અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`મરીઝ'/પરવરદિગાર દે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પરવરદિગાર દે

મરીઝ

બસ એટલી સમજ મને પરવરદિગાર દે;
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.

માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની તો કોઈ સારવાર દે.

ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું,
એ શું કે તારા માટે ફક્ત ઇન્તિજાર દે.

આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે.

પીઠામાં મારું માન સતત હાજરીથી છે,
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે!

નવરાશ છે હવે જરા સરખામણી કરું,
કેવો હતો અસલ હું, મને એ ચિતાર દે.

તે બાદ માગ મારી બધીયે સ્વતંત્રતા,
પહેલાં જરાક તારી ઉપર ઇખ્તિયાર દે.

આ નાનાં નાનાં દર્દ તો થાતાં નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.

સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.

દુનિયામાં કંઈકનો હું કરજદાર છું `મરીઝ',
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.

(આગમન, પૃ. ૧૫)




`મરીઝ' • બસ એટલી સમજ મને પરવરદિગાર દે • સ્વરનિયોજન: પુરુષોત્તમ ઉપાધ્યાય • સ્વર: પુરુષોત્તમ ઉપાધ્યાય



`મરીઝ' • બસ એટલી સમજ મને પરવરદિગાર દે • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા • સ્વર: શ્યામલ સૌમિલ




આસ્વાદ: મહાન અને પારાવાર દર્દ – હરીન્દ્ર દવે

પહેલા જ શેરમાં કવિ ઈશ્વર પાસેથી સમજ માગે છે; હૃદયની સમજણ એ ઘણી મોટી વસ્તુ છે. બુદ્ધિથી જે પામીએ તેમાં અહમ્ ભળે છે. હૃદયથી જે પામીએ તેમાં પ્રેમ હોય છે. અહીં કવિ જે સમજ માગે છે એનો નાતો હૃદય જોડે છે, અને એટલે જ જ્યાં પણ કોઈ સુખની ક્ષણ મળે ત્યારે પોતે અહંકેન્દ્રી ન બની જાય, પોતાના સિવાય પણ બીજાના વિચારો કરી શકે એવી સંપત્તિ કવિ ઇચ્છે છે.

આ પ્રેમની જ વાત બીજા શેરમાં આગળ વધે છે. જીવનની સાર્થકતા પ્રેમને કારણે છે; પણ પ્રેમ સાર્થક જ થશે એની બાંહેધરી કોણ આપી શકે? અને પ્રેમનો કોઈ ઇલાજ નથી એવું સ્વીકારીએ ત્યારે પ્રેમ એ જ જેનું જીવન હોય એનું શું? એ પછીના જ શેરમાં કવિ કહે છે એમ જે મિલનતા બિંદુ સુધી પહોંચવાનો નથી એવો ઈંતઝાર જ એમના માટે રહ્યો હોય છે.

અત્યારે આપણે ત્યાં નવી નવી ગઝલોમાં કેટલાંક અસામાન્ય પ્રતિરૂપોથી કામ લેવાઈ રહ્યું છે. ‘મરીઝ’ની આ ગઝલ નવી નથી; પણ એમાંની અભિવ્યક્તિ નવીનતાને અતિક્રમી ગઈ છે, એટલે નિત્ય નૂતન છે. એટલા ખાતર આ શેર આખી યે ગઝલનો ઉત્કૃષ્ટ શેર છેઃ કોઈ બંધ દ્વાર પાસે આવી તેના પર ટકોરા મારવા કે ન મારવા તેની વિમાસણ છે—કવિ આ વિમાસણને કેટલી ઉત્કટતાથી નિરૂપે છે! એ કહે છે — ‘આવીને આંગળીમાં ટકોરા રહી ગયાં!’ આ કેટલી મોટી વાત, કેટલા ઓછા શબ્દોમાં, કેટલા સભર કાવ્યત્વ સાથે કવિ આલેખી શક્યા છે!

એ પછીના શેરમાં કવિ ધાર્મિક ક્રિયાકાંડ પર એક કટાક્ષ કરી લે છે. વ્યસન માણસને સતત વળગેલું હોય છે. જ્યારે ધર્મ તો અઠવાડિયામાં એકાદ વાર યાદ કરી લેવા જેવા ક્રિયાકાંડ કરતાં વિશેષ નથી, એમ મોટા ભાગના લોકો માનતા હોય છે. પીઠામાં સતત હાજરીને કારણે જે ‘માન’ છે અને મસ્જિદમાં ‘આવકાર’ છે. પીઠામાં સતત હાજરીને કારણે જે ‘માન’ છે અને મસ્જિદમાં ‘આવકારનો અભાવ,’ અહીં ‘માન’ અને ‘આવકાર’ બંને શબ્દો કટાક્ષમાં વપરાયેલા છે. આપણે માન અને આવકારના જે ખોટા ખ્યાલો બાંધીને બેઠા છીએ તેની વિડંબના કરવામાં આવી છે. પીઠામાં જે ‘માન’ છે એ વાસ્તવમાં માન કહેવાય ખરું? અને મસ્જિદમાં આવકાર નથી પણ ઈશ્વરના આંગણે બૃહદ્ આવકારમાં વૈયક્તિક આવકારનો સમાવેશ થઈ જાય છે.

જીવનની નાની નાની બાબતો જ માણસને થકવી દે છે, કચડી નાખે છેઃ મહાન વેદના કે મહાન દર્દ હોય તો વ્યક્તિનું ગૌરવ થાય છે. રોજ અસંખ્ય સામાન્ય માણસો નાની નાની વેદનાઓ ભોગવતા જ હોય છે. એ અસહ્ય હોય છે, છતાં વ્યક્તિને પોતાના વાતાવરણથી ઉપર આવવાની તક ક્યાં મળે છે? પણ ઈસુને એક જ દર્દ હતું, ગાંધીજીને એક જ દર્દ હતું: આ મહાન અને પારાવાર દર્દ જો હોય તો જ વ્યક્તિ પોતાની આસપાસના સંજોગોને અતિક્રમી આગળ આવી શકે છે.

કવિ અને સામાન્ય માનવીમાં પણ આ જ ફરક હોય છેઃ સામાન્ય માનવી પાસે નાનાં નાનાં દર્દો હોય છે; કવિ પાસે પારાવાર દર્દ હોય છે. પોતાની વેદનાની પાર પહોંચી શકે છે એ જ સાચો કવિ બને છે. આ મહાન અને પારાવાર દર્દ માટેની યાચના જ કવિની સાચી પ્રાર્થના છે.

ગઝલના પ્રત્યેક શેર આગળ આપણે આથી પણ વધુ અટકી શકીએ કે મનન કરી શકીએઃ ગઝલની આ જ ખૂબી છે. અને એક ગઝલમાં મનન કરવા જેવું એકાદ જગત રચાતું હોય તો પણ ઘણું છે. આ નાનકડી ગઝલમાં એકથી વધુ શેરોમાં એ બની શક્યું છે. (કવિ અને કવિતા)