલંકારયુક્ત શબ્દ —> ભાવના —> રસ મોહનિવારણ અને સાધારણીકરણ જેવી અંતર્ગત પ્રક્રિયાઓ દ્વારા પણ, ભાવનાવ્યાપારનું અંતિમ કાર્ય કે લક્ષ્ય તો રસને પ્રગટ કરવાનું, એને સાક્ષાત્કૃત કરાવવાનું, એને નિષ્પન્ન કરવાનું છે. (પછીથી એ રસનો ‘ભોગ’ થાય.) અંગ્રેજીમાં ભાવકત્વવ્યાપાર માટે ‘revelation’ ‘effectuation’ ‘presentative potency’ એવી સંજ્ઞાઓ યોજાઈ છે તે ભાવકત્વવ્યાપારના આ કાર્યને અનુલક્ષીને યોજાઈ હોવા સંભવ છે. પણ revelation જેવી સંજ્ઞાઓ વ્યાપક અર્થની હોઈ, નિશ્ચિત સંદર્ભની ચોક્કસ પ્રક્રિયા માટે એ પસંદ કરવા જેવી કે કેમ એ વિચારવા જેવું છે. જેમ ભાવના રસને પ્રગટ કરવાનું કાર્ય કરે છે તેમ અભિધા વાચ્યાર્થને પ્રગટ કરવાનું કાર્ય કરે છે. ‘ભાવના’ જેવી નક્કર સંજ્ઞાના પૂરા અર્થને revelation જેવી સર્વસામાન્ય રૂપની સંજ્ઞા ન જ વ્યક્ત કરી શકે. ખરેખર તો ભટ્ટ નાયકે ભાવનાવ્યાપારથી રસ ભાવ્યમાન થાય છે, ભાવિત થાય છે એમ કહ્યું છે. એણે સાક્ષાત્કૃતિ, પ્રકટીકરણ કે નિષ્પત્તિ – એવા શબ્દો વાપર્યા નથી એટલે ‘ભાવના’નો આપણે જે અર્થ કરીએ એના પર ઘણોબધો આધાર રહે છે. પણ આટલું નિશ્ચિત છે કે કાવ્યના શબ્દવૈશિષ્ટ્યને કારણે પ્રવર્તતો, મોહનિવારણ અને સાધારણીકરણ આદિ અંતર્ગત પ્રક્રિયાઓવાળો, રસને ભાવ્યમાન કરતો વ્યાપાર તે ભાવનાવ્યાપાર. ૬ ભાવનાવ્યાપારમાં સામાજિક કે એનું ચિત્ત કંઈ સંડોવાયેલું હોય છે? કેવી રીતે? – એ વિષે ભટ્ટ નાયકના મતમાં સીધી રીતે કંઈ કહેવાયેલું નથી (ભોગવ્યાપાર સહૃદયલક્ષી છે એમ એણે કહ્યું છે ખરું) પરંતુ સામાજિકના ચિત્તને આવરી રહેલો મોહરૂપી અંધકાર દૂર થાય છે એમ તો એણે કહ્યું છે અને વિભાવાદિનું સાધારણીકરણ પણ સામાજિકનું ચિત્ત કાવ્યસામગ્રીને જે રૂપે પ્રત્યક્ષ કરે છે એને અનુલક્ષે છે. એટલે કે ભાવનાવ્યાપારમાં સામાજિકનું ચિત્ત કોઈક જુદી જ અવસ્થા પ્રાપ્ત કરે છે એમ તો અહીં ગૃહીત છે જ, ભાવનાવ્યાપારમાં સામાજિકના ચિત્તની આથી વિશેષ કઈ સક્રિયતા અભિપ્રેત હોઈ શકે કે કેમ, ભાવનાવ્યાપારને સામાજિકના ચિત્તના એક વ્યાપાર તરીકે જોઈ શકાય કે કેમ તે વિચારવા