અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મહેન્દ્ર વ્યાસ ‘અચલ’/કોઈ પ્રીત...

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કોઈ પ્રીત...

મહેન્દ્ર વ્યાસ ‘અચલ’

કોઈ પ્રીત કરી તો જાણે!
અંતરમાં આ શીતળ અગનને કોઈ ભરી તો જાણે! — કોઈ.
દિવસ ઊગ્યે બેચેન રહેવું,
રાત પડ્યે મટકું ના લેવું,
ખાવાયા ખોવાયા જેવી,
પળ પળને દેવી.
જીવતેજીવત આમ જીવનમાં કોઈ મરી તો જાણે! — કોઈ.
દુનિયાની તીરછી દૃષ્ટિમાં,
વેધક વાણીન વૃષ્ટિમાં,
મસ્ત બનીને ફરતા રહેવું,
મનનું કૈં મન પર ના લેવું.
ખુલ્લે પગ કંટકભર પથ પર કોઈ ફરી તો જાણે! — કોઈ.
મોજાંઓની પછડાયોથી,
ઝંઝાનિલના આઘાતોથી,
નૌકા જ્યાં તૂટી પણ જાયે
સાગર જ્યાં રૂઠી પણ જાયે,
એવા ભવસાગરમાં ડૂબી કોઈ તરી તો જાણે!...
કોઈ પ્રીત કરી તો જાણે!
(ગીતિકા, પૃ. ૧૮૬)