અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રવીણકુમાર રાઠોડ ('પ્રણય' જામનગરી)/હોય છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હોય છે

પ્રવીણકુમાર રાઠોડ ('પ્રણય' જામનગરી)

સમજી નહીં સમજાય એવી ચાલ હોય છે,
એ આપણા, આ મનને કદી ખ્યાલ હોય છે!

મૂંગા રહીને સાંભળે તેઓ સુખી રહે,
અહીં તો બધાના સ્કંધ પર વૈતાલ હોય છે.

માણી નથી શકતા કદી; એ સ્હેજ આજને,
ઘૂમરાતી જેના મન મહીં ગઈ કાલ હોય છે.

વેરાનમાંય વસ્તી એ ઊભી કરી શકે,
આ શબ્દ પણ સાચે અહીં કમાલ હોય છે.

સહેલાઈથી એ પણ નથી ઊકલી જતો અહીં,
ને સાવ નાનો આમ તો સવાલ હોય છે.

સહેલાઈથી ઓળંગવી મુશ્કેલ છે અહીં,
આ પંથમાં લાખો, ‘પ્રણય’ દીવાલ હોય છે.