જેવું છે. ‘ભાવના’ શબ્દ સંસ્કૃતમાં અનેક અર્થછાયાઓમાં વપરાય છે અને એમાં ઘણે ઠેકાણે એ ચિત્ત સાથે સંકળાયેલો વ્યાપાર છે. જેમ કે, – ૧. મીમાંસામાં ‘ભાવના’ને ‘ભવિતુર્ભવનાનુકુલો ભાવકવ્યાપારવિશેષઃ’ (નિર્માણ પામવાની વસ્તુ પ્રત્યે અનુકૂળ, નિર્માતાનો વ્યાપાર કે પ્રયત્ન) તરીકે ઓળખાવવામાં આવેલ છે.[30] ૨. ‘રસગંગાધર’માં જગન્નાથે ‘ભાવનાવિશેષ’ને પુનર્પુનરનુંસન્ધાનાસ્મા’ (પુનઃ પુનઃ અનુસંધાનના લક્ષણવાળો) કહ્યો છે અને એને કાવ્યાનંદની લોકોત્તરતાનું કારણ ગણાવેલ છે.[31] ‘તારે ત્યાં પુત્ર જન્મ્યો’ એવા લૌકિક વાક્યમાં આ જાતનો ભાવનાવ્યાપાર પ્રવર્તતો નથી, કાવ્યવાક્યમાં પ્રવર્તે છે એમ એ સમજાવે છે. ૩. ભોજ ‘ભાવના’ને ‘ભાવ્યસ્ય વિષયાન્તરપરિહારેણ ચેતસિ પુનઃપુનઃ નિવેશનમ્’ (અનુભવવાની વસ્તુ, અન્ય વિષયોના પરિહારપૂર્વક, ચિત્તમાં ફરી ફરીને આવી વસે તે) તરીકે વર્ણવે છે. ૪. મધુસૂદન સરસ્વતી ‘ભક્તિરસાયન’માં જણાવે છે કે કામ, ક્રોધ વગેરે ભાવો નિષ્પન્ન કરનાર વસ્તુની ઉપસ્થિતિમાં ચિત્ત દ્રવીભૂત થાય છે અને એ વસ્તુનો આકાર ધારણ કરે છે. ચિત્તની આ ‘વસ્તુ-આકારતા’ વસ્તુનો, આકાર તે જ ‘વાસના’ (સંસ્કાર’) ‘ભાવ’ કે ‘ભાવના’ : ‘દ્રુતે ચિત્તે વિનિક્ષિપ્ત સ્વકારો વસ્તુ વસ્તુના | સંસ્કારવાસનાભાવભાવનાશબ્દભાગસૌ ||[32] ૫. વૈદકમાં કશાકને કશાકનો પાસ કે પુટ આપવાની ક્રિયા માટે ‘ભાવના’ શબ્દ વપરાય છે. ટૂંકમાં, ‘ભાવના’ ચિત્તની વિષયાભિમુખતા કે ચિત્તને થતો વિગલિતવેદ્યાન્તર એવો વિષયસ્પર્શ દર્શાવે છે. ભટ્ટ નાયકને ‘ભાવના’ના આ સંકેતો અભિપ્રેત નહિ હોય એમ કહેવું મુશ્કેલ છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં સર્જકની ‘કારયિત્રી’ તેમ ભાવકની ‘ભાવયિત્રી’ પ્રતિભા જાણીતી છે જ. ‘ભાવનાવ્યાપાર’ને ‘contemplation’ ‘imaginative and sympathetic communion’ કે ‘કલ્પનાવ્યાપાર’ તરીકે ઓળખાવવા પાછળ આ જાતની સમજણ કામ કરી રહેલી જણાય છે. મોનિયર વિલિયમ્સ પણ ‘ભાવન’ના ‘producing’ ‘displaying’ ‘conception’ ‘imagination’ ‘contemplation’ વગેરે અનેક અર્થો નોંધે છે. આ દૃષ્ટિએ રામનારાયણ પાઠકે ભાવકત્વવ્યાપારનું કરેલું અર્થઘટન નોંધપાત્ર છે : “ભાવકત્વવ્યાપાર એટલે કાવ્યાનુભવને ભાવવાનો – કાવ્યાનુભવને ભાવનાગત કરવાનો, કાવ્યાનુભવ સાથે તન્મય થવાનો વ્યાપાર.” “ભાવનાવ્યાપારને કલ્પના કહી શકાય. કલ્પનાનો અર્થ એમાં આવી જાય છે, પણ કલ્પના કરતાં હું ભાવકત્વવ્યાપાર શબ્દ વધારે સારો ગણું છું. ભાવકત્વ કે ભાવનામાં રસેપ્સાથી કાવ્યકૃતિ તરફ ધ્યાન જવું, એ તરફ ઉન્મુખ થવું ત્યાંથી માંડીને, કાવ્યકૃતિના અર્થને મનોગત કરવો, તેનું પરિશીલન કરવું, તેની સાથે તન્મય, તદ્રૂપ કે તદાકાર થવું અને તેનું આસ્વાદન કરવું એ આખી પ્રક્રિયા આવી જાય છે.”[33] એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે ભટ્ટ નાયકના ભાવકત્વવ્યાપારમાં આસ્વાદનની પ્રક્રિયા ન આવે, કેમ કે એ માટે એ જુદો ભોગવ્યાપાર કલ્પે છે. ભાવકત્વને એક શબ્દવ્યાપાર કહ્યા પછી એને એક ચિત્તવ્યાપાર તરીકે ઘટાવીએ એમાં કંઈ ખોટું નહિ? – એવો પ્રશ્ન થાય. પણ જેમ વ્યંજનાવ્યાપાર શબ્દ આધારિત હોવા છતાં એમાં ચિત્તના અનુભવો અને વેદનશીલતા પણ ભાગ ભજવે જ છે, તેમ ભાવકત્વને પણ વિલક્ષણ કાવ્યશબ્દથી જાગતા એક વિશિષ્ટ ચિત્તવ્યાપાર તરીકે જોવામાં કશી મુશ્કેલી નથી.
હવે આપણે ભાવકત્વવ્યાપારની એક વિશદ અને ચોક્કસ સમજૂતી પર આવવાનો પ્રયત્ન કરીએ. આખી ચર્ચામાંથી એવું ફલિત થાય છે કે કાવ્યના શબ્દાર્થની એવી વિશિષ્ટતા હોય છે (અને નાટકમાં એમાં અભિનયનું એવું બળ ઉમેરાય છે) કે સામાજિકનું ચિત્ત વ્યવહારજીવનમાંથી ખેંચાઈ જાય છે – ઊંચે ઊઠે છે અને એક જુદી જ – અ-લૌકિક ભૂમિકા પ્રાપ્ત કરે છે. આ ભૂમિકાએ વસ્તુજગત સાથે રાગદ્વેષના સંબંધો બાંધતી વ્યવહારજીવનની મોહવશતા દૂર થતાં ચિત્ત કાવ્યસામગ્રીને સાધારણરૂપે પામે છે – કેવળ વિમર્શ, કલ્પના કે આસ્વાદની સામગ્રીરૂપે જુએ છે અને એની સાથે તન્મયતા સાધે છે. એટલે કે ચિત્તનો કાવ્યસૃષ્ટિ સાથે કલ્પનાની ભૂમિકાએ એક વિશિષ્ટ સંબંધ રચાય છે. આ રીતે રસના આસ્વાદની ભૂમિકા તૈયાર થાય છે – એ સાક્ષાત્કારનો વિષય બની, કલ્પનાગમ્ય બની, આસ્વાદ્ય વસ્તુ તરીકે પ્રસ્તુત થાય છે. આનું નામ રસનું ભાવન અને જે પ્રક્રિયા દ્વારા એ થાય છે તે ભાવકત્વ કે ભાવનાવ્યાપાર (આ પછી અનુભવમાં આવેલા રસનો આસ્વાદ લેવાય છે – એની ચર્વણા થાય છે જેને ભટ્ટ નાયક ભોગવ્યાપાર કહે છે.) ટૂંકમાં, અભિધા વડે કાવ્યશબ્દના વાચ્યાર્થની પ્રતીતિ થયા પછી એના વૈચિત્ર્યનો પ્રભાવ પડવાથી માંડીને રસ અનુભવની કક્ષામાં આવે ત્યાં સુધીની આખી પ્રક્રિયાને ભટ્ટ નાયક ભાવકત્વવ્યાપાર તરીકે ઓળખાવતા જણાય છે. એ રીતે એ કલાનુભવનો વ્યાપાર છે. આ ભાવકત્વવ્યાપાર કાવ્યના ઉક્તિવૈશિષ્ટ્યને કારણે પ્રવર્તે છે, એ મોહનિવારણ –વિભાવાદિસાધારણીકરણરૂપ હોય છે અને રસને અનુભવમાં લાવે છે એ તો ભટ્ટ નાયકના મતમાં સ્પષ્ટપણે દર્શાવાયું છે.
ભટ્ટ નાયક જે સ્થાને ભાવનાવ્યાપારને મૂકે છે ત્યાં અભિનવગુપ્ત ધ્વનિવ્યાપારને મૂકે છે. (ભોગવ્યાપારને પણ એ ધ્વનિવ્યાપારમાં જ સમાવી લે છે.) ધ્વનિ પણ વિશિષ્ટ કાવ્યશબ્દને કારણે સ્ફુરે છે અને રસનો અનુભવ કરાવે છે. એ રીતે, ભટ્ટ નાયકે કંઈ નવું કહ્યું નથી એવી ટીકા પણ અભિનવગુપ્ત કરે છે.[34] પણ પ્રશ્ન એ છે કે ‘ધ્વનિ’ અને ‘ભાવના’ એ બે એક જ વ્યાપારો હોય તો એ બંનેમાંથી કઈ સંજ્ઞા વધારે સમુચિત છે, કાવ્યાનુભવની ઘટનાને એના ખરા સ્વરૂપમાં સમજાવવા સમર્થ છે? ધ્વનિમાં તો રસધ્વનિ ઉપરાંત વસ્તુધ્વનિ અને અલંકારધ્વનિ એવા પ્રભેદો પણ પડે છે, તેમ જ એક બાજુ વસ્તુધ્વનિ અને અલંકારધ્વનિ તથા બીજી બાજુ રસધ્વનિ – એમની વચ્ચેની ખાઈ ઘણી મોટી છે.[35] એટલે ધ્વનિવ્યાપાર એક વ્યાપક સ્વરૂપનો વ્યાપાર બની રહે છે; ત્યારે ભાવના તો કેવળ રસલક્ષી વ્યાપાર છે અને અભિમુખતા, આસ્વાદયોગ્યતા, પરામર્શ, તદ્રૂપતા એવા અનેક સહચારી અર્થો એ વ્યક્ત કરી શકે છે.
રસાનુભવમાં ભાવના અને ભોગ એવા સ્ફુટ પૂર્વાપર ક્રમો કદાચ ન સ્વીકારી શકાય પરંતુ કાવ્યાર્થને અવગત કરવો અને એનો આસ્વાદ કરવો એ બન્ને બાબતોને એક સંકુલ પ્રક્રિયાને સમજવા માટે જુદી પાડવી એમાં કોઈ ગંભીર ભૂલ રહેલી છે કે કેમ તે વિચારવા જેવું છે.
ભટ્ટ નાયકની વિચારણામાં, આ રીતે, આપણું ખાસ ધ્યાન માગે એવા ઘણા અંશો રહેલા છે.
સંદર્ભસૂચિ
૧. ‘અભિનવભારતી’, ભરતના ‘નાટ્યશાસ્ત્ર’ પરની અભિનવ ગુપ્તની ટીકા.
૨. ‘ધ્વન્યાલોકલોચન’, આનંદવર્ધનના ‘ધ્વન્યાલોક’ પરની અભિનવગુપ્તની ટીકા.
૩. The Aesthetic Experience according to Abhinavagupta, Raniero Gnoli, The Chowkhamba Sanskrit Series Office, Varanashi, ૨nd ed., ૧૯૬૮,
૪. S’anatarasa and Abhinavagupta’s Philosophy of Aesthetics, J. L. Mason & M. V. Patwardhan, Bhandarkar Oriental Research Institute, Poona, ૧૯૬૯.
૫. Bhoja’s Srngara Prakas’a, Dr. V. Raghavan, Punarvasu, Madras, ૧૯૬૩.
૬. Sanskrit Poetics, S. K. De, Firma K. L. Mukhopadhyaya, Calcutta, ૧૯૬૦.
૭. Sasnkrit Poetics, Krishna Chaitanya, Asia Publishing House, London, ૧૯૬૫.
૮. Kavyaprakas’a, Ganganath Jha, Bharatiya Vidya Prakashan, Varanasi, ૧૯૬૭.
૯. રસસિદ્વાન્ત, નગેન્દ્ર, નેશનલ પબ્લિશિંગ હાઉસ, દિલ્લી, ૧૯૬૪
૧૦. ભારતીય સાહિત્યશાસ્ત્ર, ગણેશ ત્ર્યંબક દેશપાંડે, પોપ્યુલરઃ બૂક ડેપો, બંબઈ ૧૯૬૦.
૧૧. રસગંગાધર કા શાસ્ત્રીય અધ્યયન ડૉ પ્રેમસ્વરૂપ ગુપ્ત, ભારતપ્રકાશન મંદિર અલીગઢ ૧૬૬૨.
૧૨. સાહિત્યમીમાંસા, વિષ્ણુપદ ભટ્ટાચાર્ય, અનુ. સુરેશ જોષી, ચેતન પ્રકાશન ગૃહ (પ્રા) લિ. વડોદરા, ૨જી આ., ૧૯૭૦,
૧૩. આકલન, રામનારાયણ પાઠક, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૧૯૬૪,
૧૪. પરિશીલન, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ગાંડીવ સાહિત્ય મંદિર, સુરત, ૧૯૪૯.
૧૫. ભારતીય કાવ્યસિદ્ધાંત, જયંત કોઠારી અને નટુભાઈ રાજપરા, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૨જી આ., ૧૯૬૯.
[રામપ્રસાદ બક્ષી અભિનંદન ગ્રંથ માટે લખાયેલો લેખ,
[બુદ્ધિપ્રકાશ, ડિસેમ્બર, ૧૯૭૪
- ↑ તસ્માત્ કાવ્યે દોષાભાવગુણાલડ્કારમયત્વલક્ષણેન, નાટ્યે ચતુર્વિધાભિનયરૂપેણ નિબિડનિજમોહસંકટતાનિવારણકારિણા વિભાવાદિસાધારણોકરણાત્મના અભિઘાતો દ્વિતીયેનાંશેન ભાવક્ત્વવ્યાપારેણ ભાવ્યમાનો રસો... ભોગેન...ભુજ્યતે !
- ↑ ‘Sanskrit Poetics’, સુશીલકુમાર દે, પૃ. ૧૨૪
- ↑ એજન, પૃ. ૧૨૪
- ↑ ‘Kavyaprakas’a’ પૃ. ૫૬.
- ↑ ‘સાહિત્યમીમાંસા’, પૃ. ૭૭
- ↑ ‘Sanskrit Poetics’, પૃ. ૨૮
- ↑ ‘The Aesthetic Experience according to Abhinava-gupta’, Introduction પૃ. XI, ૪૫, ૫૦, ૧૦૮
- ↑ એજન પૃ. ૧૧૨, ૧૧૩
- ↑ ‘S’antarasa and Abhinvagupta’s Philosophy of Aesthetics’, પૃ. ૬૫, ૬૬
- ↑ એજન, પૃ. ૬૬
- ↑ ‘Bhoja’s S’rngara Prakas‘a’, પૃ. ૪૫૦ (આ અર્થ મુખ્યત્વે ભોજે કલ્પેલા ભાવનાવ્યાપારને અનુલક્ષીને છે.)
- ↑ એજન, પૃ. ૪૬૨
- ↑ એજન, પૃ. ૪૮૪
- ↑ ‘આકલન’, પૃ. ૧૧
- ↑ ‘પરિશીલન’, પૃ. ૪૪, ૫૦
- ↑ ‘રસસિદ્ધાંત’ પૃ. ૧૬૬
- ↑ અન્યશબ્દવૈલક્ષણ્યં કાવ્યાત્મનંઃ શબ્દસ્ય ત્ર્યંશતાપ્રસાદત |
- ↑ અન્યશબ્દવૈલક્ષણ્યં કાવ્યાત્મનંઃ શબ્દસ્ય ત્ર્યંશતાપ્રસાદત |
તત્રાભિધાયક્ત્વં વાચ્યવિષયં, ભાવકત્વં રસાદિવિષયં,
ભોજકૃત્વં સહૃદયવિષયમિતિ ત્રયોંઽશભૂતા વ્યાપારાઃ |
(ધ્વન્યાલોકલોચન)
- ↑ પૃ ૮૪
- ↑ પૃ. ૪૮૨
- ↑ પૃ. ૪૮૩
- ↑ પૃ. ૬૯૦
- ↑ ‘ભારતીય સાહિત્યશાસ્ત્ર’ પૃ. ૨૯૨
- ↑ નાટ્યરસ, પૃ. ૩૭
- ↑ પૃ. ૬૪ (પાદટીપ ૨)
- ↑ ‘રસગંગાધર કા શાસ્ત્રીય અધ્યયન’ પૃ. ૧૪૮
- ↑ ‘આકલન’, પૃ. ૧૨
- ↑ પૃ. Xx
- ↑ પૃ. ૬૬
- ↑ ‘ભારતીય સાહિત્યશાસ્ત્ર, દેશપાંડે પૃ. ૨૯૧
- ↑ ‘રસગંગાધર કા શાસ્ત્રીય અધ્યયન ડૉ. પ્રેમસ્વરૂપ ગુપ્ત પૃ. ૩૪
- ↑ ‘Bhoja’s Srngaraprakas’a’, ડૉ. વી. રાઘવન, પૃ. ૪૫૮
- ↑ ‘આકલન’, પૃ. ૧૧
- ↑ પ્રતીતિસ્તાવદ્રસસ્ય સિદ્ધા | સા ચ રસનારૂપા પ્રતીતિરુપ્તદ્યતે | વાચ્યવાચકયોસ્તત્રાભિધાવિવિક્તો વ્યઝ્નાત્મા ધ્વનનવ્યાપાર એવ | ભોગોકરણવ્યાપારશ્ચ કાવ્યસ્ય રસવિષયો ધ્વનનાત્મૈવ નાન્યત્કિંચિત | ભાવકત્વમપિ સમુચિતગુણાલડક્રપરિગ્રહાત્મકમસ્માંભિરેવ વિતત્ય વક્ષ્યતે | કિમેતદપૂર્વમ્ |
- ↑ જુઓ, ‘ભારતીય કાવ્યસિદ્ધાંત’, જયંત કોઠારી અને નટુભાઈ રાજપરા, પૃ. ૫૨, ૨૩૨